સાહિત્ય સંમિલન

કુમળી લાગણીઓની સંવેદના સભર કૃતિઓ થકી સાહિત્યક્ષેત્રે સંકળાયેલા સહયાત્રીઓ સાથે વાતચીત થકી હ્રદયનો શુદ્ધ આનંદ વહેંચવાનો અમૂલ્ય અવસર જૂનની ૨૯મીએ મારી નાની બહેન ક્રિશ્ના સાવધરીયાના વિશાળ આંગણે ઉજવાયો. જેમાં પૂજ્ય પન્નાબહેન નાયક, આદરણીય શ્રી નટવરભાઈ ગાંધી, આદરણીય શ્રી પ્રમોદભાઈ ઠાકર, સ્નેહી શ્રી જયંતભાઈ દવે, પલ્લવી ગાંધી, ઈશાની શાહ, પુલકિત શાહ, તન્વી શાહ, રાજુલ કૌશિક, વસુધા ઈનામદાર, મીનલ પંડ્યા, સેજલ કોઠારી, શ્રુતિ મહેતા, તન્વી શાહ, પ્રમોદિનીબહેન દવે અને સંદીપભાઈ ઠાકોર વિગેરે ઉત્સાહથી જોડાયાં તેથી આનંદ અનેકગણો વધ્યો.

શ્રી નટવરભાઈ અને પન્નાબહેન પરિસંવાદથી કાર્યક્રમની શરૂઆત કરી. જેમાં આ અનોખા યુગલ વિષે ઘણું જાણવા મળ્યું. તે પછી તન્વી શાહે એક જ કાવ્યમાં જુદી જુદી પંક્તિઓમાં ચાર અલગ ભાષાઓ થકી નવી પેઢીની વિશાળ દૃષ્ટિનો પરિચય કરાવી સૌને મુગ્ધ કરી દીધા. શ્રી પ્રમોદભાઈ ઠાકર કે જેમણે અખાના છપ્પાનું અંગ્રેજમાં ભાષાંતર કર્યું છે તેમણે તેની વાતો કરી અખાના બોધને નવા સ્વરૂપે રજૂ કર્યો. સેજલ કોઠારીએ પન્નાબહેનની એક રચના ‘કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટહૂક્યા કરવાનું મને મંજૂર નથી..’ રજૂ કરીને સૌને પ્રસન્ન કરી દીધા. તે ઉપરાંત આ આશાસ્પદ કવયિત્રીએ સ્વરચિત સુંદર રચનાઓ રજૂ કરી સૌને રસ તરબોળ કર્યા.

રાજુલબહેન કૌશિકે એમનાં કોમળ સ્વરે પોતાની શબ્દયાત્રા અને અભિવ્યક્તિનો આનંદ વહેંચ્યો. પ્રમોદિનીબહેન દવેએ પન્નાબહેનને લખેલી બા વિષેની પ્રચલિત રચના વાંચી સંભળાવી. શ્રી નટવરભાઈએ પણ બા વિષે સોનેટ રજૂ કર્યું. એ પછી પલ્લવી ગાંધીએ તેના પપ્પા સ્વ. શ્રી અનિલભાઈ શાહ અને સ્વ. શ્રી મનુભાઈ પંચોળી વચ્ચેના પત્રોનું જે પુસ્તકમાં સંકલન કર્યું છે તે પુસ્તક ‘ બે પ્રાજ્ઞોનો સંવાદ’ વિષે વિગતે વાતો કરી. જેમાં શ્રી પ્રમોદભાઈ તેમ જ શ્રી નટવરભાઈ પણ પલ્લવીના કહેવાથી જોડાયા હતા.

વાર્તાકાર વસુધાબહેન ઈનામદારે પોતાની લખેલી વાર્તા મનભાવન રીતે પ્રસ્તુત કરી અને શ્રી જયંતભાઈ દવેએ નાનપણમાં સાંભળેલી આનંદી કાગડાની વાર્તા યાદ આવી જાય તેવું સુંદર કાવ્ય ‘હું આનંદી કાગડો’ પોતાની ઓળખ સાથે રજૂ કર્યું. મીનળબહેન પંડ્યાએ એમના સાહિત્યરસની અને પન્નાબહેનની કવિતાઓ વિષે થોડી વાતો કરી.

અંતમાં ઈશાની શાહ અને શ્રૂતિ મહેતાએ સૌના પ્યારા સ્વ. કવિ શ્રી ચંદ્રકાન્ત શાહ ઉર્ફે ચંદુભાઈ વિષે કવિતાઓ વાંચી.

ત્યારબાદ ગરમગરમ ઢોસાનું મનભાવન ભોજન અને રસભરી વાતોનાં વડાં સાથે ગરમગરમ મેંદુવડાંની મોજ માણી સૌ રસતરબોળ થઈ ચાર કલાકના આનંદની સુમધુર યાદો લઈ છૂટા પડ્યા. તે પહેલાં ફરી વાતોનો દોર ચાલ્યો. જેમાં અમેરિકાવાસી ગુજરાતીઓની જીવનકથાઓનું પુસ્તક ‘સ્મૃતિસંપદા’ની થોડી વાતો કરી આ પુસ્તક સૌને ભેટમાં આપ્યું. સાંજે અમારે ટેનેસી પાછા ફરવાનું હતું. એરપોર્ટ તરફ કાર હંકારી તે પહેલાં વ્હાલી બહેન ક્રીશ્નાને ભેટીને રડુંરડું થતું મન હસી ઊઠે તેટલી મીઠાશ લઈ ઘર તરફ પ્રયાણ કર્યું.

કુંટુંબના અન્ય સભ્યો સાથે ગાળેલા વેકેશનના આ થોડા દિવસોમાં પરિવાર અને મિત્રોના પ્રેમનું ભાથું બાંધી મન તરબતર થઈ ગયું. આગલા દિવસે એટલે કે જૂન ૨૮ ની સાંજે સ્વ. કવિ શ્રી ચંદ્રકાંત શાહ જેમાં સક્રિય હતા તે મેઘધનુષના કાર્યક્રમમાં જોડાવાનું આમંત્રણ ઈશાની શાહે આપ્યું. આ કાર્યક્રમની સાથે શ્રી જય વસાવડાની મધુર વાતો સાંભળવાનો લ્હાવો પણ મળ્યો હતો. ચંદુભાઈએ શરૂ કરેલી સાહિત્યિક પ્રવૃતિઓને વેગ મળતો રહે તે માટે ઈશાનીના પ્રયત્નોને દાદ દઉં છું.

Posted in સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

અંતિમ પળો

સાથરે  દીવો પ્રગટાવો, સાથરે ફૂલડાં પઘરાવો

                                      આત્મદીપ ઓલવાયો…

ઊનાં રે પાણીડાં લાવજો, ઊનાં રે આંસુડે નવરાવો

                                 રૂધિરવેગ ઠંડો પડ્યો….

નવાંનકોર વસ્ત્રો લાવજો, જૂનાંને અળગા રે કરજો

                                દેહ લાકડી સમ ઢળ્યો…

તરસ છીપી ખૂટ્યો કણકો, ભોજન દીનદુખિયાંને આપજો

                                  જીવન રસાસ્વાદ સૂકાયો….

મૃત્યુ સંગે મીઠી નિદ્રા મ્હાલું, ત્યજ્યું કુટુંબ અતિ વ્હાલું

                                  સ્વપ્નનો મેળો વિખરાયો…

ભૂલોને સદા ભૂલી જજો, ભૂલશો ના પ્રેમ ન્યારો

                                  જ્યોત સે જ્યોત જગાયો…

છેલ્લા રામ-રામ ઘર ગલીને,હૃદયે સૌ ના સદા વસીને

                                   ધૂપ થઈ ગગને ફેલાયો…..

-રેખા સિંધલ

Posted in કાવ્યો, સ્વરચિત કૃતિ | 3 ટિપ્પણીઓ

‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન તરફથી, તારીખ ૨૭મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ શારદા-અંબા મંદિરના ઑડીટોરિયમમાં, તાજેતરમાં પ્રકાશિત થયેલા ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમાં લગભગ ૧૬૫ થી વધુ સાહિત્ય-પ્રેમીઓએ એ પુસ્તકના ૧૨ જેટલા  હાજર રહેલા સર્જકો સાથે સાંજ વીતાવી હતી.

અતિથિ-વિશેષ તરીકે ‘વિદેશીની’ તરીકે જાણીતા અને માનીતા કવયિત્રી શ્રીમતી પન્નાબહેન નાયકના હાથે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. વર્ષોથી ‘ગુર્જરી ડાયજેસ્ટ’ નામનું ત્રૈમાસિક અમેરિકામાં પ્રકાશિત કરનાર સાહસિક પ્રકાશક શ્રી કિશોરભાઈ દેસાઈએ પણ હાજરી આપી હતી. એમણે ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ સાથે જોડાઈને આ ‘સ્મૃતિસંપદા’નું પ્રકાશન કર્યું છે; જેમાં પંદર ગુજરાતીઓએ પોતાની જીવનકથામાં પરદેશની ધરતી પરની એમની વિકાસ કથા લખી છે. સાહસ અને વિકાસ સાથે સંઘર્ષમય અનુભવો સ્વાભાવિક જોડાયેલા હોય. આ અનુભવોમાં વિકસેલા ગુણોના અંકુર ગુજરાતની ભૂમિમાંથી વિસ્તરી દરિયાપાર ફેલાયા છે. જીવનના કોઈ પણ ક્ષેત્રે અને કોઈ પણ તબક્કે આ અનુભવોનું ભાથું બળપ્રેરક બની રહે તેવું છે. આ પુસ્તકમાં પંદર લેખકોમાંથી છ હ્યુસ્ટનના રહેવાસીઓ છે અને કેટલાંક તો આ સાહિત્ય સરિતા સાથે વર્ષોથી જોડાયેલાં છે; જેમાંનાં એક એવાં દેવિકા ધ્રુવે, આ સંસ્થાને ‘હ્યુસ્ટનના આંગણે ઊભેલો ગુજરાતી ભાષાનો તુલસીક્યારો” કહી ગૌરવવંતી ઝલક આપી હતી.

શ્રી હસમુખ દોશી, કિરીટ ભક્તા,ઈના પટેલ જેવા અન્ય ઘણા દાતાઓ આ અવસરમાં આર્થિક સહકાર આપી સહયોગી થયા હતા.

કાર્યક્રમની શરૂઆત સંસ્થાના સચિવ શ્રી નરેન્દ્ર વેદે કેટલીક જાહેરાત સૂચનાઓ વગેરે આપ્યા પછી, બરાબર  સાંજે ૪ક.૧૦મિનિટે શ્રીમતી જ્યોત્સના વેદની સરસ્વતી વંદનાથી થઈ હતી. તે પછી સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલ મહેતાએ પ્રાસંગિક વક્તવ્ય આપી સૌનું સ્વાગત કર્યુ હતું. નૃત્યકાર ઉમા નગરશેઠની  દોરવણી હેઠળ સંસ્થાની બહેનો દ્વારા દીવડા-નૃત્યની સુંદર રજૂઆત કરવામાં આવી હતી; જેના શબ્દો હતાઃ “મેં તો ઉંબર પર દીવડો મેલ્યો કે ઘર મારું ઝળહળતું”.

(અવની મહેતા, ભારતી મજમુદાર, જ્યોતિ વ્યાસ, મંજુલા થેકડી,
માયા મહેતા, નયના ગોસાલીઆ,સ્મિતા પુરોહિત અને  વર્ષા શાહ)

‘સ્મૃતિસંપદા’ના જે પાંચ લેખકો આવી નહોતા શક્યા તે ડો. ઈન્દુબહેન શાહ (હ્યુસ્ટન), ડો. જયંત મહેતા(નેશવિલ), ડો. બાબુ સુથાર (પેન્સિલવેનિયા) ડો. દિનેશ શાહ (ફ્લોરિડા) અને શ્રી અશોક વિદ્વાંસ (ન્યૂજર્સી) દ્વારા ઈમેલથી મળેલા તેમના સંદેશાઓ, પ્રમુખ શ્રી નિખિલભાઈએ વાંચી સંભળાવ્યા હતા.

હાજર રહેલા આમંત્રિત મહેમાનોને ‘ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટન’ તરફથી સન્માન-પત્ર અને સંસ્થાના logo સાથેની વિવિધ ભેટોનો સંપુટ, સરસ મજાના વિવિધ વૈચારિક અને મનનીય સૂત્રો દા.ત ‘A book is a dream you hold in your hand’ સાથે આપ્યો. તે ઉપરાંત દરેક ભાગ લેનાર, સંસ્થાના સેવાભાવી કાર્યકર્તાઓ અને દાતાઓને પણ ભેટોનો સંપુટ આપ્યો હતો જે સૌએ પ્રેમથી વધાવ્યો હતો. ડો.કમલેશ લુલ્લા તરફથી ‘ચંદ્ર પરથી પૃથ્વીના ઉદય’ની એક વિરલ અને અલભ્ય તસ્વીર પણ સૌને આપવામાં આવી હતી.

આ પ્રસંગે સરસ્વતી મંદિરના પ્રમુખ ડો.દાસિકાજીએ સનાતન ધર્મ વિશે પોતાના વિચારો દર્શાવ્યા હતા અને  વ્યવસ્થાપક શ્રી પ્રસાદજીએ મંદિરના સ્થાનના યોગ્ય ઉપયોગ અંગે  માહિતી પૂરી પાડી હતી.

સાંજે સાડા છ વાગ્યે, ગુજરાત અને ગુજરાતીઓને અનુલક્ષીને એક સુંદર, મજેદાર ‘શેરાક્ષરી’ની રજૂઆત કરવામાં આવી જેને પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.  તે પછી શ્રીમતી રિદ્ધિ દેસાઈએ આભારવિધિ કર્યા બાદ આ સાહિત્યિક સંધ્યાની પૂર્ણાહૂતિ થઈ.

નીતિન વ્યાસ, મનોજ મહેતા, ફતેહ અલી ચતુર,પ્રકાશ મજમુદાર, દેવિકા ધ્રુવ, ભાવના દેસાઇ અને રિદ્ધિ દેસાઈ… )
સંકલન કર્તાઃ  દેવિકા ધ્રુવ

છેલ્લે સ્વાદિષ્ટ ભોજનને ન્યાય આપી, તૃપ્તિના ઓડકાર સાથે સૌ વિદાય થયા. તે સમયે ઘણી વ્યક્તિઓના હાથમાં ‘સ્મૃતિસંપદા’ પુસ્તકને જોઈ આનંદ રેલાયો.

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનના વહેતા પ્રવાહમાં ઝબોળાવા સાથે ન્હાવાની મઝાથી મન હજીયે પ્રફુલ્લિત છે.

સૌ આયોજકો, કલાકારો અને અન્ય કાર્યકર્તાઓને આ સફળ કાર્યક્રમ માટે  અભિનંદન અને શુભેચ્છા.

–રેખા સિંધલ
ટેનેસી

Posted in સ્વરચિત કૃતિઓ | Leave a comment

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટનને આંગણે ‘સર્જકો સાથે એક સાંજ’ -એપ્રિલ ૨૭, ૨૦૨૪

સાહિત્યરસિક મિત્રો,

ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન(gujaratisahityasarita.org)ને આંગણે એપ્રિલ ૨૭મીએ ‘સર્જકો સાથે એક સાંજ’ કાર્યક્રમ યોજવામાં આવેલ છે. આ સમયે અમેરિકાવાસી ગુજરાતીઓની અનુભવકથાઓના સંગ્રહ ‘સ્મૃતિસંપદા’નું વિમોચન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં જોડાવા માટે સૌને ભાવભર્યુ આમંત્રણ પાઠવતાં મને આનંદ થાય છે. ‘સ્મૃતિસંપદા’માં જેમની કૃતિઓ પ્રગટ થઈ છે તે પંદર લેખકોમાંથી મોટાભાગના આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત સૌના માનીતા અને જાણીતા કવયિત્રી પન્ના નાયક અતિથિવિશેષ તરીકે હાજરી આપશે. સૌને મનગમતા એવા બીજા કેટલાક લેખકો પણ જોડાશે તેવી આશા છે. હ્યુસ્ટનના સાહિત્ય પ્રેમીઓને મળવાની અને એમના અતિથિ થવાની આ અમૂલ્ય તકનો લાભ લેવો સૌને જરૂર ગમશે. જો તમે તેમાં સહભાગી થવા ઈચ્છતા હો તો અમને વહેલી તકે જણાવશો જેથી આયોજનમાં સરળતા રહે. આ સાથેના ફ્લાયરમાં સંપર્ક માટેની તથા અન્ય વિગતો છે. સંસ્થાના પ્રમુખ શ્રી નિખિલભાઈ મહેતા અને કાર્યવાહક સમિતિ વતી અમારી સાથે જોડાવાનું સૌ રસિકોને આમંત્રણ છે.

-રેખા સિંધલ 

(સંપાદકઃ ‘સ્મૃતિસંપદા’)

Posted in સ્વરચિત કૃતિઓ | 2 ટિપ્પણીઓ

સમસ્યાઓ ઉકેલવાની કળા

Posted in સ્વરચિત કૃતિઓ | Leave a comment

ડાયાસ્પોરા સાહિત્ય – મંતવ્ય

Posted in સ્વરચિત કૃતિઓ | 1 ટીકા

‘ધ આલમન્ડ ટ્રી’ પુસ્તકનો રસાસ્વાદ

પ્રશિષ્ટ કૃતિ પરિચય શ્રેણીના ૮૭મા મણકામાં આજે અમેરિકાથી જોડાયેલાં સુશ્રી રેખાબેન સિંધલે મિશેલ કોહેન કોરસંતીની નવલકથા ‘ધ આલમન્ડ ટ્રી’ વિશે બહુ જ રસપ્રદ અને વિચારપ્રેરક વાત કરી હતી.

મૂળે હિબ્રુ ભાષાના લેખિકાએ અંગ્રેજીમાં લખેલી આરબ પ્રદેશના એક આરબ પરિવારની સંઘર્ષ ગાથાને રેખાબેને ગંભીર છતાં રસાળ શૈલીમાં મૂકી આપી હતી.

જેવી સ્થિતિ હિટલરના સમયમાં યહૂદીઓને ભોગવવાની થયેલી તેવી જ રીતે યહૂદીઓ દ્વારા ઈઝરાયેલમાં આરબો પ્રત્યે અત્યાચારભર્યો થતો વ્યવહાર લેખિકાએ અનુભવ્યો છે ને આબેહૂબ આલેખ્યો પણ છે.

આનંદની ઘટના એ પણ બની હતી કે વ્યાખ્યાન અંતે રેખાબેને આ કૃતિનો ગુજરાતીમાં અનુવાદ થાય એવી તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી હતી જેનાં પ્રતિસાદ રૂપે શ્રી અશ્વિનભાઈ ચંદારાણાએ સહર્ષ એ કામ સ્વીકાર્યું હતું.

આપણી શ્રેણીની આ પણ એક મંગળ ફળશ્રુતિ

(સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ રાપર, કચ્છ)

Posted in સ્વરચિત કૃતિઓ | Leave a comment

ક્યાં છે એ કન્યા?

 (સત્ય ઘટના પર આધારિત)

“બહેન, ધરતીકંપમાં દીકરી મરી ગઈ હોત તો ય સારૂં હતું.  પણ આ તો ખોવાઈ ગઈ છે એટલે ભૂલી નથી શકાતો એ ગોઝારો દિવસ! વર્ષો વીતી ગયા તો પણ યાદ આવતા હજી ય રડી પડાય છે” મારી સાથે વાત કરતા મંજુબેનની આંખમાં પાણી ધસી આવ્યા. ૨૦૦૧માં કચ્છમાં થયેલી કુદરતી હોનારતનો તીવ્ર આંચકો મંજુબેનના હ્રદયમાં ન પૂરાય તેવી મોટી તિરાડ પાડી ગયો હતો. જે સમયે દેશ-વિદેશથી હજારો લોકો આર્થિક મદદ માટે દાનનો પ્રવાહ મોકલી રહ્યા હતા તે સમયે ઘટના સ્થળે દોડી જઈને એક નરપિશાચે મદદના બહાના હેઠળ જે દુષ્કૃત્ય આચર્યુ હતું તેનો પુરાવો એટલે મંજુબેનની ખોવાયેલી પુત્રી! એમની કથા-વ્યથાની અમીટ અસર માનવતા પરનો વિશ્વાસ ડગાવી દે છે. કુદરતના કોપથી ઘેરાયેલા ઉદાસીના વાદળો વચ્ચે ક્યાંક ક્યાંક ઝબૂકતી વીજ જેવી આશા પણ ડરથી કાંપતી થઈ જાય છે. આ કંપનમાં મને મંજુબેનનો ચહેરો દેખાય છે. કચ્છના જે કુદરતી ઉપચાર કેન્દ્રમાં મેં મહિનો ગાળ્યો હતો તે સંસ્થામાં મંજુબેન મસાજ કરવાનું કામ કરતા હતા. સાડા પાંચ ફૂટની ઊંચાઈ, એકવડિયા શરીરનો સુરેખ બાંધો, નમણો ચહેરો અને ઘઉંવર્ણી ત્વચા ધરાવતી આ સ્ત્રીની પુત્રી પણ એટલી જ આકર્ષક હશે એમ મંજુબેનની વાત પરથી લાગતુ હતુ.

 “કેટલી ઉંમર હતી તમારી દીકરીની?” મારા આ પ્રશ્નના જવાબમાં મંજુબેન કહેવા લાગ્યા, “તેર વર્ષની મારી શીલા મારા સાસુ ભેગી હોસ્પીટલમાં અમારા એક સગાની ખબર કાઢવા ગયેલી. મારી તો ના હતી પણ સાસુ સામે હું કંઈ બોલી શકી નહી. ધરતીકંપમાં હોસ્પીટલની ઈમારત તૂટી પડી હતી. મારા સાસુ હેમખેમ ઘરે આવ્યા પણ શીલાનો પત્તો ન લાગ્યો.” મંજુબેનને મનમાં બે પીડાઓ ભેગી હતી. તે માનતા હતા કે સાસુ સામે એમનું ચાલ્યું હોત તો એમણે દીકરી ગુમાવવી ન પડત. ધરતીકંપ થશે એવી ખબર તો ક્યાં એના સાસુને પણ હતી. એ દાદીમાની પીડાની પણ ફક્ત કલ્પના જ કરવાની રહી.

“કદાચ એમ બન્યું હોય કે ધરતીકંપની ઊથલપાથલમાં દટાઈ ગઈ હોય” મારી આ શંકાનો જવાબ આપતા મંજુબેનના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો. મારી પીઠ ચોળતા એમના હાથ ધીમા પડી ગયા. ગળગળા સાદે કહેવા લાગ્યા, “મદદ માટે આવેલા વાહનોમાંના એકમાં તેને ચડતી એક ઓળખીતાએ જોઈ હતી. એક બીજા ભાઈએ પણ દોડાદોડીમાં તેને જોઈ હતી. બહુ તપાસ કરી પણ કોની ગાડી હતી અને કઈ દીશામાં ગઈ તે ખબર જ ન પડી. આના કરતાં તો મરી ગઈ હોત તો વધારે સારૂં હતું” કહીને એમણે સાડલાના છેડાથી આંસુ લૂછયા.

એક તો હોસ્પીટલ ગામને છેડે હતી વળી ચારેબાજુ તારાજી! કોઈક ઘાયલ તો કોઈક બેભાન. જે હેમખેમ હતા તે રઘવાયા અને ખોવાયેલા હતા તેમાં ક્યું વાહન કોને અને કેટલાને લઈ ગયું તેની નોંધ કોણ લે? જેને જે હાથ લાગ્યું તેમાં બેસીને ભાગવાનો પ્રયત્ન સૌ કરતા હશે તે કલ્પી શકાય છે.

અમારા ગામમાં થતા હુલ્લડો વખતે લૂંટ અને ચોરીના કેટલાય કિસ્સા મેં સાંભળ્યા હતા પણ કુદરતી હોનારતને કારણે અચાનક આવી પડેલી આફતની કરૂણાજનક સ્થિતિ વચ્ચેથી આ રીતે કોઈ સગીર કન્યાને ઊઠાવી લઈ જઈ શકે એ મારી ધારણા બહારની વાત હતી.

બની શકે કે શીલાને એમ કહેવામાં આવ્યુ હોય કે ધરતીકંપને કારણે તેના પરિવારના બધા જ મૃત્યુ પામ્યા છે. બની શકે કે મદદને નામે તેને ફોસલાવીને……ગુમનામ કરી દેવામાં આવી હોય. શીલા ક્યાં હશે અને તેના પર શું વીતી હશે? તેની ધ્રૂજાવી નાખતી કલ્પના જગનિયંતા પરનો વિશ્વાસ ડગાવી દે છે.

(આ સત્યઘટનાના પાત્રોના નામો કલ્પિત છે)

Posted in અન્ય લેખો | 1 ટીકા

સત્તા અને નાગરિકતા

અમારી પડોશમાં રહેતા જેસનની આજે હાઈસ્કૂલ ગ્રેજ્યુએશન પાર્ટી હતી. દૂર રહેતા દાદા-દાદી અને કાકા-કાકી વિગેરે સગાવ્હાલાઓથી તેનું ઘર ધમધમતું હતું. સ્ટ્રોબેરી પાઈની મીઠી સુંગધ તેમના ઓવનમાંથી મારા ઘર સુધી ફેલાઈને ઊંડા શ્વાસ લેવા પ્રેરતી હતી. થોડીવારમાં ડોરબેલ વાગી ઘડિયાળમાં જોયુ તો સવારના આઠ વાગ્યા હતા. દરવાજે જેસનનો નાનોભાઈ રેગન મારા આંગણાનું ઘાસ કાપવાની પરવાનગી માંગતો ઊભો હતો. દર શનીવારનો આ ક્રમ આજે પણ તેણે જાળવ્યો એટલે મેં કહ્યું કે, “તારે ત્યાં પાર્ટી છે તો આજે નહી કાપે તો ચાલશે.” “પાર્ટી તો બપોર પછી છે” એમ કહી હસતા ચહેરે ચૌદ વર્ષનો રેગન ઘાસ પર મશીન ફેરવવા લાગ્યો. હું ઘરમાં પાછી ફરી ત્યારે તેના ગીતનો લલકાર મારા કાનમાં પ્રસન્નતા રેડતો હતો. જેસન હવે કોલેજમાં જવાનો હોવાથી થોડા અઠવાડિયાથી તેણે રેગનને ઘાસ કાપવાનું કામ સોંપી દીધું હતું. પહેલીવાર તે કામ કરી પૈસા લઈને ગયો પછી તે જ બપોરે મેં તેને તેના ડેડી સાથે અમારા આંગણાના ઝાડ ફરતે મશીન ફેરવતો જોયો હતો. વૃક્ષ ફરતે થોડુંક ઘાસ બરાબર કપાયું ન હતું તેથી તેના ડેડી તેને ફરી લઈ આવ્યા હતા. હજુ અમારૂં ધ્યાન તો એ જગ્યાએ ખેંચાયું પણ નહોતું. અને અમે જોયું હોત તો પણ ચલાવી લીધુ હોત. તેના ડેડી જેરેમીને પણ મેં જ્યારે ‘કંઈ વાંધો નહી’ કહ્યું ત્યારે મને કહે, “અહીં કામની ગુણવત્તાનો સવાલ છે ઘાસનો નહી અને એટલે જ હું જોવા આવ્યો હતો કે જેથી અત્યારથી તેને જેમતેમ કામ કરવાની આદત ન પડે”

જેરેમી, પત્ની ક્રિસ્ટી અને ત્રણ સંતાનો સાથે અમારા પડોશમાં રહે છે. યુનીવર્સીટીમાં ધર્મના લેકચરર તરીકે નોકરી કરતો જેરેમી ચર્ચમાં પાદરી તરીકેની સેવા પણ આપે છે. તે ઉપરાંત ફાજલ સમયમાં રંગરોગાન જેવું કોઈ ગમતું કામ મળી જાય તો તે કરીને વધારે પૈસા ઊભા કરવામાં પણ ખોટી શરમ નહી. કદાચ એ જ કારણે તેના ઘરમાં સમૃદ્ધિ છલકાતી જોવા મળે. અમેરીકન જીવનરીતીની કેટલીક વિચારપ્રેરક ઊજળી બાજુઓ આવા પરિવારોમાં જોઈ પશ્ચિમી સંસ્કૃતિ વિષેનો મારો ભ્રમ દૂર થતો રહ્યો છે. જેરેમીના કિશોર વયના દીકરા જેસન સાથે વાત કરતા મને એક વધુ ઊજળી બાજુ જોવા મળી.

એમના આમંત્રણને માન આપી અમે અભિનંદન આપવા પાર્ટીમાં ગયા ત્યારે જેશન ખુબ વ્યસ્ત હશે આથી એની સાથે બહુ વાત નહી થાય તેમ મેં માન્યું હતું પણ જોયું તો દરેક મહેમાનની જેમ અમારી સાથે પણ તેણે નિરાંતે વાત કરી અને તેની અત્યાર સુધીની સિદ્ધિના સર્ટીફિકેટ્સ અને મેડલ્સ બતાવા લાગ્યો. જેમાં રમતગમત ઉપરાંત નૃત્ય, ચિત્રકલા, વક્તૃત્વકળા અને સ્વીમીંગ વિગેરેના છઠ્ઠાથી બારમા ધોરણ સુધીના ૨૫થી ય વધારે સર્ટીફિકેટ્સ અને ઘણા મેડલ્સ જોવા મળ્યા. અભ્યાસમાં પણ તે તેજસ્વી હતો. 

તેની સાથે વાત કરીને હું ઘણી પ્રભાવિત થઈ કારણ કે આગળ અભ્યાસ અને વ્યવસાયની બાબતમાં એ ખુબ સ્પષ્ટ હતો એટલું જ નહી પણ સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકાય તે અંગે પણ ગંભીરતાથી વિચારતો હતો. માધ્યમિક શાળામાં કોચની નોકરી દ્વારા બુલી વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષા આપી અન્ય વિદ્યાર્થીઓને એમનાથી બચાવવા તે તેની મુખ્ય ભાવના! શાળામાં રમતગમતની તાલિમ સાથે આ તાલિમ પણ આપી શકાય એવા ઉત્તમ વિચારનો જન્મ કદાચ દેશની હાલની પરિસ્થિતિમાંથી જન્મયો હોય એમ પણ બને. કિશોરોને યોગ્ય દિશા તરફ વાળવામાં કઈ રીતે યોગદાન આપી શકાય તે આ કિશોરે વ્યવસાયની પસંદગીમાં ભાવિ પેઢીના ઘડતરને અગ્રક્રમે મૂકી એક કેડી તરફ નિર્દેશ કર્યો હતો જે પર ચાલવાનો તેનો શુભ આશય દ્રઢ હતો. તેની માતાએ પણ આ વાતને ખૂબ ગર્વ સાથે ટેકો આપ્યો. પિતા જેરેમીના મૌન હાસ્યમાં તેની ગર્વસૂચક સંમતિ સ્પષ્ટ હતી. અમેરીકાની રાજધાની પર ૨૦૨૧ની છઠ્ઠી જાન્યૂઆરીએ બુલીઓએ જે હલ્લો કર્યો તેની નાગરિકો પર પડેલી અસરનો આ પણ એક પ્રતિભાવ હોઈ શકે એમ માનવા મન પ્રેરાય છે.    

આજના કિશોરો જે આવતા કાલના નાગરિકો છે તેઓના વિચારની દિશા જો યોગ્ય હોય તો આ દેશની આવતીકાલની બહુ ચિંતા નહી કરવી પડે એવી આશા આવા કિશોરોને મળીને જાગે છે. તેજસ્વી હોવા છતાં તેનું લક્ષ્ય ફક્ત ઊંચા પગાર અને મોટી પદવીઓ તરફ જ નહી પણ આસપાસના લોકોની સુરક્ષા પ્રત્યે પણ હતું. એ જવાબદારી ફક્ત તંત્રની જ નહી નાગરિકોની પણ છે તે અહીં સ્પષ્ટ સમજાય તેમ છે.

Posted in ડાયાસ્પોરીક સર્જન, પ્રસંગો, સ્વરચિત કૃતિઓ | Leave a comment

સૂના રે પડ્યા…….

સૂના રે પડ્યા રે ઓરડાં સૂના રે પડ્યા….
મા વિનાના ઘરમાં અમે સૂના રે પડ્યા….

મા નો સંદેશ અમને દરિયાપાર પહોંચે
ઊના રે પડ્યા આંસુ ઊના રે પડ્યા….
મા વિનાના અમે સૂના રે પડ્યા..

આંબાનો છાંયો અગ્નિ પરે ભડભડે
પીળા રે પડ્યા તડકા પીળા રે પડ્યા…
મા વિનાના અમે સૂના રે પડ્યા..

મમતાના બોલ મધૂરા કંઠે અટક્યા
ધીરા રે પડ્યા ટહૂકા ધીરા રે પડ્યા
મા વિનાના અમે સૂના રે પડ્યા..

દિલનો દીવો મારો થરથરે પ્રેમ વાટે
ઊણા રે પડ્યા ઉજાસ ઊણા રે પડ્યા
મા વિનાના અમે સૂના રે પડ્યા..

Posted in કાવ્યો, ડાયાસ્પોરીક સર્જન, સ્વરચિત કૃતિઓ | 1 ટીકા