અંગ પ્રત્યારોપણ – લગ્નની જેમ બે સાવ અજાણ્યાનું મિલન

અંગ પ્રત્યારોપણ ને અંગ્રેજીમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કહે છે. ચામડી, આંખની કીકી, સ્નાયુ, કિડની, લીવર, ફેફસાં, હૃદય કે એના વાલ્વ, આંતરડા, હાથના પંજા કે હાથ, પગ, માથા ના વાળ, હાડકાં, કોષો, લોહી, હાથપગની આંગળી કે અંગુઠો, પ્રોટીન – ટૂંકમાં શરીરમાં જરૂરી મોટાભાગના અવયવોનું પ્રત્યાર્પણ કરી શકાય છે. આ એક ખૂબ ગહન અને મજાનો વિષય છે.

કુદરતે આપણાં શરીરની રચના ખૂબ સરસ કરી છે. શરીર પોતાની તમામ ક્રિયાઓ, પ્રતિદિન અવિરતપણે અને ચોક્કસ રીતે કર્યા જ કરે છે. આવી સતત ચાલતી ક્રિયાઓ દરમ્યાન તેમ નાની-મોટી ખામીઓ પણ આવી શકે છે, જેને આપડે રોગ અથવા તકલીફ તરીકે ઓળખીએ છે. રોગના પ્રકારો ય વિવિધ છે અને તેની સામે લડત આપવા શરીર સુસજ્જ ય છે જ. આને આપડે રોગ પ્રતિકારક શક્તિ તરીકે ઓળખીએ છીએ . આપણી પાસે આગ સામે પ્રતિકાર કરવાના સાધનો હોય તો નચિંત થઈ જવાય ને! ના. એવા સાધનો હોવાથી જો ગાફેલ થઈ જઈએ, તો મોટા અકસ્માત માટે ય તૈયાર રહેવું પડે કે નહીં? આવી જ રીતે ફક્ત રોગ પ્રતિકારક શક્તિના જોરે જીવન ન જીવાય, ન જીવવું જોઈએ, છતાં આપણાંમાના ઘણા લોકો બેજવાબદાર જીવન શૈલી અપનાવી જીવતા હોય છે, પરિણામે શરીરના કોઈક અંગની ખરાબી નોતરી બેસીએ છીએ. જોકે ક્યારેક કમનસીબે અકસ્માતવશ ય કોઈ અંગ યા તો ગુમાવી બેસીએ છીએ અથવા નકામું બની જતું હોય છે.

ધારોકે શરીરનું કોઈ અંગ નુકશાન પામ્યું તો તેનો કોઈ ઈલાજ ખરો!? મોટાભાગે એવું બનતું હોય છે કે શરીર પોતાની રીતે આવા નુકશાન સામે જંગ લડી જે તે અંગ ને બચાવી લેવાનો કે સુધારી લેવાનો કે તે અંગ ધ્વારા થયેલ નુકસાન સરભર કરવાનો પ્રયત્ન ભરપૂર રીતે કરતું જ હોય છે. શરીરે કરેલા પ્રયત્નો બાદ પણ જો અંગ સરખી રીતે કામ ન કરી શકે તો છેવટના ઉપાય તરીકે અંગ પ્રત્યારોપણ એ સલાહભર્યો અને સરળ પણ એકમાત્ર ઉપાય છે. અથવા, જો શક્ય હોય તો જે તે અંગ વિના જીવન જીવવું પડે છે.

પ્રત્યારોપણનો સૌથી સરળ દાખલો લોહીનો છે. એક વ્યક્તિનું લોહી તે જ ગ્રુપના લોહીવાળી બીજી વ્યક્તિને ચઢાવવાથી તેનું જીવન નવપલ્લિત થાય છે, અરે અમુક કિસ્સામાં તો નવજીવન પણ પ્રાપ્ત થાય છે. આ એક ખૂબ જ સરળ પ્રક્રિયા છે. શરીર વિજ્ઞાનની આ શોધ ધ્વારા લાખો કરોડો લોકોના જીવન બચ્યા છે. લોહી પ્રત્યારોપણની જરૂર ઘણા કારણસર ઊભી થાય છે – જેમ કે અકસ્માત થાય અને ઘા લાગ્યો હોય જેમાંથી લોહી વહી ગયું હોય, કોઈ ઓપરેશન દરમ્યાન શરીરમાં લોહીની ઘટ સર્જાય, લોહીમાં હિમોગ્લોબિન ઘટી ગયું હોય અથવા પ્લેટલેટ્સ ઘટી ગયા હોય એવા કિસ્સામાં લોહી આપવું જરૂરી બનતું હોય છે. કેન્સર જેવા રોગ સામે લડત આપતા લોહીમાંના લાલ રક્તકણો ખુવાર થતાં અથવા તેનું ઉત્પાદન અવરોધાય તો તેવા કિસ્સામાં હાડકાંના પોલાણમાં બનતું બોનમેરો નું પ્રત્યારોપણ ની જરૂરિયાત ઊભી થાય છે. બોનમેરોનું પ્રત્યારોપણ કરતાં પહેલા, જેમ લોહી ચઢાવતી વખતે લોહીનું ગ્રુપ મેચ કરે છે એમ આ કેસમાં ય કરવું જરૂરી છે. બોનમેરો એટલે લોહીમાં રહેલા રક્તકણો ની ફેક્ટરી.

બીજું સૌથી જાણીતું પ્રત્યારોપણ કિડનીનું છે. દુનિયાભરમાં જેમની નામના હતી એવા ગુજરાતનાં હળવદ પાસેના નાના ગામ ચરાળવામાં જન્મેલા ડો. ત્રિવેદીસાહેબ કેનેડાની ધિકતી પ્રેક્ટિસ મૂકીને પોતાના દેસવાસીઑની સેવા કરવા અમદાવાદ આવી ગયા અને ત્યા અધ્યતન અને અદ્ધભૂત હોસ્પિટલ બનાવી આપી.

માનવ શરીરમાં બે કિડની આવેલી છે (ભગવાને જે અંગો જરૂરી હોય એના સ્પેર આપેલ જ છે. હાથ, પગ, આંખ, કાન, કિડની, ફેફસાં..જેથી એક ખરાબ થાય તો બીજું એનું કામ કરે રાખે). કિડનીનું કામ છે શરીરમાં જમા થતાં કચરાનો નિકાલ કરવાનું, આવો કચરો લોહી સાથે ભળી જતો હોય છે, લોહી પોતે શુદ્ધ થવા કિડનીમાં આવે, કચરો ત્યા ફિલ્ટર થઈ જાય (આ ફિલ્ટર એટલે આપડું RO નું મેમબ્રન જ). કદાચ એક કિડની નુકશાન પામે તો ય જીવન ચાલુ રહે છે બીજી કિડની વડે. બંને કિડની નુકશાન પામે તેવા કિસ્સામાં યા તો કિડનીનું ડાયાલીસીસ (જે એક મેકેનિકલ કિડની જ છે) કરીને દર્દીને સાજો રાખે છે, અથવા તો કિડનીનું પ્રત્યારોપણ કરાય છે. ડાયાલીસીસ એક ખર્ચાળ પદ્ધતિ તો છે જ અને કંટાળાજનક ય છે, એના માટે જ્યાં આ સુવિધા હોય તે હોસ્પિટલમાં, જરૂર મુજબ અઠવાડિયામાં 2-3 વખત જવું પડે.

કિડની ખરાબ થાય એના સિગ્નલ તો શરીર આપવા જ મંડતું હોય છે પરંતુ, માનવી પોતાની ઘટમાળ અને મસ્તીમાં એની અવહેલના કરતો હોય છે, જો ચેતીને સારવાર શરૂ ના કરે તો તેના માઠા પરિણામ ભોગવવા ય તૈયાર રહેવું પડે કે નહીં! કિડની પ્રત્યારોપણ કરવા જરૂરી છે કિડની હાજર હોવી જે બે રીતે શક્ય છે 1. યા તો દર્દીના નજીકના સગા પોતાની કિડની આપવા તૈયાર થાય 2. કોઈકની કિડનીનું દાન મળે મતલબ! કે અકસ્માત અથવા કુદરતી રીતે કોઇકનું મોત થાય અને એના સગા એ વ્યક્તિનું શરીર દાન કરે તો એમાં રહેલા અંગો બીજા જરૂરી લોકો માટે ઉપયોગ કરી શકાય છે.

આવું પ્રત્યારોપણ શું બહુ સરળ છે! ના. સાવ સરળ ય નથી. પ્રત્યારોપણ નક્કી કરતાં પહેલા, જે વ્યક્તિ દાન આપવાની હોય તેની તપાસ કરાય છે, તેના લોહીની તપાસ થાય, તેને કોઈ રોગ તો નથી એ જોવાય છે. દર્દીની પણ બધી શારીરિક તપાસ થાય છે, દર્દી પ્રત્યારોપણનું ઓપરેશન ખમી શકે એમ છે કે નહીં, તેને હાલમાં કોઈ બીજો રોગ કે તકલીફ તો નથી ને એ જોયા બાદ પ્રત્યારોપણ નો માર્ગ મોકળો બને. નવી કિડની બેસાડ્યા બાદ જૂની નકામી થયેલી કિડની યા તો કાઢી નખાય છે અથવા રહેવા દેવાય છે, એમાં કોઈ વાંધો નથી આવતો. આટલું કર્યા બાદ દર્દીની યાતનાઓ નો અંત આવી જતો હશે ને! ના. હજી નવી બેસાડેલી કિડની ને દર્દીનું શરીર પોતાનો જ એક ભાગ ગણી આવકારે છે કે નકારે છે – એ જોવાનું રહે છે. આમ બને ત્યા સુધી, દર્દીનું શરીર કિડનીને અથવા કહો કે શરીરમાં બેસાડવામાં આવતા કોઈપણ અંગને કે કોષને પરાયા ગણી નકારી ન કાઢે એ માટે, દર્દીના શરીરની રોગ પ્રતિકારક શક્તિને ક્ષીણ કરી નાખવામાં આવે છે. આમ કરવા વિવિધ દવાઓ આપવામાં આવે છે. વાંચનાર ને ગૂંચવાડો થયો ને! કે રોગ પ્રતિકારક શક્તિનો શરીરનું હથિયાર છે તો તેને ક્ષીણ કરવાની જરૂર કેમ પડે?

થોડું નિરાંતે સમજવું જરૂરી છે.

રોગ પ્રતિકારક શક્તિનું કામ શરીરમાં પ્રવેશતા દુશ્મન અથવા પરાયા કોષ, વિષાણુ કે જીવાણુ વગેરેને ઓળખીને ખતમ કરવાનું હોય છે. આ કરી તે કેવી રીતે કરે છે? શરીરનું કોઈપણ અંગ બનેલું હોય છે કોષો વડે, દરેક કોષ ઉપર જે તે વ્યક્તિનું પોતાનું ઓળખપત્ર જેવુ નિશાન, એમ કહો ને કે પાસવર્ડ જ અંકિત હોય છે. રોગ પ્રતિકારક શક્તિ આ પાસવર્ડ ને ઓળખીને તેના સિવાયના તત્વો ઉપર હુમલો કરીને તેનો નાશ કરતું હોય છે, તેની ટ્રેનિંગ જ એવી હોય છે. હવે આપડા શરીરમાં બેસાડવામાં આવતા અંગ કે તત્વ જે બીજાના છે, તેનો પાસવર્ડ તો અલગ જ હોવાનો ને! ઘરમાં આપડે પાળેલો પાલતુ શ્વાન આપણી સૂચના અથવા ઇશારા મુજબ નવા અને અજાણ્યા આગંતુક તરફ ભસે છે અથવા જોખમ લાગે તો હુમલો ય કરતો હોય છે, જે સ્વાભાવિક છે. પરંતુ મહેમાન ને આપડે બોલાવ્યા હોય તો, આપડા પાલતુ શ્વાનને હુમલો કરતાં રોકતા હોઈએ છે. ક્યાં સુધી એણે રોકીએ? જ્યાં સુધી શ્વાન નવા આવેલા મહેમાનને ઘરના સભ્યની જેમ ઓળખતો ના થઈ જાય, એક વાર ઓળખી લીધા બાદ એજ શ્વાન મહેમાનની પણ ઘરના બીજા સભ્યોની જેમ જ સુરક્ષા કરતો થઈ જાય છે! આવું જ આપણાં શરીરની રોગ પ્રતિકારક શક્તિનું પણ છે.

કિડનીની જેમ બીજા અંગોના પ્રત્યારોપણ આજના સમયમાં શક્ય બન્યા છે, અરે કેટલાકને તો આપણે રોજબરોજની બીમારી ના ઈલાજ ની માફક સામાન્ય ગણી લીધા છે. વ્યક્તિની ઉંમર વધવા સાથે શરીરના કોષો, સ્નાયુઓ અને હાડકાં નબળા પડવા માંડે છે. આંખ જેના સહયોગથી દૃશ્ય જુવે છે તે – આંખનો લેન્સ પોતાની સ્થિતિસ્થાપક્તા ગુમાવવા માંડે છે, સાથે સાથે લેન્સ દુધિયો બનવાથી અપારદર્શક બનવા તરફ ગતિ કરે છે. આમ થવાથી દૃશ્યને જોવાની ક્રિયા નબળી બને છે જેને સદી ભાષામાં મોતિયો આવ્યો એમ કહીએ છે. આના ઉપાય તરીકે આંખમાં લેઝર કિરણ વડે નાનો છેદ મૂકી, લેન્સને પીગળાવીને બહાર કાઢી લેવાય છે અને તેના સ્થાને કૃત્રિમ લેન્સનું પ્રત્યારોપણ કરાય છે. આમ કર્યા બાદ વ્યક્તિની દૃષ્ટિમાં સુધારો પણ જણાય છે. આજ રીતે, શરીરના સાંધામાં ખરાબી આવવાથી, સ્પેશીયલ સ્ટીલ અથવા ટાઈટેનિયમમાંથી બનાવેલા સાંધા-બોલ જોઇન્ટ પ્રત્યારોપણ કરી નવજીવન બક્ષવામાં આવે છે. કોઈ કારણસર વ્યક્તિના ફેફસાંમાં ખરાબી સર્જાય અને તે ધાર્યું કામ ના આપી શકતા હોય તો ફેફસાનું ય પ્રત્યારોપણ કરી શકાય છે. એકાદ બે પાંસડી તૂટી ગઈ હોય અને ફરી જોડાઈ શકે એમ ના હોય તો એનું પણ પ્રત્યારોપણ કરી શકાય છે.

મોતિયા ની જેમ દાંત બદલાવવા પણ બહુ સરળ અને સામાન્ય પ્રત્યારોપણ ગણી શકાય અને એટલેજ આપનું ધ્યાન એની ઉપર ખૂબ ઓછું જાય છે તથા તેને ઝાઝું મહત્વ ય આપતા નથી. આજના સમયમાં પ્લાસ્ટિક, સિરામિક કે સ્ટીલના દાંત બેસાડાતા હોય છે – પૈસા ની કમી ના હોય તો ચાંદી કે સોનાના દાંત ય બેસાડી શકાય છે. આ કૃત્રિમ દાંત પોતાની જગ્યાએ ફિટ બેસે અને જમવા વગેરેમાં તકલીફ ના પડે એ માટે જે સિમેન્ટ વપરાય છે એ ખૂબ આધુનિક પોલીમર હોય છે. આ પોલીમર થોડી સેકન્ડ્સ માંજ જામી જતું હોય છે આથી દાંતનું ફીટીંગ ખૂબ આસાન બની જાય છે. (આ પોલીમર ના બે ભાગ હોય છે – એક રેઝિન અને બીજું ફાસ્ટનર હોય છે, બંને ભેગા કરવાથી વાપરવા તૈયાર થાય છે. તમે એરલડાઈટ વાપર્યુ હશે તો સમજી શકશો)

અંગ પ્રત્યારોપણમાં લીવરનો કેસ ખૂબ રોચક છે કારણકે, લીવર શરીરનું એક એવું અંગ છે જે પોતે ફરીથી વૃદ્ધિ પામી શકે છે. મતલબ, જો લીવરનો થોડો હિસ્સો નકામો બની ગયો હોય તો એટલો હિસ્સો ફરીથી પુનર્જીવિત થઈ શકે છે. જો લીવર વધારે ખરાબ થયું હોય તો દાતાના લિવરમાંથી ટુકડો લઈ બગડેલા લીવર સાથે જોડી દેવાથી એ પુનર્જીવિત થવા લાગે છે અને પૂર્ણ રીતે વિકશીત થઈને ફરીથી પોતાના કાર્યો બજાવવા માંડે છે.

લિવરની જેમ ચામડીનું પ્રત્યારોપણ પણ સૌથી વધુ પ્રચલિત છે, આને સ્કીન ગ્રાફટિંગ કહે છે. મહદઅંશે ચામડીના દાતા અને મેળવનાર બંને પાત્ર એક જ વ્યક્તિ હોય છે કારણકે, એનાથી ચામડીના રંગમાં ઝાઝો ફરક નથી દેખાતો પરંતુ, એક વ્યક્તિની ચામડી બીજી વ્યક્તિને પણ આપી શકાય છે, ખૂબ મોટો અકસ્માત થયો હોય અથવા વ્યક્તિ ખૂબ દાઝી ગઈ હોય તેવા કિસ્સામાં બીજા પાસે ડૉનેટ કરાવીને ગ્રાફટિંગ કરવું જરૂરી બને છે. સ્કીન ગ્રાફટિંગ માટે મોટાભાગે સાથળ ના ભાગથી ચામડી લેવામાં આવે છે, તેના માટે સુથાર લકડાને છોલવા માટે જેમ રંધો વાપરે છે કૈક એવું જ સાધન વાપરી ચામડીનું ઉપલું પડ લેવામાં આવે છે અને તેને જરૂરી ભાગ ઉપર લગાડવામાં આવે છે. આ એક ખૂબ ઉપકારક શોધ છે, સ્કીન ગ્રાફટિંગ કરવાથી જે તે ભાગમાં ચેપ ફેલાતો ય રોકી શકાય છે. લોહીની જેમ ચામડીનું પણ દાન કરી શકાય છે જેને કોલ્ડ સ્ટોરેજમાં સાચવી રાખી જરૂરિયાતમંદ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

પ્રત્યારોપણના ક્ષેત્રે બે સૌથી મહત્વની શોધ જે મનુષ્યની તકલીફો મહદઅંશે ઘટાડવામાં સહાયરૂપ થઈ શકે છે, તેમાંની 1. ડાયાબિટીસ સામે રક્ષણ આપવા આઈસલેટ નામક કોષોનું પ્રત્યારોપણ. શરીર પોતાની ઉર્જા ગ્લૂકોઝમાંથી મેળવે છે પરંતુ આજ ગ્લુકોઝનું પ્રમાણ તેની મર્યાદા વટાવી જાય ત્યારે ડાયાબિટીસ નામક રોગની પળોજણ શરૂ થાય છે. આમ થવાનું કારણ છે શરીરમાં પેદા થતું ઇન્સ્યુલીન ની કમી જેને કોંટ્રોલ કરે છે આઈસલેટ કોષો. આઈસલેટના કોષો પેનક્રિયાસ માં ઉત્પન્ન થતાં હોય છે જેમાં ખરાબી હોય તો પેનક્રિયાસ નું પણ પ્રત્યારોપણ કરી શકાય છે 2. શરીરના ભાગોના હલંચલન માટે સ્નાયુ ખૂબ અગત્યની ભૂમિકામાં છે. આ સ્નાયુનું પણ પ્રત્યારોપણ શક્ય છે. નાના બાળકોને ઘણી વખત નબળા સ્નાયુની તકલીફ હોય છે, જે આનુવાંશિક હોય છે. નબળા સ્નાયુ માટે પ્રોટીનની કમી મુખ્ય પરિબળ છે. આ ખામીને દૂર કરવા માટે બીજા અંગોની જેમ સ્વસ્થ સ્નાયુના કોષને પ્રત્યારોપણ કરવાથી કામ નથી બનતું, તેના માટે અર્ધવિકશીત સ્નાયુના કોષોનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખામીયુક્ત સ્નાયુના સ્થાને વિકાસ પામી પોતે જરૂરી પ્રોટીન બનાવવા માંડે છે અને તેના વડે સ્નાયુ પોતાની કામ કરવાની તાકાત મેળવે છે.

ઉપર જોઈ તે તમામ પ્રત્યારોપણની ક્રિયાઓ સરળ હોય છે? ના. જ્ઞાન અને અનુભવ વચ્ચે જે પ્રકારનો તફાવત હોય છે તેજ પ્રમાણે વિજ્ઞાનની શોધ કે જાણકારી અને તેનો પ્રત્યક્ષ ઉપયોગ કરવા માટે જરૂરી અર્જુનની એકાગ્રતા, શિક્ષકની જેમ અથાક મહેનત અને વૈજ્ઞાનિક ની જેમ ઝીણું કાંતી શકવાની આવડત હોય તોજ સારું પરિણામ મળતું હોય છે. આ બધુ કર્યા છતાં શું બનતું હોય છે? જેમકે નબળા સ્નાયુ માટે દાનમાં મળેલા માયોબ્લાસ્ટ કોષોને ધીરજપૂર્વક કલ્ચર ડીશમાં, દ્રાવણમાં આરોપણ કરી શૂન્યથી નીચે 170 સે. ગ્રે. તાપમાને રાખવાથી લાખો કરોડોની સંખ્યામાં કોષો વૃદ્ધિ પામ્યા બાદ દર્દીના શરીરમાં આરોપીત કરવામાં આવે છે. આટલું કરવા છતાં પરિણામ આશાજનક મળે તે જરૂરી નથી જ! કદાચ જે તે કિસ્સામાં મદદરૂપ ન થાય પરંતુ, તેમાંથી મળેલા અનુભવો વડે ભવિષ્યમાં બીજા વ્યક્તિઓ ને ફાયદો થવાની શક્યતા ભરપૂર હોય છે. અંગ પ્રત્યારોપણની ક્રાંતિ કંઇ રાતોરાત નથી આવવાની અથવા કહો કે, કોઈપણ ક્રાંતિ આ રીતે શક્ય નથી અને ક્રાંતિને સફળ બનાવવા માટે સમાજના દરેક સ્તરનું અનુસંધાન થાય તે ખૂબ જરૂરી છે.

છેલ્લે, સૌથી અગત્યનું છે તે – શક્ય હોય તો મૃત્યુ બાદ સ્વસ્થ શરીરનું દાન કરવાથી કદાચ ઘણા બધા જીવો જે મર્યા વગર મરી રહ્યા હોય છે તેઓને જીવતદાન મળી શકે છે.

બ્રેન ડેડ વ્યક્તિના અંગનું દાન ખૂબ જરૂરી છે કારણ કે તે વ્યક્તિ હોસ્પિટલમાં જ હોવાની શક્યતા મહત્તમ છે અને તેના અંગો કાઢવાની પ્રક્રિયા ખૂબ સરળ બનતી હોય છે.

માટે અંગદાન કે દેહદાન નો સંકલ્પ કરવો જરૂરી છે.

  • અંગદાન નાના બાળકથી લઈને ઘરડા વ્યક્તિ સુધીના બધા કરી શકે છે, વ્યક્તિ રોગમુક્ત હોય એ જરૂરી છે
  • મનુષ્ય મરણ પહેલા અને મરણ બાદ તેના સગા અંગદાન નો સંકલ્પ કરી શકે છે
  • દરેક વ્યક્તિ પાસે બે કિડની ભગવાને આપી છે, તેમાંથી એક કિડની દાન કરી શકાય છે અને પછી એક કિડની વડે સ્વસ્થ જીવન જીવવું શક્ય છે
  • ચામડીનું દાન ય કરી શકાય છે
  • બોનમેરોનું દાન ય કરી શકાય છે
  • લોહીનું દાન તો ઘણા બધાને ખબર જ છે જે દર 3 મહિને 18 થી 55 વર્ષ સુધી કરી શકાય છે
  • લીવરનો અમુક ભાગ દાન કરી શકાય છે
  • શરીરના કોષોનું દાન ય કરી શકાય છે
  • મરણ બાદ બે આંખોના દાન ધ્વારા ઓછામાં ઓછી ચાર વ્યક્તિની જીવનભરની તકલીફ દૂર કરી શકાય છે
  • બોનમેરો કે રક્તદાન ની જેમ વીર્યદાન પણ કરી શકાય છે
  • જાણે કે અજાણે આપડે સૌ માથાના વાળનું દાન કરતાં જ હોઈએ છે જેના વડે માથાની વિગ બનતી હોય છે

ડાયાબિટીસ – શરીર અને જીવન માટે ખતરનાક દુશ્મન

ડાયાબિટીસ શું છે? એ સમજતા પહેલા સુગર અથવા શર્કરા શું છે એ જાણવું જરૂરી છે અને એને કાબુમાં રાખતું ‘ઇન્સ્યુલીન’ શું છે! એ જાણવું ય મહત્વનું છે.

આપણે રોજબરોજ ના ખોરાકમાં ઘણું ગળપણ ખાતા હોઈએ છીએ. શેરડીમાંથી પ્રોસેસ કરેલી ખાંડ હોય કે ગોળ. આ ઉમેરેલ ગળપણ થયા. આપડે કાર્બોહાઇડ્રેટ વાળી વસ્તુ ખાઈએ જેવી કે બ્રેડ, ફળો, બટાટા વગેરે, તો એમ કુદરતી શર્કરા હોય જ છે. એ જ્યારે પેટમાં પહોંચે ત્યારે ત્યાં રહેલા તેજાબ બોલે તો એસિડ વડે એનું વિઘટન થઈ જતું હોય છે, અહી ખોરાકમાં રહેલું ગ્લુકોઝ છૂટું પડી આંતરડામાં જમે થાય છે. આંતરડામાંથી ઉર્જા રૂપી ગ્લુકોઝ લોહીમાં પહોંચતુ હોય છે. જ્યારે શરીરને કાર્ય કરવાની જરૂર પડે ત્યારે તે કાર્ય કરવા જરૂરી ઉર્જા આ ગ્લુકોઝ પૂરી પાડે છે. શરીર માં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય ખરું! કે ઘટી પણ જાય ખરું! હા.

શરીરમાં આવેલું પેનક્રિયાસના આઈ-લેટ્સ નામના કોષો ‘ઇન્સ્યુલીન‘ નામક હોર્મોન ઉત્પન્ન કરતા હોય છે. ઇન્સ્યુલીન ઉત્પન્ન થાય બાદ શરીર ના કોષો પાસે જમા થાય છે અને ચોકીદાર ની જેમ ગ્લુકોઝ અને પ્રોટીનને કોષની દીવાલની અંદર દાખલ થવા દે છે. ઇન્સ્યુલિનની ગેરહાજરી કે ઉણપ ના કિસ્સામાં લોહીમાં રહેલું ગ્લુકોઝ જમા થયે જાય છે, જો લોહીમાં જરૂર કરતાં વધુ ગ્લુકોઝ રહે તો આગળ જઈને એ આંખને, હૃદયને તથા કિડનીને નુકશાન કરી શકે છે કે, કરે છે. ઇન્સ્યુલીન આ ગ્લુકોઝ લેવલને સાચવે રાખે છે.

ડાયાબિટીસ એ શરીરમાં ઉત્પન્ન થયેલી એક દુખદ ખામી કહી શકો. જ્યારે ઇન્સ્યુલિન લોહીમાં રહેલ ગ્લુકોઝને કોષો સુધી ના પહોંચાડી શકે ત્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય – આ છે ડાયાબિટીસ.

ડાયાબિટીસ બે પ્રકારના હોય છે, ટાઈપ-1 અને ટાઈપ-2

ટાઈપ-1 પ્રકારનો ડાયાબિટીસ મોટાભાગે બાળકો અથવા યુવાનોને વધુ થતો હોય છે, મોટી ઉંમરના ને પણ થઈ શકે છે. આ પ્રકારના ડાયાબિટીસમાં, શરીરની રોગ પ્રતિકારક શક્તિ (જેનું કામ શરીરમાં દાખલ થયેલા બહારના ચેપ કે નુકશાનકારક તત્વો સામે લડવાનું છે) એ કોઈક અજ્ઞાત કારણથી શરીરના જ ભાગો સામે હુમલો કરી બેસે છે (આર્થ્રાઇટીસ જેવા અનેક રોગો અને તાજેતરમાં હેવોક મચાવી ગયેલા કોરોના), ડાયાબિટીસના કેસમાં પેનક્રિયાસ ના આઈસ-લેટ કોષોને મારી નાખે છે – પરિણામે, એ કોષો ધ્વારા ઉત્પન્ન થતું ઇન્સ્યુલીન રોકાઈ જાય છે. ઇન્સ્યુલીન ની ગેરહાજરીમાં લોહીમાં રહેલ ગ્લુકોઝને કોષો સુધી પહોંચવા ઇન્સ્યુલીન જે ચાવી વાપરી દરવાજો ખોલી આપતું હોય છે, એ કાર્ય નથી થતું. પરિણામે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. આનો ઉપાય શું?! તો દર્દીને રોજ બહારથી ઇન્સ્યુલીન આપીને ગ્લુકોઝ કાબુમાં રાખવું પડે છે.

હવે બહારથી અપાતું ઇન્સ્યુલીન કેટલું આપવું? આનો આધાર વ્યક્તિના ખોરાક ઉપર, તે શારીરિક કસરત કેવી કરે છે એ તથા જીવનમાં તાણ કેટલી ઉત્પન્ન થવા દે છે એની ઉપર છે. આ તાણ બોલે તો સ્ટ્રેસ, ડાયાબિટીસ થયો હોય એટલે એની ચિંતામાં વધવાની શક્યતા ખરી જ. એ સિવાય બીજા કારણોથી તાણ ના આવે એનું પણ ધ્યાન રાખવું જ પડે.

ચાલો ટાઈપ-1 પ્રકારના ડાયાબિટીસ લક્ષણો જોઈ લઈએ.

  • તરસ ખૂબ વધી જાય
  • ભૂખ વધારે લાગે – કારણકે શરીરને જોઈતી ઉર્જા ના મળે એટલે શરીર ઉર્જા માટે વધારે ખોરાક માંગે
  • એકદમ અને વધારે વજન ઘટી જાય, કોઈ દેખિતા કારણ વગર
  • ચામડી ઉપર ખંજવાળ આવે
  • પેટમાં દુખે, ઊબકા આવે, ઊલટી થાય
  • આંખનું વિજન ધૂંધળું થાય
  • મોંમાંથી દુર્ગંધ આવે
  • પેસાબનું પ્રમાણ વધી જાય (બાળકો પથારી ભીની કરે)

ટાઈપ-2 પ્રકારનો ડાયાબિટીસ ઘણા બધાને થતો હોય છે.

આમાં વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલીન તો ઉત્પન્ન થતું જ હોય છે, એ દરવાજાની ચાવી લઇને ગ્લુકોઝને કોષની અંદર દાખલ કરવા પહોંચી પણ જતું હોય છે પરંતુ એની પાસે રહેલી ચાવી કામ નથી કરતી હોતી. અમુક ઇન્સ્યુલીન પોતાનું કામ કરી પણ શકે છે, બધા નહી. પરિણામે લોહીની અંદર ગ્લુકોઝનું પ્રમાણ અમુક સમયે વધવા માંડે છે. આ પ્રકારનો ડાયાબિટીસ સ્થૂળ અને બેઠાડું જીવન જીવતા લોકોને થવાને શક્યતા વધુ હોય છે.

આ ડાયાબિટીસ થયો છે એની નિશાનીઓ શું!? તો ઉપર ટાઈપ-1 માટે જે નિશાનીઓ લખી છે એ બધી અહી પણ લાગુ પડે. ઘણા લોકો આ નિશાનીઓ ને સિરિયસલી નથી લેતા. એમણે એમ હોય છે કે આતો વાતાવરણ ગરમ છે અથવા ખૂબ કામ કર્યું એટલે અથવા તો ઉમ્મર વધે છે (આ ડાયાબિટીસ મોટાભાગે 35 પછી થવાની શક્યતા હોય છે) એટલે આવું અનુભવે છે. આ ભૂલ છે – જે ભારી પડી શકે છે.

આ પ્રકારના ડાયાબિટીસ વાળા વ્યક્તિએ ખોરાક સુધારી, કસરતો કરીને, વજન ઉતારીને ગ્લુકોઝને કાબુમાં લેવું જોઈએ એમ છતાં જો લોહીમાં ગ્લુકોઝ વધારે રહે તો બહારથી ઇન્સ્યુલીન લઈને કાબૂ કરવું જોઈએ.

ડાયાબિટીસ વાળા વ્યક્તિએ ખોરાક કેવો લેવો જોઈએ? ક્યારે લેવો જોઈએ?

ખોરાકમાં ખાસ તો સ્ટાર્ચ લેવો જે રોટલી, ભાત, બિસ્કિટ (ખરા પરંતુ મલ્ટી ગ્રેન કે ઘઉના હોવા જોઈએ) માંથી મલસે.

ફળો જેવા કે કેળાં, સફરજન, દ્રાક્ષ લેવાય અને થોડું ડ્રાઈફ્રૂટ પણ લેવાય.

પ્રોટીન ખૂબ જરૂરી છે જે થોડા જ, 2 ચમચી જેટલા સીંગદાણામાં થી મળી શકે અને વિવિધ દાળમાંથી ય મળી શકે છે.

ડાયાબિટીસ થયો એટલે ગળપણ સાવ મૂકી દેવાનું! ના. કેમ કે, માણસને ગળપણનું વળગણ નાનપણથી હોય છે એટલે એમ ઝટ કેમ છૂટે? તો મધ લેવાય, જામ લેવાય, ક્યારેક એકાદી નાની ચોકલેટ ય લેવાય કે નાનો કપ આઈસક્રીમ ય ચાલે.

આ બધી વસ્તુમાં ફેટ હોય છે જે વળી શરીર માટે ઉપયોગી ય ખરા.

ડાયાબિટીસ વાળા વ્યક્તિ માટે નક્કી સમયે જમવું એટલું જ જરૂરી છે. મીઠું ઉપરથી લેવું જ નહીં. એકસાથે વધુ જમી લેવા કરતાં દિવસમાં 3-4 વખત થોડું થોડું જમવાથી લોહીમાં પહોંચતી સુગરને કાબૂ કરવાનું સરળ બને છે.

રાત્રે બને એટલો હળવો ખોરાક લેવો જેમ કે, લો કાર્બવાળા ઘઉના બિસ્કુટ, માઇક્રોવેવમાં બનાવેલા પોપકોર્ન કે ખાંડ નાખ્યા વગરનું ગરમ કોકો ડ્રિંક, પિસ્તા પણ ખાઈ શકે.

આટલું કરવાથી લોહિમાની સુગર કાબુમાં રહેશે. જવાબ છે – મોટાભાગે હા અને ક્યારેક ના પણ રહે.

તમે જોયું હશે કે ઘણા લોકોને અચાનક સુગર વધી કે ઘટી જવાની તકલીફ થતી હોય છે. આવું ક્યારે થાય?

  • સીઝન બદલાય – અચાનક ગરમી વધુ પડે અથવા ઠંડી
  • મગજમાં તાણ બોલે તો સ્ટ્રેસ થાય
  • કોઈક બીમારી શરીરને લાગુ પડે
  • ઇન્ફેકશન થાય, શરદી કે ફ્લૂ થાય
  • કસરત ઓછી થઈ ગઈ હોય
  • જમવાનો સમય અનિયમિત થયો હોય, ઘણી બધી વખત
  • પૂરતી ઊંઘ ના લેવાતી હોય
  • પાણી ઓછું પીવામાં આવતું હોય તો – જેટલી સુગર લોહીમાં હોય એનું પ્રમાણ લોહીના જથ્થાના પ્રમાણમાં વધી જાય પરિણામે પેસાબ વધુ થાય અને લોહીમાં રહેલું પાણી હજી ઓછું થાય..સુગર ઓર વધે

પહેલા તો સુગર કાબુમાં છે કે નહિ એ જાણવાનો એક જ રસ્તો હતો – લેબમાં જઈને તપાસ કરાવવાનો. હવે ઘરે જાતે ટેસ્ટ કરી શકો એવી સરળ કીટસ ઉપલબ્ધ થઈ છે. જેના ઉપયોગ વળે લોહીમાં રહેલી સુગર માપીને એ પ્રમાણે ઇન્સ્યુલીન લઈ શકાય.

સુગર માપતા પહેલા હાથ સ્વચ્છ કરી લેવા જોઈએ તથા જમ્યા પછી તરત ના માપવું.

આ ઉપરાંત, ડોક્ટરે આપેલી સલાહ મુજબ જરૂરી હોય ત્યારે લેબમાં જઈને સવારે ભૂખ્યા પેટે અને જમ્યા બાદની સુગરની તપાસ કરાવતા રહેવું હિતાવહ છે.

પેઈન અથવા દુઃખાવો

તમને ઠોકર વાગી છે? હાથની કોણી ક્યારેય અજાણતા ક્યાય અથડાઈ છે? આંગળી દરવાજામાં કે બીજે ક્યાય ચબ્દાઈ છે? અચાનક ભૂલથી ગરમ વાસણ પકડી લીધું છે? કે ગરમ પાણીમાં હાથ નખાઈ ગયો છે? હાડકું ભાંગ્યું છે? અરે, માથું દુખ્યું છે? ખુબ ચાલ્યા હો તો પગ ય દુખ્યા હશે ને! મારી જેમ ઉંમરવાળા હશે એ લોકોએ ભુતકાળમાં, સ્કુલમાં હોમ વર્ક ન લઇ જવા બદલ શિક્ષકનો માર ય ખાધો હોઈ શકે છે!

મારી જેમ કોઈકને આર્થરાઈટીસ થયો હશે તો, સાંધા દુખ્યા હશે જ. ઘણાને ઇન્જેક્શન લેતી વખતે દુખ્યું હશે. કોઈકને વાઢકાપ કરાવવાની જરૂર પડી હશે ત્યારે, નાનો ચેકો ડોક્ટર એનેસ્થેસિયા વગર એમનમ મુકે, ત્યારે દુખ્યું હશે. સ્ત્રીએ બાળકને જન્મ આપતી વખતે દુખાવો વેઠ્યો હોય છે.

ટૂંકમાં, ભાગ્યેજ એવી વ્યક્તિ મળે જેણે જીવનમાં કોઈ જ દુખાવાનો અનુભવ ન કર્યો હોય.

હવે દુખાવો થાય ત્યારે વ્યક્તિ વ્યક્તિ એ અલગ અલગ પ્રતિક્રિયા હોય. ઘણા લોકો પ્રમાણ માં ઘણો વધારે દુખાવો ય સહન કરી લે જયારે કોઈકને થોડો દુખાવો ય સહન ન થાય અને મોઢામાંથી ચીસ નીકળી જાય અથવા ઉહ્કારા નીકળી જાય. અચાનક કૈક વાગી જાય તો તરત જ મોટાભાગના લોકોના મોઢામાંથી ચીસ કે ક્યારેક ગાળ ય નીકળી જતી હોય છે. આવું કેમ થતું હશે!? આવું થવું સાહજિક છે અને એના કારણે વ્યક્તિને દુખાવામાં થોડી રાહત ય મળતી હોય છે.

ઉપર જોયું એમ, બધાને એકસરખા પ્રમાણ માં દુખાવો સહન કરવાની ક્ષમતા ભગવાને નથી આપી. આવું કેમ?

દરેક વ્યક્તિની પેઈન થ્રેશહોલ્ડ લીમીટ અલગ હોય છે. પેઈન થ્રેશહોલ્ડ એટલે, એવી સરહદ જ્યાંથી દુખાવો અનુભવવાનું શરુ થાય એ સ્થિતિ.

એજ રીતે દરેકની પેઈન ટોલરન્સ ક્ષમતા અલગ રહેવાની, ટોલરન્સ એટલે વ્યક્તિ વધુમાં વધુ કેટલું પેઈન સહન કરી શકે છે એ લીમીટ, ટોલરન્સ લીમીટ પછી વ્યક્તિ ખુબ બધું પેઈન સહન ન કરી શકે.

પેઈન થાય છે એની ખબર કેવી રીતે પડે છે અને શરીરનું ક્યા અંગને એની ખબર પડે? શરીરમાં દરેક જગ્યાએ પેઈન સેન્સરી રીસેપ્ટર આવેલા હોય છે, જેવું એ ભાગમાં બાહરી દબાણ થાય, કૈક અથડાય અથવા ગરમી લાગે એટલે પેલા સેન્સરી રીસેપ્ટર એની માહિતી નર્વઝ ધ્વારા સંદેશો મગજ સુધી પહોચાડે છે..સેકન્ડના સોમાં ભાગ કરતા ય વધુ ઝડપે અને વળતો ઇમેલ મગજ રવાના કરી દે છે જે તે ભાગને પોતાને બચાવવા માટે. એટલે જ જેવું તમને અગ્નિની ઝાળ અડકે અને તમે શરીરના એ ભાગને શુદ્ધ ગુજરાતીમાં કહું તો ‘ઘડીના છઠ્ઠા ભાગમાં’ આગથી દુર થઇ જાવ છો!

જયારે શરીરના ભાગને અથડાવા થી કે દબાવાને કારણે દુઃખાવો થાય છે એની ખબર પડે એટલે વ્યક્તિ તરત એ ભાગને તે ભાગને માલીસ કરવા લાગે છે. માલીસ કરવાથી તે ભાગમાં રહેલા રીસેપ્ટર દુઃખાવા ના સિગ્નલ મગજને મોકલવાનું ઘટાડે છે અને પેઈનમાં ઘટાડો થાય છે અથવા એમ કહો કે – કમસેકમ મગજને એવું ફિલ થાય છે કે દુઃખાવો ઓછો થયો.

હવે જોઈએ કે દરેક વ્યક્તિને અલગ અલગ પ્રમાણમાં દુઃખાવો કેમ થાય અથવા, એવું ફિલ કેમ થાય છે. એના શું કારણો હશે?

૧. વ્યક્તિના શરીરના જીન એના માટે જવાબદાર છે

૨. ઉમર પણ ભાગ ભજવે છે, જેમ ઉમર વધુ એમ દુઃખાવો સહન કરવાની ક્ષમતા વધુ

૩. જૂની બીમારી પણ વ્યક્તિની સહનશક્તિ વધારી દેતી હોય છે અથવા કહો કે, આદત પડી જવાથી દુઃખ ઓછું લાગે છે

૪. જેમને માનશીક તકલીફ હોય એમને દુઃખાવો વધારે ફિલ થતો હોય છે

૫. વ્યક્તિ જો એકલી હોય તો દુઃખાવો હોય એના કરતા વધુ લાગતો હોય છે

એક સવાલ થવો જોઈએ અને તમને થયો જ હશે.. કે આ દુઃખાવો માપવાનું શક્ય ખરું? અને હા, તો કેવી રીતે માપી શકાય!

દુઃખાવો માપવાની મુખ્યત્વે ૩ પદ્ધતિ છે

ડોક્ટર દર્દીને જે જગ્યાએ દુઃખાવો થતો હોય ત્યાં થોડું દબાણ આપીને પૂછે કે આ ચાર્ટ પ્રમાણે ક્યાં નમ્બરની તીવ્રતા નો દુઃખાવો અનુભવાય છે? દર્દી ‘પોતાની સહનશક્તિ મુજબ જવાબ આપે, એક સરખો દુઃખાવા માટે બે વ્યક્તિ અલગ અલગ રેટિંગ આપી શકે છે.

બીજી પદ્ધતિ છે ડોલોમેટ્રી, જેમાં દર્દીને ગરમી કે ઈલેકટ્રીક સિગ્નલ વડે સિમ્યુલેશન કરી દુઃખાવો મપાય છે. આ પદ્ધતિમાં પણ ૦-૧૦ ના સ્કેલમાં મપાય છે.

ત્રીજી પદ્ધતિમાં દર્દીને બરફના વાસણમાં હાથ રાખ્યા સમય થી જયારે વ્યક્તિ દુઃખાવાનો અનુભવ કરે ત્યાં સુધીનો સમય નોંધી લેવાય છે, જેના ઉપરથી ચાર્ટ વડે દુઃખાવાની તીવ્રતા નક્કી થાય છે. આ પદ્ધતિ ચોક્કસ છે એવું ન કહી શકાય.

એવું મનાય છે કે મનુષ્ય વધુમાં વધુ ૪૫ ડોલ (DOL) (ડોલ એ પેઈન માપવાનો આંક છે) પેઈન સહન કરી શકે. પરંતુ એનો કોઈ અભ્યાસ નથી થયો.

એક માં જયારે બાળકને જન્મ આપે છે ત્યારે જે દુઃખાવો સહન કરે છે એ કંઈ ઓછું નથી હોતું. સૈનિક ને જયારે દુશ્મન દેશમાં ત્રાસ અપાય છે એનું કોઈ માપ નથી, આઝાદીની લડાઈ વખતે લોકોએ જે અત્યાચાર સહન કરેલા, આંદામાનમાં ખાસ – એની કોઈ ચાર્ટમાં ગણના ના થઇ શકે. દક્ષીણ આફ્રિકામાં કાળા લોકોને ગોરાઓ જે ત્રાસ આપતા જેલમાં એની માપણી માટે કોઈ ચાર્ટ નથી.

મુદ્દે શરીરમાં થતો દુઃખાવો કોઈક તકલીફની નિશાની તો છે જ, દુઃખાવાનો અભ્યાસ કરીને ડોક્ટર શરીરમાં રહેલી બીજી તકલીફને શોધી શકે છે.

કોરોના વાયરસ અને કોવીડ – ૧૯

વાયરસ ઉપર એક લેખ આજ બ્લોગ ઉપર પહેલા લખાઈ ચુક્યો છે, એને વાંચીને આ લેખ વાંચશો તો વધુ સરળ પડશે. વાયરસ શું છે તથા તેની કાર્યપદ્ધતી કેવી છે? એ બધું આગલા લેખમાં છે.

વાયરસ – માનવ શરીરમાં પ્રવેશતા આતંકવાદી

પહેલો સવાલ જે તમને થાય કે કોરોના થકી થતા રોગને કોવીડ-૧૯ એવું નામ શા માટે? એનો જવાબ આપી દઉં.

ડીસેમ્બર ૨૦૧૯ માં ‘આ’ કોરોનાની પૃથ્વી ઉપર એન્ટ્રી થઇ ચાઈના ના વુહાન પ્રાંતમાં, કોરોના ના કારણે થતી તકલીફને કોરોના વાયરસ ડીસીઝ એવુ નામકરણ થયું જેને અંગ્રેજીમાં ટુંકમાં કોવીડ કહેવાયું અને ડીસેમ્બર ૨૦૧૯ માં શરુ થયેલ હોઈને કોવીડ-૧૯ કહેવાયું.

આપડે જેને કોરોના વાયરસ કહીએ છીએ તે ખરેખર ઓળખાય છે સાર્સ-કોવી ૨ (SARS-CoV-2) તરીકે કારણ કે મૂળ કોરોના વાયરસ ૭ પ્રકારના છે. આપણને થતી શરદી માટે કોરોના વાયરસ પણ જવાબદાર છે, એ સિવાય પણ રીનો વાયરસ વડે શરદી થતી હોય છે. ૬૦ ના દશકમાં પહેલી વખત કોરોના વાયરસ ઓળખાયેલો, મતલબ તમે કે હું મોટાભાગના ક્યારેક તો કોરોના ના સકંજામાં આવ્યા જ હોઈશું.

શું કોરોના એ પહેલી વખત આવો હાહાકાર મચાવ્યો છે? જવાબ છે ના અને હા.

ના એટલે કે, આની પહેલા સાર્સ નામથી ૨૦૦૨-૩માં અને ૨૦૧૫ માં MERS મર્સ નામથી ફેલાઈ ચુક્યો છે. બંને વાયરસે લોકોના શ્વસનતંત્રને બાનમાં લીધેલા. હાલના કેસ થોડાક અલગ છે. સાર્સ અને મર્સના કિસ્સામાં મૃત્યુ દર હતો આસરે ૯.૬% અને ૩૪.૩% જયારે કોવીડ-૧૯ માં એ આંક છે ૦.૮% થી લઈને ૧૮.૯% સુધી અલગ અલગ દેશ માટે. ડીસેમ્બર જાન્યુઆરી માં આ દર ૩% જેટલો હતો પરંતુ અમુક યુરોપના દેશોમાં આના ફેલાવાએ આંક ફેરવીને ઉંચો કરી દીધો.

કોરોના કેવી રીતે ફેલાય છે એ તો હવે મોટાભાગના લોકો જાણી ચુક્યા છે. તેને ફેલાતો અટકાવવા શું પગલા લેવા જોઈએ એ પણ બધા જાણે જ છે. કોરોના તમારા શરીરમાં પ્રવેશી ગયો છે એ ખબર કેમ પડે? જો નીચે લખેલ તકલીફોમાંથી અમુક તકલીફ અનુભવાય તો કોરોના સંક્રમણ હોઈ શકે છે, હોય જ એવું નહિ, એ નક્કી કરવા ટેસ્ટ કરવો જરૂરી છે.

  • તાવ આવે જે ૧૦૦ ડીગ્રી કરતાં વધુ હોય અને સતત રહે (૯૯% ક્રોરોનાના દર્દીઓમાં આ નોંધાયુ છે)
  • ઉધરસ (૫૯% ક્રોરોનાના દર્દીઓમાં આ નોંધાયુ છે) તથા કફ (૨૭% ક્રોરોનાના દર્દીઓમાં આ નોંધાયુ છે)
  • શ્વાસ લેવામાં તકલીફ પડે, શ્વાસોશ્વાસ ઝડપી બને
  • થાક ખુબ લાગે (૭૦% ક્રોરોનાના દર્દીઓમાં આ નોંધાયુ છે)
  • ઠંડી લાગે
  • શરીરમાં કળતર થાય
  • માથું દુખે
  • ગળામાં ખરાસ (ખારાસ નહી) અનુભવાય
  • સ્વાદ અને સુગંધની ઓળખ ન રહે
  • ઝાડા થાય

આમ જુવો તો આમાંની ઘણી નિશાનીઓ શરદી કે ફ્લુમાં અનુભવાય જ છે, તો ફર્ક ખબર કેમ પડે!? નીચેનું ટેબલ જુવો..

નિશાનીઓ

શરદી/કફ ફ્લુ એલર્જીક

કોવીડ-૧૯

તાવ

ક્યારેક હોય

ખુબ વધારે, ૧૦૦-૧૦૪ ડીગ્રી, ૩-૪ દિવસ રહે ક્યારેય નહી

સામાન્ય રીતે ઘણા કેસમાં

માથાનો દુઃખાવો

ક્યારેક થાય

ખુબ વધુ સામાન્ય રીતે નહી

હોઈ શકે

શરીરમાં સામાન્ય દર્દ

હળવું દર્દ

ક્યારેક ખુબ વધુ ના

હોઈ શકે

નબળાઈ, થાક

હળવું હોય

ખુબ સખ્ત, ૨-૩ અઠવાડિયા રહે ક્યારેક

હોઈ શકે

શરીર ખુબ અશક્તિ

ક્યારેય નહિ

સામાન્ય રીતે (શરૂઆત પહેલી અવસ્થામાં થાય) ક્યારેય નહિ

હોઈ શકે

નાક બંધ થવું, કે નાક ગળવુ

સામાન્ય રીતે ઘણા કેસમાં

ક્યારેક સામાન્ય રીતે ઘણા કેસમાં

ઘણા કેસમાં જોવાયું છે

છીંકો આવવી

સામાન્ય

ક્યારેક સામાન્ય

ઘણા કેસમાં જોવાયું છે

ગળામાં ખરાશ (Soreness)

સામાન્ય

સામાન્ય રીતે ઘણા કેસમાં ક્યારેક

ઘણા કેસમાં જોવાયું છે

કફ

સામાન્ય થી લઈને થોડું વધુ સુધી

સામાન્ય – ખુબ વધી શકે ક્યારેક

સામાન્ય રીતે ઘણા કેસમાં

શ્વાસ ચઢવો

ભાગ્યેજ

ભાગ્યેજ એલર્જીક અસ્થમા શિવાય ભાગ્યેજ

સીરીયસ સ્ટેજના દર્દીમાં

સુગંધ અને સ્વાદ જતો રહેવો

ક્યારેક

ક્યારેક ના

ઘણા કેસમાં જોવાયું છે

ઝાડા થવા

ક્યારેય નહિ

ક્યારેક બાળકોને થાય ક્યારેય નહિ

ઘણા કેસમાં જોવાયું છે

ટેબલ જોયા પછી કોરોના હશે કે કેમ! એ પ્રાથમિક રીતે તો અંદાજ મળી જ જાય, નક્કી કરવા ટેસ્ટ કરાવવો પડે. ટેસ્ટ માટે નાક તથા ગળા માંથી સ્વેબ ટેસ્ટ કરીને નક્કી કરાય કે તમારા શરીરમાં ટેસ્ટ કર્યો હોય ત્યારે, વાયરસ છે કે નહિ.

પરંતુ, બ્લડ ટેસ્ટ વડે તમારા શરીરમાં ઉત્પન્ન થયેલ એન્ટી-બોડી ચેક કરાય જેની હાજરી પુરવાર કરે કે વાયરસ શરીરમાં પ્રવેશી ગયેલ છે, આ ટેસ્ટ ત્યારે વધુ કામ લાગે જયારે વ્યક્તિને કોઈ નિશાની ન દેખાતી હોય ઇન્ફેકશનની.

કોરોના લાગવાના ચાન્સ કોને વધારે હોય? સાચો જવાબ છે – કોઈને પણ લાગે જે બીજા કોરોનાથી ગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે.

જેને કોરોના વાયરસ લાગે તે બધા બીમાર પડે? ના. ઘણા વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ વધુ મજબુત હોય તો તેને વાયરસ અસર ન કરે/ ઓછી કરે.

બીજું,  કદાચ કોઈની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે પરંતુ, તેના શરીરમાં પ્રવેશેલ કોરોના વાયરસનો જથ્થો વધુ નથી, તો તેને અસર ઓછી અથવા, ન પણ થાય.

તો નિષ્કર્ષ શું કઢાય!

  • રોગ પ્રતિકારક શક્તિ ઓછી કે વધુ હોય તે કારણ બને વાયરસની અસરની ઘાતકતા ઉપર
  • શરીરમાં પ્રવેશેલ વાયરસનો જથ્થો કેટલો છે?, તેની ઉપર ય ઘાતકતાનો આધાર રહે
  • વ્યક્તિને અગાઉથી શરીરમાં બીજી તકલીફો હોય જેવીકે, ડાયાબીટીસ, કીડનીની બીમારી, COPD તરીકે ઓળખાતી ફેફસાની બીમારી, હાર્ટની જટિલ બીમારી,સિકલ સેલની બીમારી હોય, શરીરનું કોઈ અંગ પ્રત્યારોપણ થયેલ હોય જેના કારણે રોગ પ્રતિકારક શક્તિ ઘટાડવાની દવા લેતા હોય, અસ્થમા હોય, સીસ્ટીક ફીબ્રોસીસ હોય, લોહી મગજ સુધી ન પહોચતું હોય તેવી તકલીફ હોય, કે રોગ પ્રતિકારક શક્તિ નબળી થવાથી ઓટો ઈમ્મુન ડીસીઝ જેવા અર્થ્રાઈટીસ ટાઈપની બીમારી હોય તો, કોરોનાનો ચેપ ઘાતક બની શકે, બને જ – એવું નક્કી ના કહી શકાય.
  • ખુબ સ્થૂળ વ્યક્તિ હોય વગેરે ને કોરોનાથી ચેતવાની જરૂર વધુ છે.

કોરોના ઘાતક લાગી રહ્યો છે, કેમ? શું થાય છે શરીરમાં કોરોનાના કારણે?

કોરોના જો શ્વાસનળી ધ્વારા ફેફસાં તરફ પહોચી જાય તો ફેફસાની દિવાલ જે નાના હોલ વડે બનેલી છે. ઘરમાં RO ફિલ્ટર વાપરતા હશો તો તેમાં એક ફિલ્ટર આવે છે, જે પાણીમાં રહેલી ગંદકી, ક્ષાર વગેરે ને એક નળી વાટે બહાર કાઢી નાંખે છે અને શુદ્ધ પાણી ટાંકીમાં પહોચાડે છે, ફેફસાં પણ આવું જ કામ કરે છે. હવામાંનો ઓક્શીજ્ન શ્વાસ મારફત ફેફસામાં આવે, ફેફસાનું ફિલ્ટર ઓક્શીજ્નને લોહી તરફ જવા દે, લોહીમાં રહેલ કાર્બન ડાયોકશાઈડ શ્વાસમાં ભેળવી દે અને તે બહાર નીકળી જાય. આ ફેફસાની જાળી જો ચોક થઇ જાય તો તેને ફાઈબ્રોસીસ કહેવાય છે. હવે જેને પહેલાથી જ ફાઈબ્રોસીસ હોય તેના માટે કોરોના કાળ બની જાય. સ્વસ્થ વ્યક્તિને પણ જો કોરોના ફેફસામાં આવી જાય તો શ્વાસ લેવામાં ધીરે ધીરે તકલીફ પડવાની શરુ થાય. એક સમય એવો આવે કે વ્યક્તિ શ્વાસ લે પરંતુ ઓક્શીજ્ન ટ્રાન્સફર ન થાય, એવા કેસમાં એને બોટલનો ઓક્શીજ્ન આપવો પડે. જો ફેફસાં વધુ નબળા થઇ ગયા હોય તો વ્યક્તિને વેન્ટીલેટરની જરૂર ઉભી થાય.

વેન્ટીલેટરે કોરોના કાળમાં ખુબ ધૂમ મચાવી છે. વેન્ટીલેટર એ મશીન છે જે ફેફસાને બદલે કામ કરે છે. વળી વેન્ટીલેટરની ય એક મર્યાદા છે, એને કામ કરવા માટે ફેફસાં થોડાક ય લચીક હોય એ જરૂરી છે. જો કોરોના વાયરસનો જથ્થો ફેફસામાં અઢળક હોય તો એ ફેફસાના ઘણા સેલને નકામા કરી શકે, પછી ફેફસાંનો જે ભાગ સાબુત બચ્યો હોય તેની ઉપર વેન્ટીલેટર પુરતું કાર્ય ન બજાવી શકે.

જો કોરોના અન્નનળી વાટે હોજરીમાં અને ત્યાંથી લોહી વાટે શરીરના બીજા અંગો તરફ વળી જાય તો પણ તકલીફ થઇ શકે. જો વ્યક્તિનું લીવર, કીડની વીક હોય, થેલેસેમિયા વડે ગ્રસ્ત હોય, વ્યક્તિ સગર્ભા હોય, કોઈ કારણોસર સ્ટેરોઈડની દવા લેતા હોય એવા વ્યક્તિને જોખમ વધુ રહે.

હવે એ જોઈએ કે, કોરોના આવ્યો શરીરમાં તો સારવાર શું કરી શકાય?

પહેલા એ સમજી લો કે આ કોરોના વાયરસની હાલ કોઈ દવા નથી.

જે દવા આપી શકાય એ ફક્ત કોરોનાના કારણે શરીરમાં દેખાતા લક્ષણોની જ આપી શકાય. ધારો કે તાવ જે ૧૦૦ ડીગ્રીથી ઉપર રહે છે તો એને નીચે લાવવા દવા અપાય કારણ કે તાવ એટલે કે શરીરનું તાપમાન ૯૭ થી લઈને વધુમાં વધુ ૯૯ સુધી હોય તો વાંધો બહુ ન આવે, એનાથી વધુ તાપમાન શરીરના અંગો માટે ઘાતક બની શકે છે. આ બહુ જ રસપ્રદ વિષય છે, તાપમાન જેને સામાન્ય ભાષામાં તાવ કહીએ છે એ શરીરમાં ઉત્પન્ન થયેલ તકલીફ અથવા તો શરીરમાં પ્રવેશેલ વિદેશી તત્વોનું એલાર્મ છે, આપડે જાગવાનું છે ભાગવાનું નથી.

કોરોના વખતે એન્ટી બાયોટીક દવા કામ લાગે? ના. એ બેક્ટેરિયા માટે છે વાયરસ માટે નથી. જો ડોક્ટર તમને એ દવા આપે છે તો ડોક્ટરને તમારા શરીરમાં કોઈ ઇન્ફેકશન ફિલ થયું હોય તો આપે.

Remdevir નામની દવા ઘણાને અપાય છે, એ દવા હકીકતમાં ઇબોલા વાયરસ માટે શોધાઈ હતી.

Tocilizuman ની પણ ટ્રાયલ ચાલુ છે જે વળી ઓટો ઈમ્યુન ડીસીઝ માટે છે.

Hydroxychloroquin વચ્ચે ખુબ સમાચારમાં હતી, હાલમાં નથી અપાતી કારણકે એના વડે ફાયદો કે નુકશાન કંઈ જ પુરવાર નથી થઇ શક્યું.

તો હવે બચ્યું શું?

આપડે જાતે પોતાની કાળજી કરવાની. કેવી રીતે?

  • હાથની સૌથી વધુ ઉપયોગ થાય બધી પ્રવુત્તિમાં તેથી તેને સ્વચ્છ રાખવા.
  • બહાર ગયા હો અને ક્યાંય અડ્યા હો તો તે હાથ વડે મોઢાને કે આંખને અડવાની ભૂલ ન કરવી
  • મોઢું, નાક વડે વાયરસ શરીરમાં પ્રવેશતા હોઈને માસ્ક વડે મોઢું- નાક કવર થાય એ ખાસ જોવું
  • સ્પર્શ વડે વાયરસ ફેલાતો હોઈને બીજા લોકોથી અંતર જાળવવું
  • સૌથી મહત્વનું – જાહેરમાં થૂકવું નહિ
  • બજારમાંથી લાવેલ વસ્તુને ૧-૨ દિવસ મૂકી રાખી ત્યારબાદ ઉપયોગ શરુ કરવો
  • કોરોના તાંબા ઉપર ૪ કલાક, કાર્ડબોર્ડ ઉપર ૨૪ કલાક તથા પ્લાસ્ટિક કે સ્ટીલ ઉપર ૨-૩ દીવસ ટકે છે એવું અત્યાર સુધીના અનુભવે જણાયું છે.

ટુંકમાં, ડર રાખો, સ્વચ્છતા જાળવો, ચેતીને રહો તો કોરોનાથી બચી શકશો બાકી, ડોક્ટર તેમનાથી બનતું બધું કરશે, છેવટે ભગવાન છે અને તમારું આયુષ્ય છે, હશે તો બચશો

મીઠું બોલે તો…..સોલ્ટ

મીઠાં ઉપર લેખ? હા..ગાંધી એના માટે આંદોલન કરે તો આપડે લેખ તો લખી શકીએ ને!

મીઠું કે જેને રસાયણની ભાષામાં સોડીયમ ક્લોરાઈડ કહેવાય છે તે મીઠાં સાથે આશ્ચર્ય, આઘાત, વિસ્મય, આનંદ જેવું ઘણું બધું જોડાયેલું છે. મીઠાને ક્યારેય ગાફેલીયતથી કે સાહજીકતાથી ન લેતા. પૃથ્વી ઉપરની મીઠાની વિપુલતા અથવા તેની ઓછી કિમતના કારણે માનવી તેને બહુ માનથી કે ધ્યાનથી નથી જોતો! આ કારણે જ, જયારે મીઠાં થકી અગર મીઠાં વગર શરીરમાં તકલીફ ઉત્પન્ન થાય ત્યારે આપણને તેની મહત્તા સમજાય છે અને આપડી પોતાની ગફલત ઉપર ગુસ્સો આવે છે.

મીઠું યાને સોડીયમ ક્લોરાઈડ જેમાં સોડીયમ એક એવી ધાતુ છે જે પાણીના સંસર્ગમાં આવતા જ સળગી ઉઠે છે, જયારે ક્લોરીન એ આપણા શરીર માટે ઝેરી ગેસ છે. છતાં, આ બન્ને વસ્તુને સંયોજિતરૂપે મીઠાં સ્વરૂપે આપડી રોજીંદી ઘટમાળમાં એટલું સરસ રીતે વણાઈ ગયું છે અથવા કહો કે ઓગળી ગયું છે કે, આપણે તેને, ઘરમાં ‘વડીલોની હાજરી’ની જેમ જ, ખુબ સહજતાથી લઈએ છીએ અને તેના અભાવ સાથે જ, આપણને ચક્કર આવવા માંડે છે- લીટરલી નહિ, મેડીકલી.

સોડીયમ અને ક્લોરીન શરીરમાં પ્રવેશતાં હાઇડ્રોક્લોરિક એસીડ બનાવે છે, જે છે તો એક જલદ તેજાબ પરંતુ આશ્ચર્ય એ છે કે આ જ તેજાબ શરીરમાં પાચન માટે મદદરૂપ થાય છે (આ તેજાબની વિપુલતા વળી બીજી તકલીફો ય પેદા કરે છે). મીઠામાં રહેલું સોડીયમ, શરીર માટે ખુબ ઉપયોગી એવા પ્રોટીનના પાચનનું કામ કરે છે તથા, સોડીયમ થકી જ શરીરના સ્નાયુઓનું ખેચાણ શક્ય બને છે. જે રીતે, લોહીમાં રહેલું હિમોગ્લોબીન શ્વાસમાંથી ઓક્શીજ્ન શરીરના કોષો સુધી લઇ જાય છે અને રીટર્ન ટ્રીપમાં કાર્બન ડાયોક્સાઈડ લઇ આવે છે (જે ઉચ્છવાસમાં બહાર ફેકાઈ જાય છે), તે જ રીતે, મીઠાં વડે શરીરના કોષો અને તેની આજુબાજુમાં રહેલ પ્રવાહી વચ્ચે પાણીનું આદાનપ્રદાન નિયંત્રિત કરી, ખોરાકને અંદર લાવે છે અને કચરાને બહાર કાઢે છે.

લોહીના કોષોને મીઠાં વગરના દ્રાવણમાં રાખવાથી તે તુટીફુટી જાય છે, મતલબ! મીઠાં વગર શરીરમાં ખેંચ આવી શકે છે, પેરાલીસીસ થઇ શકે છે, મૃત્યુ પણ સંભવી શકે છે!…..ગભરાવાની જરૂર નથી, કારણકે મનુષ્યને બનાવનાર ઈશ્વરને, મનુષ્યના અળવીતરા સ્વભાવની ખબર હોવાથી તેને સ્વચાલિત નિયંત્રણ પ્રણાલી આપણા શરીરમાં ગોઠવેલી જ છે. જેવો તમે મીઠાનો ઉપયોગ વધારો તેની સાથે જ કીડની વધારાનો મીઠાનો જથ્થો પાણી સાથે બહાર ફેંકવા માંડશે, જરૂર કરતાં ઓછુ મીઠું લો અને કીડની પાણીને બહાર ફેંકશે તો ખરું પરંતુ મીઠાને રોકી લેશે. તેમ છતાં, સાવચેતી માટે પણ, ફક્ત આ પ્રણાલીને ભરોશે ના રહેવાય કારણકે, શરીર પસીના મારફત પણ મીઠું ગુમાવતું રહેતું હોય છે જેને ગણત્રીમાં લેવું ખુબ જરૂરી છે.

મારા તમારા બધાના શરીરમાં લગભગ ૨૨૫ ગ્રામ જેટલું મીઠું હોય જ છે, જેમાં રોજ ખોરાક મારફતે ૩ થી ૮ ગ્રામ જેટલું મીઠું લેવાય તો વાંધો નથી આવતો. વળી ખોરાક સાથે લેવાતા મીઠાના પ્રમાણમાં થોડીઘણી વધઘટ તો શરીર પોતે સાંભળી લે છે પરંતુ,વધઘટ જો વધારે થઇ જાય ત્યારે જ ઉપર જણાવ્યા મુજબની તકલીફો શરુ થતી હોય છે. નાના બાળકોને ખાસ અને મોટી વ્યક્તિઓને પણ, જો ઝાડા-ઉલ્ટી વાટે શરીરનું પ્રવાહી ઘટવા માંડે તો ડીહાઈડ્રેશન થતું રોકવા માટે રીહાઈડ્રેશન માટે જીવન રક્ષક તરીકે ઓળખાતું મીઠાં-ખાંડનું દ્રાવણ થોડા થોડા અંતરે આપવું હિતાવહ છે.

શરીરમાં પ્રવાહીને નિયંત્રિત કરવાનું કાર્ય મીઠું શી રીતે કરે છે? આ ક્રીયાને વિજ્ઞાનની ભાષામાં ઓસ્મોસીસ કહે છે, જેમાં પડદાની જેમ કાર્ય કરતો કોઈ પદાર્થ જેને મેમ્બ્રેન કહેવાય છે તે, પ્રવાહીમાંના અમુક ચોક્કસ તત્વોને બીજી તરફના પ્રવાહી બાજુ પસાર થવા દે છે અને તે જ રીતે બીજી તરફના પ્રવાહી માંથી તત્વોને પણ આ બાજુ આવવા દે છે, આ થઇ ઓસ્મોસીસની પ્રક્રિયા (દરિયાના ખારા પાણીમાં રહેલા મીઠાં અને બીજા તત્વોને ગાળીને પાણીને પીવાલાયક કરાય છે), આના દ્વારા ચોક્કસ તત્વોનો ઉપયોગ શક્ય બનાવાય છે. મીઠું પોતાનું કાર્ય સારી રીતે કરી શકે તે માટે સ્વસ્થ વ્યક્તિએ (ઉપર જણાવ્યું તેમ) ખોરાકમાં રોજ ૩ થી ૮ ગ્રામ મીઠું રોજ લેવું જોઈએ.

આપણા આદી પૂર્વજોને ખોરાક સાથે અલગથી મીઠું ખાવાની જરૂર નહોતી પડતી કારણ? તેઓ ખોરાક તરીકે જાનવરનું માંસ ખાતા જેમાંથી જરૂરી મીઠાનું પ્રમાણ મળી રહેતું. ત્યારબાદ અગ્નિની શોધ કરી અને મનુષ્ય ખેતીકામ કરતો પણ થયો. તેને અનાજ ઉગાડવાની શરૂઆત કરી તેથી ખોરાક સાથે મીઠું લેવું જરૂરી બન્યું. આથી મનુષ્યે મીઠાની શોધ આદરી.

મીઠું મેળવવાના ૩ રસ્તા છે  ૧) દરિયાના પાણીમાં રહેલી ખારાશ છૂટી પાડી મેળવાતું મીઠું ૨) જમીનની અંદર ખનિજરૂપે સચવાયેલું મીઠું ૩) જમીનની અંદર પાણી સાથે સચવાયેલું મીઠું, જેની સાથે બીજા પણ તત્વો હોય છે જેને ટ્યુબવેલ કરીને બહાર કઢાય છે.

આ ૩ રીતો સમજી લઈએ.

દરિયાના પાણીમાં લીટરે આસરે ૩૦ ગ્રામ (૩%) જેટલું મીઠું હોય છે, આ પ્રમાણ આદિકાળથી એક સરખું રહેલું છે. નદી, તળાવ વગેરેનું પાણી પોતાની ખારાસ પાણી સાથે દરિયાને અર્પણ કરતાં રહે છે. મોટાભાગની નદીમાં ખારાશ વિવિધ પ્રમાણમાં હાજર હોય છે જ. દરિયાના પાણીમાંથી મીઠું છુટું પાડવા માટે સર્વપ્રચલિત રીત પ્રણાલી એટલે બાષ્પીભવનની રીત. દરિયાના પાણીને અગર તરીકે ઓળખાતા ચોકઠાઓમાં રોકી રાખીને સૂર્યના તાપથી તેમનું પાણી બાષ્પીભવન કર્યા બાદ જે બચે તે ‘મીઠું’, આ મીઠું સ્ફટિકરૂપે હોય છે. આ ક્રિયા સમય લેતી અને કડાકૂટ વાળી હોવાથી ઝાઝી પ્રચલિત નથી પરંતુ ગરીબ પ્રદેશ માટે આવકનું સાધન હોઈને તેનો ઉપયોગ થાય છે.

દરિયાના પાણીમાં રહેલા મીઠામાં ૮૫% જેટલું સોડીયમ ક્લોરાઇડ હોય છે જયારે બાકીના ૧૫% માં સલ્ફેટ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને બાયકાર્બોનેટ હોય છે. પાણીને બાષ્પીભવન કાર્ય બાદ વધેલા તત્વો એકબીજા સાથે સંયોજન કરીને કેલ્શિયમ સલ્ફેટ (જીપ્સમ), પોટેશ્યમ ક્લોરાઈડ (સીલ્વાઈટ) બનાવે છે જેને ડાયેટિંગ કરતાં લોકો વાપરે છે. મીઠાના સ્ફટિક લગભગ ૮૦૦ ડીગ્રી તાપમાને પીગળે છે. એક આડવાત, દરિયાના પાણીમાં સોનું છે એમ કોઈ કહે તો માનો!? હા, ૭૦ લાખ ટન જેટલું સોનું દરિયાના પાણીમાં સમ્મિલિત છે. જોકે મીઠાં વિષે જાણ્યા બાદ, કોઈ તેને સોના કરતાં ઉતરતું કહે, તો તમારું મન તે માનવા તૈયાર નહિ થાય!

બીજા પ્રકારે જમીન નીચે ખનીજરૂપે સચવાયેલું મીઠું જેને હેલાઈટ કહે છે. ખારાશવાળું પાણી જ્યાં ચારેબાજુ બંધાયેલી અવસ્થામાં સંગ્રહિત રહે, લાંબો સમય જતા પાણી સુકાઈ જાય અને હેલાઈટના પડ આજુબાજુના ખડકો ઉપર જામી જાય છે. આને ખોદીને બહાર કાઢી શુદ્ધીકરણ કરી મીઠાને ઉપયોગમાં લેવાય છે.

ત્રીજી રીતમાં, જમીનની નીચે પાણી સાથે રહેલું મીઠું કાઢવા માટે, જમીનમાં બે ટ્યુબવેલ કરવામાં આવે છે. એક ટ્યુબવેલમાં ઉપરથી સાદું પાણી નીચે મોકલાય છે, આ પાણી નીચે રહેલા મીઠાને પીગળાવીને પોતાની સાથે બીજા ટ્યુબવેલ મારફત ઉપર લઇ આવે છે. આ રીતે ઉપર આવેલા પાણી અને મીઠાના દ્રાવણને બાષ્પીભવન કરી મીઠું છુટું પડાય છે અને પાણીને પાછુ ઉપયોગમાં લેવા ઠંડુ કરી દેવાય છે.

મીઠાનો ઉપયોગ ખોરાકમાં સ્વાદ વધારવા માટે તથા ખોરાકને સાચવવા માટે થાય છે પરંતુ, મીઠામાં કોઈ કેલરી નથી, પ્રોટીન નથી, કાર્બોહાઈડ્રેટ પણ નથી! છતાં, તેના વગર આપણને ચાલતું નથી…કારણ? સોડીયમ અને ક્લોરાઈડ એ ઇલેક્ટ્રોલાઈટ છે જેના સહયોગથી કીડની શરીરમાં પાણીનું પ્રમાણ જાળવે છે તથા શરીરના એસીડ અને બેઝનું પણ પ્રમાણ જાળવવામાં મદદરૂપ થાય છે.

પ્રાચીન સમયમાં મીઠું શુદ્ધ રૂપે ઓછુ મળતું. આ કારણથી તેની કિંમત ખુબ હતી. રોમન સૈનિકોને તેઓના પગારમાં મીઠાં માટે અલગથી પૈસા મળતા, જેને સેલેરીયમ કહેવાતું, તેના ઉપરથી અંગ્રેજી સેલેરી શબ્દ આવેલો છે. પ્રાચીન ઈથિયોપિયા અને ઈજીપ્તમાં મીઠાનો ઉપયોગ પૈસા તરીકે કરી, તેના વડે બીજી જરૂરી ચીજ વસ્તુઓ ખરીદ કરાતી. ઘણા રાજાઓ અને સરકારોએ મીઠાં ઉપર વારંવાર કરવેરા નાંખવાનું દુ:સાહસ કર્યું છે, જેના માઠા પરિણામો પણ તેઓએ ભોગવવા પડ્યા છે.

આપણે માટે ખુબ જાણીતું ઉદાહરણ એટલે ગાંધીજીનો ૧૯૩૦ નો મીઠાનો સત્યાગ્રહ.

મીઠાના સમગ્ર ઉત્પાદનના ફક્ત ૫% જ મીઠાનો ઉપયોગમાં ખોરાકમાં થાય છે, જયારે બાકીનું ૯૫% મીઠું કેમીકલ ઉદ્યોગોમાં વિવિધ ઉત્પાદનો મેળવવામાં સીધી યા આડકતરી રીતે વપરાય છે. ટેક્સટાઈલ, સિરામિક, પેઈન્ટ, એડહેસિવ, બેટરી તથા રોકેટ ફ્યુઅલ જેવી ચીજો બનાવવામાં ખુબ ઉપયોગી છે. મીઠાં વડે હાઇડ્રોક્લોરિક એસીડ, કલોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઈડ, બ્લીચીંગ પાવડર, સોડીયમ કાર્બોનેટ, સોડીયમ સલ્ફેટ, ખાવાનો સોડા, સોડીયમ ફોસ્ફેટ, સોડીયમ હાઈડ્રોક્લોરાઈડ જેવી કેટલીય ચીજો બનાવવા છે.

ડાઈ, સાબુ, ગ્લાસ બનાવવા માટેના એકમોમાં પણ મીઠું વપરાય છે. મીઠામાંથી પારરકત કિરણો પસાર ન થઇ શકતા હોઈને, પારરકત કિરણોની તપાસ માટે વપરાતા ઉપકરણોના પ્રીઝમ અને લેન્સીસ બનાવવામાં પણ ઉપયોગ થાય છે.

બ્લડ પ્રેસર અને મીઠું – આ બે નો સીધો સંબંધ છે. જો બ્લડ પ્રેસર ઘટી જાય તો મીઠાવાળું પાણી કે સરબત આપવાથી બ્લડ પ્રેસર ઊંચું આવી જાય છે. જયારે, ઊંચું બ્લડ પ્રેસર રહેતું હોય તેવી વ્યક્તિએ મીઠાનો ઉપયોગ ખુબ શાણપણથી કરવામાં જ ડહાપણ રહેલું છે.

છેલ્લે, પૃથ્વી ઉપર મળી આવેલા તત્વો કદાચ ક્યારેક તો ખલાસ થશે જ એવી ભીતિ રહેલી છે પરંતુ, મીઠું ક્યારેય સમાપ્ત નહિ થાય,! એટલી આશા રાખી શકાય છે. અબજો વર્ષો પહેલા દરિયામાં જેટલી ખારાશ હતી, તેટલીજ લગભગ, આજે પણ મોજુદ છે.

આજે જયારે જમવામાં તમે મીઠું લો, ત્યારે તેના તરફ થોડું માનથી જોઈ લેજો!

પોસ્ટપાર્ટમ – માતૃત્વ ધારણ કર્યા બાદની મુશ્કેલીઓ

પોસ્ટપાર્ટમ – આજે એવી એક પોસ્ટ કરવી છે જેના હેડીંગમાં પોસ્ટ શબ્દ આવે છે તો ખરો પણ, તે આપણને સ્ત્રીની એક એવી તકલીફ તરફ દિશાનિર્દેશ કરે છે, જેના વિષે યા તો આપડે સાવ અજાણ છીએ અથવા તો અજાણ રહેવા ટેવાયેલા છીએ.

કુદરતે બધા પ્રાણીઓમાં વંશવૃદ્ધિ માટે એક સીસ્ટમ મુકેલી છે. વંશવૃદ્ધિ ની જવાબદારી, આમ જુવો તો નર અને માદા બન્નેની છે છતાં, માદા ઉપર કૈક વિશેષ જવાબદારી નાખી છે.

માનવ સમુદાયમાં જેટલા નર કે માદા જન્મ લે છે એ બધાને જન્મ તો આપે છે માદા જ, ભલે નર વિના તે શક્ય ન હોય!

પુરુષના શુક્રાણું અને સ્ત્રીના અંડબીજ જયારે ભેગા થાય ત્યારે નવા જીવનો જન્મ પૃથ્વી ઉપર અવતરે છે. પુરુષના કોષમાં ૨૩ જોડી હોય છે અને સ્ત્રીના કોષમાં પણ ૨૩ જોડી હોય છે. બંનેની ૨૨ જોડી એકસરખી જ હોય છે જેને ઓટોઝોમ્સ કહે છે જયારે, ૨૩મી જોડી અલગ હોય છે જેને સેક્સ ક્રોમોઝોમ કહે છે, સ્ત્રીની ૨૩ મી જોડીમાં બંને ક્રોમોઝોમ (રંગસૂત્રો) X હોય છે જયારે પુરુષમાં તે યા તો X હોય ય Y હોય.

આની ઉપરથી સમજાય એવું સરળ છે કે દીકરો કે દીકરીનો જન્મ થવો એ પિતા ઉપર નિર્ભર છે, નહિ કે માતા ઉપર! આ વાત એટલે કરી કારણકે આ મુદ્દો આગળ ઉપર આપડા લેખમાં, ઘણા મુદ્દામાંનો એક મહત્વનો મુદ્દો હશે.

હવે આપડે જોઈએ કે, ગર્ભાવસ્થા શરુ થવા સાથે સ્ત્રીના શરીર અને મનમાં કેવા કેવા ફેરફાર થતા હોય છે અને એ બધાની તે સ્ત્રી ઉપર કેવી અસરો થતી હોય છે. સૌથી વધુ ફેરફાર શરીરમાં ઉત્પન્ન થતા વિવિધ હોર્મોન્સમાં આવે છે, જે આમ તો આખા જીવન દરમ્યાન ઉત્પન્ન થતા જ હોય છે અને જરૂરી પણ એટલા જ છે.

૧. એસ્ટ્રોજન – સ્ત્રીના જીવન દરમ્યાન જેટલુ એસ્ટ્રોજન બને છે તેના કરતાં વધુ, ફક્ત એક ગર્ભાવસ્થા દરમ્યાન બનતું હોય છે. એસ્ટ્રોજન વડે ગર્ભની લોહી માટેની નળીઓ બનતી હોય છે. માતા ધ્વારા તેના શરીરમાં રહેલા ન્યુટ્રીયંટસ બાળક સુધી પહોંચે છે. બાળકના શરીરનો વિકાસ કરવામાં પણ તે મહત્વનો ભાગ ભજવે છે.

ગર્ભાવસ્થા ના ત્રણ તબક્કા ગણાતા હોય છે. પ્રથમ તબક્કા દરમ્યાન વધેલા એસ્ટ્રોજન અને hCG નામના હોર્મોનને કારણે સ્ત્રીને ઉબકા આવતા હોય છે. બીજા તબક્કામાં હજી વધુ એસ્ટ્રોજન ઉત્પન્ન થાય છે જેના લીધે અને hPL નામક હોર્મોનના લીધે, જન્મ બાદ વિકાસ માટે બાળકને જેની સૌથી મહત્વની જરૂર છે એવા, દુધની સ્તનમાં રહેલી ગ્લેન્ડ્સ વિકસતી હોય છે, આ કારણથી સ્તન મોટા થતા હોય છે. ત્રીજા તબક્કામાં એસ્ટ્રોજન સૌથી વધારે ઉત્પન્ન થતું હોય છે.

૨. પ્રોજેસ્ટેરોન – બીજું મહત્વનું હોર્મોન જે ગર્ભાવસ્થા દરમ્યાન વધુ માત્રામાં ઉત્પન્ન થાય છે એ છે પ્રોજેસ્ટેરોન. ગર્ભાશય જેનું કદ સામાન્ય રીતે એક મોસંબી જેટલું હોય છે તે પ્રોજેસ્ટેરોન વડે વધીને બાળકને સમાવવા જેટલુ થતું હોય છે. પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન થવા પાછળ બીજી મહત્વની જરૂરિયાત છે હાડકાના સાંધા થોડા લચીલા બનાવવા જેથી બાળકના જન્મ સમયે તેનું શરીર બહાર આવે ત્યારે જરૂરી જગ્યા થઇ શકે. આ ફાયદાની સાથે બીજા જોખમો ય ઉભા થાય છે જેમ કે, લીગામેંટ અને સાંધા ઢીલા થવાથી ગર્ભસ્થ સ્ત્રીને ઘૂંટણ કે ઘૂંટી મચકોડાઈ કે મરડાઈ જવાની શક્યતા વધી જાય છે.

સ્તન વધી જવા, પેટ સપાટ હોય તેમાંથી વધીને આગળ આવી જાય, કમરનો નીચલો હિસ્સો પાછળ તરફ વધે આ બધાના કારણે સ્ત્રીના શરીરનું ગુરુત્વાબિંદૂ થોડું આગળની તરફ ખસે છે અને તેથી ગર્ભસ્થ સ્ત્રીને બેલેન્સ જાળવવા પ્રયત્ન કરવો પડે છે. સામાન્ય સંજોગોમાં સ્ત્રી જેટલી સ્ફૂર્તિથી ઉઠબેસ કરી શક્તિ હોય છે તેમાં ખાસ્સો ઘટાડો અનુભવાય છે, તેનું કારણ આ ગુરુત્વાબિંદૂનું બદલાવું હોય છે.

આ સિવાય, ગર્ભસ્થ સ્ત્રીનું વજન પણ વધે છે જેના કારણે તેને કરવાના રૂટીન કામોમાં વધુ તાકાત લગાવવી પડે છે. વજન વધવા સાથે લોહીનું પરિભ્રમણ શરીરના નીચલા હિસ્સામાં ઘટી જાય છે તેથી પગમાં સોજા ચડે છે અને મોં ઉપર પણ સોજા આવે છે. આને રોકવા કે ઓછા કરવાના ઉપાય તરીકે..

  • દિવસ દરમ્યાન કરવાના બે કામની વચ્ચે બને તેટલો આરામ કરવો
  • લાંબો સમય સતત ઉભા ન રહેવું
  • ચા, કોફી, મીઠાં નો ઉપયોગ ઓછો કરવો
  • પોટેશિયમ વધે એવો ખોરાક લેવો

૩. સ્વાદ, સુગંધ અને આંખોની દ્રષ્ટિમાં થતો ફેરફાર

સ્વાદમાં અચાનક બદલાવ આવી જતો હોય છે. સામાન્ય દિવસોમાં જે ખોરાક ખાવો પસંદ હોય તે અચાનક ન ગમે એવું થતું હોય છે. ખારું, ખાટુ ને ગળ્યું ખાવાની તલબ વધી જાય પરંતુ, જીભને કાબૂમાં રાખવી ફાયદાકારક છે જ, દાખલા તરીકે, જો મીઠું જરૂર કરતાં વધુ ખવાય તો બ્લડ પ્રેસર ઉપર સીધી અસર થાય જ, જે બાળક ને પણ તકલીફ ઉભી કરી શકે છે.

નાક સેન્સીટીવ બની જાય. જે સ્મેલ પહેલા અસર નહોતી કરતી તે ગર્ભાવસ્થા દરમ્યાન અસુખ કરાવે, અણગમો પેદા કરે અને તેના કારણે ઘણાને માથું પણ દુખે.

આંખના પડદાની અંદર લોહીનું દબાણ ઘણા કિસ્સામાં વધી જતું હોય છે. હાઈ બ્લડ પ્રેશર હોય, પેશાબમાં પ્રોટીન બતાવતું હોય, લોહીમાં પ્લેટલેટ કાઉન્ટ ઘટી જાય તો આંખ ઉપર અસર થઇ શકે છે માટે કાળજી રાખવી જોઈએ.

૬ઠ્ઠા કે ૭મા મહીને ઘણી સ્ત્રીઓને ડાયાબીટીસ ડેવલપ થાય છે, એ કાયમ નથી રહેતો.

મૂડ સ્વીંગ એટલે કે, ગમે ત્યારે મૂડમાં બદલાવ આવ્યા કરે. થાક લાગે.

વારંવાર પેશાબ લાગે.

ક્યારેક હળવું બ્લીડીંગ થાય (સ્ત્રીબીજ ફર્ટીલાઈઝ થઈને ગર્ભની દિવાલ સાથે જોડતો હોય ત્યારે આવું થતું હોય છે).

મોર્નિંગ સિકનેસ (ઉબકા આવે).

ગર્ભાધાનના શરૂઆતના બે અઠવાડિયા દરમ્યાન શરીરનું તાપમાન વધુ રહે.

વેરીકોસ વેઇનનો પ્રોબ્લેમ પણ ઘણાને થતો હોય છે.

પેઢામાંથી લોહી નીકળે.

એસ્ટ્રોજન ના કારણે વાળનો વધવાનો સમય લંબાઈ જાય જેથી વાળ થોડા જાડા થાય નખ પોચા થાય. ડીલીવરી બાદ એસ્ટ્રોજન ઘટતા વાળ ખરતા પણ હોય છે.

વાચકને એમ થતું હશે કે આ ૮૦૦ જેટલા શબ્દો વાપરીને આ ગર્ભાવસ્થાની કથા કેમ કરી? તો એનું ય કારણ છે.

ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીના શરીરમાં ઉપર વર્ણવેલા ફેરફાર થાય અને એ બધા સામે સ્ત્રી ઝીંક ઝીલે, સાથે સાથે રોજનું જીવન તો એ જીવે જ છે. આ બધી શારીરિક તકલીફોની સાથે સાથે માનશીક, સામાજિક દબાણો ય હોય છે જ, એ બધા સામે લડતા લડતા ક્યારેક સ્ત્રી થાકી પણ જાય ને!? ત્યારે જે બને છે એને આપડે પોસ્ટપાર્ટમ કહીએ છીએ, જે આપડા લેખનો મુખ્ય વિષય છે. હવે એની વાત.

બાળકને જન્મ આપતી વખતે સ્ત્રી સત્યતામાં બીજું જીવન જ પામતી હોય છે, એટલી તકલીફ એમાં થતી હોય છે. બાળકને જન્મ આપી દીધા પછી પણ સ્ત્રીની તકલીફો કંઈ ખતમ નથી થઇ જતી બલ્કે નવા પડકારો સામે ઉભા રહી જતા હોય છે. કેવા હોય છે આ પડકારો!?

  • નવા બાળકને જન્મ આપવા દરમ્યાન થયેલું શારીરિક અને માનશીક ઉથલપાથલ, જેને સહન કરી તેનાથી છુટકારો મેળવવાનો હોય છે
  • નવા બાળકના આવવા સાથે મનમાં ઉચાટ, અમુક કિસ્સામાં (જો દીકરી જન્મી હોય તો) ગમગીની, વ્યગ્રતા, ચિંતા, ઉદ્વેગ જેવા કૈક પરિબળો નો સામનો કરવાનો થાય છે
  • નવા આવેલા બાળકની સારસંભાળ લેવાની એક સાવ અલગ જ જવાબદારી નિભાવવાની હોય છે (આમાં કુટુંબની મોટી સ્ત્રીઓ ખુબ ઉપયોગી થતી હોય છે)
  • બાળકના જન્મ બાદ માતાની ઊંઘના સમયમાં આમૂલ પરિવર્તન આવી જતું હોય છે. બાળકના ઊંઘવા કે જાગવાના સમય સાથે તાલમેલ મેળવવો હંમેશા એટલો સહજ નથી હોતો
  • બાળકને જો કોઈ નાની મોટી બીમારી થાય, તો એ વળી અલગ જ દબાણ માતા ઉપર લાવતું હોય છે
  • બાળકને સ્તનપાન કરાવવું જરૂરી હોય છે, જે વળી નવું માનશીક તાણ લાવી શકે (ટેનીસ સ્ટાર સેરેના વિલિયમ ના કિસ્સામાં આ બાબતે જ એની અંદર પોસ્ટપાર્ટમ લાવી દીધું હતું)
  • આ બધી મુશ્કેલીઓ ઓછી હોય તેમ, ઘણા કિસ્સામાં સ્ત્રીના કુટુંબીઓ માનશીક દબાણ લાવી દેતા હોય છે, ખાસ કરીને જો દીકરી આવી હોય તો. હવે લેખની શરૂમાં જે રંગસૂત્રોની વાત લખી તે ફરી વાંચી જાવ. દીકરી કે દીકરો જન્મવો એ પુરુષ ઉપર આધારિત છે નહિ કે સ્ત્રી ઉપર

હવે વિચારો કે, જે સ્ત્રી ગર્ભાવસ્થા દરમ્યાન રોજેરોજ જાતજાતની તકલીફો વેઠીને, બાળકને જન્મ આપતી વખતે ય નવી તકલીફો વેઠી હોય, તેની ઉપર બીજા બાહરી પરિબળો ધ્વારા બિનજરૂરી દબાણ ઉત્પન્ન થાય, તો એ સ્ત્રીની માનશીક હાલત કેવી થાય? એકદમ ડામાડોળ. તેને ગમગીની ઘેરી વડે અને શરુ થાય પોસ્ટપાર્ટમ.

પોસ્ટપાર્ટમ થયું છે તેની ખબર કેમ પડે? શું નિશાનીઓ છે?

૧. નિરાશા અને ગમગીની ઘેરી વડે, કઈ સમજાય નહિ કે શું થઇ રહ્યું છે અને કેમ થઇ રહ્યું છે?

૨. વિચારોનું ઘોડાપુર આવ્યા કરે, અટક્યા વગર

૩. કોઈ પ્રવુત્તિમાં મન ન લાગે

૪. ખાવાની પેટર્ન બદલાઈ જાય, ખુબ ખાવાનું મન થયા કરે યા તો ખાવાનું ભાવે જ નહિ

૫. સુવાની પેટર્ન સાવ જ બદલાઈ જાય, ક્યાં તો ઊંઘ્યા કરે કાં ઉજાગરા કર્યા કરે – બાળક સુતું હોય ત્યારે પણ

૬. ગુસ્સો આવ્યા કરે કે ઉશ્કેરાઈ જાય કોઈ કારણ વગર, ઘણી વખત કારણ વગર રડ્યા પણ કરે

૭. આખો દિવસ ખુબ થાક લાગે

૮. જન્મેલા બાળક સાથે લાગણીનો સંબંધ બાંધવામાં તકલીફ અનુભવાય

આવી કોઈક નિશાનીઓ જો ડીલીવરી બાદ સ્ત્રીમાં દેખાય તો એને પોસ્ટપાર્ટમ થયું છે એવું પ્રાથમિક રીતે કહી શકાય. વધુ નિષ્કર્ષ માટે ડોક્ટરની સલાહ લેવી ખુબ હિતાવહ છે.

આ પોસ્ટપાર્ટમ થાય ક્યારે? ડીલીવરી થયાના પહેલા ૩ અઠવાડિયામાં પણ થઇ શકે અથવા એક વર્ષ બાદ પણ થઇ શકે.

પોસ્ટપાર્ટમ ના ત્રણ તબક્કા છે ૧. પોસ્ટપાર્ટમ બ્લુઝ ૨. પોસ્ટપાર્ટમ સાઈકોસીસ અને ૩. પોસ્ટપાર્ટમ ડીપ્રેશન

પોસ્ટપાર્ટમ બ્લુઝ સામાન્ય રીતે થોડાક દિવસોથી લઈને થોડા અઠવાડિયા ચાલતું હોય છે અને લગભગ કુદરતી રીતે જતું પણ રહેતું હોય છે છતાં, આ સમય દરમ્યાન સ્ત્રીએ પુરતો આરામ કરવો જોઈએ, સગા કે મિત્રની સલાહ અને મદદ લેવી, પોતાની પણ કાળજી લેવી ખુબ અગત્યનું છે, નવા આવેલા બાળકની સંભાળમાં માતા એટલી ગૂંથાઈ જાય કે એના પોતાના માટે સમય જ નથી બચતો.

પોસ્ટપાર્ટમ સાઈકોસીસ અને પોસ્ટપાર્ટમ ડીપ્રેશન લાંબુ ચાલતું હોય છે,  – પોસ્ટપાર્ટમ સાઈકોસીસના  કિસ્સામાં દવાખાનામાં દાખલ થવું જરૂરી હોય છે, ડોક્ટર ની સલાહ મુજબ કરવું જોઈએ. બંને કિસ્સામાં સાઈકોલોજીકલ સારવાર અને જરૂર પડે મેડીકલ સારવાર કરાવવી હિતાવહ છે.

હવે એ જોઈએ કે, પોસ્ટપાર્ટમ થવાની શક્યતા કે રિસ્ક કોને હોઈ શકે છે.

નીચે બતાવેલા મુદ્દાઓ માંથી એક અથવા એક કરતા વધુ મુદ્દાઓ પણ કારણભૂત બની શકે પોસ્ટપાર્ટમ માટે.

  • ગર્ભસ્થ સ્ત્રીના કુટુંબમાં આર્થિક મુશ્કેલીઓ હોય
  • ઘરેલું ઝઘડા જેનું પ્રમાણ અને તીવ્રતા ઘણી હોય
  • સ્ત્રીની માતામાં માનશીક અસ્વથતા નો ઈતિહાસ હોય
  • ગર્ભસ્થ સ્ત્રીના લગ્ન જીવનમાં તણાવ રહેતો હોય કે મુશ્કેલીઓ હોય
  • ગર્ભસ્થ સ્ત્રીના પતિ તરફથી યોગ્ય સહકાર ન મળતો હોય
  • ગર્ભસ્થ સ્ત્રીના તણાવ રહેતો હોય કે મુશ્કેલીઓ હોય, કુટુંબનો અસહકાર હોય
  • દીકરીનો જન્મ થવો, પ્રથમ બાળક તરીકે અથવા ત્યારબાદ પણ, ભારત જેવા દેશમાં આ ખુબ મોટો મુદ્દો હોય છે
  • જન્મેલ બાળક બીમાર રહેવું કે જન્મ બાદ મરી જવું
  • અધૂરા માસે બાળકનું જન્મવું કે ખુબ ઓછા વજન સાથે જન્મવું
  • માતા ઓછું ભણેલી હોય
  • કોઈ પ્લાન વગર ગર્ભાધાન થવું કે ગર્ભાબાળક જટિલતા હોવી (બાળક ખોડવાળું જન્મવાની શક્યતા)
  • એક કરતાં વધુ બાળક ગર્ભમાં હોવા (મલ્ટીપલ પ્રેગ્નન્સી)
  • થાઇરોડ ગ્રંથીમાં તકલીફ હોવી (થાઇરોડ વધારે કે ઓછું ઉત્પન્ન થતું હોય)
  • ડીલીવરી બાદ સ્ત્રીને નોકરી, બીઝનેસ કે રમત જેવા ક્ષેત્રમાં પાછુ ફરવાનું હોય
  • બાળકને સ્તનપાન ન કરાવી શકવાની સ્થિતિ

પોસ્ટપાર્ટમ અટકાવવું શક્ય છે. જરૂર છે તેને સમજીને તેને અટકાવવાના પ્રયત્ન કરવાની

  • ગર્ભસ્થ સ્ત્રીએ પોતાની આજુબાજુ એવા લોકોને પ્રાથમિકતા આપવી જોઈએ જેઓ સારી અને પોઝીટીવ વાતો કરતા હોય, જે તમને પડતી તકલીફો સમજીને તેને દુર કરવા મદદ કરી શકે
  • ગર્ભાવસ્થા કે બાદમાં, રોજબરોજના ઘરના કાર્યો કરવાની ઉતાવળ ન કરો, જરૂરી કાર્યોને અગ્રતા આપી પહેલા કરી લો જયારે તમને સમય મળે, ઓછા જરૂરી કાર્યોને મુલતવી રાખો જેમ કે કપડાનું કબાટ સરખું ગોઠવવાનું હોય તો તે આરામ થી કરી શકાય
  • દિવસના કાર્યોમાં તમે અને તમારું બાળક અગ્રતાક્રમે હોવા જોઈએ, રસોઈ મોડી થાય કે કપડાં મશીનમાં ધોવામાં મોડું થાય તો ચાલે
  • આજના સમયમાં સંયુક્ત કુટુંબ આંગળીના વેઢે ગણાય એટલા રહ્યા છે. સિંગલ કુટુંબ વધતા જાય છે એવામાં નવજાત બાળકને સાચવવા એ પડકાર જ છે. આને પહોચી વળવા થોડું સેલ્ફ પ્લાનિંગ કરવું જરૂરી છે. બીજી આવી સ્ત્રીઓ આ પડકારને કેવી રીતે સંભાળતી એ જાણીને પોતાનો રસ્તો શોધી શકાય
  • નવજાત બાળકને સામાન્ય તકલીફો થવી સહજ છે, તે માટે ઘરના અમુક ઉપાયો ખુબ કારગત થતા હોય છે, જરૂર પડે એનો ઉપયોગ કરી શકાય તે માટે અગાઉથી થોડી જાણકારી મેળવી રાખવી મદદરૂપ થાય

એક મહત્વનો સવાલ થવો જ જોઈએ……શું પોસ્ટપાર્ટમ ફક્ત ગર્ભવતી સ્ત્રીઓને જ થતું હશે!? ના. સ્ત્રીના પતિ એટલે કે બાળકના પિતાને પણ થઇ શકે છે, થતું હોય છે. એની નિશાનીઓ થોડી અલગ હોય છે.

 

 

રેબીઝ, બોલે તો…હડકવા

હડકવા શબ્દ કાને પડતા જ આપણા શરીર માંથી ભયનું લખલખું પસાર થઇ જાય છે અને નજર સામે ઇન્જેકશનો દેખાવા માંડે છે. વર્ષો પહેલા તો ૧૪ ઇન્જેક્શન્સ લેવા પડતા અને એ પણ પેટ ઉપર. આજકાલ નવી દવા અને રસી શોધાયા બાદ એનો ડોઝ ઘટીને ૨ કે ૪ ઇન્જેક્શન પુરતો જ રહી ગયો છે. હડકવા ના કારણે થતા મોતની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થઇ ગયો છે છતાં, હડકવા ના રોગની સાથે સંકળાયેલી ભયની તીવ્રતા ઘટતી નથી! આવું શા માટે? શું હડકવા ખુબ જ ભયાનક છે? શું હડકવા સામે વપરાતી રસી ઓછી અસરકારક પુરવાર થાય છે? કે પછી, હડકવાના રોગ સાથે સંકળાયેલ તકલીફો એટલી બધી ખતરનાક છે, કે જેના કારણે આપણો ભય ઓછો થતો નથી?

ચાલો, આ બધા સવાલોને એક પછી એક તપાસીએ અને જવાબો મેળવતા જઈએ.

હડકવા મુદ્દે વાયરસથી ફેલાતો ચેપી રોગ છે. આ વાયરસ રાબ્દોવીરીડે કુળના લાઈઝા વાયરસ હોય છે. વાયરસના નામમાં આવતો લાઈઝા શબ્દ ગ્રીક ભાષાનો છે જેનો મતલબ છે – રેગ યાને ઉચાટ, ઉશ્કેરાટ જે આ રોગની મુખ્ય નિશાની છે. લાઈઝા વાયરસનો આકાર બંદુકની ગોળી-બુલેટ જેવો હોય છે જેની લંબાઈ આશરે ૧૩૦ થી ૨૦૦ નેનોમીટર અને વ્યાસ ૬૦ થી ૧૦૦ નેનોમીટર હોય છે.

જેમ માનવ શરીર પાંચ તત્વોનું બનેલું છે એમ રેબીઝ વાયરસ પણ પાંચ જાતના પ્રોટીન વડે બનેલો હોય છે. ૧. N પ્રોટીન ૨. NS પ્રોટીન ૩. M પ્રોટીન ૪. G પ્રોટીન અને ૫. L પ્રોટીન.

આ થઇ રેબીઝ વાયરસની સામાન્ય ઓળખ. હવે જરા એનો પૃથ્વી ઉપરનો ઈતિહાસ તપાસી લઈએ.

રેબીઝ વાયરસ ના જુના પુરાવા શોધીએ તો એ બેબીલોનીયા માં, ઈ.સ. પૂર્વે આશરે ૨૩૦૦ વર્ષ પહેલા મળે છે. ત્યારબાદ, ઈ.સ. પૂર્વે આશરે ૧0૦૦ વર્ષ પહેલા મેસોપોટેમીયા માં પણ તેની હાજરી મળે છે. ઈ.સ. પૂર્વે આશરે ૫૦૦ વર્ષ થી ઈ.સ. બાદ ૧૦૦ વર્ષ ના ગાળા ગ્રીસ અને રોમન સંસ્કૃતિ ધમધમતી હતી ત્યારે પણ રેબીઝનું અસ્તિત્વ હતું. અરબસ્તાન જેવા ગરમ પ્રદેશ માં (૯૮૦-૧૦૩૭) દરમ્યાન હડકવા એ દેખા દીધી હતી જ્યાંથી તેને ઈજીપ્ત માં ૧૫ મી સદીમાં પોતાનું પોત પ્રકાશ્યું હતું. આટલા પુરાવા ઉપરથી આપણને ખ્યાલ આવશે કે આ વાયરસ છેલ્લા ૪૫૦૦ વર્ષથી જાનવરો અને માનવી નો પીછો કરતાં આવ્યા છે.

આશ્વાસન ની વાત એટલી છે કે, માનવી છેલ્લા ૨૦૦ વર્ષથી લાઈઝા વાયરસ ઉપર સંશોધન કરતો હતો અને તેના ઉપર પકડ આવી છેલ્લા ૧૨૦ વર્ષથી. હવે વાયરસ નો અસરકારક ઉપાય ઉપલબ્ધ છે રસી રૂપે. આપણે ફક્ત થોડી કાળજી રાખવાની જરૂર છે અને ગેરંટી કે આપણા મનમાંથી આ વાયરસનો ભય દૂર થઇ જશે.

રેબીઝના વાયરસ ગરમ લોહીવાળા પ્રાણીઓમાં ટકી રહેતા હોય છે. રેબીઝ, કરોડરજ્જુ ધરાવતા માંસાહારી પ્રાણી પાસેથી બીજા પ્રાણી સુધી ફેલાય છે. રેબીઝ ના વાહક તરીકે ચામાચીડિયા, બિલાડી, કુતરા, ભૂંડ, શિયાળ, વરુ જેવા જંગલી પ્રાણીઓ ય હોય છે પરંતુ, રેબીઝ ના મુખ્ય વાહક હોય છે કુતરા, જેને વર્ષોથી આ વાયરસને સાચવ્યા છે. વળી, આ વાયરસ, ઓસ્ટ્રેલીયા અને એન્ટાર્કટીકા ને બાદ કરતાં પૃથ્વીના દરેક ભાગમાં અસ્તિત્વ ધરાવે છે.

રેબીઝ વાયરસ ધરાવતું કોઈ પ્રાણી જયારે બીજા પ્રાણીને કરડે ત્યારે, તે પ્રાણી પોતાની લાળ સાથે વાયરસનો પ્રવેશ બીજા પ્રાણીમાં કરાવે છે. બીજા પ્રાણીના શરીરમાં પ્રવેશ કર્યા બાદ વાયરસ તેના ચેતાતંત્રના ચેતાકોષો મારફત પ્રાણીના મગજ ઉપર પોતાનું સામ્રાજ્ય જમાવે છે અને છેવટે કરોડરજ્જુમાં પોતાનું કાયમો સરનામું દર્જ કરે છે. પ્રાણીના શરીરમાં લાઈઝા વાયરસ પોતાની વૃદ્ધિ કરતો રહે છે, જેને ઇન્કયુબેશન પીરીયડ કહે છે. આ સમયગાળો ૩ અઠવાડિયા થી શરુ કરીને ૪ મહિના જેટલો લાંબો હોઈ શકે છે. માનવીના કિસ્સામાં આ સમયગાળો ૧૫ દિવસ થી લઈને ૧ વર્ષનો હોય છે, ત્યારબાદ એ પોતાની અસર બતાડવાનું શરુ કરી દે છે.

શરીર ઉપર વાયરસની અસર કેટલા સમય બાદ શરુ થશે, તે નક્કી કરતાં પહેલા, વાયરસ જેના ધ્વારા શ્ર્રીમાં દાખલ થયા હોય તે ઘા, શરીરના ક્યાં ભાગ ઉપર ઘા છે, ઘાની ઊંડાઈ કેટલી છે, ઘામાં પ્રાણીની લાડનું પ્રમાણ, મગજથી ઘા કેટલો દૂર છે વગેરે જેવા ઘણા પરિબળો મહત્વના બને છે. મગજથી ઘા જેટલો નજીક એટલી રોગ પ્રસરવાની ઝડપ અને ઘાતકતા વધુ. લાઈઝા વાયરસ શરીરમાં દાખલ થયા બાદ શરીરની સેન્ટ્રલ નર્વસ સીસ્ટમમાં ફેલાઈ જાય છે અને નાક, માથું, ગળું તેમજ ગરદનને પોતાના સકંજામાં લઇ લે છે.

લાઈઝા વાયરસ ધ્વારા થતા રેબીઝ યાને હડકવાના રોગની મુખ્ય ત્રણ અવસ્થાઓ હોય છે.

૧. પ્રોડ્રોમલ – જેમાં, ઠંડી લાગવી, તાવ આવવો, માથું દુખવું, ઉબકા સાથે ગળામાં ખારાશ વર્તાવી, કફ થવો અને સ્નાયુઓ માં દુઃખાવો થવો જેવા લક્ષણો દેખાય

૨. એક્યુટ ન્યુરોલોજીયા – આ અવસ્થા દરમ્યાન માનવી અને પ્રાણીના સ્વભાવમાં ઉશ્કેરાટ વધતો જોવાય છે તથા વિચાર વર્તનમાં શુદ્ધતા ઘટવા સાથે પાગલપણા ની નિશાની દેખાય છે. યાદશક્તિ ઓછી થતી જાય અને ડીપ્રેશન આવે છે. આજુબાજુમાં થતા અવાજો ને પણ દર્દી સહન નથી કરી શકતો. શરીરમાં કફ થવા સાથે ગળાની નીચે ખોરાક ઉતારવામાં અક્ષમતા વર્તાય છે. ગળું ભીંસાતું હોય તેવો અનુભવ થાય છે. મોઢાના સ્નાયુ તણાય છે. મોઢા માંથી સતત લાળ પડે છે.

૩. કેમાટોસ – જેમાં દર્દી કોમામાં સરી પડે છે. આ અવસ્થા ૩ થી ૭ દિવસ ચાલે છે. ત્રીજી અવસ્થા માનવીના મૃત્યુ માટે જવાબદાર બને છે.

હડકવાના રોગ વિષેની વિવિધ અવસ્થાની માહિતી, લોકોનો ગભરાટ વધારવા માટે નથી આપી બલ્કે, એના વડે રોગની ઘાતકતા અને વિસ્તાર માર્ગ સમજાય અને દર્દીની તાત્કાલિક અને જરૂરી સારવાર કરી શકાય, એ માટે આપી છે. જરૂરી સારવાર અપાવવાથી દર્દીના જીવનનો બચાવ થાય છે.

હડકવાના વાયરસ શરીરમાં પ્રવેશ કરે અને રોગને જન્મ આપે તેની વિવિધ અવસ્થાઓ વિષે તો જાણી લીધું. હવે, હડકવા થયો હોય તો તેને ઓળખવાની તાજી નિશાનીઓ શું છે? એ જાણી લઈએ.

શરીર ઉપર પ્રાણીના કરડવાનો ઘા થયો હોય, ત્યાં થોડા દિવસો બાદ ખંજવાળ આવે અને દુઃખાવો ય થાય. આ સિવાય, માનવીમાં અજંપો અને ડીપ્રેશન દેખા દે, જે બે દિવસ સુધી ચાલી શકે છે. હ્દ્ક્વાને સદીઓ પહેલા હાઇડ્રોફોબિયા તરીકે ઓળખવામાં આવતો હતો. કારણ કે, હ્દ્કવામાં દર્દીને પાણીની તરસ ખુબ લાગે, પાણી જુવે અથવા બીજી વ્યક્તિ પાણીનો ઉલ્લેખ પણ કરે, તો તરત જ દર્દીના ગળામાં સ્નાયુ ખેંચવા માંડે. પાણીને ગાળા ની નીચે ઉતારવાનું તો તકલીફદાયક થઇ જ જાય છે.

આ બધું તો હવે સમજાઈ ગયું હશે. હડકવાની સારવાર નું શું?

કુતરું, ભૂંડ કે બિલાડી જેવું કોઈ પ્રાણી કરડે તો, સૌ પ્રથમ શરીર ઉપર થયેલા ઘાને તાત્કાલિક ખુબ સ્વચ્છ પાણી વડે ધોઈ નાખવો જેથી પ્રાણીની લાળ સાફ થઇ જાય. ત્યારબાદ દર્દીને દવાખાને લઇ જઈ ડોક્ટરની સલાહ મુજબ હડકવાની રસીનું ઇન્જેક્શન મુકવી લેવું. પહેલા આવા ઇન્જેક્શન ઘણા લેવા પડતા હતા પરંતુ, હવે એમાં ઘટાડો થઇ ગયો છે. પ્રથમ ઇન્જેક્શન તરત જ અપાય છે. બીજું ઇન્જેક્શન ત્રણ દિવસ બાદ, ત્રીજું સાત માં દિવસે અને ચોથું ૧૪ માં દિવસે.

હડકવાની ટ્રીટમેંટ લેવા જાવ ત્યારે, જો દર્દી HIV અથવા Immune system, કેન્સર વિષયક કોઈ સારવાર ચાલતી હોય, સ્ટીરોઈડ ની દવા લેતા હોય તો એ વિષે ડોક્ટરને જણાવવું જરૂરી છે.

હડકવાની રસીના ઇન્જેક્શન લીધા પછી, આસરે ૩૦-૭૦ % ને શરીર ઉપર લાલસ દેખાય, સોજો આવે, ખંજવાળ ઉપડે.

૫-૪૦ % ને માથાનો દુઃખાવો થાય, ઉલટી જેવું લાગે, પેટમાં દુખે, સ્નાયુનો દુઃખાવો થાય કે ઘેન રહે પરંતુ આનાથી ગભરાવા જેવું નથી.

આ બધી સામાન્ય આડઅસરો હોય છે છતાં, જો કોઈપણ અસર વધારે પ્રમાણમાં અનુભવાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

દર્દીને બને એટલો આરામ લેવા દેવો.

આ સારવાર રૂપે અપાતી રસી શું છે? તેની શોધ કેવી રીતે થઇ?

૨૦૦ ઉપરાંત વર્ષો પહેલા આસરે ૧૮૦૪માં ઝીંકે નામક વૈજ્ઞાનીકે હડકવાના રોગ વિષે સંશોધન શરુ કર્યું હતું, જેમાં તેમને બહુ સફળતા મળી ન હતી. બાદમાં, એમીલે રુકશ અને લુઈ પાસ્તર એ આસરે ૧૮૮૨ માં ઘણાં અખતરા કાર્ય પરંતુ, ૧૮૮૭ માં ડીવેલ્સ અને ઝગારીએ સાબિત કરી આપ્યું કે, વાહક જાનવરની કરોડરજ્જુ માં સંગ્રહિત વાયરસ તેની લાળ ધ્વારા બીજા પ્રાણીમાં ફેલાય છે.

આ બધા સંશોધનો તો હડકવાના રોગ વિષે થઇ રહ્યા હતા જયારે, લુઈ પાસ્તર રોગને કાબુમાં લઈને તેને માત આપવાનું કાર્ય કર્યું ૧૮૮૫ માં. આ વર્ષે, તેમણે જોસેફ મેસ્તર નામના ૯ વર્ષના હડકવાના દર્દીને, પોતે બનાવેલી રસી આપીને, રોગમાંથી મુક્તિ અપાવી.

લુઈ પાસ્તર એ  ગાયના મગજમાંથી વાયરસને છુટા પાડી, ઉંદરની કરોડરજ્જુ માં તેને આરોપી દીધા. ધીમેધીમે ઉંદરના શરીરમાંની રક્ષા પ્રણાલી વાયરસ સામે ઝઝુમવાની તાકાત મેળવી લીધી. નિષ્ક્રિય થયેલા લાઈઝા વાયરસનો ઉપયોગ બાદમાં હડકવાના દર્દીના બચાવ માટે રસી તરીકે થયો. (લુઈ પાસ્તર વિશે લેખના અંતમાં વિશેષ માહિતી આપેલી છે.)

આમ હડકવાની રસી બને છે હડકવાના લાઈઝા વાયરસથી જ પરંતુ, મરેલા વાયરસ થી. લોહા લોહે કો કાટતા હૈ વાળી કહેવત તો યાદ છે ને? લોખંડને કાપવા માટે પાનું પણ લોખંડનું જ હોય છે પરંતુ, તે વધારે તાકાતવાળું અને કડક હોવું જોઈએ. જયારે, રોગ સામે રક્ષણ માટે અપાતી રસી ઓછી તાકાતવાળા વાયરસની બનેલી હોય છે.

લાઈઝા વાયરસ માનવીના શરીરમાં આવી જાય ત્યારબાદ, દર્દીને રસી મૂકી વાયરસનો મુકાબલો કરી માનવીનો બચાવ કરવો હવે ખુબ સહજ છે. આ માટે આપણે સૌ લુઈ પાસ્તર ના આજીવન આભારી રહીશું.

આ તો થઇ સારવારની વાત પરંતુ, હડકવાના વાયરસ પોતાનો ફેલાવો ન વધારે તે માટેના પગલા લેવા કે ઉપાયો કરવા ય એટલા જ જરૂરી છે.

પાલતું પ્રાણીને તો હડકવા વિરોધી રસી અપાવવી જ જોઈએ. શેરીમાં રહેતા કુતરાઓ ને સામાજિક સંસ્થા આવી રસી મુક્તિ હોય છે, આપડે તેમને જાણકારી આપીને મદદરૂપ થઇ શકીએ. પાલતું પ્રાણી ઉપર શેરીના રખડતા પ્રાણી હુમલો કરે તો પાલતું પ્રાણીને તાત્કાલિક વેટરનરી ડોક્ટર પાસે રસી મુકવી દેવી જોઈએ જેથી વાયરસની શક્યતા નિવારી શકાય.

પૃથ્વી ઉપર અસંખ્ય વાયરસ અસ્તિત્વ ધરાવે છે. એ બધાનો ઉદભવ, વિકાસ અને તેના નિવારણ વિશેની જાણકારી, વૈજ્ઞાનિકો વર્ષોની તપસ્યા બાદ મેળવતા જ રહે છે. આપણે તો ફક્ત, તેમની તપસ્યાના ફળનો ઉપયોગ કરીને લાભાન્વિત જ થવાનું છે, જે બહુ અઘરું તો નથી જ. ફક્ત થોડો વૈજ્ઞાનિક અભિગમ કેળવી, જાણકારી હાથવગી રાખી તેની ઉપર અમલ કરવાનો છે.

###############################################

લુઈ પાસ્તર એટલે..

માઈક્રો બાયોલોજી નો પાયો નાંખનાર ફ્રેંચ કેમિસ્ટ અને બાયોલોજીસ્ટ.

રોગ થવા માટે જીવાણુઓ જવાબદાર છે, એવું સૌ પ્રથમ સાબિત કરનાર વૈજ્ઞાનિક.

રોગમુક્ત રહેવા માટે જીવાનુંનો નાશ કરવા માટે પાસચ્યુંરાઈઝેશન તરીકે ખુબ જાણીતી પધ્ધતિ વિકસાવનાર, જેનો, દેરી ઉદ્યોગ મોટા પાયે લાભ લઇ રહી છે.

આ સિવાય બીજી ઘણી રસીની શોધો તેમના નામે બોલે છે.

સેપ્ટી સેમીયા, કોલેરા, ડીપ્થેરીયા, ટીબી વગેરે જેવા રોગોને માત આપવામાં તેમણે સફળતા મેળવી છે.

સમગ્ર માનવજાતને રોગથી બચાવવા માટે રસી બનાવવા ઉપરાંત, ઉદ્યોગ ને અનુભવાતી તકલીફો દૂર કરવા માટે મહત્વનો ભાગ ભજવ્યો છે. દારૂ બનાવતી વખતે આથો લાવવાની પ્રક્રિયા દરમ્યાન ઉત્પન્ન થતા લેકટીક એસીડ રૂપે બેક્ટેરિયા ના કારણે દારૂનો સ્વાદ બગડતો હતો. સોલ્યુશનને ઉંચા તાપમાને ગરમ કરીને બેકટેરિયાને નાબૂદ કરી શકાય છે, તે લુઈ પાસ્તરે બતાવ્યું. આ રીતે જ, સિલ્ક ઉદ્યોગ ને  જીવાણું ના રોગથી મુક્તિ અપાવવા માં નોંધપાત્ર ફાળો આપ્યો.

પ્રાણીઓમાં પ્રચલિત અને અમેરિકા સહિત વિશ્વના ઘણા દેશોમાં આતંક ફેલાવનાર એન્થ્રેક્સ નામક રોગ પણ વાયરસ જન્ય હોઈને, એન્થ્રેક્સ ના જ વાયરસને ઓછી તાકાતવાળા બનાવી પ્રાણીમાં તેને આરોપી, રોગ પ્રતિકારક શક્તિ વધારી, રક્ષા અપાય છે. આના માટે પણ ફરી લુઈ પાસ્તર નો આભાર માનવો પડે.

૧૮૪૭ માં લુઈ પાસ્તરે પેરીસની યુનીવર્સીટી માંથી ડોકટરેટ ની ડીગ્રી મેળવી હતી. બાદમાં યુનીવર્સીટી માં રસાયણ વિજ્ઞાનના પ્રોફેસર અને ડીન પણ બન્યા હતા.

તેમની વિવિધ શોધોના પરિણામે માનવજાતને થયેલા ફાયદા જોતા, ફ્રાંસની સરકારે ૧૮૮૮ માં પેરીસ શહેરમાં તેમના નામથી એક ઇન્સ્ટીટ્યુટ સ્થાપી અને તેમને એના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા. આ સંસ્થા વિવિધ સંશોધનો માં આજે પણ મોખરે છે. ૨૮ સપ્ટેમ્બર ૧૮૯૫ ના રોજ  લુઈ પાસ્તરનું અવસાન થતા, તેમના પાર્થિવ શબને કાયમી ધોરણે સાચવવા અને દર્શન માટે, તેમના નામથી પ્રખ્યાત પેરીસની ઇન્સ્ટીટ્યુટ ના ભોંયતળીયે, સરકારી માન સન્માન સહિત, વિધિપૂર્વક રાખવામાં આવ્યું છે.

આપડે એ જગ્યાને શું નામ આપીશું!?  લુઈ પાસ્તર ઘાટ!

Biologist+Micro Electronics Technologist=દેવદૂત

વિજ્ઞાન હંમેશા માનવીને ઉચ્ચથી ઉચ્ચતમ તરફ ગતી કરાવતું શાસ્ત્ર છે જેમાં, આર્થિક, શારીરિક, સામાજિક, માનસિક અને આધ્યાત્મિક ગતી પણ સામેલ છે! આશ્ચર્ય પામવાનું કોઈ કારણ નથી પરંતુ, વિજ્ઞાન ધ્વારા વિચિત્ર લાગતા કોયડાઓના ઉત્તર મળ્યા બાદ તેમજ, દરેક જીવ, તત્વ અને પ્રકૃતિ પાછળ રહેલા કુદરતના કાર્યક્ષમ અને સચોટ આયોજનના અનુભવ બાદ નાસ્તિક માનવી પણ ભગવાનને સલામ કરવા માંડે તો નવાઈ ન લાગવી જોઈએ (જો કે, નાસ્તિક એટલે, પુરાવાના અભાવે કારણ પ્રત્યે સંશય રાખનાર આત્મા જે વળી વૈજ્ઞાનિકનો પિતરાઈ ય હોઈ શકે છે!).

ચાલો આપડા મૂળ મુદ્દા તરફ પાછા વળીએ. લેખના મથાળામાં દર્શાવ્યા મુજબ, જો જીવ વિજ્ઞાની અને શુક્ષ્મ વિજાણું ઈજનેર ભેગા મળે તો! જે ચમત્કાર સર્જાય તેના ધ્વારા – અંધ વ્યક્તિ કુદરતના વિવિધ રંગોને જોવા માટે સક્ષમ બને જયારે, બહેરાસ ધરાવતી વ્યક્તિ દુનિયાના અદ્વિતીય અવાજોને સાંભળવા શક્તિમાન બને. તદુપરાંત, આજકાલ આપણા જીવનનો એક હિસ્સો બનવા જઈ રહેલ આપણા યાંત્રિક-મિત્ર રોબોટ પણ ગંધને પરખવા અને અવાજને ઓળખવા સક્ષમ બની શકે છે. આ ઉપરાંત, રોબોટ વડે વસ્તુના આકારને ઓળખવાનું પણ સરળ બની શકે છે. આ અતિશયોક્તિ નહિ પણ, હકીકત બનવા તરફ ગતી કરી રહેલ ‘સત્ય’ છે! લિયોનાર્દ-દ-વિન્ચી અને એચ.જી.વેલ્સ ના સપનાઓ ને આપણે વિમાન, રોકેટ, સબમરીન જેવા નક્કર સ્વરૂપે આજે જોઈએ જ છીએ ને!

૧૯૯૭માં વિશ્વ ચેમ્પિયન ગેરી કાસ્પારોવને આઈ.બી.એમ.એ બનાવેલ સુપર કોમ્પ્યુટર ‘ડીપ બ્લુ’ એ પોતાની રાક્ષસી તાકાત અથવા કહો કે ઝડપ વડે પહેલી ગેમમાં હરાવી દીધો (બીજી વખત જયારે મુકાબલો થયો ત્યારે કાસ્પારોવે જીત મેળવી લીધેલી). સામાન્યરીતે, ચેસ માં જે વ્યક્તિ હરીફ કરતાં વધારે ચાલ નિશ્ચિત સમયમાં વિચારી શકે અને ભૂલો ઓછી કરે, તે વ્યક્તિ વિજેતા બની શકતી હોય છે. કાસ્પારોવના કિસ્સામાં ‘ડીપ બ્લુ’ એક સેકન્ડમાં ૨૦ કરોડ ચાલ વિષે ગણતરી કરી લેતું હતું જયારે, સામે પક્ષે કાસ્પારોવ કેટલી ગણતરી કરી શકતા હતા? એક સેકન્ડમાં ફક્ત ૩ જ! માટે પરિણામ અપેક્ષા મુજબ આવે (જો કે બીજા પણ મુદ્દા હતા હાર માટે…કોમ્પ્યુટર ના પ્રોગ્રામ માં, દરેક ગેમ પછી જરૂરી ફેરફાર કરવામાં આવતો હતો, કાસ્પારોવને કોમ્પ્યુટર ની ગેમ નો અભ્યાસ કરવા દેવામાં આવ્યો નહોતો, કોમ્પ્યુટર કાસ્પરોવની બધી ગેમ ઈવેલ્યુએટ કરી લેતું હતું!) છતાં, ગણતરી કરવા જેવા કર્યો સિવાય બીજા ઘણા કાર્યોમાં કોમ્પ્યુટર માનવીના મગજ કરતાં હજી ઘણું પાછળ છે. માનવી પોતાના સ્વજન કે મિત્રને, તેના અવાજ, ચાલ, હાવભાવ ઉપરથી ઓળખી લેતો હોય છે, જે કોમ્પ્યુટર માટે શક્ય નથી. આવું કેમ? ચાલો સમજીએ.

કોમ્પ્યુટર એને બજાવવા માટે અપાયેલ કાર્ય કરવા બે ચીજનો ઉપયોગ કરે છે – ૧. હાર્ડવેર ૨. સોફ્ટવેર

હાર્ડવેર ને તમે જોઈ શકો છો અને અનુભવવા અડકી પણ શકો છો જયારે, સોફ્ટવેર ને જોઈ શકાતું નથી ને અનુભવવા માટે અડકી શકાતું નથી. જરૂરિયાત મુજબ સોફ્ટવેરને તૈયાર કરવામાં આવે છે જયારે, અપવાદ ને બાદ કરતાં, હાર્ડવેર એકસરખા રહે છે, મતલબ? કાર્યની અનુકુળતા મુજબ તેમાં ફેરફાર નથી થતો.

બીજી તરફ, માનવીનું મગજ તેના જ્ઞાનતંતુઓને, કાર્યને અનુરૂપ ઉપયોગમાં લે છે. એક કાર્ય પત્યા બાદ, મગજ, એજ જ્ઞાનતંતુ પાસે બીજું કાર્ય પણ કરાવી લેતું હોય છે. આ થયો પાયાનો ફર્ક.

કોમ્પ્યુટર પોતાનું કાર્ય ડીજીટલ સ્વરૂપે કરે છે જયારે, મગજ વિદ્યુત તરંગો વડે જ્ઞાનતંતુઓને ઉત્તેજિત કરીને કાર્ય પાર પાડે છે. જ્ઞાનતંતુઓ વચ્ચે સંદેશાની આપલે કરવા માટે થતા વિદ્યુત તરંગો ના જોડાણો કેટલા થતા હશે? ૧ મિનીટ માં ૧૦ ની ઉપર ૧૬ મીંડા જેટલા (૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦), આવી તાકાત કોમ્પ્યુટર પાસે નથી અને કદાચ આવી પણ જાય તો, તેના માટે જરૂરી વિદ્યુત પુરવઠો જોઈએ તે તો અધધધ થઇ જવાય તેટલો જોઈએ – હજ્જારો મેગાવોટ!

 

કેલીફોર્નીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી અમેરિકા ના બે વૈજ્ઞાનિકો પૈકી એક મીશા મેહોવાલ્ડ, જે બાયોલોજીસ્ટ ની ડીગ્રી ધરાવતી હતી અને બીજા, કાર્વર મીડ જેમની પાસે માઈક્રો ઇલેક્ટ્રોનિકસ ની ડીગ્રી હતી. આ બે જણા ભેગા મળીને એવી કોમ્પ્યુટર ચીપ બનાવવાનો પ્રયત્ન કરતાં હતા જેનું કાર્ય, ઉપરના ફકરામાં વર્ણવેલ પરંપરાગત કોમ્પ્યુટર ચીપ કરતાં અલગ હોય, જે માનવીના મગજની કાર્યપદ્ધતિ પ્રમાણે કાર્ય બજાવવા સક્ષમ હોય.

સંશોધન માટે તેમણે સર્વ પ્રથમ આંખની કાર્ય પ્રણાલી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. કારણ કે, આંખ વિષે સૌથી વધારે માહિતી ઉપલબ્ધ હતી.

આંખ કોઇપણ દ્રશ્ય જુવે છે કેવી રીતે? પ્રકાશના કિરણો આંખના લેન્સ ધ્વારા દાખલ થઇને રેટીના ઉપર અથડાય છે. રેટીનામાં ફોટોરીસેપ્ટર અને ચાર જાતના સેલ આવેલા છે, ૧. એમાક્રીન સેલ ૨. બાય પોલાર સેલ ૩. ગેન્ગલીયન સેલ ૪. હોરીઝોંટલ સેલ. રેટીનામાં ૧ થી ૪ નમ્બરના સેલ્સ ની સંખ્યા ૯૦% જેટલી હોય છે. કોઇપણ ચિત્ર કે વસ્તુ ઉપરથી અથડાઈને આવેલા પ્રકાશના કિરણોનું  વિવિધ તરંગલંબાઈ મુજબ વર્ગીકરણ અને આગોતરું પ્રોસેસિંગ આ ચાર પ્રકારના સેલ્સ કરે છે, જેવી રીતે મદદગાર બાઈઓ રસોઈયાને રસોઈની ઘણીખરી ક્રિયાઓ આગોતરી કરી આપે છે જેથી રસોઈયાને રસોઈ કરવામાં સરળતા રહે અને તેનો કાર્યબોજ પણ ઓછો થાય, આ રીતે જ પેલા ચાર પ્રકારના સેલ્સ મગજનું કાર્ય સરળ કરી આપે છે.

રેટીનાના ચાર પ્રકારના સેલ્સ, વસ્તુનો પ્રકાશીત અથવા આછો ભાગ, ડાર્ક અથવા ઘેરો ભાગ, વસ્તુની આગલી ધાર અથવા બાઉન્ડ્રી જેનાથી વસ્તુનું કદ ખબર પડે છે અને વસ્તુની પાછળ તરફની ધાર જેના ધ્વારા વસ્તુની ઊંડાઈનો અંદાજ મળે છે. ચાર પ્રકારના સેલ્સ આવી ચાર જાતની માહિતી મગજને પૂરી પાડે છે.  રેટીનાના આ સેલ્સ જો સાબુત હોય તો સમગ્રપણે નહિ પરંતુ વસ્તુની આછીપાતળી ઓળખ કરવામાં અવરોધ નથી આવતો. જેમકે, ઉમરલાયક વ્યક્તિ ઢળતી ઉમરે, આંખો નબળી પડ્યા બાદ, ચશ્માં પહેરવા છતાં ક્યારેક નજર સામેની વસ્તુ કે વ્યક્તિની પુરેપુરી ઓળખી નથી શકતા. છતાં, જો આવી વ્યક્તિને જે તે વ્યક્તિ કે વસ્તુની માહિતી આપવામાં આવે તો તે તેને તરતજ ઓળખી લે છે. કારણ કે, માનવીનું મગજ જે ચિત્ર એક વખત જુવે તેને મેમરીરૂપે સંઘરી રાખતું હોય છે.

આંખના લેન્સ ધ્વારા પ્રવેશેલા પ્રકાશના કિરણો રેટીનામાં આવેલા ફોટોસ્ફીયર ઉપર પથરાય છે, અહી દરેક ફોટોરીસેપ્ટર એકબીજા સાથે આદાનપ્રદાન ધ્વારા પૂરી માહિતી મેળવી લે છે અને ત્યારબાદ કિરણોને હોરીઝોન્ટલ સેલ તરફ રવાના કરે છે જ્યાં, બધા હોરીઝોન્ટલ સેલ આદાનપ્રદાન ધ્વારા કિરણોની માહિતી વર્ગીકૃત કરે છે. અહીંથી, પ્રકાશિત અને અપ્રકાશિત ભાગના કિરણોને અલગ અલગ કરીને બાયપોલર સેલ તરફ મોકલી અપાય છે, બાયપોલર સેલ પ્રકાશની ત્રીવતા મુજબ વર્ગીકૃત કરીને ગેન્ગલીયન સેલને માહિતી સુપ્રત કરે છે. ગેન્ગલીયન સેલ, જો પ્રકાશ એક સરખો હોય તો ‘ઓન’ સિગ્નલ આપે છે, જો પ્રકાશ વધતો હોય તો ‘વધવાનું’ સિગ્નલ આપે છે, પ્રકાશ ઘટતો હોય તો ‘ઘટવાનું’ અને પ્રકાશની ગેરહાજરીમાં ‘ઓફ’ નું સિગ્નલ આપે છે. ગેન્ગલીયન સેલથી મગજ સુધી સંદેશો લઇ જવાનું કામ જ્ઞાનતંતુઓ અથવા એક્ષોન અને ડેન્ડ્રાઇટ્સ કરે છે.

વૈજ્ઞાનિક મીશા અને મીડે ભેગા મળીને, રેટીના સેલની નકલ કરી માઈક્રો ચીપ બનાવી જેને નામ આપ્યું ‘વિઝન-૧’. સામાન્ય કોમ્પ્યુટર ચીપ કરતાં આ ચીપ કઈ રીતે અલગ પડે છે? ચાલો જોઈએ.

‘વિઝન-૧’ ચીપ બનાવવા પણ સામાન્ય ચિપની જેમ જ એમાં ટ્રાન્ઝીસ્ટર વાપરવામાં આવ્યા છે. ચીપના દરેક ટ્રાન્ઝીસ્ટર, આંખના એક એક કોષની ગરજ સારે છે. દરેક ટ્રાન્ઝીસ્ટર ને મિલીવોલ્ટમાં કરંટ આપવામાં આવે છે જેના કારણે, એક નિશ્ચિત માત્રાનો કરંટ સર્કીટમાં આવેલા બે પોઈન્ટ વચ્ચેના ટ્રાન્ઝીસ્ટરમાં વહેતો રહે છે. આ પ્રકારની ડીઝાઇન, મગજ ના જ્ઞાનતંતુઓ વચ્ચે સાઈનેપ્સ તરીકે ઓળખાતા સંદેશાઓના સંપર્કની ગરજ સારે છે. સર્કિટની ડીઝાઇન મુજબ ટ્રાન્ઝીસ્ટરમાં વહેતો કરંટ તેના મૂળ સ્થાને પાછો આવે છે, જયારે પ્રકાશના કિરણો ફોટોરીસેપ્ટર ને અથડાય છે ત્યારે, તેના ધ્વારા ઉદભવતા સિગ્નલ વડે સર્કિટમાં વહેતા કરંટમાં વધારો થાય છે. આ રીતે થતો વધારો જયારે અમુક નિશ્ચિત હદે પહોંચે ત્યારે એક તીવ્ર સ્પંદન ઉત્પન્ન થાય છે, જેને મગજના કોર્તેક્ષ નામક ભાગ તરફ રવાના કરવામાં આવે છે. રેટીના માંના ચાર પ્રકારના કોષોની નકલ જેવા જ સીલીકોન કોષો બનાવીને સાચા કોષો જેવું જ કાર્ય તાદ્રશ્ય કરી બતાવીને આ બે વૈજ્ઞાનિકોએ કમાલ કરી છે.

આંખના રેટીનાની પ્રતિકૃતિ જેવી માઈક્રો ચીપ વડે વિશ્લેષણ પામતા પ્રકાશના કિરણોને મગજ ઓળખીને જે ચિત્ર આંખોની સામે ખડું કરે છે તે ચિત્ર, કુદરતી આંખની તુલનાએ સંપૂર્ણ તો ન જ કહી શકાય પરંતુ, વસ્તુની ઓળખ કરાવવા માટે પુરતું હોય છે એમ જરૂર કહી શકાય. જે વ્યક્તિના રેટીનામાં ફોટોરીસેપ્ટર સારા છે અને ગેન્ગલીયન સેલ નુકશાનવાળા હોય તેમના માટે તો આ માઈક્રો ચીપ ઉપકારક છે જ પરંતુ, જે વ્યક્તિના ફોટોરીસેપ્ટર સેલ નુકશાન પામ્યા હોય અને ગેન્ગ્લીયન સેલ બરોબર કાર્ય કરતાં હોય તે વ્યક્તિને તેના ચશ્માંની સાથે મીની કેમેરો લગાડી તેના ધ્વારા ઝીલાયેલા પ્રકાશના કિરણોને માઈક્રો ઇલેક્ટ્રોડ  ધ્વારા ગેન્ગ્લીયન સેલ સુધી પહોચાડવાથી તે વ્યક્તિ માટે જોવાનું સરળ બને છે. જો કે આ પદ્ધતિ ની એક મર્યાદા છે કે, આ રીતે જોવા મળતું વિઝન ટનલ વિઝન અથવા ફોસ્ફીન વિઝન હોય છે. આવા વિઝનમાં ચિત્રનો બહુ થોડો ભાગ જ એકસાથે જોવા મળે છે. આખા ચિત્રને જોવા માટે માથાનું હલનચલન કરીને સમગ્ર ચિત્રને વારાફરતી જોઇને સમજવું પડે છે. કેમેરો, બાયનોકયુલર કે સાદા પાઈપ મારફત દેખાતું દ્રશ્ય ટનલ વિઝન કહી શકાય.

આ પ્રકારના વિઝનની મર્યાદાઓ હોવા છતાં, તેના ધ્વારા જે કંઈ પણ દ્રશ્યમાન થાય છે તે અંધ વ્યક્તિ માટે તો ઉપકારક જ છે અને સંશોધન ના આગળના તબક્કાઓ બાદ, શક્ય છે કે આપણી સામાન્ય આંખ જેવું જ દ્રશ્ય બતાવવા વૈજ્ઞાનિકો સફળ થાય! વળી, વિજ્ઞાન ભ્રાંતિ ઉત્પન્ન કરવામાં તો માનતું જ નથી. મોક્ષ મળશે તેવી વાતો કરવા કરતાં આવું અધૂરું દ્રશ્ય પણ અંધજન માટે તો મોક્ષ કરતાં જરાય ઓછુ નથી. સીધી રીતે માનવીને મદદરૂપ થવા સાથે આવી ચીપ આડકતરી રીતે પણ માનવી માટે લાભકારક છે જ. વાહનોમાં સેન્સર તરીકે અથવા સલામતીના સાધનોમાં પણ તેનો ઉપયોગ લાભદાયક છે. વિવિધ ઉપયોગ શક્ય બનવા પાછળનું કારણ છે તેમાં વપરાતો સાવ ઓછો પાવર.

વિજ્ઞાનની આટલી પ્રગતિના સાક્ષી બન્યા બાદ હજુ પણ કુદરતની શક્તિ સામે વિજ્ઞાનની માર્યાદિત તાકાતનો અછડતો ખ્યાલ મેળવી લઈએ. આંખના રેટીનાની જાડાઈ છે અડધો મિલીમીટર અને વજન? ફક્ત અડધો ગ્રામ જ! જયારે માનવીએ બનાવેલી રેટીનાના અવેજ વાળી ચીપ ની જાડાઈ છે ૩ મીલીમીટર.

વિઝન ૧ ચીપ ધ્વારા આંખની તકલીફ વાળાને થોડી તો થોડી મદદ જરૂર મળી છે અને કાનની બહેરાશ ધરાવતી વ્યક્તિને અવાજની ઓળખ કરાવવાનું શક્ય બન્યું છે.

ભગવાનની સાથે સાથે વિજ્ઞાન ઉપર આધાર કે ભરોસો રાખવામાં કદાચ નુકશાન તો નહિજ જાય!

વાયરસ – માનવ શરીરમાં પ્રવેશતા આતંકવાદી

વાયરસ (વીષાણું) – માનવ શરીર – આતંકવાદી, આ ત્રણનો સંગમ કેવી રીતે થાય! આ ત્રણેને સંબંધ શું?

આપડે જાણીએ છીએ કે આતંકવાદી એ આપડા જ સમાજ માંથી પેદા થતા, (આતંકવાદી થતા પહેલા) મારા તમારા જેવા જ માણસો હોય છે. હા, તેમની વર્તણુંક અને વિચારો આપડા બધા કરતાં ખુબ અલગ, ખોટા અને સમાજ ને સમગ્ર રીતે નુકશાનકર્તા હોય છે.

વાયરસ (પછી એ શરીર વિજ્ઞાન વાળા હોય કે કોમ્પ્યુટર વાળા હોય) પણ શરીરના બીજા કોષો જેવા જ હોય છે, ફરક જુવો તો – એ પરોપજીવી ને ભાંગફોડયા પ્રવુત્તિ વાળા હોય છે.

થોડા થોડા સમયાંતરે આપડે સમાચાર સાંભળીયે છે કે. કોલેરા નો વાવર ફેલાયો (જે માટે બેક્ટેરિયા જવાબદાર છે), ચીકનગુન્યા ના કેસ વધી ગયા, કમળો ખુબ ફેલાઈ ગયો કે ફ્લુ થઇ ગયો. આવ રોગો કે તકલીફો થવા માટે જવાબદાર છે વાયરસ. આજે એની ખબર લઈએ.

કમળા વિષેનો તો લેખ આ બ્લોગ ઉપર સૌ પ્રથમ લખાઈ ગયો છે.

ચીકનગુન્યા માટે જવાબદાર આલ્ફા વાયરસ છે, જેમાં R.N.A. હોય છે અને ‘એડીસ ઈજીપ્ત’ નામના મચ્છરના કરડવાથી આ વાયરસ આપડા શરીરમાં દાખલ થતા હોય છે. શરીરમાં દાખલ થયા બાદ આ વાયરસ આપડા હાડકાંના સાંધાના કોષોમાં પગ-પેસારો કરીને ત્યાં રીતસરનો અડ્ડો જમાવી બેસી જાય છે જેના કારણે સાંધામાં સોજા આવે છે અને હલન ચલન એકદમ નિયંત્રિત અને દુઃખદાયક બની જાય છે. વાયરસનો ફેલાવો ન રોકાય તો એ મગજમાં પણ સ્થાન જમાવે છે જ્યાંથી એ વ્યક્તિની કરોડરજ્જુ ને નિશાન બનાવે છે, જેનાથી તમારું શરીર કાબુમાં નથી રહેતું અને વ્યક્તિએ ફરજીયાત પથારીમાં જ આરામ કરવાનો આવે છે. ચીકનગુન્યા ની શરૂઆત તાવથી થાય છે જે ૧૦૧ થી ૧૦૪ ડીગ્રી ફેરનહાઈટ વચ્ચે રહે છે. (આ તાવ શું છે? અને તેની અસરો શું થતી હોય છે? તે આપડે બીજા લેખમાં જોઈશું) તાવ આવવા સાથે માથાનો દુઃખાવો, ઉબકા, ઉલટી થવી જેવી નિશાનીઓ દેખાય તો સમજી જવું કે ચીકનગુન્યા ની શરૂઆત થઇ ગઈ છે. તાવ ઉતરતા ૨ થી ૩ દિવસ લાગે છે જયારે, સાંધાનો દુઃખાવો ૫ થી લઈને ૧૫ દિવસ સુધી (ઘણા કિસ્સામાં તો એનાથી વધારે) ચાલવાની શક્યતા છે.

હવે મૂળ મુદ્દા વાયરસ ઉપર પાછા આવી જઈએ. વાયરસ છે શું? અપડે એ તો જાણીએ છીએ કે. આપણું શરીર વિવિધ કોષોનું બનેલું છે. દરેક કોશનું બંધારણ DNA કે RNA વડે નક્કી થાય છે. દરેક કોષે પોતે શું કામગીરી બજાવવાની છે અથવા તો કેવા પ્રકારનું વર્તન કરવાનું છે કે, કેટલા સમય પુરતું શરીરમાં જીવિત રહેવાનું છે અને સૌથી મહત્વનું, પોતાની પાછળ કોશની પ્રતિકૃતિરૂપે કેટલી ‘પેઢી’ છોડી જવાની છે, આ બદ્ધે બદ્ધું પેલા DNA કે RNA માં ‘વિગતવાર’ લખેલું હોય છે. એમ સમજો ને કે, એક રીતે આ કોષની જન્મકુંડલી જ છે.

અપડે શરુમાં જોયું કે, વાયરસ પણ એક કોષ જ છે જેને પોતાને પણ DNA કે RNA તો હોય છે જ પરંતુ, ખામીયુક્ત. માટે, શરીરના  સ્વસ્થ કોષ અને વાયરસ વચ્ચે તફાવત કેટલો? જવાબ બહુ સરળ છે – એક જવાબદાર નાગરિક અને સમાજ માટે કલંકરૂપ અને નુકશાનકર્તા આતંકવાદી જેટલો!

વાયરસને આપણે, રોગ પ્રસરાવતા કોષો કહી શકીએ ખરા જે, મનુષ્ય, પ્રાણી, છોડ, ફૂગ, જીવાણું ધ્વારા ફેલાતા હોય છે. વાયરસ હવા, પાણી, પ્રાણી કે બીજા પ્રવાહી અને માનવીની લાળ ધ્વારા પણ ફેલાઈ શકે છે. વાયરસને નરી આંખે જોઈ શકાય ખરા!? ના. નરી આંખે તો શું પરંતુ, સદા માઈક્રોસ્કોપ વડે જોવા અશક્ય છે તેથી જ, સદીઓ સુધી વૈજ્ઞાનિકો અને સંશોધકો ની નજરથી ઓઝલ રહી શક્યા. આનું કારણ વાયરસની સાઈઝ છે, વાયરસ ૩૦ થી ૪૫૦ નેનોમીટર સાઈઝના હોય છે (૧ નેનોમીટર = ૦.૦૦૦૦૦૦૦૦૧ મીટર) જેને જોવા માટે ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વાપરવા પડે. ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપની શોધ થઇ ૧૯૩૦ ના દશકમાં (ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વસ્તુને ૭૦૦0 ગણી મોટી કરી બતાવે છે).

વાયરસની મોટ્ટી ખાસિયત કહો કે ખામી, વાયરસ પોતે પરોપજીવી હોઈને એકલા કાર્યક્ષમ નથી રહી શકતા, તેને જીવવા માટે તેમજ પોતાની હાજરી દર્શાવવા માટે બીજા સ્વસ્થ કોષોનો સહારો લેવો જ પડે છે (આતંકવાદી પણ સમાજના ટેકા વગર નિર્માલ્ય બની જાય છે). વાયરસ, શરીર ના વિવિધ માર્ગો જેવા કે – ગળું, નાક, ચામડી વગેરે ધ્વારા ઘુસણખોરી કરીને શરીરના સ્વસ્થ કોષો ની દીવાલ ને ભેદીને અંદર પ્રવેશ કરે છે. અંદર પ્રવેશ્ય બાદ, જે તે કોષ ને પોતાનું ખામીયુક્ત DNA આપી સ્વસ્થ કોષ ની કાર્યપ્રણાલી છિન્નભિન્ન કરી નાંખે છે. આટલું કામ કર્યા બાદ વાયરસ બહાર નીકળી જાય છે અને નવો શિકાર શોધે છે!

બીજી રીત અનુસાર, વાયરસ જે તે કોષ ની અંદર જ રહીને પોતાની સંખ્યાવૃદ્ધિ કરતાં રહીને એક તબક્કે સ્વસ્થ કોષને ફુલાવીને ફાડી નાંખે છે. આ રીતે સ્વસ્થ કોષ ની અંદર વૃદ્ધિ પામેલા અસંખ્ય વાયરસ નવા સ્વસ્થ કોષો ની તલાશ સામુહિક રીતે શરુ કરી દે છે. પરિણામ? શરીરના જે તે અવયવ ના સ્વસ્થ કોષોનું વિષમ કોષોમાં રૂપાંતર કે સદંતર ખાત્મો (લેખ વાંચવા સાથે, મગજના એક ખૂણામાં આતંકવાદ ને રાખીને સરખાવતા જજો).

આપણે ઉપર જોયું એમ, વાયરસનો શરીરમાં પ્રવેશ અને સ્વસ્થ કોષ નો ખાત્મો અથવા તો રોગના પગરણ, એ શું આટલી સરળ પ્રક્રિયા છે? અથવા, શરીર આ પ્રક્રિયા સામે કોઈ પ્રતિક્રિયા કે લડત આપતું જ નથી? ના. સાવ એવું તો ન જ હોય ને! ભગવાન આટલી ખામીયુક્ત વ્યવસ્થા તો ન જ બનાવે ને! ભગવાને, રોગ સામે લડવા, જીવાણું કે વીષાણું વગેરે સામે ટક્કર ઝીલવા રક્ષા પ્રણાલી ગોઠવેલી જ છે. જેને આપડે ‘રોગ પ્રતિકારક શક્તિ’ કહીએ છીએ. બાળક નાનું હોય ત્યારે એનામાં આ શક્તિ બહુ કાર્યક્ષમ રીતે વિકસેલી નથી હોતી, આથી જ નાના બાળકને રક્ષણ માટે માતાનું ધાવણ ભગવાને નિર્મિત કર્યું છે, એના વડે બાળક સ્વસ્થ અને મજબુત રહે છે. આટલા પુરતું પણ, પછાત ગણાઇ જવાની બીક મુકી, શરમ ન રાખતા બાળકને બહારનું દૂધ આપવા કરતા માતાનું ધાવણ આપવું જોઈએ જેનાથી, બાળક વાયરસ અને રોગો સામે રક્ષણ પામે, આ ઉપરાંત ય બીજા ઘણા ફાયદા તો ખરા જ.

શરીરમાં ફરતા લોહીનું મુખ્ય કાર્ય, હવામાંથી મળેલ ઓક્શીજ્નને શરીરના દરેક કોષો સુધી પહોંચાડી તેને જીવંત રાખવાનું છે. લોહીમાં રહેલા વિવિધ ઘટકોનું પણ મહત્વનું કાર્ય રહેલું છે જેમ કે,સફેદ રક્તકણોમાં બી-સેલ અને ટી-સેલ હોય છે, બી-સેલ ને આપણે સુરક્ષાકર્મી કહીશું, જેનું કાર્ય સતત ચોકીપહેરો કરતાં રહીને શરીરમાં પ્રવેશતા બહારના તત્વોને શોધી કાઢીને તેની જાણ ટી-સેલ ને કરવાનું હોય છે. ટી-સેલને માહિતી મળતાં જ તેણે વાયરસ જેવા તત્વોનો ખાત્મો બોલાવી દેવાનો હોય છે. એકવાર આવો ખાત્મો બોલાવી દીધા બાદ, બન્ને પ્રકારના સેલ થોડો સમય ચોકીપહેરો ચાલુ રાખે છે.

લશ્કર જેવી સુરક્ષા વ્યવસ્થા શરીરમાં હોવા છતાં, વાયરસ શરીરમાં પ્રવેશ કેવી રીતે કરી શકે છે? જે રીતે એક આતંકવાદી સુરક્ષા વ્યવસ્થામાં છીંડા શોધીને અલગ અલગ રૂપ ધરીને ઘૂસણખોરી કરી લેતા હોય છે. તેવી જ રીતે વાયરસ પણ કોષના બંધારણમાં છેદ શોધી અથવા, ક્યારેક પોતે પણ સ્વસ્થ કોશનો દેખાવ ધરીને પ્રવેશ મેળવી લેતા હોય છે. એકવાર શરીરમાં પ્રવેશ કર્યા બાદ, વાયરસનું કાતિલ હથિયાર છે એની ઝડપ! મોટાભાગના વાયરસ શરીરમાં પ્રવેશ્ય કર્યા બાદ થોડા જ કલાકો માં પોતાનો પરચો બતાવવા માંડે છે. દરેક વાયરસ નો શરીરમાં પ્રવેશ બાદ સુષુપ્ત રહેવાનો એક નક્કી સમયગાળો હોય છે. એચ.આઈ.વી. વાયરસ આમાં અપવાદ છે – એ ૭ થી ૧૨ વર્ષ સુધી શરીરમાં સુષુપ્ત રહી શકે છે. આ વાયરસ થી એઈડ્ઝ નામક તકલીફ થઇ શકે છે. આશ્ચર્ય થાય છે ને કે એઈડ્ઝ ને રોગના બદલે તકલીફ એવું શા માટે કહ્યું! એચ.આઈ.વી. ના હુમલાના કારણે શરીર માંના ટી-સેલ ખતમ થવાથી, શરીરની રોગ પ્રતિકારક શક્તિનો ક્ષય અથવા તો ખાત્મો થતો હોય છે ત્યારબાદ, માનવીને નાની મોટી બીમારી લાગુ પડે તો ઝટ સ્વાસ્થ્ય પ્રાપ્ત થતું નથી. જેમ મધુપ્રમેહ ના ‘કારણે’ માણસ મરી નથી જતો પરંતુ, શરીરમાં નાની મોટી ઈજા થાય કે વાઢકાપ કરવાની જરૂર ઉભી થાય ત્યારે સંકટ આવી શકે છે, ઝટ રૂઝ નથી આવતી.

હવે વાયરસના વિવિધ પ્રકારોની માહિતી જોઈ લઈએ.

 

હંટા વાયરસ કીડની ને નુકશાન કરતાં હોય છે.

સીન નોમ્બર વાયરસ ફેફસાંને અસર કરે છે.

લાક્રોચ વાયરસ મગજને અસર કરે છે.

નોરવોક અને રોટા વાયરસ ઝાડા-ઉલ્ટી કરાવે છે.

ઇબોલા માગબર્ગ વાયરસ વડે સખત તાવ આવે છે.

એકો વાયરસ વડે મેનેન્જાઈટીસ થતો હોય છે, સામાન્ય ભાષામાં એને મગજના તાવ તરીકે ઓળખાય છે.

કોક્ષાકી વાયરસ હાથના સ્નાયુને નુકશાન કરે છે.

રેબીસ વાયરસ હડકવાનો રોગ લાગુ પાડે છે, રેબીસ વાયરસ પ્રથમ શરીરની નર્વસ સીસ્ટમ ઉપર હુમલો કર્યા બાદ મગજને નુકશાન કરે છે.

રૂબેલા અને સાઈટોમેગાલો વાયરસ બાળકમાં જન્મથી ખોડ ઉત્પન્ન કરે છે.

બહુ જાણીતો હેપેટાઈટીસ બી અને સી વાયરસ કમળા ને જન્મ આપે છે, આમાં લીવર ઉપર સોજો આવે છે (કમળા ઉપર આ જ બ્લોગ ઉપર એક અલગ પોસ્ટ છે જ)

ઇન્ફ્લુએન્ઝા એ અને બી પ્રકારના વાયરસ ફ્લુનો રોગ નોંતરે છે.

એડેનો, કેરોના, મીક્ઝો અને રીનો વાયરસ વડે, તમે અને હું લગભગ વર્ષ આખા દરમ્યાન બે થી ત્રણ વખત પરેશાન થઈએ છીએ એ ‘શરદી’ થાય છે. શરદી ના વાયરસ એક વખત ખતમ થયા બાદ ઝટ દેખા દેતા નથી જયારે ફ્લુના વાયરસ વારંવાર હુમલો કરવા માટે બદનામ છે.

સૌથી મહત્વની વાત, વિવિધ પ્રકારના વાયરસથી બચાવ કરવાની સચોટ પદ્ધતિ એટલે – હવા, પાણી, ખોરાક સુદ્ધ હોય એ જોવું. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધુ રહે એવા પ્રયત્નો કરતાં રહેવું.

વૈજ્ઞાનિકો અને સંશોધકો વાયરસ ઉપર કાબૂ મેળવવા એકધારા પ્રયત્નો કરી જ રહ્યા છે છતાં, હજી સુધી તેમાં સંપૂર્ણ સફળ થયા નથી.

ભગવાન જેવી કોઈ ચીજ છે ને!

Earth Day અને બાયોસ્ફીયર બોલે તો! જીવન નું આવરણ

હમણાં જ અર્થ ડે, શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો ‘પૃથ્વી દિવસ’ ગયો ૨૨ એપ્રિલ ના રોજ. તમે કહેશો કે, એ તો દર વર્ષે ઉજવાય છે સરકારી ‘કાર્યક્રમો’ માં, અને ઘણી સામાજિક સંસ્થાઓ એને સીરીયસલી પણ ઉજવે છે.

આ ‘પૃથ્વી દિવસ’ ઉજવવાની જરૂર શા માટે પડી?! બહુ સીધો જવાબ છે એનો – માનવી, મજબુરી વગર કે જરૂરીયાત વગર કંઈ કરતો નથી.

આપડે ભારતવાસીઓ જેને માતા નો દરજ્જો આપીએ છીએ તે પૃથ્વી, માનવ સહિત બીજા પ્રાણી, પક્ષી, જીવજંતુ, જળચર, ઝાડપાન, નદી, સમુદ્ર – આ બધા માટે ય છે. તદુપરાંત, આપડે ગમે તેટલા બુદ્ધિવાળા હોઈએ, કેટલીય શોધખોળો કરી હોય છતાં, જીવવા માટે જે જે જરૂરી છે એ બનાવી શકવાની ક્ષમતા હજી માનવ માં આવી નથી માટે, આ બધાને બચાવવા કે સાચવવું એ આપણા હિતમાં છે એટલે જ, ‘પૃથ્વી દિવસ’ ઉજવ્યા વગર છૂટકો નથી.

પૃથ્વી ઉપર માનવીએ પોતાની વસ્તી વધારતા રહીને, બીજા પ્રાણી કે જીવોનો સંહાર કરતાં રહીને જે સમતુલા ખોરવી છે, અને પૃથ્વી ઉપર ભાર વધારી દીધો છે, એના કારણે હવે બીજા ગ્રહ તરફ નજર ને મગજ દોડાવી, રોકેટ ઉડાડી ને રહેઠાણ માટેનો પર્યાય શોધવો જ રહ્યો. આવી શોધખોળમાં માનવી લાગેલો જ છે. બીજા ગ્રહ ઉપર જીવન શક્ય છે કે કેમ? એ વિષયે તપાસ તો ક્યારની ય આરંભી દીધી છે. આમ કરતાં સૌથી પહેલી નજર પડી છે મંગળ ગ્રહ ઉપર.

વર્તમાનમાં તો માનવી ની હાલત તો રણમાં પેટ્રોલ વગર કાર સાથે ફસાઈ ગયેલા મુસાફર જેવી છે, જેને પેટ્રોલ ની જરૂર તો છે પરંતુ, એ કઈ દિશામાં મળશે? કેટલે દુર મળશે? અથવા એમ કહો ને કે, મળશે કે નહિ મળે? કંઈ કરતાં કંઈ જ ખબર નથી. છતાં આશ્વાસન માટે, આપડી હાલત હજી અતિશય ખરાબ નથી થઇ ગઈ, પૃથ્વી ઉપર સાધનો સાવ ખલાશ નથી થઇ ગયા. જો થોડી સાવધાની રાખીને એનો વાપર કરીએ અને, સાથે સાથે કુદરત સાથે તાદાત્મ્ય સાધીને જીવન જીવીએ તો બીજો વિકલ્પ મળતા સુધી – આપણને પોતાને તેમજ, ઉપર વર્ણવ્યા એ બધા જીવો, ઝાડ વગેરેને ય વાંધો આવે એવું નથી.

હવે, આના માટે કરવું શું જોઈએ? પૃથ્વી દિવસ ઉજવવા સીવાય! તો જાણી લો કે, આપડે બાયોસ્ફીયર ને સમજીને તેના માટે જરૂરી બધું અમલમાં મુકીએ તો થોડાક તો સારાવાના થઇ શકે એમ છે.

આજકાલ બાયો શબ્દ ઘણી બધી જગ્યાએ અને વસ્તુ સાથે જોડાય છે. બાયો સેફ ફિલ્ટર, બાયો સેફ ફ્રીઝ, બાયો સેફ પ્લાસ્ટિક વગેરે. આ બાયો અને બાયોસ્ફીયર છે શું?!

In Greek Bios = Life and Sphere = Layer મતલબ, જીવન નું આવરણ કે સ્તર કહીએ તો ખોટું નથી.

ઉપરના ફોટામાં જોઈએ તો સમજાય કે પૃથ્વીમાં ઘણા ભાગ કે સ્તર છે – હાઇડ્રોસ્ફીયર (સમુદ્ર, નદી વગેરે), લીથોસ્ફીયર (પહાડ, જમીન), એટ્મોસ્ફીયર (હવા અને બીજા તત્વોનું આવરણ જે પૃથ્વીને ધાબળા ની જેમ વીંટળાયેલું છે) આ બધાને જોડતી કડી એટલે બાયોસ્ફીયર, જે સમુદ્રની આસરે ૮ કિમી ની ઉંડાઈ થી લઈને, જમીન ઉપરના ઝાડપાન, સમુદ્ર સપાટીથી ઉપર ૧૦ કિમી સુધીમાં જેટલું આવે એ બધું એકબીજા સાથે જોડાયેલું રાખે, એ. (એક આડવાત, ઉચાઈમાં જેટલા ઉપર જઈએ એમ ઑક્સિજન ઓછો થતો જાય અને તાપમાન ય નીચું થતું જાય (એટલા માટે જ પ્લેન બધા પ્રેસરાઈઝ્ડ હોય છે અને ઈમરજન્સીમાં ઓક્શીજ્ન માસ્ક તમારા મોઢા પાસે અવેલેબલ થાય છે), સમુદ્રમાં ૧ કિમી બાદ ઉંડા જઈએ તો ત્યાં પ્રકાશ પહોચતો ન હોઈને  ગાઢ અંધકાર હોય છે અને તાપમાન ય નીચું થતું જતું હોય છે.)

.

 

બાયોસ્ફીયર શબ્દ સૌ પ્રથમ ઓસ્ટ્રિયન ભૂસ્તરશાસ્ત્રી એડવર્ડ સ્વેઝએ આશરે ૧૦૦ થી વધારે વર્ષો પૂર્વે ઉપયોગ કર્યો હતો, જયારે એમણે (ધ ફેસ ઓફ અર્થ’ નામથી ૪ ગ્રંથ લખ્યા હતા.

બાયોસ્ફીયર એ કોઈ એક ચીજ કે જગ્યાનું નામ નથી. લગભગ ૩.૫ લાખ જેટલી જાતના ઝાડપાન જેમાં લીલ, સેવાળ, મોસ જેવા અનેક છોડ આવી જાય છે તે અને ૧૧ લાખ જેટલા જીવ જંતુઓ જેમાં એકકોષી અમીબાથી લઈને બહુ કોષી માનવી સુધીના આવી જાય છે, આ બધાને જીવવા માટે જરૂરી પાણી, ખોરાક તથા રહેવા માટેની જગ્યા – આ બધું બાયોસ્ફીયર ને આભારી છે!

બાયોસ્ફીયર ને ઇકોસ્ફીયર (કે ઇકોસીસ્ટમ) પણ કહેવાય છે. ઇકોસીસ્ટમ ઉત્ક્રાંતિને અનુસરીને સદીઓ પછી પોતાની ઘટમાળ ગોઠવી શક્યું છે. સદર ઘટમાળ અથવા ચક્ર ના બધા ભાગો – હવા, પાણી, પ્રાણી, જીવાણું, વિષાણું, માનવ તેમજ ઝાડપાન બધા એકબીજાના ટેકાથી જીવી રહ્યા છે, કહો કે ટકી રહ્યા છે, તો ય ખોટું નથી જ. અદ્રશ્ય રીતે, ક્યાંક ને ક્યાંક આ બધા એકબીજા સાથે સંકળાયેલા છે. ઝાડપાન, પ્રાણીઓ અને માઈક્રોબ્સ વગેરે પૃથ્વી ઉપર ૧. શક્તિ ૨. ગરમી ૩. કાર્બન ૪. ઑક્સિજન ૫. નાઈટ્રોજન વગેરેના સહકારથી જ પોતાનું અસ્તિત્વ ટકાવી શકયા છે. આ દરેક પાસા ને સમજવાથી બાયોસ્ફીયર સમજાશે…

૧. શક્તિ અથવા ઉર્જા:

બાયોસ્ફીયર માટે જરૂરી ઉર્જાના ૯૯.૯૮% સૂર્ય શક્તિ અથવા સૂર્ય પ્રકાશ માંથી આવે છે. સૂર્યના પ્રકાશમાં ઉર્જાનો ધોધ સમાયેલો છે જેને વૈજ્ઞાનિકો ‘ક્વોન્ટમ’ (એકવચન) તરીકે ઓળખે છે. ક્વોન્ટમમાં જે ઉર્જા છે તેનો સીધો સંબંધ તેની તરંગલંબાઈ સાથે હોય છે, જેમ તરંગ લંબાઈ ટૂંકી તેમ તેના આંદોલનો વધારે અને તેથી જ તેમાં ઉર્જા વધારે. પૃથ્વી ઉપર આપડા બધાના જીવનનો આધાર સૂર્ય દેવ છે. સુર્યપ્રકાશ (અને પાણી) વડે જ ઝાડપાન, બેક્ટેરિયા અને પ્રોટીસ્ટસ (અમીબા અને લીલ જેવા એક કોષી જીવ) ફોટોસિન્થેસિસ કરીને એનર્જી પોતાનામાં સમાવી લે છે, બાદમાં બહારથી કાર્બન ડાયોક્સાઇડ લઈને તના ઉપયોગ થકી એનર્જી ને સુગર અને ઑક્સિજનમાં પરિવર્તિત કરે છે, સુગરને પોતાની અંદર સાચવી રાખીને પોતાનો વિકાસ કર્યા કરે છે અને ઑક્સિજન નું આપણને ‘મહાદાન’ કરી દે છે. ઝાડપાનમાં  સંકલિત થયેલી ઉર્જા, શાકાહારી પ્રાણી જયારે ઝાડપાન નો ખોરાક માટે ઉપયોગ કરે છે ત્યારે, તેમને મળે છે, ફરીથી દાન!

માંસાહારી પ્રાણી જયારે શાકાહારી પ્રાણીનો શિકાર કરે છે ત્યારે એ પ્રાણીમાં રહેલી ઉર્જા તેને મળે છે, ફરીથી દાન!

મનુષ્ય, શાકાહારી ખોરાક અને માંસાહારી ખોરાક બંનેમાંથી ઉર્જા મેળવે છે – આપતો કોઈને નથી! મતલબી.

ઉર્જાનું આવું ચક્ર તો સનાતન ચાલુ જ રહે છે છતાં, વણવપરાયેલી ઉર્જા તો રહેવાની જ ને! આવી ઉર્જા, વિનાશ પામેલા છોડ કે પ્રાણી સાથે જમીનમાં દફન થઇ જાય છે કે ભળી જાય છે જેને, વીષાણુંઓ વિઘટિત કરીને પાણી, કાર્બન ડાયોક્સાઇડ, ગરમી વગેરેને એટ્મોસ્ફીયર માં ભેળવી દે છે તેમજ (હજી) વધેલા તત્વો જમીનમાં ભળી જાય છે. નવા છોડ, પોતાને જોઈતા ન્યુટ્રીયન્ટસ જમીનમાંથી મેળવી કુદરતના આ ચક્રને ચાલુ રાખે છે.

ટોટલ રિસાઈકલ છે ને! માનવને ખોટું ગુમાન છે કે રિસાઈલ એને શોધ્યું.

૨. ગરમી:

જીવન જીવવા અને ટકાવવા માટે ગરમી ખુબ જરૂરી છે, જે સૂર્ય માંથી મળી રહે છે. સૂર્ય પોતાના દળ માંથી દર સેકન્ડે ૩૬ લાખ મેટ્રિક ટન જથ્થો બાળે છે જેના વડે ઉત્પન્ન થતી ગરમી માંથી ફક્ત ૨ કેલેરી/ ચો. સે.મી. ગરમી જ પૃથ્વી સુધી પહોંચે છે. આ જથ્થા માંથી ૨% ગરમી વાતાવરણની બહાર રહેલું ઓઝોનનું પડ શોષી લે છે. વાતાવરણનો ભેજ, કાર્બન ડાયોક્શાઈડ વગેરે બીજી ૧૮% ગરમી લઇ લે છે. ત્યારબાદ, વાદળો લગભગ ૨૦% ગરમીને અવકાશમાં પરાવર્તિત કરી નાંખે છે. ૨૨% ગરમીને વાતાવરણ માં રહેલા રજકણો વિખેરી નાંખે છે, જેમાંથી ઘટી ગયેલી તીવ્રતા વાળી ૧૬% ગરમી પૃથ્વી સુધી પહોંચે છે અને ૬% અવકાશમાં નાશ પામે છે. આના પછી ૩૮% ગરમી માં ના ૭% લાંબી તરંગ લંબાઈ વાળા કિરણોને પૃથ્વી પાછા વાળી દે છે.

સમગ્ર રીતે જોતા, ૪૭% જેટલી ગરમી પૃથ્વીની સપાટી સુધી પહોંચે જેમની ફક્ત ૧% જ ગરમી ઝાડપાન ફોટો સિન્થેસિસ માટે વાપરે છે.

સૂર્ય અને પૃથ્વીની સપાટી વચ્ચે સેતુ તરીકેની ફરજ બજાવતું વાતાવરણ ૫% ગરમી પોતાના પડમાં એવી રીતે સમાવી રાખે છે કે જેની જરૂર પડે છૂટી કરી વાપરી શકાય. ૨૪% ગરમીને સમુદ્ર, નદી, તળાવ ના પાણી સંગ્રહી લઈને પાણીની વરાળ બનાવી આપે છે.

પૃથ્વી સુધી પહોચતી ગરમી ને શોષી લેવાનું. પરાવર્તિત કરવાનું ચક્ર સમતોલ રીતે ચાલવું જોઈએ. કારણ કે, જો તેમ ન થાય તો – કાં તો પૃથ્વી ઉપર ગરમી વધી પડે અથવા તો ઠંડી વધી પડે. છેલ્લા થોડાક દસકાઓ થી આપડે જે સમસ્યા નો સામનો કરી રહ્યા છીએ તે આ જ છે.

આજકાલ લોકો સહજ રીતે ફરિયાદ કરતાં જોવા મળે છે કે ‘આગલા વર્ષ કરતાં આ વર્ષે ગરમી વધુ છે!’

વાતાવરણ માંથી ૨૪% ગરમીને શોષી લેતું પાણી કેટલું હશે? બહુ જ થોડું, લગભગ ૦.૦૦૧%. છતાં, આટલું પાણી ગરમી શોષી, વરાળ થઇ, વાદળ રૂપે બંધાઈને, હવાના દબાણમાં થતા ફેરફાર થકી વરસાદરૂપે પૃથ્વીને ઠંડી કરવા, ઝાડપાન ની વૃદ્ધિ કરવા, પ્રાણીઓ અને માનવી ને પીવાના પાણી ની અછત પૂરી કરવા આવી જાય છે. તેરા તુઝકો અર્પણ!

૩. કાર્બન:

બાયોસ્ફીયર ના બહુજ જટિલ ચક્રમાં, કાર્બનના સંયોજનો એક સતત ચાલતી પ્રક્રિયા હેઠળ બને છે, પરિવર્તિત થાય છે અને છેવટે નાશ પામી ફરી ચક્રમાં જોડાઈ જાય છે.

ઝાડપાન ફોટો સિન્થેસિસ વડે ઑક્સિજન બનાવી હવામાં પ્રસારિત કરે છે જયારે, માનવી ઉચ્છવાસ ધ્વારા કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. વિષાણું, મરેલા પ્રાણી, છોડ વગેરે સડન અને વિઘટન ધ્વારા છુટા પાડીને કાર્બન ડાયોક્સાઇડનો વધારો કરે છે. ઉચ્છવાસ અને સડન વિઘટન ધ્વારા બનતો કાર્બન ડાયોક્સાઇડ એ સતત ચાલતી પ્રક્રિયા છે જયારે ઝાડપાન ધ્વારા બનતો ઑક્સિજન એ ફક્ત દિવસે પ્રકાશમાં ચાલતી પ્રક્રિયા છે. દિવસ દરમ્યાન કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ ૩૦૦ PPM જેટલું જયારે રાત્રે પ્રમાણ વધીને ૪૦૦ PPM જેટલું થઇ જતું હોય છે. પૃથ્વીની પોતાની પાસે કાર્બન ની સંગ્રહિત જથ્થો તો છે જ. આમાં આપણે રસાયણિક બળતણો વાપરીને વાતાવરણ માંનો જથ્થો વધારી મુકીએ છીએ!

૪. ઓક્શીજ્ન:

ઘણા વિજ્ઞાનીઓ ના મતે, સૂર્યકિરણો માંના પારરકત (ઇન્ફ્રા રેડ) કિરણો વડે વાતાવરણ માં રહેલા પાણીનું વિઘટન થવાથી હાઈડ્રોજન અને ઓક્શીજ્નનો જન્મ થયો હતો. ભૂતકાળ જવા દઈએ, વર્તમાનકાળમાં ઝાડપાન જ ઑક્સિજનનું પ્રમાણ જાળવવા માં એકલપંડે પ્રવુત્ત છે જયારે, માનવી આ જ ઝાડપાન નો ખુરદો બોલાવવા માં રત છે. આ ઉપરાંત, બીજા બળતણો ધ્વારા પણ ઑક્સિજન ચક્રને નુકશાન કરી રહ્યો છે. જે ડાળ ઉપર બેઠો છે એને જ કાપી રહ્યો છે!

૫. નાઈટ્રોજન:

હવામાં ૭૮% નાઈટ્રોજન ગેસના રૂપમાં હાજર છે. આ નાઈટ્રોજનને એમોનીયા અને નાઈટ્રેટમાં પરિવર્તિત કરવો પડે છે જેથી, જીવંત કોષ વગેરે તેનો ઉપયોગ કરી શકે. વાદળોમાં ઉત્પન્ન થતી વીજળીમાં રહેલી પ્રચંડ ઉર્જા વાતાવરણ માંના નાઈટ્રોજન અને ઑક્સિજન ને ભેગા કરી નાઈટ્રેટસ બનાવે છે. આ પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવતા જીવાણું, સયનો બેક્ટેરિયા, જળો, અળસિયા વગેરે આ ચક્રને ફરતું રાખે છે.એમોનીયા અને નાઈટ્રેટસ માં પરિવર્તિત પામેલો નાઈટ્રોજન છોડમાં પ્રોટીનના રૂપમાં જમા થાય છે. જમા થયેલો નાઈટ્રોજન ખોરાકની સાંકળ દ્વારા છોડ-શાકાહારી પ્રાણી-માંસાહારી પ્રાણી એમ ફરવા માંડે છે. પ્રાણીના મરણ થયા બાદ નાઈટ્રોજનના સંયોજનો છુટા પડી પાછા અમોનિયા માં પરિવર્તિત થાય છે જેને છોડ ઉપયોગ માં લે છે, બાકી વધેલો ભાગ પાણીમાં ઓગળી જમીન સાથે ભળી જાય છે.

જંગલનો થયેલો ઘટાડો તથા વાહનો ના ધુમાડા માં થયેલો વધારો – નાઈટ્રોજન ચક્રમાં દોષ લાવી રહ્યો છે.

ઉપર જણાવેલી એક પણ ચીજ વગર માનવી, પ્રાણી કે ઝાડપાનનું અસ્તિત્વ ખતરા માં આવવું નક્કી જ છે માટે, આ બધાને જાળવવી ને જ દરેકના સહકારથી જીવવાથી જ આગળનું જીવન શક્ય છે. બાકી મંગળ ઉપર જીવન શોધવાથી થોડો સમય કદાચ રાહત જરૂર મળી શકે પરંતુ, માનવીનો ભૂતકાળ અને વર્તમાનકાળ જોતા, ત્યાં ય આજ હાલત બહુ વહેલી આવી જશે, એ નક્કી અને સરવાળે…ઠેર ના ઠેર થવામાં આપડે કોઈની મદદની જરૂર નહિ પડે – માનવ એના માટે સ્વાવલંબી છે!

છેલ્લે, જે બચ્યું છે એને સાચવીને અને નવા ઝાડપાન ઉગાડીને, પાણીને પ્રદુષિત કરવાનું રોકીને, હવાને ચોક્ખી રહેવા દઈને જ જીવન જીવવું પડે એવું છે, એ સિવાય કઈ બીજો શોર્ટ કટ નથી.

આથી જ, ૨૨ એપ્રિલ ની તારીખ યાદ રાખીને ત્યારબાદ આખા વર્ષ દરમ્યાન બાયોસ્ફીયર ને ચેતનવંતુ રાખવાની ટેવ પાડવી, આપડા સૌના હિતમાં છે.