કૃષ્ણજન્મનો વહેમ

આજે ફરી પાછો કૃષ્ણજન્મનો વહેમ ઉજવાશે. ફરી એની એ જ ધમાલ મંદિરોમાં જઈને સૌ વહેંચશે. જન્મ થયાની જાહેરાત પણ ઘડીયાળના આશરે ને ઘડીયાળના વીશ્વાસે થશે. સાચેસાચ જાણે કૃષ્ણ ધરતી પર આવી ગયાનો સંતોષ અને એ સંતોષની પાછળ પાછળ જ ‘હવે કાંઈ કરવાનું રહેતું નથી’ની યુગ જુની નીષ્ક્રીયતા પ્રસાદરુપે વહેંચાશે. હવે કાનુડો બધું સંભાળી લેશેવાળી ધરપત સૌને ફરી વળશે. આખો દીવસ કરેલા ઉપવાસનું પુણ્ય ફળ્યાનો સંતોષ લઈને સૌ પોઢી જશે – તાજા જ જન્મેલાને ઘોડીયે એકલો મુકીને.

બીજે દીવસે તો પારણાં ! પેલાને હેતે પારણે હીંચકાવવા માટેનો દીવસ. પણ ભક્તો ગઈકાલના ઉપવાસની નબળાઈમાં ને નબળાઈમાં પારણાં શબ્દનો અનર્થ કરી બેસીને ઉપવાસનાં પારણાં એવો અર્થ સ્વીકારી લેશે ને એમ ગૃહીણીઓ ઘર આખાને પકવાન પીરસવાની તૈયારીમાં કેડ બાંધીને રસોડું સંભાળી લેશે. કાનો તો હવે એની જાતે જ મોટો થતો રહેશે. નાહીને એક વાર હીંચકાવી દીધો એટલે હાંઉં.

બસ અહીં કૃષ્ણવાળી વારતા પુરી થાય છે. શ્રાવણ માસ પુરતી ભક્તી હજી ટકી રહી છે એટલે ખાસ કરીને બચેલા સોમવારને સંભારીને શીવમંદીરો પુરતો હજીય શ્રદ્ધાનો ઘંટારવ ગાજતો–વહેતો રહેશે. મંદીરોની બહાર લીલાં પાંદડાંના ઢગલામાંથી બીલીપત્રને શોધવાની તસ્દી લીધા વગર જે કાંઈ લીલું છે તે બધું બીલીપત્ર છે (ઉજળું તે દુધ ને પીળું તે સોનું) એમ માનનારી આળસપુર્ણ ભક્તી શીવલીંગ પર અભીષેકાતી રહેશે. શીવ પ્રભુ તો ભોળા છે. એમને ખબર છે કે બીલીપત્ર કયાં છે, એટલે બાકીનાં પાંદડાંને એક બાજુ કરીને બીલીને જ સ્વીકારશે. પાંદડાંની ગણતરીનો પ્રશ્ન રહેશે પણ ભક્તીમાં ગણતરી થોડી હોય !

ભગવાને એક દીવસ એક માળા ફેરવતા ભક્તને પુછેલું કે, ‘લ્યા આ શું કરે છે ?’ ભક્તે ભાવપુર્વક જવાબ આપ્યો કે, ‘પ્રભુ, માળા ફેરવું છું, આપનાં નામસ્મરણની ગણતરી માટે.’

પ્રભુ બોલેલા કે, ‘બકા, ગણતરી ના કર. માળા મુકી દે.’ થોડા દીવસ પછી ભોળા ભગવાને જોયું કે પેલો બકો તો આંગળીના વેઢે મંડાણો છે ને ગણતરી માટેનું કેલ્ક્યુલેટર આંગળીના વેઢે ગોઠવી દીધું છે. પુછે છે, ‘એલા, પાછો આ શું મંડાણો છે ? કીધું નહીં કે એમાં પડવાની જરુર નથી ?’ ‘પણ પ્રભુ, નામસ્મરણની ગણતરી થતી નથી, ને કેટલું થયું તેનો અંદાઝ આવતો નથી.’

ભગવાને તો સાદી જ વાત કહી દીધેલી કે, “ગગા, તું ગણતરીનો દાખડો રહેવા દે. તું નામસ્મરણમાં જ ધ્યાન રાખ. બાકી સંખ્યાનો જ મહીમા હશે ને, તો તારા વતી એ બીઝનેસ હું કરી લઈશ ને તારા ખાતામાં ઉમેરતો રહીશ, જા !!”

પણ ભગત જેનું નામ ! ખુલ્લામાં ને કોથળીમાં; ખાનગીમાં ને જાહેરમાં; મૌન સહીત કે વાતો કરતાં કરતાં; સંકોચ સાથે કે દેખાડા સહીત એમ નામસ્મરણ તો માળાથી જ થતું રહ્યું છે. કેટલાક ‘મોટા ને વૈભવી ભક્તો’ તો સમારંભોમાંય જમણા હાથે પહેરી રાખેલી કોથળીની અંદર કશુંક ભક્તી જેવું મમળાવ્યા કરતા હોય છે. એને ખબર હોય છે કે, ભગવાન નવરો નથી. એ કાંઈ જોતો નથી કે જોવાનો નથી. કોથળીમાંની હલચલ તો શીષ્યોની સંખ્યાને વધારવાની ગણતરી સારુ હોય છે. ને એમનો એ મનોરથ સડસડાટ સફળ થતો રહે છે.

કૃષ્ણજન્મ થતો રહે છે.

यथेच्छसि तथा कुरु । 

                                  – જુગલકીશોર.

“આંધળાના તો આંધળા જ હોય” એવું દ્રૌપદી ન બોલી હોત તો ?

ફક્ત વંશવેલો ચાલુ રાખવા માટે થઈને મહર્ષી વેદવ્યાસને એમનો સંન્યાસાશ્રમ છોડાવીને પણ ત્રણ સ્ત્રીઓના ગર્ભાધાનનો પેંતરો ન રચાયો હોત તો કયું આભ તુટી પડવાનું હતું ?

માતાએ કહ્યું એટલે અર્જુનને વરેલી પત્નીનાય ભાઈઓએ ભાગ પાડવા પડે એટલી હદે માતાની આજ્ઞા માથે ચડાવવાની મગજમાં ન ઉતરે એવી વાત અમલમાં મુકવા પાછળ કયું સત્ય પ્રગટ્યું હતું ?

“નરો વા કુંજરો વા” કહીને, જયદ્રથનો વધ કરવાની પેરવી કરીને, શીખંડીને આડો રાખીને કે પછી કર્ણને અનેક કાવાદાવા કરીને સાવ નીહથ્થો કરી દઈને પાંડવોએ કયો ધર્મ આચર્યો હતો ???

આ અને આવા અનેક સવાલો મહાભારતની કથા સામે પડ્યા છે. કૃષ્ણને ગમે તેટલા મહાન ગણીએ તો પણ એમની સામે ઘણા સવાલો માથું ઉંચકી શકે તેમ છે. આ મહાનાયક કે લોકનાયકને એ વખતના રાજકીય કાવાદાવામાં ભાગ લેતા જોઈએ ત્યારે સહજ જ સવાલો થાય.

પ્રશ્નનોય પ્રશ્ન તો એ છે કે મોહન (કૃષ્ણ)નું સત્ય અને મોહનદાસ (મહાત્મા)નું સત્ય શું એક છે ? મોહનદાસને હજી સુધી સારું છે કે કોઈએ અવતારી કે પુર્ણ પુરુષોત્તમ કહ્યા નથી. પણ ભવીષ્યે કોઈ કહેશે કે નહીં, કાંઈ કહેવાય નહીં !!

અહીંસાની શોધ રામાયણ મહાભારત સુધી નહોતી થઈ. મહાવીર અને બુદ્ધના સમયે સુક્ષ્માતીસુક્ષ્મ અહીંસા શોધાઈ ચુકી હતી. પણ એનો સામાજીક કે રાજકીય હેતુસર સામુહીક રીતે અમલ કરાવનું બન્યું નહોતું. ગાંધીજીએ પણ કહ્યું હતું કે સત્યઅહીંસા એ મારી શોધ નથી.

છતાં એ સાધ્ય–સાધનનો આવો વીનીયોગ આ પુર્વે કોઈએ કર્યાનું જાણમાં નથી. સત્ય અને એના સાધનરુપ અહીંસાને સાવ ભૌતીક હેતુસર ને છતાં એની સુક્ષ્મ કાળજી લઈને ગાંધીજીએ એને પ્રયોજ્યાં હતાં.

ને છતાં એમને નીષ્ફળતાઓ તો મળી જ. શ્રી ગાડીત સાહેબની નવલ ‘સત્ય’ વાંચતાં ખ્યાલ આવે છે કે ગાંધીજીને આરંભથી જ અહીંસક સાધનશુદ્ધીના માર્ગમાં, હીન્દુમુસ્લીમ એકતાની વાતમાં, અસ્પૃશ્યતા નીવારણના કાર્યક્રમોમાં કે પછી અસહકાર આંદોલનમાં બહુ ઓછો સાથ મળ્યો હતો. હીન્દુસ્તાનના રાજકીય સ્વાતંત્ર્યનો સ્વાર્થ અને એકબીજા સામેના વેરની વસુલાત આ બહાને થતી હોઈ મોટા ભાગના લોકો એમને સાથ આપતા હતા એવું સમજાય છે ત્યારે થાય છે કે પ્રજાને પોતાના સ્વાર્થ સીવાય બીજી બાબતોમાં બહુ ઓછો રસ હોય છે.

ને છતાં કેટલીય બાબતો એવી છે જેનો નવેસરથી વીચાર કરવો જ રહ્યો.

ખેડા સત્યાગ્રહની સફળતા, બારડોલી સત્યાગ્રહનો અદ્ભુત પ્રયોગ, મીલમજુરોની અહીંસક લડત અને વીશ્વભરને અગાધ આશ્ચર્યમાં ડુબાડી દેનારી દાંડીયાત્રા અને ત્યારબાદ ચાલેલો અકલ્પ્ય સત્યાગ્રહ (કે જેને માટે ચર્ચીલે કહ્યાનું નોંધાયું છે કે, બ્રીટીશ રાજ્યને આટલું અપમાનીત ક્યારેય થવું પડ્યું નહોતું !)ને યાદ કરીએ છીએ ત્યારે થાય છે કે, કોઈ એક વ્યક્તીની નીષ્ઠા પણ કેવાંકેવાં ફળો આપનારી બની શકે છે !!

રેંટીયો ગામડેગામડે પહોંચ્યો એની પાછળનું મોટું બળ ગાંધીજીની કોઈ વાણીયાશાઈ નીતી નહોતી પરંતુ ગામડાને સાચી દાનતથી સ્વાવલંબી બનાવીને લોકોને ઉંચા મસ્તકે ચાલતા કરવાની શુદ્ધ દાનત હતી.

ખાદી પણ સ્વાતંત્ર્ય જલદી મળે તે માટે ગાંધીને ખુશ કરવા માટે નહીં પણ મહાત્માએ આપેલા મંત્રને અપનાવવાની દાનતથી લોકોએ પહેરી હતી. (એ જ ખાદી જ્યારે કોંગ્રેસનો ગણવેશ બનીને ફરજીયાત બની કે તરત એનો રંગ મેલો થયો હતો.) પરંતુ આજે હવે નવેસરથી આ જ ખાદી દેશવીદેશે એના સ્ટ્રક્ચર અને ટેક્ષ્ચરને કારણે આગળ આવી રહી છે. આંધ્રની એક યુનીવર્સીટીમાં કેટલીય કોલેજોએ ખાદીને આંશીક રીતે અપનાવીને આશ્ચર્ય પ્રગટાવ્યું છે. મારા જેવા સામાન્ય માણસને ખાદી નાનામાંનાના માણસને રોજી અપાવનારા સાત્વીક સાધન તરીકે એટલી બધી જચી ગઈ કે આજે પંચાવન વરસ પછીય એને બદલે બીજું કાપડ પહેરવાનો વીચાર આવતો નથી.

ને છતાંય થાય છે કે કૃષ્ણ એમના જમાનામાં સાચા હતા. મોહનદાસ લોકોને માટેનું સ્વરાજ લોકો દ્વારા જ અપાવવા માગતા હતા. જ્યારે કૃષ્ણના સમયમાં રાજવીઓને ડર બતાવ્યા વગર સીધા રાખી શકાય તેમ નહોતા ! એ વખતની રાજકીય સ્થીતી જ એવી હતી. તલવાર કે ધનુષ્યની સામે સુદર્શન જ એકમાત્ર ઉપાય હતો.

શામદામદંડભેદની નીતી વીના કોઈ રાજવી ધૃતરાષ્ટ્રની સામે થઈને “સાચે માર્ગે ચાલવાના યથાશક્તી–યથામતી પ્રયત્નો કરનારા” પાંડવોને મદદ કરવા તૈયાર થાય તેમ નહોતા. જરાસંઘ અને શીશુપાલ જેવા ક્રુર રાજવીઓ સામે લાઠીથી કામ થઈ શકે તેમ ન હોય તેવા સંજોગોમાં કૃષ્ણે અપનાવેલા માર્ગમાં પાંડવો પણ માનવ સ્વભાવ વશ કેટલુંક ખોટું કરી બેસે તો એનેય આંખઆડા કાન કરીને માફ કરવાના હતા. આગળ જણાવ્યા તે અનીષ્ટો આચરનારા પાંડવોનેય કવીન્યાય તો મળી જ ગયો હતો. વનવાસ, લાક્ષાગ્રહ જેવા અનેક પ્રસંગો અને અવારનવાર થતાં રહેલાં અપમાનો વગેરે કાંઈ ઓછું ભોગવવાનું આવ્યું નથી…

સવાલ હવે એ થાય કે, હજાર ગુનાઓ કરનાર સામે કોઈ બેચાર ગુનાઓ કરે તો શું એને ન્યાય અપાવવાનો નહીં ? પાંડવો જુગાર રમ્યા તો સજા તો મળી જ. દ્રૌપદીનેય જીવનભર યાદ રહી જાય તેવો સબક તો મળ્યો જ. (આવી અને આની વીરુદ્ધની બીજી ઘણી દલીલો કરી શકાય પણ તે અસ્થાને જ ગણવી રહી.)

મહાભારત છેવટે તો એક મહાકથા છે. કૃષ્ણ ‘ભગવાન’ તો પછી થયા, પહેલાં તો એ લોકનાયક – હીરો – છે. એ જ્યારે એમ કહે કે હું કહું એમ કર; મારે શરણે આવ; હું જ આ સૃષ્ટીનો કર્તાહર્તા છું ને મારા–તારા હજારો જન્મ હું જાણું છું…વગરે વગેરે ત્યારે એને કથાના સર્જકની કાવ્યરીતી જ ગણવી રહી. એને ભગવાન કોણે બનાવ્યો ? વેદવ્યાસે ?  જો હા, તો તે ખોટું કહેવાય. પણ લોકોએ બનાવ્યો હોય તો તેમાં કશું નવું નથી. (અમિતાભનાં મંદીરોને આપણે અટકાવી શકીશું ?!)પણ એ જ કૃષ્ણ બધું સમજાવીને પછી અર્જુનને કહે છે કે, ( विमृश्यैतदशेषेण ) यथेच्छसि तथा कुरु ।

ગીતાનો નાયક જાણે શીક્ષક બનીને એના શીષ્યને કહે છે, મેં તને રસ્તા તો બધા બતાવી દીધા, હવે તને સુઝે તે મુજબ તું કર !! આવો સચોટ માર્ગદર્શક ક્યાં મળવાનો ?

આત્મા–પરમાત્માવાળી વાતોને હમ્બગ માનનારાંને તેમનો મત મુબારક. હમ્બગ ન માનનારાંઓનો મત તેમને મુબારક. મહાકથાના સર્જકને જે લાગ્યું તે કથા રુપે કહ્યું. વાત ત્યાં જ પુરી થાય. પાછળથી હીન્દુધર્મે કે એના કેટલાક લોકોએ વીદ્વત્તાના નામે ગીતાના શ્લોકોમાં ફેરફારો કરીને આપણને અવળે માર્ગે દોર્યા હોય તો તેમાં દોષ કોનો ? ગીતામાંની વ્યક્તીગત વીકાસની વાતોને જીવનમાં ઉતારનારનો કોઈ દોષ હોઈ જ ન શકે.

હું ગીતાજીને ધર્મગ્રંથ માનું છું ને માનતો રહીશ. પણ કોઈનેય મારાથી ઉતરતો ગણવાનું પાપ હું સ્વપ્નેય નહીં કરું. ગીતામાં એમ લખ્યું ભલે હોય પણ ચાંડાલ પણ એમના લોકકાર્ય માટે મારે મન મહાન છે. હું સફાઈ કર્મચારીને કે સાંજે વાળું લેવા આવનારી બહેનનાં વાસણોને સ્પર્શ કરીને જ વાળુ આપવામાં ધન્યતા અનુભવું છું, ને એનું કોઈ છોકરું હશે ત્યારે એના હાથનો સ્પર્શ કરીને મારી જાતને એની સમોવડી ગણવાનું ગૌરવ લેવા કરું છું. આ કોઈ બોસ્ટીંગ નથી, પણ ગીતાજીમાં આવો કોઈ ખરાબ હેતુ (જો)હોય તો એનું પ્રાયશ્ચીત પણ છે. મારી શ્રદ્ધા છે કે ગીતાના ગાનારને આમાંનું કંઈ જ અભીપ્રેત નહોતું…

કાવ્ય–પદારથ અંગે અલપઝલપ !

પંદર લીટરના તેલના ડબ્બામાંનું તેલ, બીજા કોઈ પહોળા મોઢાના વાસણમાં રેડાતું હોય ત્યારે તેલની જે ધાર થાય છે તે જોઈને કાવ્યનો લય સાંભરી આવે ! તેલની ધાર જેવો લય કાવ્યમાં હોય ત્યારે એને માણવાની મજા ઓર હોય છે. એ જ ધાર સહેજ ઉંચેથી રેડવામાં આવે ત્યારે તેમાં કેટલાક વળાંકો દેખાય છે. કાવ્યમાંનો વક્રોક્તી ગુણ મારા જેવાને તેમાં દેખાય તો તે સાવ નાખી દીધાની વાત નથી !

વક્રોક્તીને કાવ્યનો આત્મા કહેવાયો હતો. વક્રોક્તી એટલે તીરછી કે કાંક બાંકી રીતી ! સાવ સીધેસીધું કહેવાય તો શી મજા ?! કૃષ્ણને બાંકે બીહારી કહ્યા તે એમની ત્રીભંગી મુદ્રાને કારણે ! વાંસળી વગાડતા કૃષ્ણ તાડના ઝાડની જેમ ઉભા રહીને જ વગાડતા હોત જો વાંસળી તો તો પછી થૈ જ રહ્યું !! આંટી મારેલા પગ પછી કેડનેય વળાંક આપીને પાછી ડોકનેય વાંકડો આપીને ઉભેલો વાંસળીવાળો કહાન જ બાંકે બીહારી કહેવાય ભાઈ !!

કાવ્યમાં કશું ક એમ જ વક્રતાથી મુકાયલું હોય તો જ કાવ્ય જરા હટકે લાગે ! આ હટકેવાળું એ જ વક્રોક્તી એમ કહી શકાય.

ક્યારેક આકાશેથી મેઘો ધોધમાર વરસતો હોય ત્યારે કોઈ ચારણી છંદમાં લલકારી રહ્યું હોય એવું લાગે. ને ઝરમર ઝરમર વરસતા વર્ષાજલનાં છાંટણાંની સાથે જ જો પવનની લહેરખીય ભેગી વાતી હોય તો ઉર્મીકાવ્ય–શો સ્પર્શ ન થાય તો જ નવાઈ. ઉમાશંકરભાઈએ કહ્યું ’તું કે “કવિતા તો કાનની કળા છે !” તે વાત આ કર્ણમંજુલ વર્ષાધ્વનીને સાંભળીએ તો કેવી સાચ્ચી લાગે ?!

ઘણી વાર ગામને ચોરે બેસીને અનુભવીઓના – ઉમાશંકરભાઈએ કહેલી “સૌરાષ્ટ્રની મર્માળી ભાષા”માં કહેવાતા મરમથી ભર્યાભર્યા ટુચકાઓ સાંભળેલા તેને આજના સમયે કહું તો, એમાં હાઈકુ કે અખાના છપ્પા કે પછી કબીરની કેટલીક સાખીઓય સાંભરી આવે !!

શબ્દ, પછી તે કાવ્યમાં હોય કે પ્રકૃતીની વીશેષ રચનાઓ, જેવી કે વર્ષા, મુશળધાર વરસાદ, વાવાઝોડાં, વૃક્ષોના ભાતભાતના અવાજો, પક્ષીઓના કંઠેથી વહેતાં ગાન વગેરેમાં હોય, પણ આ બધા ‘શબ્દ’ આપણા માનવજીવનમાં ઘણી વાર કાવ્યમય બની રહેતા હોય છે. યાદ છે, નાનપણમાં ગામડે રહેતા ત્યારે ઘરે ગાય હતી; એક બકરી પણ. ગૌચરમાંથી ધણ ગામમાં આવે ને ગાય ઘરે રહેલી વાછડીને સંભળાવવા જે હમ્ભા વહેવડાવે તે ફક્ત એની વાછડી માટે જ નહીં, ઘરનાં સૌનેય માટે અનેરો કર્ણપ્રીય શબ્દ બની રહેતો !

કાવ્યને સ્પર્શ ન હોય, ગંધ ન હોય, સ્વાદ પણ ન હોય. છતાં વાચકોમાંનાં કોઈનેય જો, ક્યારેકેય, કોઈ ઉચ્ચ સાહીત્યના ભાવન વખતે આ ત્રણેય ઈન્દ્રીયોમાંની કોઈ ને કોઈ ઈન્દ્રીય સતેજ થઈ જતી અનુભવાઈ હોય તો મારી વાતને ટેકો કરજો !!

આપણા કાવ્યશાસ્ત્રમાં સમગ્ર સાહીત્યને એટલે કે ગદ્ય–પદ્ય બન્નેને ‘કાવ્ય’ શબ્દથી ઓળખાવાયું છે. આ કાવ્યનો ‘શબ્દ’ આપણી પંચેન્દ્રીયને સ્પર્શનારો હોય છે.

સર્જકની કક્ષા અનુસાર આ બધું ભાવકને પ્રાપ્ત થાય. પણ એને માટેની એક બીજી પણ શરત છે કે કાવ્યનો ખરો રસ માણવા માટે ભાવકની પણ કક્ષા હોવી જોઈએ. કાવ્ય પાસે જતાં પહેલાં કેટલીક તૈયારી હોય તે જરુરી છે ! ઉત્તમ સર્જનોને માણવા માટે પણ એક પ્રકારનું ધ્યાન ધરવાનું હોય છે. એકાગ્ર, એક ચીત્ત બનીને કાવ્ય પાસે જવું પડે છે. ઉત્તમ કાવ્યો એમ ને એમ મળી જતાં નથી. એને પામવાની પણ સાધના હોય છે. કાવ્યશાસ્ત્રમાં ભાવકનાં પણ ગુણો–લાયકાતો બતાવાયાં છે.

અલંકારો અને પ્રાસ વગેરે કાવ્યનાં બાહ્ય લક્ષણો છે તેમ ધ્વની, રસ વગેરે આંતરીક તત્ત્વો ગણાવાયાં છે. કાવ્યનો લય પણ બાહ્ય અને આંતરીક હોય છે. છંદો એ કાવ્યનો બાહ્ય લય બતાવે છે પણ શબ્દોની ગોઠવણી ઉપરાંત તેમાં ભાવક–વાચકને ખેંચી જનારો અર્થનો પણ એક લય હોય છે.

આપણે સૌ કાવ્યના આ પ્રદેશમાં વીહરતાં–વીચરતાં હોઈએ છીએ ત્યારે આ કાવ્યપદારથને સાચા અર્થમાં પામીએ એવી માતા ‘સરસતી’ને પ્રાર્થના !!

––––––––––––––––––––––––

તા. ૦૭/૦૬/૧૭  

એક ઈ–ઉની શીક્ષા !

એક મુરખને ટેવ ખરી, હ્રસ્વઇની તો દીર્ઘઈ કરી.

દીર્ઘ ઊ સ્થાને હ્રસ્વ ઉ ઠર્યુ, ઈઈ–ઉઉ વહેતું કર્યું.

ષનો શ કરવાની વાત, ઋને રુ થકી મારી લાત !

સંસ્કૃતનું વાળ્યું નખ્ખોદ, ગુજરાતીનો અવળો બોધ.

પંડીતો  સૌ ભેળા  થયા, ભાશાચાર્યને  ઘરે ગયા.

આનો કાંક કરો ઉપાય, આપણું સઘળું હાથથી જાય !

પરીશદ આખી ભેગી કરી, ઈ–ઉવાળાને શીક્ષા ઠરી.

પથ્થરથી તો હીંસા થાય, શબ્દ તણા ઘા મારી શકાય.

સૌ કોઈ એને મારો શબદ, ઠેકાણે આવે તો અદબ.

પથ્થર–શા શબ્દોનો વાર, ગાળ–અલંકારોનો માર !

લોહીલુહાણ થયો એ નર, કોઈ શીક્ષકની પડી નજર !

અટકાવી સૌને એ કહે,  સાચું સમજાવ્વાને ચહે :

ભાશાભુલ કર્યાનું પાપ, સૌ સમજીને પુછો આપ !

તેં જો ‘પાપ’ કર્યું ના એક, તો તું શબ્દપથ્થર લૈ ફેંક !!

જુગલકીશોર

કહી દીધું