તિરુપતિ બાલાજી : 2 ન ભૂલાશે કદી…

મારા ગ્રુપના બીજા સભ્યો ગઈ રાતે પાંચ વાગે ઉઠવાનું નક્કી કરીને સૂઈ ગયા. હકીકતમાં એમનો સમય બીજે દિવસે રાત્રે 8:00 વાગે ટિકિટમાં લખેલો હતો. એ લોકો સવારે વહેલા ઉઠી, નાહી ધોઈ પરવારીને પાંચ વાગ્યે નીકળી ગયા. અમે લોકો ફરી સુઈ ગયા અને આરામથી ઉઠ્યા. આજનો દિવસ અમારા બેઉ માટેનો જ હતો. એકલા અહીંયા નીચે રહેવાનું નક્કી કરેલું .એમણે કહ્યું હતું કે 11:30 પછી જો તમે ઉપર આવો તો જીપ કરીને બધા ફરી લઈશું. પણ અમે કશું નિર્ણય લીધા વગર આરામથી ઉઠ્યા . થોડો નાસ્તો કર્યો. નાહી ધોઈને પરવારી ને ચાલતા ચાલતા મુખ્ય રસ્તા પર આવ્યા. બહાર એક નાની ટપરી પર ચા પીધી. રીક્ષા ના ભાવતાલ કરીને પદ્માવતી મંદિર ફરી દર્શન માટે ગયા. સામેની દુકાનોમાં માત્ર મહિલાઓ ઢોસા સેન્ટર ચલાવતી હતી.

ત્યાં જઈને મસાલા ઢોસા ખાધા. તેમની કાર્યશૈલી જોઈ. એ લોકો છોલે ભટુરે પણ વેચતા હતા. તે લોકોને પૂછીને એમનો ફોટો પણ લીધો. પછી મંદિરમાં મોબાઈલ જમા કરાવીને દર્શનની લાંબી લાઈનમાં ઊભા રહ્યા. અહીં પણ રૂપિયા 50માં સ્પેશિયલ દર્શનની સુવિધા હતી પણ અમારે આજે આખો દિવસ કશું કામ નહોતું એટલે આરામથી જનરલ લાઈનમાં ઊભા રહ્યા. લગભગ પોણો એક કલાકે નંબર આવ્યો. ખૂબ મોટું મંદિર હતું.એનું શિખર પણ સોનેથી મઢેલું હતું. અમે મંદિરમાં દર્શન કર્યા અને અહીં પણ તિરુપતિ બાલાજી ના મંદિર નો અનુભવ ફરી થયો. પૂજારીએ મને દર્શન કર્યા બાદ પાછી બોલાવી અને પુનઃ શાંતિથી દર્શન કરવાનું કહ્યું. હું અભિભૂત થઈને ભાવુક થઈ ગઈ. આંખ સહેજ પલળી ગઈ. અમે બહાર આવ્યા મોબાઇલ લીધા અને પછી લોકલ બસમાં બેસીને હોટલ પર આવ્યા.

કાલે બસ સ્ટેન્ડ નું નામ જાણી હોટલ પર જવાનો રસ્તો યાદ રાખી લીધેલો. અમે રૂટ પર જતી લોકલ બસમાં બેઠા. ખરેખર તો મને આવી રીતે ફરવું બહુ રોમાંચક લાગે. લોકલ સાધનો, સ્થાનિક પ્રજાને જોવી, શહેરમાં બસ ફરે એટલે ત્યાંની ગતિવિધિઓ જોવી, લોકલ આઈટમ ચાખવી. અમે નિયત બસ સ્ટેન્ડે ઉતર્યા અને ચાલતા ચાલતા હોટલ પર પાછા આવ્યા. સાથે લાવેલો નાસ્તો કરી લીધો.

થોડીવાર આરામ કરીને ફરી ફરવા નીકળ્યા ત્યાં બાલાજી ભગવાનને ગોપાલા  કહે છે. પૂછતાં જાણવા મળ્યું કે અહીં ચાલતા જવાય એટલું દૂર એક ગોપાલા મંદિર છે. અને એનું માહાત્મ્ય પણ બહુ છે. એટલે અમે ત્યાંથી બસ વાળા ચાર રસ્તા પર ચાલતા ગયા. ત્યાં ચા પીધી અને ત્યાંથી ચાલતા ચાલતા ગોપાલા મંદિર તરફ ગયા. ગુજરાતની બહાર નીકળીએ એટલે ટ્રાફિક તો બહુ જ ઓછો લાગે અને આડેધડ ડ્રાઇવિંગ કે પાર્કિંગ કશે જોવા ના મળે. અમે ગોપાલા મંદિરની નજીક ગયા. ત્યાં મોટું બજાર હતું અને એક સુકાયેલું તળાવ હતું. સાંજ ઢળી રહી હતી એ દ્રશ્ય ખૂબ સુંદર લાગતું હતું. ત્યાં ખૂણા પર ગણપતિ મંદિર દેખાયું. આજે મંગળવાર હતો. ચાલતા ગણપતિ મંદિર જવાનો ક્રમ કેટલો અદભુત રીતે સચવાઈ ગયો!!! ગણપતિ ને વિવિધ સ્વરૂપ મંદિરમાં જોયા. ત્યાં લોકો નવા વેહિકલ લે એટલે પ્રથમ પૂજા કરવા અહીં આવતા. હું ભગવાનની આ લીલા આગળ નથી નતમસ્તક થઈ ગઈ.

આગળ મને ગોપાલા મંદિરે ગયા તો દર્શન બંધ હતા અને જલ્દી ખુલવાના નહોતા એટલે અમે આસપાસનું બજાર જોતા જોતા પાછા ચાર રસ્તે આવ્યા. કકડીને ભૂખ લાગી હતી. બે બહેનો ફૂટપાથ પર ઢોસા સેન્ટર ચલાવતી હતી. ત્યાં બેસી ત્યાંના લોકલ મસાલા ઢોસાનો આનંદ લીધો. આપણે સાંભર બનાવીએ છીએ એવો સાંભર નહીં. જાડી દાળ હોય, થોડા મસાલા અને શાક પણ ના હોય. દહીં કોપરાની ચટણી હોય. પાછા વળતા અમે ફરી આઈસ્ક્રીમ ખાધો. બપોરે ચા પીવા ગયેલા ત્યારે પણ ખાધેલો. એમાં આઇસક્રીમના કપમાં નીચે મધની લેયર હતી અને આઇસ્ક્રીમનો સ્વાદ પણ નવો હતો. ખાવાની બહુ મજા આવી. ચાલતા ચાલતા પાછા હોટલ પર પાછા આવતા હતા ત્યારે ગ્રુપમાંથી ફોન આવ્યો કે અમે ક્યાં છીએ? એ બેઉ રૂમની ચાવી અમારી પાસે હતી. અમે હોટલની સામે જ હતા. ચાવી આપી દીધી અને રૂમમાં પહોંચ્યા.

એ લોકો અહીંથી પાંચ વાગ્યે નીકળીને પહોંચી તો ગયા પણ સ્પેશિયલ દર્શન ની લાઈન 12:00 વાગે ચાલુ થતી હતી એટલે એમને બહુ રાહ જોવી પડી. ૧૨ વાગે લાઈન ચાલુ થતાં અઢી વાગે એમના દર્શન થઈ ગયેલા. એમણે જમી લીધું હતું. એમણે ત્યારે અમને ફોન કરેલો ત્યાં તિરુમાલા આવવા કહેલું એટલે. પણ અમને આરામ કરવો હતો એટલે નહોતા ગયા. અમારી હોટલની કમ્પાઉન્ડને અડીને રેલવે લાઈન હતી એટલે આવતી જતી છુકછુક ગાડી જોવાની મજા આવતી હતી. અમે તો જમીને આવેલા બે સભ્યોનો ઉપવાસ હતો એટલે બાકીના સભ્યોએ બેગમાંનો નાસ્તો કર્યો. સવારે સૌએ ગોપાલા  મંદિરે જવાનું નક્કી કર્યું.

સવારે ચાર રસ્તા પર ચા પીને સાથે લાવેલા થોડા નાસ્તા કરીને બધા પગપાળા ગોપાલા મંદિરે ગયા. અહીં સુતેલા વિષ્ણુ પણ છે. અહીં લાઈનમાં અંદર ગયા પછી જોયું બહુ જ વિચાર સાદા કાળા પથ્થરોથી બનેલું મંદિર છે. શૃંગાર પણ નહીં. મુખ્ય મંદિર તરફ આવતા પેસેજ આવે એની બેઉ બાજુ મંદિરો વારાફરતી એમાં દર્શન કરતા જવાનું. ત્યાં મૂર્તિઓ કઈ છે ખબર ના પડે પણ પરમાત્માના નમન કરીને આગળ વધતા ગયા.બહાર જઈને પાણી પીધું થોડુંક બેઠા પછી મંદિરની બહાર આવ્યા.

બજારોમાં દુકાનો ખુલી ગયેલી. એક દુકાને મારી ભાણેજ માટે સાઉથ સિલ્કના ચણીયા ટોપ નો ભાવ પૂછ્યો. ભાવતાલની શક્યતા લાગી પછી તો બધાએ ત્યાં સાડી અને બીજી વસ્તુઓ લીધી. અમે ત્યાંથી ચાલતા ચાલતા બહાર આવ્યા. રીક્ષા કરી રસ્તામાં બિસલેરી બોટલ લીધી. હોટલ પર આવ્યા ત્યારે પેકિંગ થઈ ગયેલું. હોટલવાળાએ થોડી રકજક કરી કાઉન્ટર પાસે અમારું લગેજ  રીસેપ્શન પર મૂકવાના રૂપિયા 200 લીધા.

આજે સાંજે 6:15 વાગે રેણીન્ગુટા સ્ટેશનથી અમારી વડોદરા પરત આવવા માટેની ટ્રેન પકડવાની હતી પણ સવારે હજુ 11:00 વાગેલા. તિરુપતિ થી 40 કિલોમીટર દૂર એક કાલ હસ્તી મંદિર છે જે રાહુ અને કેતુને સમર્પિત છે એમ કહેવાય છે.  આ મંદિર ગ્રહણ સમયે પણ ખુલ્લું જ હોય છે . એ એની વિશેષતા છે. રાહુ અને કેતુ ગ્રહની શાંતિ માટે લોકો અહીં આવતા હોય છે એમ કહેવાય છે. આમ તો શિવજીનું મંદિર છે. તેના વિશાળ ગેટ પાસે ઊતરી થોડું આગળ ચાલતા મોબાઇલ માટે કાઉન્ટર આવે છે. ત્યાંથી પાઇપોની રેલિંગમાં ચાલતા શિવ મંદિર સુધી જવાય છે. મંદિર ખૂબ ખૂબ વિશાળ છે. લગભગ 2000 વર્ષોથી એને દક્ષિણનું કાશી કહેવામાં આવે છે. મંદિરની ત્રણ તરફ વિશાળ ગોપુરમ છે અને અંદર 100 સ્તંભો વાળો મંડપ છે. છ  ફૂટ ઊંચા સળંગ ઓટલા મંદિરની ચોતરફ ચોરસ આકારમાં બનાવવામાં આવેલ છે. ત્યાં સુંદર લાઇટિંગ પણ છે. અમને આ મંદિર વિશે કોઈ જ માહિતી નહોતી પણ તોય જ્યારે જાણ્યું અને જોયું ત્યારે કુદરતની લીલા આગળ નતમસ્તક થઈ જવાયું.

અહીં  અન્નક્ષેત્ર પણ ચાલે છે. સૌ જમવા માટે લાંબી લાઈનમાં ઊભા રહ્યા. લગભગ દોઢેક કલાકે અમારો નંબર આવ્યો. અહીં જમવામાં રોટલી સિવાય બધું જ મળે. જમીને બહાર આવ્યા.

અહીં અમે સૌ છકડામાં આવેલા્ અહીંથી

રેણીન્ગુટા સ્ટેશન પર અમને લેડીઝ ને મૂકી ત્રણ પુરુષો હોટલથી સામાન લઈ અહીં પાછા આવી જશે એવું નક્કી થયેલું. છકડા વાળા ભાઈને બોલાવ્યા. તિરુપતિ શહેરથી 12 કિલોમીટર દૂર રેણીન્ગુટા સ્ટેશન પર અમે સૌ લેડીઝ સાથે મારા પતિદેવ પણ ઉતરી ગયા. છકડામાં ત્રણ ભાઈઓ સામાન પાછા લઈને આવ્યા. અમારી ટ્રેન પ્લેટફોર્મ નંબર એક પર જ આવવાની હોવાથી ત્યાં બેંચ પર બેઠા. થોડીવાર પછી દાળ કાંદા ના પકોડા લાવવામાં આવ્યા. પછી ચા પણ પીવાઈ ગઈ. ત્યાં માળાઓ બહુ સરસ મળે. અમે સૌએ બધાને આપવા માટે માળાઓ લીધી.

ટ્રેનના આવવાના નિયત સમયના દસ મિનિટ પહેલા એનાઉન્સમેન્ટ થયું કે ટ્રેન એકને બદલે પાંચ નંબરના પ્લેટફોર્મ પર આવશે. અમે 14 નંગ નાની મોટી બેગ્સ સાથે આઠ જણા લગભગ દોડતા  પાંચ નંબરના પ્લેટફોર્મ પર પુલ ઓળંગીને પહોંચ્યા. ટ્રેન આવી. સૌ ચઢીને સીટ પાસે સામાન ગોઠવી બેઠા. ત્યાં મારા પતિદેવે પૂછ્યું મારું ક્રોસ ક્યાં? અમે આજુબાજુ બધે શોધ્યું પણ ન મળ્યું. ટ્રેન શરૂ થવામાં એકાદ બે મિનિટ બાકી હતી. હું એક વાર બોલી પણ ખરી કે ચેન પુલિંગ કરીએ અને એક નંબર પર જોઈ આવીએ. પણ મગજ શૂન્ય થઈ ગયેલું. એ બેગમાં મારા પતિદેવના બેંક કાર્ડ, મોબાઇલ ફોન,આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, બચેલી કેશ બધું જ હતું. બધા પ્લેટફોર્મ પર એટલા બધા પેસેન્જર હતા કે હવે બેગ માટે કોઈ શક્યતા જણાતી નહોતી. અમે બે જણે મોબાઈલ પર રિંગ આપી તો ચાલુ હતી. પણ પછી જો રિંગ થી કોઈનું ધ્યાન જાય તો બેગ જતી રહે એટલે ફોન કરવાનું બંધ કર્યું. મારા પતિદેવ ગ્રુપના ભાઈઓ સાથે ટીસીને મળ્યા અને હકીકત જણાવી. ચેન પુલિંગ થયું ત્યારે ટ્રેન પ્લેટફોર્મની બહાર 500 મીટર જઈ ચૂકી હતી. મારા પતિ શ્રી દિનેશભાઈ પટેલ સાથે અંધારામાં પાટા પર દોડતા એક નંબરના પ્લેટફોર્મ પર પહોંચ્યા ત્યારે અમે જે બેંચ પર બેઠેલા ત્યાં એ જ પોઝિશનમાં ટોપી સાથે એ બેગ ટિંગાડેલી પડી હતી. આસપાસ કેટલા બધા ફેરીયાઓ, માળાઓ વેચતી બહેનો, માણસોથી ઉભરાતું પ્લેટફોર્મ પરથી એ લોકો દોડતા પરત આવ્યા ત્યારે ટ્રેન સાવ ધીમી ગતિએ ચાલુ થઈ ગયેલી. બેઉ જણ છેલ્લા ડબ્બામાં ચડી ગયેલા. આ બાજુ અમારા સહપ્રવાસી ભાઈએ અમને 139 પર રેલવે પોલીસને ફોન કરવા સલાહ આપી અને ફોન લગાડી બ્રીફ માં જણાવી મને આગળ વાત કરવા ફોન આપ્યો. હું તમામ વિગતો બેગ નું વર્ણન વગેરે જણાવી રહી હતી ત્યાં જ અમારા ગ્રુપના ભાઈ આવ્યા અને એમણે જણાવ્યું કે બેગ મળી ગઈ છે. અને હિતેશભાઈ છેલ્લા ડબ્બામાં ચડી ગયા છે. મેં પોલીસમેનનો આભાર માની બેગ મળી ગઈ છે એમ જણાવ્યું.

આ સમગ્ર ઘટનાક્રમ સાંજે 6:35 થી 7:05 વાગ્યાનો  હતો. મારી આંખોમાં હજી આંસુ ઉભરાય છે. એ વખાતે હું ધૃસ્કેને ધુસકે ખૂબ રડવા માંડી. મને ત્યાં પરમશક્તિની હાજરીનો અહેસાસ થયો. મારા ગણપતિદાદા કે બાલાજી નો જીવતો જાગતો ચમત્કાર જ હતો. પ્રભુની પરીક્ષા અઘરી તો હોય છે પણ એમાં એ જ તારણહાર પણ હોય છે. અમે સૌ બે દિવસની મુસાફરી કરી ઘેર પરત ફર્યા. વળતાં મુસાફરી દરમ્યાન હું શૂન્યમનસ્ક રહી. વિચારમાળા તો ચાલતી જ રહી. સવારે વડોદરાના સ્ટેશને પગ મુકતા જ ફરી સંસારનો ઘટનાક્રમ ચાલુ થઈ ગયો.

તિરુપતિ બાલાજી :1

તિરૂપતિ પહેલા રેનીન્ગુટા સ્ટેશન આવે. બધા ભર ઉંઘમા હતા. મેં સાડા ત્રણનું એલાર્મ મૂકેલું પણ એ પહેલા ઉઠી ગઈ. નિત્ય કર્મ માટે જઈ આવી. રેનીંગુટા સ્ટેશનથી માત્ર દસ મિનિટ દૂર તિરુપતિ સ્ટેશન હતું. બધાને ઉઠાડ્યાં. ત્યાં તિરુપતિ સ્ટેશન આવી ગયેલું.

આ લખી રહી છું ત્યારે મહાકુંભ 2025 તેના અંતિમ ચરણમાં છે. એમાં જે લોકોના ટોળા જતા દેખાય છે તેવા જ ટોળા અમને રેલવે સ્ટેશન પર ઉતરતા જોવા મળેલા. બાપ રે!!!! કેવી રીતે દર્શન થશે ? આવા કેટલાય સવાલો મને મૂંઝવતા હતા. મને આમ પણ આટલી બધી ભીડમાં બીક લાગે. જેમતેમ પ્લેટફોર્મની બહાર આવ્યા ત્યાં વિષ્ણુ પ્રસાદમ બિલ્ડીંગમાં ઉપર તિરુમાલા ઉતારાની રૂમ માટે પૂછ્યું તો કહે છ વાગે ખુલશે. ત્રણ જેન્ટસ એક જીપ નક્કી કરી આવ્યા. સામાન સાથે અમે ગોઠાવાયા. 1984 માં પણ હું તિરુપતિ આવેલી એટલે મને ખ્યાલ હતો. મેં ઘણીવાર ગ્રુપમાં કહ્યું કે આપણે અહીં નીચે હોટલ રૂમ લઈ રહીએ અને પછી ફ્રેશ થઈ ઉપર જતા રહીશું. સામાન પણ અહીં રહી જશે. પણ પુરુષોને હંમેશા સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ જ લાગે એટલે બધા અમે ઉપર પહાડી પર તિરુમાલા ગયા. નીચે તિરુપતિ શહેરની લાઇટો જમીન પર ઉતરેલા તારાઓ જેવી લાગતી હતી. ઉપર પહોંચીને સી.આર.ઓ. ઓફિસમાં રૂમ માટે તપાસ કરી તો કહે સાડા ચાર કલાક પછીનો સમય છે. અમે ત્યાં એક જીપમાં બેસી જ્યાં બધા મઠ હતા ત્યાં ગયા. આજના દિવસમાં રુમ મળે એવી કોઈ શક્યતા ન હતી. ઓનલાઇન જોયું તો એક ગેસ્ટ હાઉસ હતું જેમાં આધાર કાર્ડ માંગ્યું. રૂમ બુકિંગ નું એમાઉન્ટ પણ માંગ્યું.હવે અમારે રૂમમાં જ જવું છે સમજીને પેમેન્ટ કર્યું. તો એ લોકોએ બીજા 6000 રૂપિયા ડિપોઝીટ માંગી એટલે ખ્યાલ આવ્યો કે આ લોકો ફ્રોડ છે. એમનો એક પણ ફોન રિસીવ કર્યા વગર અમે લોકલ બસમાં એવા ભળતા નામ વાળા ઉતારે ગયા તો ખબર પડી કે વેબસાઈટ ફેક હતી. એ પછી અમે ફોન રિસીવ કર્યો અને કહ્યું કે અમે પોલીસ સ્ટેશનમાં બેઠા છીએ. એણે whatsapp પર ની બધી ચેટનો ડેટા ડીલીટ કરી દીધો. અમે 1930 નંબર પર ફોન કરી કેસ રજીસ્ટર કરાવ્યો. માથાદીઠ હજાર રૂપિયાનો ચાંદલો થઈ ગયેલો. અમારું શ્રીશૈલમ ગેસ્ટ હાઉસ બહુ સરસ હતું .ત્યાં ખાવાનું પણ ફ્રીમાં હતું પણ એમણે રૂમ માટે બીજા દિવસે થોડા પરેશાન કરેલા એટલે અમારા ગ્રુપના બીજા સભ્યોએ અન્નદાન માટે પૈસા આપવાની ના પાડી. એ લોકો લુચ્ચા છે એમને કશું નથી આપવું. મને એ વખતે ખૂબ ખરાબ લાગ્યું .કારણ કે જાત્રા પર ક્યાંય મફત ન ખવાય પણ કદાચ અમારી સાથે કુદરતે બરાબર હિસાબ કરી લીધો હતો એટલે મને કોઈ દુઃખ ન થયું. ડિપોઝિટ ની રકમ જેટલા પૈસા અમે બચાવી લીધા હતા.

ખરી પરીક્ષા તો હવે હતી. મારો અને મારા પતિ નો ત્રણ મહિના પહેલા કરાવેલ બુકિંગ નો સમય આજના દિવસે જ હતો અને બે વાગ્યે સ્પેશિયલ દર્શન માટે જવાનું હતું પણ 09:00 વાગે હજુ અમે તિરુમાલા ની સડકો પર બેઠેલા હતા. ત્યાંથી હવે એ ભાઈએ નીચે તિરુપતિ જવાનું નક્કી કર્યું. હવે અમારા પતિ પત્ની માટે એક એક મિનિટ કીમતી બની ગઈ હતી. જીપના ડ્રાઇવર ઉડિયા જાણતો હતો એટલે એણે કરેલા ભાષાંતર થકી 1930 સાયબર સેલની ફરિયાદ શક્ય બની. એ ડ્રાઇવર અમને તિરુપતિ શહેરની પૂજિથા નામની હોટલ પર લઈ ગયો. જ્યાં અમે બે રૂમ રાખી લીધી. ત્યારે ઘડિયાળમાં પોણા દસ થઈ ચૂકેલા. તિરુપતિ શહેરમાં આવેલ પદ્માવતી માતાના મંદિરમાં દર્શન કરી તિરુપતિ બાલાજી ના દર્શન કરવાનું માહાત્મ્ય છે. અમે બરાબર 10:30 અમે બેઉ પતિપત્ની નાહી ધોઈને તૈયાર થઈને નાસ્તા માંથી ખાલી એક એક લાડુ ખાઈને નીકળી પડ્યા. બાકીના ચાર સભ્યોનું દર્શન બુકિંગ બીજા દિવસે હતું.

અજાણ શહેરમાં પહેલા તો ઓટોરિક્ષા કરી પદ્માવતી મંદિરે પહોંચ્યા. ત્યારે સવારે ઘડિયાળમાં 11 થઈ ગયેલા. ત્યાંના મંદિરમાં લાઈન જોઈ તો ખૂબ લાંબી. મંદિરમાં શિખર ધ્વજાના દર્શન કરી બે લાડુનો પ્રસાદ લઈ નીકળી પડ્યા. પાસે એસ.ટી. ડેપોમાં પહોંચી ગયા. ત્યાંથી તિરુમાલા જવા એસી બસ મળે. એનું ભાડું રૂપિયા 120 હોય. અમે એમાં બેઠા ત્યારે સવા બાર થઈ ચૂકેલા. અહીં તિરુમાલાના પહાડી પ્રદેશમાં પ્રવેશ કર્યા પછી થોડે આગળ જઈને એક ચેક પોઇન્ટ આવે છે જ્યાં પ્રવેશ કરનાર તમામ વાહનના તમામ પેસેન્જરના તમામ લગેજનું ચેકિંગ અને સ્કેનિંગ થાય છે. પ્લાસ્ટિકનો તમામ પાણીની બોટલો ફેંકી દેવાય છે. આમાં લગભગ 20 એક મિનિટ થઈ જાય. ધીરે ધીરે બસ તિરુમાલા બસ સ્ટેન્ડ પર પહોંચી ત્યારે પ્રવેશ દ્વાર ત્રણ નંબર જે ટિકિટમાં લખેલું હતું ત્યાં જવાનો રસ્તો અમને ખબર નહોતો.

અમે બસ સ્ટેન્ડ પર ઉભા હતા અને ઘડિયાળ 1:00 વાગીને દસ મિનિટનો સમય બતાવતી હતી. મેં ભગવાન બાલાજીને પ્રાર્થના કરીને કહ્યું કે હવે તમારા હાથમાં સોંપું છું. તમારે દર્શન આપવા છે કે નહીં જેવી આપની ઈચ્છા. ત્યાં એક ટેક્સી પેસેન્જર સાથે આવી અને ઉભી રહી. તેણે વીસ વીસ રૂપિયામાં અમને પ્રવેશ દ્વાર ત્રણ પાસે છોડ્યા. આ બધી જગ્યાઓ ભૂલામણી જેવી હતી. મેં ત્યાં બહાર આવેલા કાઉન્ટર પરથી ફ્લેવર મિલ્કની એક બોટલ પી લીધી આ લંચ હતું. ત્યાંથી ઝડપભેર અમે લાઈનમાં પ્રવેશ કર્યો ત્યારે દોઢ વાગી ગયેલો. ઝીકઝેક સંપૂર્ણ કવર સાથે લોખંડની પાઇપો અને જાળીઓ સાથે આખો માર્ગ તૈયાર કરેલો હતો. પછી ચાલ્યા જ કરું છું …ચાલ્યા જ કરું છું …ના ભાવ સાથે ચાલવાનું શરૂ થયું. અહીં જુદી જુદી કેટેગરીમાં બુકિંગ થાય છે. બુકિંગ વગરની જનરલ લાઈનમાં 24 થી 48 કલાકનો સમય દર્શન માટે લાગતો હોય છે. તેમાં શૌચાલય, પાણી, ખાવાનો પ્રબંધ બધો મંદિર તરફથી હોય છે. રાત્રે તમે જ્યાં હોવ ત્યાં દરવાજા બંધ કરીને વહેલી સવારે દર્શન માટે મોકલવાનું શરૂ કરવામાં આવે છે. અમે સ્પેશિયલ દર્શન ની ટિકિટ લીધેલી એમાં ત્રણથી ચાર કલાક થશે એવો અંદાજ આપવામાં આવેલો. વચ્ચે લાઈનો રોકાઈ જતી ત્યાં જમીન કે નાની પાળી પર બેસી જતા. પરબ પર પાણી પી લેતા. સ્વચ્છતા ખૂબ હતી. ચાલતા ચાલતા અમે એવી જગ્યાએ પહોંચ્યા જ્યાં મોટી મોટી બેરેકો બનાવેલી હતી. જેની ચારે બાજુ સ્ટીલ ના પાઈપોથી મોટા  હોલ બનાવેલા હતા. વારાફરતી શ્રદ્ધાળુઓને તેમાં બેસાડાતા અને ત્યાં આરામથી પગથિયા ઉપર બેસી કે સૂઈ પણ શકાય એવી સગવડ હતી. સામે સ્ક્રીન પર બાલાજી ભગવાનના દર્શન થતા હતા. ત્યાં મહારાષ્ટ્ર થી આવેલા બે યુવાનો સાથે ઓળખાણ થઈ. વાતચીત કરતા ખબર પડી કે જો આ બેરેકમાં દોઢ કલાકનું રોકાણ થાય તો મંદિર તરફથી ભાતનો પ્રસાદ બધાને આપવામાં આવે છે. અમે ત્યાં બેઠી સવા બે કલાક સમય વીતાવ્યો. દોઢેક કલાક પછી મોટા તપેલાઓ અને ટ્રોલીઓ સાથે પડિયાઓમાં ભક્તોને વઘારેલી ખીચડી આપવામાં આવતી હતી. ત્યાંના જવા આવવાના માર્ગ પરથી પડિયા અપાતા અમે બે જણાએ ખીચડીનો પ્રસાદ ગ્રહણ કર્યો. પેટ ભરાઈ ગયું સાથે લાવેલું પાણી પીને બીજું પાણી ભરી લીધું. થોડીવારે બાજુની બેરેક ખાલી થઈ એ પછી અમારો વારો આવ્યો. જાણે કેદમાંથી જાનવર છૂટ્યા પણ ધક્કા મૂકી નહોતી થતી. લોકો ખૂબ ઝડપથી ચાલવા માંડ્યા. છેલ્લે પાઈપ અને લાઈન થોડીવાર માટે નહોતી. તે લોકો દોડીને મંદિર પાસેના પ્રવેશ દ્વાર પાસે પહોંચી ગયા. અહીં લાઈન ખૂબ ધીરે ધીરે સરકતી હતી. અમે ગર્ભ ગૃહ તરફ આગળ વધી રહ્યા હતા.

અહીં ભગવાન તિરુપતિ બાલાજીના મંદિરમાં ફક્ત ઘીના દીવાનો અજવાળું કરાય છે એટલે પ્રકાશમાંથી સીધા જોતા પહેલા ખ્યાલ નથી આવતો. ધીરે ધીરે નજીક જતા વિશાળ મૂર્તિના દર્શન થાય છે. માંડ પાંચ દસ સેકન્ડ માટે મૂર્તિની સન્મુખ ઊભા રહેવા દેવાય છે. ખૂબ શ્રદ્ધાથી દર્શન કર્યા ત્યારે છ વાગી ગયેલા અને જીવનમાં આ તક બદલ ભગવાનનો ખૂબ આભાર માન્યો. બહાર નીકળવા બે કદમ આગળ વધાર્યા ત્યારે ત્યાં ઉભેલા સેવકે મને કહ્યું માતાજી વાપસ આઓ, આરામ સે દર્શન કરો. મારી આંખો ભીની થઈ ગઈ. હું નિઃશબ્દ હતી, છું અને રહીશ. અમે બહાર નીકળ્યા. હૂંડીમાં દક્ષિણા મૂકી. થોડીવાર બેઠા અને આગળ વધ્યા ત્યારે મંદિરમાં આરતી શરૂ થઈ એટલે બધા લોકો ઉભા રહી ગયા તો સહેજ ક્યાંય જરા પણ સરકીને નીકળાય નહીં. આરતી પૂરી થતાં અમે પણ બહાર નીકળ્યા ત્યારે ઘડિયાળ સાંજના સાત નો સમય બતાવતી હતી. અમે પ્રસાદ લેવા લાડુના કાઉન્ટર પર ગયા. બે ટિકિટ પર બે લાડુ ફ્રી હતા અને અમે એક લાડુ ખરીદી લીધો. ત્યાંથી હવે ચંપલ ત્રણ નંબરના ગેટ પાસે ઉતારેલી એ ક્યાંય નહોતું દેખાતું. અમે પુષ્કરણી નદીના દર્શન કર્યા અને પછી વારાહ મંદિરના દર્શનની લાઈનમાં ઊભા રહ્યા. આજના આખા દિવસમાં ન ભૂખ લાગી, ન તરસ અને કોઈ શારીરિક દુખાવાની ફરિયાદ પણ નહીં. કોઈ દૈવી તત્વ આપણી સાથે ચોક્કસ હોય જ છે. ત્યાંથી અમે સામે આવેલા પ્રસાદમમાં ગયા. ત્યાં તમામ શ્રદ્ધાળુઓને નિશુલ્ક પ્રસાદમ ભોજન અપાય છે. ત્યાં કેળાના પાના પર પ્રસાદ ગ્રહણ કર્યો. હવે અમારી ચંપલ શોધ યાત્રા શરૂ થઈ. એક રીક્ષામાં શેરિંગમાં બેઠા. ત્રણ નંબર ગેટ પર ફરી ઉતર્યા. જઈને ચંપલ પહેરી લીધા. ત્યાંથી બસ સ્ટેન્ડ નો રસ્તો પૂછતા સીધા બહાર જવાનું કહ્યું. વચ્ચે મુંડન કરવાનું કેન્દ્ર પણ આવ્યું. જ્યાં શ્રદ્ધાળુઓ વાળ સમર્પિત કરે છે. ત્યાંથી આગળ સામાન અને મોબાઈલ જમા કરાવવાના કેન્દ્ર હતા. એની બહાર નીકળતા બજાર આવી અને થોડે દૂર બસ સ્ટેન્ડ જે જગ્યાએ ચાલતા માત્ર 10 મિનિટમાં પહોંચી જવાય ત્યાં જવા સવારે અમે ખૂબ સંઘર્ષ કરેલો. અમે તિરુપતિ જતી બસમાં બેસી ગયા. અમારી પાસે હોટલનું કાર્ડ હતું. એ કહેવા કે અમારે ક્યાં જવાનું છે. અમે બસના ડ્રાઇવરને પૂછ્યું તો કહે ઓકે. રાત્રે 10:00 વાગે બસમાં બેસીને અમે એક ભાઈ પાસેથી ફોન લઈને અમારા ગ્રુપને ફોન કર્યો કે અમે હવે નીચે આવીએ છીએ. અમે પદ્માવતીમાંથી  ખરીદેલા લાડુ થી પેટ ભર્યું હતું. પેલી બસના ડ્રાઇવરે નિયત છેલ્લા સ્ટેન્ડ થી આગળ લઈ જઈ એક સર્કલ પાસે બસ ઊભી રાખી અને અમને કહ્યું કે અહીંથી તમારી હોટલ સાવ નજીક છે. અમે એક રીક્ષા કરી જેણે પેસેન્જર દીઠ ૨૦ રૂપિયામાં અમને હોટલ પર પહોંચાડી દીધા ત્યારે રાતના સાડા દસ વાગી ચૂકેલા. બધાએ વિગત પૂછી તો કહ્યું જે તારીખ હોય એના સમય પહેલાં પણ દર્શન ની લાઈનમાં જઈ શકો છો. અમારો અનુભવ શેર કર્યો અને સુઈ ગયા. બીજી સવારે એ લોકો સવારે પાંચ વાગ્યે નીકળવાનું નક્કી કર્યું.

શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ

શ્રી શૈલમ માં આવેલું બાર જ્યોતિર્લિંગ માનું એક જ્યોતિર્લિંગ એટલે મલ્લિકાર્જુન. જ્યોતિલિંગ કે પહાડી પર આવેલી જંગલોથી ઘેરાયેલી જગ્યા છે. અહીં જંગલી જનાવરો ડિસ્ટર્બ ના થાય એટલે જ્યાં જંગલ શરૂ થાય ત્યાં બધા વાહનોને રાત્રે  બાર વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી ફરજિયાત ઊભા રાખવામાં આવે છે. અહીંથી આગળ છ વાગે રસ્તો ખુલે છે. ત્યાં સુધી બંધ પડેલી બસમાં જાગતા સુતા સમય પસાર કરતા રહ્યા. છ વાગ્યે રસ્તો ખુલતા. બસ આગળ ચાલી. રસ્તામાં પાતાળ ગંગા ડેમ પ્રોજેક્ટ આવ્યો. જે કૃષ્ણા નદી પર બાંધવામાં આવેલો છે. એ નદીને પણ અહીં પાતાળ ગંગા તરીકે ઓળખે છે. એ નદીને કિનારે ડેમ સાઈટની આજુબાજુ બસ ફરતી ફરતી ચાલી રહી છે. સાત દિવસ પછીનું ગણેશ વિસર્જન ચાલુ હતું. નાની અને મોટી કેટલીય મૂર્તિઓને કાર કે ટેમ્પામાં બાંધી અહીં પાતાળ ગંગા નદી સુધી લાવવામાં આવતી હતી. અને પુલ પરથી નીચે પધરાવવામાં આવતી હતી. એ દ્રશ્યો પણ જોવા મળ્યા.

જ્યાં શ્રી શૈલમ ટાઉન ચાલુ થયું એ પહેલા સાક્ષી ગણેશનું સુંદર મંદિર આવ્યું.બસમાંથી દર્શન કરી આગળ વધ્યા. નાની પહાડીઓમાં આમતેમ વળાંક પર રસ્તા પર ગોળ ગોળ ફરતી બસ આખરે સ્ટેન્ડ પર પહોંચી ગઈ ખરી!!

અહીં પહોંચી રિક્ષા માટે પૂછ્યું તો બધા પૂછે કઈ હોટલ? તો કહ્યું બુકિંગ નથી. તો કહે અહીં તો ઓનલાઇન બુકિંગ જ થાય છે. એક બે જગ્યાએ ગયા તો ઓનલાઇન બુકિંગ હોય તો જ રૂમ મળે એ જવાબ મળ્યો. પછી એક ફૂટપાથ પર બધાનો સામાન કાઢીને નિરાશ્રિતોની જેમ બેસી ગયા. જમ્યા તો નહોતા પણ સામે ચાની ટપરી દેખાઈ. પાસે પોલીસો પણ ઉભેલા. પોલીસને પૂછ્યું તો કહે સી.આર.ઓ. ઓફિસમાં જજો એટલે વ્યવસ્થિત રહેવાનો બંદોબસ્ત થઈ જશે. પેલા છકડા વાળા સાથે ત્રણ જેન્ટસ ગયેલા. હું એકલી ચા પીવા ગઈ. ત્યાં એક જગ્યાએ રહેવાની રૂમો મળી. અમે ફરી છકડામાં સામાન સાથે ગોઠવાયા. પછી રૂમોમાં ગોઠવાયા. બાથરૂમમાં ફ્રેશ થવા ગોઠવાયા અને પછી જમવા માટે ડાઇનિંગ રૂમમાં ગોઠવાયા. અહીં જમવાની સુવિધા ફ્રી છે. પહેલીવાર તો કેળ ના પાન પર ટીપીકલ દક્ષિણ ભારતીય રસોઈની વાનગીઓ પીરસાઈ. ભૂખને જુએ સુકો ભાત જમી લીધું. હવે શ્રીમલ્લિકાર્જુન મંદિરમાં જ્યોતિર્લિંગના દર્શન માટે નીકળ્યા. રીક્ષા કરી ગયા પણ જોયું તો સાવ નજીકમાં ચાલીને જઈ શકાય એટલું નજીક હતું. અમે લાંબી લાંબી જાળીઓ અને આડશોની ઝીકઝેક લાઈનમાં આમતેમ ફરતા છેક મંદિર પાસે પહોંચી ગયા. ત્યાં વિશાળકાય નંદી હતા. મંદિર ખૂબ જ પુરાણી શૈલીમાં બંધાયેલું હતું. મંદિરનું શિખર સોનેરી પતરા થી મળેલું હતું. મંદિરમાં મહાદેવજીના દર્શન કરી કૃતાર્થ થઈ ગયા.

ત્યાંથી અસંખ્ય નાની-નાની દેરીઓમાં મૂર્તિઓને નમન કરતાં બહાર આવ્યા. ત્યાંથી પાછળ દેવીમાંના દર્શન કરીને બહાર આવ્યા. રહેવાનું પાસે હતું એટલે ચાલતા પાછા ફરીને જમવા માટે ગયા. મને ચેન્નઈ એક્સપ્રેસ ની મુવી જેવી પબ્લિક આજુબાજુમાં ફરતી જોવા મળી.

પછી સાંજે ફરી એકવાર દર્શન માટે ગયા. રાત્રીમાં  મંદિર વધારે મનમોહક લાગ્યું. દર્શન કરી ફર્યા. એક પ્રાંગણમાં બેઠા. શિખર સુવર્ણનું હતું. રાત્રે ખૂબ ભવ્ય લાગ્યું. પાછા ફરતા ચાલતા જ ઉતારા પર ગયા અને ત્યાં ભોજન કર્યું. આ ઉતારો પણ ખરેખર ભવ્ય હતો. આ વિસ્તાર પહાડી છે અને ચોમાસા બાદ ચોફેર હરિયાળી વ્યાપ્ત હતી એટલે દ્રશ્યો મનમોહક લાગતા હતા. ઉતારા નું નામ હતું કરી કલા. સાચું કહું તો અહીં જે જગ્યા ઉપર ગયા ત્યાં ઉડિયા ભાષામાં લખેલું હતું એટલે કોઈ સ્થાનના નામ નથી ખબર પડ્યા.

બીજે દિવસે પરવારીને  છકડામાં બેસી ફરવા જવાનું હતું. સાક્ષી ગણેશના પહેલા દર્શન કર્યા પણ પહેલા પાતાળ ગંગા પ્રોજેક્ટ જોવા ગયા. અહીં કૃષ્ણ નદી પર ડેમ છે અને રોપ વેમાં બેસી નીચે જવાનું હતું. ત્યાં બધા સ્નાન પૂજા વગેરે કરતા હતા. અમે ત્યાંથી પાછા ફર્યા. અહીંથી  ત્રણ મંદિરે ગયા. અહીંથી અમે જે ત્રણ મંદિરે ગયા ત્યાં વિવિધ ભગવાનની મૂર્તિઓના દર્શન કર્યા. નામ લખેલા પણ વાંચતા નહોતું આવડતું. ધીરે ધીરે ધોધનો અવાજ સંભળાયો. નીચે જઈને જોયું તો પર્વતના ખડકમાં મૂર્તિ કોતરેલી હતી. તેના પર પાણી પડતું હતું. દર્શન કરીને આગળ એક ઝરણું ધોધ સ્વરૂપે પડતું હતું .તે જોવા ગઈ અને ફોટા પણ લીધા. ત્યાંથી ઉપર આવીને એક એવા મંદિરમાં જવાનું હતું. જ્યાં શિવલિંગ નીચે હતું .અને પગથિયા ઉપર ચઢીને જવાના હતા. ત્યાં નંદીની પ્રતિમા હતી. તેના બે કાન વચ્ચે એક હાથે બે આંગળીઓનો એંગલ બનાવીને દૂર દેખાતા મલ્લિકાર્જુન મંદિરના શિખર પરની ધ્વજા જોવાનો પ્રયત્ન કરવાનો હતો. ત્યાંથી અમે ઉતારા પરત આવ્યા. ત્યાં કુપન લઈને ભોજન કર્યું. થોડીવાર આરામ કરીને બાકીની જગ્યા જોવા નીકળવાનું હતું. ત્યાં નજીકના લોકલ બજારમાં જડીબુટ્ટીઓની ખૂબ દુકાનો. આસપાસ નો વિસ્તાર સંપૂર્ણ જંગલ જ છે એટલે એમાંથી મળતી જડીબુટ્ટીઓ આ બજારમાં મળતી. પાછા રિક્ષામાં બેસી સાક્ષી ગણેશ મંદિરે ગયા. અહીં ગણપતિના દિવસોમાં રોજ દર્શન કરવા મળ્યા એક નવા રાજ્યમાં નવી જગ્યાઓમાં. ત્યાંથી બીજે બેઠા ઘાટ વાળા એક મંદિર ગયા. નામ નથી ખબર. ત્યાંથી એક લક્ષ્મી માતાના દેવી મંદિરે દર્શન કરી એક સંગ્રહસ્થાનમાં આવ્યા. અહીં આદિવાસી લોક કલાનું સુંદર પ્રદર્શન એક બગીચામાં કરેલું હતું. વિવિધ પૂતળાઓ દ્વારા સ્થાનિક કલાઓને દર્શાવવામાં આવી હતી. નાનકડું પણ સરસ મ્યુઝિયમ. જો તમને સ્થાનિક આદિવાસીઓના જીવન જોવા માં રસ હોય તો.

હવે એક સુંદર ભવ્ય ઈમારત જે છત્રપતિ શિવાજી મહારાજની યાદમાં બનાવેલી છે એ જોવા ગયા. ત્યાં મરાઠાઓના ઇતિહાસનું તસવીરોની નીચે વર્ણન કરવામાં આવ્યું છે. બિલ્ડીંગ ભવ્ય હતું. સંધ્યાકાળ થતા લાઈટો ચાલુ કરી પછી સુંદર ઇમારત દેખાતી હતી. ત્યાંથી ત્યાંના એક તળાવ પાસે ગયા.

અહીંથી મંદિર નજીક હતું તેથી મારા સિવાયની ત્રણેય બહેનો ફરી મંદિરમાં દર્શન કરવા ગઈ. હું અને પતિદેવ ત્યાંની લોકલ રેસ્ટોરેન્ટમાં શાક રોટલી ખાવા માટે ગયા. બાકીના ઉતારે ગયા. અહીં શનિ-રવિમાં ખૂબ જ ભીડ રહેતી હોય છે. આજુબાજુના શહેરોમાંથી માનવ મહેરામણ આવે છે અને ચારે તરફ પાર્કિંગ ફુલ થઈ જાય છે. અમે જ્યાં ઊતરેલા એ જગ્યા પર બહારના લોકોને રૂમ આપવા નથી આવતી એમ જણાવ્યું. બીજા દિવસે રૂમના પૈસા બપોરે આપીશું એમ વિચારી અમે બહાર જતા રહ્યા તો અમારી બેઉ રૂમ બીજી વ્યક્તિઓને આપી દેવામાં આવી હતી. ખૂબ વિનવણીઓ કર્યા બાદ અમને બધા વચ્ચે એક નાનકડી રૂમ આપવામાં આવી અને રાત્રે 10:30 એ તમને બીજી રૂમ આપવામાં આવી. અહીં પ્રવાસીઓ માટે આતિથ્યભાવનો અભાવ હોય એમ જણાયું. આજે અમે લગભગ પગે ચાલીને જ ફર્યા. બહુ નાનકડી જગ્યા લાગી હતી પહેલા પણ હવે ઠીક ઠીક મોટું ગામ પણ જોયું. બહુ  સુવ્યવસ્થિત રસ્તાઓ હતા. બજાર પણ ઠીક ઠાક હતું. એક જગ્યાએ મોલ નું બોર્ડ હતું. એ વિશે પૂછતા એક શોપિંગ સેન્ટરનો રસ્તો બતાવેલો. હું હજી સુધી એ નહોતી સમજી શકેલી કે જગ્યાનું નામ શ્રી શૈલમ છે કે મંદિરનું?? પછી ખ્યાલ આવ્યો કે આ જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન છે અને જે શ્રીશૈલમ છે એ ટાઉનમાં આવેલું છે. સાંજે અમારા ગ્રુપની ત્રણ મહિલાઓ ત્રીજીવાર દર્શન માટે ગયેલી ભાઈ ખૂબ ભેજને કારણે ત્યાં પણ ક્રાઉડ મેનેજમેન્ટ માટે થોડા થોડા અંતરે દરવાજા બંધ કરવામાં આવતા હતા. આગળ ભીડ ઓછી થાય એટલે શ્રદ્ધાળુઓને જવા દેતા. એમને આવતા ખૂબ મોડું થઈ ગયેલું. એમના પતિદેવ ચિંતાજનક વાતો તો કરે પણ કોઈ ત્યાંથી આગળ મંદિર પાસે જવાનું નામ ન લે. આખરે ખૂબ મોડા એ બહેનો પાછા આવી ગયા. નીચે જમ્યા અને પછી ખૂબ ભીડમાં સુંદર દર્શન ની વાત કરી. એ દિવસે બપોરે અમે અહીં મરકાપુર કસ્બામાં જવા માટે બસ નું રિઝર્વેશન કરાવી લીધેલું. અહીંથી આખો ટેકરી વિસ્તાર ફરી ઉતરીને મરકાપુર રેલવે સ્ટેશનથી તિરુપતિ જતી ટ્રેન પકડવાની હતી. બપોરે જમીને અમે ઉતારે થી બહાર છકડો મંગાવીને બસ સ્ટેન્ડ પર પહોંચ્યા. નિયત સમયે બસ આવતા અમે બહારના દ્રશ્યો જોતા જોતા મરકાપુર ત્રણ ચાર વાગ્યાની પછી પહોંચ્યા. અમારી ટ્રેન 6:00 વાગ્યા આસપાસ હતી. બાકીનો સમય પ્લેટફોર્મ પર વેઇટિંગ રૂમમાં અને આમતેમ ફરતા કાઢ્યો. અહીં ટ્રેન રોકાવાનો સમય ત્રણ મિનિટ હતો અને બીજા બધા સ્ટેશનોની જેમ કયો ડબ્બો ક્યાં ઉભો છે એના ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે નહોતા. એટલે ચા વાળાને પૂછીને આશરે ઉભા રહ્યા. નિયત સમયે ટ્રેન આવી અને અમારો ડબ્બો ખાસ્સો આગળ ઉભો રહેતા સામાન માટે સાથે ડોટ મૂકવી પડી. અમે ડબ્બામાં ગોઠવાયા બાદ ઓનલાઇન જમવાનું મંગાવવાનું નક્કી કર્યું. નજીકના સ્ટેશનથી ઓનલાઇન રેલ ફૂડ પરથી ઓર્ડર કર્યો. પહેલી જ વાર આ રીતે જમવાનું મંગાવ્યું. આવડતું નહોતું એટલે રાહ જોવાતી હતી. નિયત સ્ટેશને જમવાનું આવ્યું. કેશ ચૂકવીને જમવાનું લીધું. ચાર કપલ વચ્ચે ચાર થાળીમાં પૂરતું જમવાનું થઈ રહ્યું. પછી બધા પોતપોતાની બર્થ પર જઈને સૂઈ ગયા. તિરુપતિ સવારે ચાર વાગ્યે આવવાનું હતું.

હૈદરાબાદ ગોલકોંડા નો કિલ્લો

આજે છેલ્લો દિવસ હતો. સવારે ઊઠી હોટલવાળાએ ગાઈડ કર્યા પ્રમાણે અમે નાસ્તો કરીને કિલ્લો જોવા પહોંચ્યા. સિકંદરાબાદ સાંકડું અને પ્રાચીનતાની ઓળખ આપતું શહેર છે્.

રિક્ષાવાળા સાથે રકઝક કરી ભાવતાલ નક્કી કરી ગોલકોન્ડાના કિલ્લામાં પહોંચ્યા. ભારતના પ્રાચીનતમ કિલ્લાઓમાં મજબૂત અને અગ્ર ક્રમાંકે આવે છે. આ કિલ્લો અહીંની વિશેષતા એ છે કે જોવા જેવું બધું જ નીચે જ આવેલું છે. અહીં રાત્રે લાઇટ અને સાઉન્ડ શો પણ થાય છે. ઉપર હનુમાનજીનું મંદિર અને ઉપર એક ઇમારતને જોવા બહુ ઊંચે જવું પડે છે. અને જો ઇતિહાસ યાદ હોય તો કોહીનુર હીરો આ કિલ્લામાંથી મળી આવેલો. ત્યાં ચોકીદારને પૂછ્યું તો કહે : એક તરફથી ચડીને બીજી તરફથી ઉતરજો તો આખો કિલ્લો જોવા મળશે. અમારામાંથી અમુક વ્યક્તિઓને કિલ્લો જોવામાં રસ નહોતો લાગતો ખંડેરોમાં શું જોવાનું હોય? પણ અમે બધા સાથે ચડવા લાગ્યા. આ રસ્તે પૂરેપૂરો કિલ્લો જોવાય છે. બધા પ્રવાસીઓ જ્યાંથી ચડે ત્યાંથી જ ઉતરી જતા હોય છે. વચ્ચે હનુમાનજીનું મંદિર આવ્યું. ત્યાં દર્શન કર્યા. હવે ચડવાનું થોડું અઘરું લાગતું હતું. પણ તોય ત્યાં આવેલા મંદિર સુધી પહોંચી જ ગયા. બેઉ મંદિરમાં દર્શન કરી આગળ એક બે ઇમારતમાં ઉપર ગયા ઉપર ચડીને જોયું તો આખા કિલ્લાની સુંદરતા એક સાથે જોઈ શકાતી હતી. વિહંગમ દ્રશ્ય એના વિવિધ એંગલથી ફોટાઓ પાડ્યા અને બીજા રસ્તે થી પાછા ઉતરતા નીચે આવ્યા. કિલ્લાની બધી વિવિધ ઇમારતો જોવા મળી પણ ગાઈડ સાથે નહોતો એટલે ઇમારતો શાની હતી એ ખબર ન પડી. પણ એ વખતના આર્કિટેક્ટ અને બિલ્ડરોની દૂરંદેશીને સલામ કરવાનું જરૂર મન થઈ જાય છે. ખૂબસૂરત છે આ જગ્યા. અને લાઈટ શો પણ થાય છે પણ હવે તો રાતની બસમાં શ્રી શૈલમ જવાનું હતું. ત્યાંની સરકારી બસમાં બેસી પાછા હોટલ પર આવ્યા ત્યારે આખું શહેર વિન્ડો સીટ પર બેસીને જોયું. નવું શહેર અને જૂનું શહેર સાવ અલગ છે. જુના શહેર બધા એક સરખા જ હોય એવું લાગ્યું. ફરી ફરીને પાછા હોટલ આવી ગયા. હવે કશે જવું નહોતું. વ્યવસ્થિત પેકિંગ કરી રાત્રે 10:30 ની બસમાં શ્રી શૈલમ જવાનું હતું. સાંજે હૈદરાબાદી વેજ બિરયાની ફરી મંગાવી. રાત્રે 8:30 ના સુમારે ફરી રીક્ષાઓ બોલાવી. સામાન ગોઠવી બસ સ્ટેન્ડ તરફ વિદાય થયા.

ખબર નહીં પણ હૈદરાબાદ મને ખૂબ ગમ્યું. અહીં ફરવા આવ્યા હોઈએ એવી અનુભૂતિ થઈ. નહીં તો મંદિરે યાત્રા દર્શન જેવું જ કંઈક લાગતું. બધા બસ ડેપો પર બેસી રાહ જોવા માંડ્યા. રાત્રે 10:00 વાગે બસ આવી સરસ પુશબેક સાથેની આરામદાયક બેઠક અને મોટી મોટી બેગો પણ સમાઈ જાય એવા ઉપર સામાન ના રેકમાં બધો સામાન ગોઠવાઈ ગયો. કાનમાં ઈયરફોન નાખીને ગીતો સાંભળતા સાંભળતા શ્રી સેલમ તરફ બસની સફર ચાલુ થઈ. એ મોટા સુવ્યવસ્થિત સરસ મજાના હેપ્પી હૈદરાબાદ તને આવજો કહું છું.

દક્ષિણ ભારત હેપ્પી હૈદરાબાદ નું રામોજી ફિલ્મ સીટી

બીજા દિવસે રામોજી ફિલ્મ સિટી જવા માટે બહુ સરસ અને સરળ રસ્તો હોટલવાળા ભાઈએ બતાવ્યો. અમારી હોટેલ લકડી કા પુલ વિસ્તારમાં હતી. ત્યાંથી મન 15 એક કિલોમીટરના ચાલતા જવાય તેવા અંતર પર મેટ્રો રેલવેનું સ્ટેશન હતું. અમને એમણે છેલ્લા સ્ટેશન એલ.જી. નગર જઈને ત્યાંથી રિક્ષામાં આસાનીથી પહોંચી જવાય છે એમ જણાવ્યું. જે લોકોએ અમેરિકામાં યુનિવર્સલ સ્ટુડિયો જોયો હશે એમને આમાં કંઈ નવું નહીં લાગે પણ અહીંના લોકો માટે અહીંની સંસ્કૃતિ પ્રમાણેનું મજાનું સર્જન થયેલું છે. અમારે બીજા દિવસે રાત્રે અહીંથી શ્રી શૈલમ જવા બસ નું બુકિંગ પણ કરવાનું હતું. તો ત્રણ વ્યક્તિ એમજી રોડના મેટ્રો સ્ટેશન પર ઉતરીને સીધા બસ ડેપોમાં પહોંચી ગયા. ટિકિટ બુક કરીને ઉપર આવ્યા. અમે ત્યાં સુધી સ્ટેશન પર ચારે બાજુ આંટા માર્યા કર્યા. ત્યાંનો નજારો જોયો.

બધા ફરી ભેગા થતા ત્યાંથી એલ.જી.નગર બીજી મેટ્રો ટ્રેનમાં બેસીને ગયા અને રિક્ષામાં રામોજી સીટી પહોંચ્યા.

એકરો સુધી ફેલાયેલી આ અદભુત દુનિયામાં પ્રવેશ કરવાનો હતો. અહીં સામાન્ય પ્રવેશ દર વ્યક્તિ દીઠ 1599 રૂપિયા છે. અને ત્યાંથી સીધી ટિકિટ લઈ શકાય છે. શહેરમાં એજન્ટોના સંપર્કમાં આવવાની જરૂર નથી હોતી. 3000 પ્લસ વાળી ટિકિટમાં જમવાની પણ વ્યવસ્થા હોય છે. અમે ટિકિટો લઈને મુખ્ય પ્રવેશ દ્વારથી પરથી બસમાં ઝટપટ ગોઠવાઈ ગયા્

હવે જે સફળ શરૂ થવાની હતી તે ક્યાં સુધી એ ખબર ન હતી. એક બસમાં બેસાડી અમને અંદર આવેલા બીજા બસ સ્ટેન્ડ સુધી લઈ જવામાં આવ્યા. અહીં વિન્ટેજ ગાડી જેવી નાનકડી લાલ બસોમાં આપણને બેસાડીને જુદા જુદા શૂટિંગના સ્થળોએ લઈ જવાય છે. અહીં આવવાનો રસ્તો જ એટલો સુંદર હતો કે વાત ન પૂછો!! પહેલી વાર ગાઈડ બધું સમજાવતો જાય અને પછી પહેલા સ્થળે ઊતરીને એ સેટ આપણે જેટલા સમય સુધી જોવો હોય એટલા સમય જોવાની છુટ. પછી બહાર આવો એટલે બીજી બસમાં બેસી બીજા સ્થળે જવાનું.

પહેલો સેટમાં મહાભારતના દરબારનો હતો. બહુ જ ભવ્ય હતો. પછી તો જેલ, રેલવે સ્ટેશન, પુષ્પા અને બીજી ફિલ્મોના શૂટિંગ થયા એ જંગલો… સામેના થોડા કાંઠા વિસ્તારમાં ઝાડને પણને મોટા મોટા જંગલો બતાવાતા હતા. ખાબોચિયા જેવી નદીઓ હરતા ફરતા કેદીઓ વાળી જેલો.. જમ્મુતાવી સ્ટેશન ટ્રેન સાથે…. આ બધું જોતા વિચાર આવે કે આપણે કેટલા લલ્લુ બનીએ છે…્ અને હસવું પણ આવે…

મને મનગમતો વિભાગ તો વિદેશી શહેરનો હતો.. હાર બંધ આલીશાન સુંદર બંગલાઓ સુંદર બાંધણીઓ પણ એ બધા સેટ જ હતા ….ત્યાં જે બંગલો ગમે ત્યાં પોતાનો સમજી ફોટા પડાવી લઈએ. એક બંગલામાં ગયા તો થ્રીડી વિઝન મિક્સિંગ લાઈવ જોવા મળે .ત્યાં સુપરમેન થી માંડી બધા સુપરહીરો અમારી રાહ જોઈને બેઠેલા. પ્રાચીન યુરોપની યાત્રાનો અનુભવ કરાવતી એક ટ્રેન જેવી ગાડીમાં ફર્યા. ઘણું બધું અદભુત લાગતું હતું. સાચું કહું એ વખતે મારી ઉંમર 10- 11 વર્ષના બાળક જેટલી થઈ ગયેલી. પછી જોયો બાહુબલી ફિલ્મ નો સેટ. બહુ બધા ફોટા પડાવ્યા.

એક જગ્યાએ મોટર સાયકલ પર ઉભા ઉભા પગ થી  એને હલાવીને કરેલી એક્ટિંગને સાઉન્ડ અને વિઝન મિક્સિંગથી ફિલ્મ શૂટિંગમાં આખો શૂટ નો પ્રોસેસ બતાવ્યો. એકવાર તમે મેઈન ગેટથી પ્રવેશ્યા તો બધે હવે બસ બદલતા બદલતા ફર્યા કરે છૂટકો. વચ્ચે ધોધ અને પક્ષીઓનો સંગ્રહાલય પણ સરસ હતાં .તાજમહલ, કલકત્તાના ઘરો, ગલીઓ, એરિસ્ટોક્રેટ ઓફિસ બિલ્ડીંગ, રાજસ્થાની બાંધકામ શૈલી વાળી જગ્યાઓ અને જાપાની શૈલીમાં બંધાયેલો એક નાનકડું સરસ મજાનું સ્પોટ પણ ખરું જ.

પછી અમે એક ઠેકાણે જમ્યા. એક ફન ઝોન પણ હતો.એમાં કેટલીક રમત ગમત ફ્રી હતી ફ્રી હતી. મેં અને પતિદેવે બોક્સિંગનો લાભ લીધો. પછી 5d સિનેમા અને લાઈવ નાટક પણ જોયું.

હવે સાંજ પડી ગયેલી. ઓણમ નિમિત્તે એક સરસ લાઈવ સ્ટેજ સો જોવા મળ્યો. ત્યાંથી નીકળી એક ચકડોળમાં બેઠા. ત્યારે સાંજે 7:00 વાગવા આવેલા. બસમાં બેસી પાછા બહાર આવ્યા અને રિક્ષામાં મેટ્રો સ્ટેશન ઉતરી ત્યાંથી હૈદરાબાદ પરત આવ્યા. એક દિવસ પૂરેપૂરા બાળપણની દુનિયામાં જીવી લીધો. અમેર

જ્યારે હૈદરાબાદ પાછા આવ્યા ત્યાં આવી પહેલા ચા પીધી. અને પછી જમવા માટે ગયા.આજે  નક્કી કરેલું કે હૈદરાબાદી બિરયાની જ ખાવી. બીજા બધાને રોટી સબ્જી વગેરે મંગાવ્યું પણ મેં અને પતિદેવે વેજ બિરયાની ખાધી. સાદા બોઈલ્ડ પુલાવ સાથે એ લોકો વિશિષ્ટ મસાલેદાર તીખી ગ્રેવી અને દહીં આપે. મજા નો ટેસ્ટ હતો.. હૈદરાબાદને જીભ પર માણ્યા પછી ચાલતા હોટલ પર પહોંચીને આરામ કર્યો.

દક્ષિણ ભારત હેપ્પી હૈદરાબાદ

નવમી સપ્ટેમ્બર નો ટ્રેન બુકિંગ થઈ ગયેલું. આ ત્રણ સ્થળો જવાના હતા હૈદરાબાદ, મલ્લિકાર્જુન અને તિરુપતિ.

જીવન ક્યાં એકસરખું ચાલે છે? મારા દિયરજી 29 મી જુને આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા. છેલ્લા એક વર્ષ અને ખાસ તો છેલ્લા ત્રણ મહિના બહુ ભારે રહ્યા હતા. જુલાઈ- ઓગસ્ટ- સપ્ટેમ્બર. ઓગસ્ટ મહિના સુધી બધી લૌકિક ક્રિયાઓમાં વ્યસ્ત રહ્યા. આગળ જવાશે કે નહીં એ પણ ખબર નહોતી. ત્રણ મહિના પહેલાં નિયમ મુજબ તિરુપતી મંદિરમાં સ્પેશિયલ દર્શન બુકિંગ કરાવી દીધું હતું. 16 મી સપ્ટેમ્બર ની તારીખ મળેલી.

બધું ધીરે ધીરે સેટ થતા અમે હૈદરાબાદ જવા નવમી સપ્ટેમ્બર હમસફર ટ્રેનમાં સફર શરૂ કરી.પૂનાથી અમારા એક ગ્રુપના ભાઈ અને એમના પત્ની ખીચડીનું ટિફિન લઈને ચાલ્યા.

આ સફર હવે નાની લાગી. બીજા દિવસ જ સવારે 8:00 વાગે હૈદરાબાદ આવી ગયું. હૈદરાબાદ અને સિકંદરાબાદ બેઉ ટ્વીન સીટી છે. ટ્રેનમાં હૈદરાબાદની ટિકિટ ન મળે. સિકંદરાબાદ ઉતરવું પડે. વચ્ચે આવતા બેગમપેટ સ્ટેશન ઉતરી જાવ તો પણ ચાલે. સાથેના મુસાફરોએ બેગમપેટ ઉતારવા કહ્યું. ઓનલાઇન રિક્ષા મળીને એટલે બધા આઠ વ્યક્તિઓ ત્રણ રીક્ષા માં સામાન સાથે અમારા બુક કરાવેલા હોલીડે ક્રિષ્ના રેસીડેન્સી પહોંચ્યા. 8 જણ માટે બે ડબલ બેડ વાળા બધી સુવિધાઓ યુક્ત બે રુમોમાં મેઇન રોડ પર મળ્યા હતા. બે બે કપલ બે રૂમમાં ગોઠવાયા. નહિ ધોઈને ફ્રેશ થઈને ચા મંગાવી સાથે લાવેલો નાસ્તો પણ કર્યો. એક કાર બુક કરાવીને હૈદરાબાદ દર્શન માટે 10:00 વાગે નીકળ્યા. બહુ જ વિશાળ શહેરની થોડી ઝલક રસ્તામાં જોઈ લીધી હતી. કાર આવી એમાં અમે બધા જોવાના સ્થળનું લિસ્ટ લખી ગોઠવાયા. પહેલો નંબર હૈદરાબાદની ઓળખ સમાન ચાર મિનારનો આવ્યો. ભરચક બજાર વચ્ચે ઊભેલી ચાર મહિનાની ઈમારતની આજુબાજુ હવે ફેરીવાળા પથારા પાથરી રહ્યા હતા. આવો એમની મોબાઈલ હથેળી માંડી રહ્યા હતા. ચાર મિનાર પાસે ગ્રુપ ફોટો પડાવ્યો. ચારે બાજુ ફરીને પણ ફોટા લીધા અને પછી આગળ બીજા સ્થળ માટે કારમાં બેસી ગયા.

ત્યાંથી નિઝામના  ચૌમહાલા મહેલને જોવા જવાનું હતું. પેલેસ 400 – 500 વર્ષ જૂનો પેલેસ જતામાં તો કંઈ ખાસ ન લાગે. પણ જેમ જેમ એમાં અંદર જતા ગયા તેમ તેમ મહેલની ભવ્યતા આંખો આંજવા માંડેલી. લાંબી લાંબી પરસાળ ,વિશાળ ઓરડા વચ્ચે કૃત્રિમ તળાવ. જુની ઢબ નું તોય ગમી જાય એવું બાંધકામ. નિઝામ નો દરબાર હોલ તો બસ ઝુમરોની ઝાકઝમાળથી લબા લબ ભરેલો. એક સ્થળે વસ્ત્રો તો બીજો ઓરડો કાચના વાસણોથી ભરેલો. આ બધું પાછા જુદા જુદા બિલ્ડીંગોમાં. નિઝામના ભવ્ય આવતી ભવ્ય બેઠક ખંડનું મકાન તો સાવ જુદુ જ. કારણ પણ એક મોટું કલેક્શન જોવા મળે છે. જ્યાં કપડા હતા એ લીલા ઝુમ્મર વાળો હોલ પણ જુદો. ચાલીને થાકી જવાય. પણ હૈદરાબાદના નિઝામ ને ઈતિહાસમાં વાંચ્યા તો હતા નામ યાદ નથી. હવે ક્યાં યુપીએસસીની પરીક્ષા આપવાની છે?

ત્યાંથી ભારતનું પહેલા નંબરનું ગણાતું મ્યુઝિયમ સાલારજંગ. ઈમારત જ મ્યુઝિયમ માં મૂકવા જેવી .એનો રખ રખાવ સરસ થાય છે. એન્ટ્રી ફી પણ ખરી. ચાર માળમાં વિસ્તરેલી મહેલનુમા ઈમારતમાં કઈ કેટલાય ઓરડાઓ આવેલા હતા. જોતા જોતા યાદ પણ ન રહે. કઈ વસ્તુ એવી હશે કે જે એ સંગ્રહસ્થાનમાં નહીં હોય!! એક પ્રાચીન ઘડિયાળને ધ્યાનથી જોઈ. ત્યાં અંદર આવેલા રેસ્ટોરન્ટમાં બધાએ ખાધું પણ મારે ઠંડુ ખાવાનું હતું એટલે કશું ના લીધું.

ત્યાંથી નીકળીને બીજા સ્થળોએ જે બધાના બાળકોના રસના વધારે હોય એવા સ્થળોએ જવાની અમે ના કહી. ત્યાંથી વિશાળ હુસેન સાગર તળાવને કિનારે કિનારે કાર ચાલવા માંડી અને પહોંચ્યા એક ઊંચાઈવાળા સ્થળે આવેલા મંદિરમાં. એ મંદિર શ્રી બિરલા જે બનાવ્યું છે એટલે એને બિરલા મંદિર કહે છે. અંદર ભગવાન બાલાજીના દર્શન થાય છે. ઉપરથી હૈદરાબાદ શહેરનું વિહંગમ દ્રશ્ય ખુબ જ સરસ લાગે છે. પહેલા એકવાર આવેલી ત્યારે રાત્રે આ સ્થળ ખૂબ જ સુંદર લાગતું હતું .

ત્યાંથી બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકર ના પૂતળા પાસે ફોટા પડાવ્યા. અમે ગયા ત્યારે ગણપતિ ઉત્સવના દિવસો હતા. એટલે ઠેર ઠેર ગણપતિની મૂર્તિઓ નજરે પડતી. એમાં સૌથી વિશાળ ગણપતિના પંડાલમાં અમે દર્શન કરવા ગયા. વચ્ચે ત્યાંની એક જૈન રેસ્ટોરન્ટમાં ચા અને બ્રેડ નો નાસ્તો મેં કર્યો. એક બ્રેડ સાંજ માટે લઈ લીધી. ગણપતિજીના દર્શન બાદ અમે તેલંગણા રાજ્યનું સચિવાલય રસ્તામાં જોયું.ખૂબ ભવ્ય અને વિશાળ બિલ્ડીંગ હતી. અહીં ઘણી બધી જગ્યાએ માત્ર વનવે ટ્રાફિક કરીને ટ્રાફિકની સમસ્યા પર કાબુ મેળવાયો છે. તેલુગુ દેશમ પાર્ટીના ચિન્હ દિપકને એક રિફ્લેક્ટિવ સપાટી પર મોટા પ્રતીકની જેમ મુકાયો છે. એમાં આવતા જતા ટ્રાફિકનું પ્રતિબિંબ દેખાય.

ત્યાંથી અમે અહીંની પ્રખ્યાત કરાંચી બેકરીના બિસ્કીટ લેવા ગયા. મને થોડુક સારું નહોતું લાગતું એટલે બહાર જ બેસી રહી. બધાએ બિસ્કીટ લીધા. મને પૂછ્યું તો હું ઉપર જઈને બે પેકેટ લઈ આવી. બધા જ સ્વાદિષ્ટ લાગેલા. હવે અમે એક હૈદરાબાદી મોતીની દુકાને જ્વેલરી જોવા ગયા. ભાવ ખૂબ જ ઊંચો પણ વસ્તુ ખરેખર સરસ હતી. અહીં શોપિંગ મારા વિષયનો રસ જ નથી એટલે હંમેશા કોર્ષ બાર જ રહે છે.

ભારતનો પૂર્વ કિનારો હોવાથી અંધારું વહેલું થઈ ગયેલું. હોટલ પર પરત આવ્યા. મેં સાથે લાવેલા બ્રેડ ખાધા કશું પણ લગાડ્યા વગર લુખ્ખા ખાઈએ તોય ચાલે ,ગળે ન બાજે એ એની વિશેષતા .રાત્રે હોટલ આવીને સૂઈ ગયા કાલે એક બીજો સરસ દિવસ ઉગવાનો હતો.

શેગાંવ યાત્રા ભાગ: 4

આજે છેલ્લો દિવસ. પણ અહીં નિયમ પ્રમાણે ત્રણ જ દિવસ એક વ્યક્તિ રૂમ રાખી શકે એટલે બીજા ચાર વ્યક્તિના નામે નવેસરથી રજીસ્ટ્રેશન કરાવી ચાર નંબરની બિલ્ડિંગમાં ઉપરના અમારે ચાર રૂમ મળ્યા. અહીં સમારકામ ચાલતું હશે એટલે નળ ફુવારા બંધ હોય એવું લાગ્યું. પણ રૂમોમાં તો એટલી જ સરસ સગવડ હતી.

આજે પ્રસાદાલયમાં ચા નાસ્તો કરી ફરી ગજાનન મહારાજના દર્શન કરવા જવાનું હતું. ત્યાંથી આશ્રમની બસમાં બેસી શેગાંવ મંદિર પહોંચ્યા.

આજે નિરાંતનો દિવસ હતો. એવી જ રીતે ધીરજ અને પ્રતીક્ષા નો પણ. અહીં ગુરુવારે ખૂબ જ ભીડ રહે છે એનું પ્રમાણ અમને લાઈનની લંબાઈ જોતા જ મળી ગયું. બહુ જ વ્યવસ્થિત સંપૂર્ણ વાતાનુકૂલિત  બેસવાની વ્યવસ્થા સાથે બે થી ત્રણ કિલોમીટર લાઈનમાં અમે ચાલ્યા. એવો ગલીયારો તૈયાર કરવામાં આવ્યો છે કે ચાલતા ચાલતા છેવટે ગજાનન મહારાજની મૂર્તિ સુધી પહોંચાઈ જવાય છે. અહીંથી રામ મંદિરના ફરી દર્શન કર્યા. બહાર નીકળ્યા. અમે ફરી મહાપ્રસાદાલય તરફ ગયા. પ્રસાદ લીધો.

હવે અમારા ગ્રુપના કેટલાક લોકો એક ગુરુની સમાધિ સ્થાને જવા માંગતા હતા. થોડા પુરુષ સભ્ય વિસાવાના ઉતારે જવા માંગતા હતા. સાંજે પરત આવવાના હતા. અમે બેઉ જણાએ સ્થાનિક શેગાંવ બજારમાં ફરવાનું નક્કી કર્યું. શેગાંવ ની પ્રખ્યાત કચોરી અને કોથમ્બીર વડીનો આસ્વાદ લીધો.

ત્યાં પ્રતિક્ષાલયમાં જઈ બસ એમ જ બેસી રહ્યા. લોકોની ગતિવિધિઓ જોતા રહ્યા. ઘણીવાર પછી અમે ત્યાં પ્રસાદાલયમાં ચા પીવા ગયા અને હવે ફરી એકવાર મંદિર બાજુ ગયા. ત્યાં ઢોલ નગારા ત્રાસા સાથે શ્રી ગજાનન બાપુની મૂર્તિની સવારી મંદિરના પ્રાંગણમાં ફેરવવામાં આવે છે. એક અનોખો સંગીતમય માહોલ જોવા મળ્યો. અમે આરામથી બધું નિહાળતા રહ્યાં. અમને સમાધિ પર ગાયેલું ગ્રુપ પરત આવીને મળ્યું. એમને જણાવ્યું કે મહાન ગાયિકા લતા મંગેશકરજીના ગુરુજીની એ સમાધિ હતી.

અમે બે જણે બસમાં ઉતારામાં જવાનું નક્કી કર્યું. બીજા સભ્યો પણ ત્યાં આવી ગયેલા. અમે બેઉ ઉતારામાં પરત આવ્યા. થોડા રિલેક્સ થઈને ભોજન માટે ગયા. હજી ભોજન પતાવીને બહાર આવીએ ત્યાં જોરદાર પવનઓ સાથે બુંદોની ઝંડી શરૂ થઈ. અમે ઝડપથી ચાલતા અમારી રૂમ પર પાછા આવી ગયા. ત્યાં જ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો. અમારા રૂમની બાલ્કની માંથી પાણી રૂમમાં આવી ગયું. ક્યાંક વીજળી પણ પડી. કલાક પછી આ તોફાન ધીરે ધીરે શમી ગયું.

અમારા બધા ગ્રુપ મેમ્બર્સ પણ પરત આવી ગયેલા. કાલે સવારે 5:00 વાગ્યે શેગાંવ થી વડોદરા ની ટ્રેન હતી. જે ટેમ્પો ટ્રાવેલરમાં અમે બધે ફર્યા એમની સાથે વહેલી સવારે સ્ટેશન જવાનું નક્કી કરી દીધેલ. સવારે એ બસ આવતા અમે સામાન સાથે સ્ટેશન આવી ગયા. અહીં પ્લેટફોર્મ પર મોદીજીનું મોટું કટ આઉટ હતું. મેં એની સાથે ફોટો પડાવ્યો.

ટ્રેન આવી. અમે અમારા કોચમાં બેઠા અને ધીરે ધીરે વડોદરા પરત.. એક મસ્ત મજાનો પ્રવાસ જેને લખતા લખતા પણ મારા ચહેરા પર સતત સ્મિત રમતું જ રહ્યું એ પૂર્ણ થઈ ગયો હતો…

શેગાંવ યાત્રા (લોણાર લેક) ભાગ : 3

14/02/2024

આજે વેલેન્ટાઈન ડે પર સાથે ફરી ફરવા જવાનું હતું. મેં અને હિતેશે પીળા રંગના કપડા પહેરી ટ્વીનીગ કર્યું હતું પણ એ કુદરતી રીતે થઈ ગયેલું, ઈરાદાપૂર્વક નહીં. સવારે ચા નાસ્તો કરી બસની રાહમાં ઊભા રહ્યા. નિશ્ચિત સમય બસ આવી જતા એમાં ગોઠવાયા.

આજે લોણાર જવાનું હતું. પહેલીવાર સાંભળેલું આ નામ. રસ્તામાં બોર્ડ આવતા એ મુજબ એ અભયારણ્ય હતું. જંગલ જેવું લાગતું તો હતું અને રોડ પર બહુ જ ઓછા વાહનો હતા. અમે 11 વાગ્યાની આસપાસ લોણાર પહોંચ્યા. અહીં પથ્થરોથી બનેલ કિલ્લા જેવી દેખાતી ઈમારત હતી. ચારે બાજુ વડના વૃક્ષો વચ્ચે સરસ રસ્તા પર ચાલતા નીચેની તરફ જવાતું હતું.આગળ જતાં એક પાણીનો કુંડ આવ્યો. ખંડેરો જેવી સુમસાન જગ્યા લાગે પણ અહીં બાંધકામ ચાલતું હતું. નીચે જવાના પગથિયાં બની રહ્યા હતા. આમ તો કાળા પથ્થરના વ્યવસ્થિત પગથિયા તો હતા પણ એના પર જો બે ધ્યાન રહીએ તો બેલેન્સ પણ જાય એવું હતું. ઘણીવાર ચાલવામાં મારા પગ વાંકા પડી જતા હતા એટલે મેં છેક નીચે જવાનું માંડી વાળ્યું. અને બીજા થોડા સાથીઓ સાથે ઉપર બેઠી.

ઠેઠ નીચે સુધી બધા જઈ રહ્યા હતા અને પછી આંખોથી ઓઝલ થઈ ગયા. આ જગ્યા જેનો અદભુત ઇતિહાસ હતો એની સાવ નજીકથી જોવાનું હું ચૂકી ગઈ એના મને થોડો અફસોસ રહેશે. અહીં એક સરોવર છે. વિશાળ 58,000 કરતાં વધારે વર્ષો પહેલાંનું. પૃથ્વી સાથે એક વિશાળકાય ઉલ્કા અથડાયેલી. એનાથી પડેલા ખાડામાં આ સરોવરની રચના થયેલી આજુબાજુ મંદિરોના અવશેષ હતા. જંગલ હતું. નિર્જન શાંત વાતાવરણ ઓઢીને અહીં સંતાઈને બેઠેલું તળાવ લોણાર લેક. ભારતની જોવાલાયક અદભુત જગ્યા હતી. ભીડભાડ માં ફરેલી આપણી પ્રજા આ કુદરતને જોઈને ક્યાંક તો સમજી નથી શકતી અથવા એનું મન ચીલાચાલુ વસ્તુઓને શોધે છે. ન સાંભળેલા નામમાં હજારો વર્ષ જૂનો ઇતિહાસ ભલે સાવ નજીકથી ન જોયો પણ ઉપરથી સાક્ષીભાવે જોવાનો મને ગર્વ છે. આ સ્થળો જોવાના નહોતા અનુભૂતિ કરવાના હતા.

ત્યાંથી અમે એક હનુમાનજીના મંદિરે ગયા. મોટા કાળા પથ્થરમાંથી બનેલું. સાથે શિવ મંદિર પણ હતું. સંકુલ મોટું પણ દર્શનાર્થી કોઈ નહીં .શયન કરતા હનુમાનજીની વિશાળ મૂર્તિ હતી. અહીંની શાંતિ અને વાતાવરણ એવા કે આપણા બધા દુનિયાની પ્રશ્નોનું અહીં સમાધાન થઈ જાય છે. અહીંની મૂર્તિ પરથી કેટલાય કિલો સિંદૂરનો ઢગલો થોડાક વખત પહેલાં સાફ કરવામાં આવેલો. અત્યારે મહિનાઓ પછી આ લખાણ કરતી વખતે બધું મારી આંખો સમક્ષ દેખાઈ રહ્યું છે. અહીંથી થોડું આગળ અમે બપોરના ભોજન માટે રોકાયા.

અહીં બાળકોને રમવાના અને સાધનો હતા. સાચું કહું  તો મારા અંદરના બાળકે બહુ જીદ કરી એટલે એ બાળકને થોડીવાર હીચકાઓમાં બેસાડીને રાજી કરી આવી. ખાવાનું હજુ તૈયાર નહોતું એટલે પરાણે પતિદેવને પણ લઈ આવી અને ફોટા પડાવ્યા. મારા ચહેરા પર હું વેલેન્ટાઇન તેજ હતું. સાચે જ!!?? અહીં શુદ્ધ મહારાષ્ટ્ર વાનગીઓ ફરી પીરસવામાં આવી ત્યારે ઓર્ડર આપતી વખતે સાંભળેલું “ઠેચા” હું શોધવા માંડી. તો એ મરચાને શેકીને બનાવેલી મસાલેદાર ચટણી નીકળી. તીખી પણ મને મજા આવી.

અગાઉના પ્રવાસોમાં સમયસર ભોજન ન મળવાને કારણે મને જે તકલીફ હતી તે આ વખતે ક્યાંય નહોતી. ફરી બસમાં બેસીને અમે નાંદુર જવા માટે રવાના થયા. આ નંદુરબાર નથી નાંદુર છે. અહીં તિરુપતિ ભગવાનનું ખૂબ જ સુંદર ભવ્ય મંદિર છે. ગુજરાતમાં એક દેવ, એક શિખર, એક મંદિર, એક ગર્ભ ગૃહ. એવું અહીં નથી. એક વિશાળ જગ્યામાં લગભગ બધા દેવોની આદમ કદ કરતા એ મોટી મૂર્તિઓ વિવિધ મુદ્રાઓમાં બેઠેલી કે ઉભેલી. 30 થી 40 ફૂટ ઊંચા હનુમાનજીની મૂર્તિ મંદિરના પ્રવેશ દ્વારમાં. અંદર મોકળાશવાળી જગ્યામાં શિવ પરિવાર, સીતારામ, રાધાકૃષ્ણ, તિરૂપતિ બાલાજી બધા ભગવાનની મૂર્તિઓ અને ભીડ પણ નહીં. આરામથી બધાના દર્શન કર્યા. અમે અહીંથી 50 કિલોમીટર દૂર શેગાંવ જવા રવાના થયા. આજે સમયસર પહોંચતા સૌ કુપનો લઈને ભોજન કરવા ગયા. મને ઠીક નહોતું એટલે હું સુઈ ગઈ હતી.

શેગાંવ યાત્રા (મહુરગઢ) ભાગ : 2

13/2/ 2024.

બીજી સવારે 6:30 વાગ્યે ટેમ્પો ટ્રાવેલર બસ આવવાની હતી. અમે સૌ પ્રસાદાલયમાં કુપનો લઈને ચા- કોફી- નાસ્તો કરીને બસની પ્રતીક્ષા કરવા માંડ્યા. થોડીવારે બસ આવી ત્યારે ગ્રુપ ફોટા લઈને એમાં ગોઠવાયા.

આજે મહાસુદ ચોથ એટલે કે ગણપતિદાદાનો પહેલો બર્થડે હતો. આખા દિવસના પ્રવાસમાં ક્યાંક તો ગણપતિ મંદિર મળશે એ મને વિશ્વાસ હતો. આજના પ્રવાસની જગ્યાઓના નામ મેં પહેલીવાર સાંભળેલા. અત્યાર સુધી કોઈ પરિચિતોને  મોઢે પણ નહોતા સાંભળ્યા.

સીધી તડકો પર ઢોળાવવાળા રસ્તાને બેઉ બાજુ જંગલ જેવું હતું પણ લીલુંછમ નહીં. એક બે જગ્યાએ જંગલી પ્રાણીઓથી સાવધાન રહેવાની સૂચનાઓ પણ હતી. વચ્ચે વચ્ચે ગામડા આવતા. આજે અમે મહુરગઢ જઈ રહ્યા હતા. ખાસ તો સાડા ત્રણેક કલાક નો રસ્તો કાપી અમે પહાડીઓમાં આવેલ મહુરગઢ પહોંચ્યા. નીચે પ્રસાદી- સાડી ચુંદડી- નાસ્તાની- આભૂષણની અને નાની મોટી ગિફ્ટની વસ્તુઓની દુકાનોની લાંબી લાઈનો હતી. અહીં 250 થી 300 પગથિયાં ચડી ઉપર રેણુકા માતાના મંદિરે જવાનું હતું. સુગમ અને સરળ પગથિયાં ચઢીને અમે મંદિર પાસે પહોંચ્યા. ત્યાં થોડી લાઈન હતી પણ ઉપર પતરાના શેડ પંખા હોવાથી ગરમી લાગતી ન હતી. 25- 30 મિનિટે અમારો નંબર આવ્યો. સાંકડા દરવાજામાં નીચે નમીને મંદિરમાં જવાનું હતું અને ત્યાંથી સાવ નાના બારી જેવા દરવાજામાંથી ગર્ભ ગૃહ છે ત્યાં માતાજીના સુંદર દર્શન કરી અમે સામેના દરવાજે બહાર નીકળ્યા. પ્રસાદ વગેરે ખરીદી બીજા સાથીઓની રાહ જોતા હતા. આ મહારાષ્ટ્રીયન ગ્રુપ આ માતાજીના બહુ માને એટલે એમને પૂજાપા સાથે સાડીઓ પણ ચઢાવવા લીધેલી હતી. અહીં આમતેમ જોતા એક મોટા ચોરસ સ્તંભ જેવા આકાર પર ગણેશજીની મૂર્તિના દર્શન થયા. દિલથી  અમે એમને હેપી બર્થ ડે કહ્યું. ઘરથી દૂર એક અજાણી જગ્યામાં ઈષ્ટદેવના દર્શન કરતાં મન ગદગદ થઈ ગયું. અહીંથી પાછો ઢોળાવ ઉતરીને નીચે મંદિરો હતા. અહીં ભગવાન પરશુરામનું મંદિર હતું. અમે ત્યાં દર્શન કર્યા. આ સ્થળ ખૂબ ઊંચાઈ પર હતું એટલે નીચે ખીણ સરસ દેખાતી હતી. એક સપાટ પગથિયા વગરના રસ્તા પર થઈને અમે ફરી નીચે આવી ગયા. ત્યાં કંકાવટી લઈને બસમાં બેસવા સૌ પાછા ફર્યા.

હવે અહીંથી અત્રિ ઋષિ અને અનસુયામાતાના પુત્ર દત્તાત્રેય ભગવાનની પાવન જન્મભૂમિ તરફ અમે જઈ રહ્યા હતા. અહીં ટેકરીઓ કહી શકાય તેવો ઊંચો નીચો રસ્તો હતો. અંદરથી કેસરી રંગે રંગાયેલા વિશાળ સંકુલની બહાર પાર્કિંગમાં બસ મૂકીને આરામથી ચાલતા ચાલતા આ ભીડભાડ વગરના મંદિરમાં અમે પ્રવેશ કર્યો. રેણુકા માતાનું મંદિર સામેની પહાડી પર દેખાતું હતું. અહીંની અપાર શાંતિમાં શાંતિથી દર્શન કર્યા ફોટા લીધા. થોડું રોકાયા ત્યાંથી અનસુયામાતા ના મંદિરે ગયા.

એક પાસેની ટેકરી પર જવું હતું. ત્યાં 100 એક પગથિયાં ચડવા પડે એમ હતા. અમારા ડ્રાઇવર ભાઈને કે બધા ઉંમરલાયક છે એટલે કદાચ નહીં ચડી શકે પણ અમે તો બધા જ ઉપર જઈને સુંદર દર્શન કરી પાછા આવ્યા. ઉત્તમ કોતરણી વાળા આરસપહાણના જૈન મંદિરો કે ગુલાબી પથ્થરોના મંદિરોની જગ્યાએ સાવ સીધા સાદા કાળા પથ્થરોના વિશાળ પ્રાંગણ વાળા આ મંદિરો પર યાત્રા પથ પર પતરાના શેડ હતા. આ સાદગી પણ મને સ્પર્શી ગઈ. આમ તો મંગળવારે ગણપતિ મંદિર દર્શને જાઉં ત્યારે નીલકંઠેશ્વર મહાદેવના પ્રાંગણમાં ભગવાન દત્તાત્રેયનું નાનકડું મંદિર અને બીજું સુરસાગર તળાવના હઠીલા હનુમાન પાસે ત્યાં જઈને શીશ નમાવું. પણ કોઈ કામના વગર ત્યાં શીશ નમાવતા ખુદ ભગવાન દત્તાત્રેયની જન્મભૂમિના દર્શન કરવા મળે એ મને ચમત્કાર જ લાગે છે. ત્યાંથી પાછા ફરતા હાઇવે પર જ એક મહારાષ્ટ્રીયન હોટલમાં શુદ્ધ મરાઠી વાનગીઓનો સ્વાદ માણ્યો.

અહીંથી અમે કારંજા જવાના હતા. અજાણ્યું નામ અને અજાણ સ્થળ. સાંજે કારંજા પહોંચ્યા. ત્યાં દત્તાત્રેજીના ગુરુનું રહેણાંક અને મંદિરના દર્શન કર્યા. ચા પીધી. ખાસ્સી વાર શાંતિથી બેઠા. ભીડ વગરનું ગામ જોવું પણ હવે મને ગમે છે. બે મહારાષ્ટ્રીયન નથ લીધી.

સાંજે 10:00 વાગે શેગાંવ પરત આવ્યા. અહીં નવ વાગે જમવાની કુપનની બારી બંધ થઈ જાય. અમે પાછા વળી રહ્યા હતા. ત્યાં બે સેવકો ઝડપથી આવ્યા. અમને કતારમાં બેંચ પર બેસવા કહ્યું. અને મહાપ્રસાદ દઈને જવા જણાવ્યું .એટલે કે કોઈપણ ચાર્જ વગર જે પણ ભોજન વધ્યું હોય તે યાત્રિકોને જમાડવાનું તો ખરું જ. કેવી ગજબની નિષ્ઠા ગજાનંદ મહારાજના ભક્તોની!!! નતમસ્તક થઈ જવાયું. સૌ રાત્રે 10:30 એ જમીને રૂમ ઉપર આવ્યા અને સુઈ ગયા.

શેગાંવ યાત્રા

11/ 2 /2024..

એક નવી યાત્રા ની શરૂઆત. હા, નવા વર્ષનું ઓપનિંગ કર્યું. બિલકુલ અલગ અને સાચું કહું તો અત્યાર સુધીમાં મારા માટે આ બેસ્ટ યાત્રા રહી. હવે વાંચવું તમને અજીબ તો ભલે લાગે પણ આ યાત્રા સ્લીપર ક્લાસમાં હતી. મારા માટે એસી થી છુટકારો. બારી ખોલીને તાજી હવા શ્વાસમાં લઈ શકાય. હાથને હવામાં ઝુલાવી શકવાની આઝાદી હતી અહીં. એક મહારાષ્ટ્રીયન ગ્રુપ સાથે અમારી યાત્રા થવાની હતી. મારા માટે બધા જ અજાણ હતા. જે થોડી ઓળખાણ હતી તે વસંતભાઈ નહોતા આવવાના. પણ એ અમારા 15 યાત્રીઓ માટે પુલાવ- શાક- રોટલીનું ટિફિન ડિનર જાતે બનાવેલું સ્ટેશન પર આપવા આવેલા.

નાગપુર જતી પ્રેરણા એક્સપ્રેસ બે નંબરના પ્લેટફોર્મ પર રાત્રે 8:30 એ આવી. અમે સીટ પર ગોઠવાયા. થોડું એડજસ્ટમેન્ટ કર્યું અને અમારું પેક્ડ મીલ અમારા હાથમાં હતું. સ્વાદિષ્ટ પુલાવ સાથે રસાદાર શાક અને રોટલી તથા અથાણું. મજા પડી ગઈ. અડધી રાત સુધી મુસાફરોની અવર-જવર ચાલુ હતી. સવારે પાંચ વાગ્યે શેગાંવ સ્ટેશન પર ઉતર્યા. હાશ.. આટલી મુસાફરી અઘરી ન લાગે. અહીંથી અમે છકડામાં ગજાનન મહારાજના આશ્રમ વિભાગ-1માં પહોંચ્યા. અહીં ખૂબ વિશાળ અને વ્યવસ્થિત પાર્કિંગ સુવિધા હતી. તપાસ કરતાં ખબર પડી કે પાંચ કલાકનું વેઇટિંગ રૂમ માટે હતું. અહીંથી અમને વિસાવા ના ઉતારે જવાની સલાહ આપી. મંદિરની બસો તમને નિ:શુલ્ક બધે લઈ જાય. અમે સૌ બસમાં ગોઠવાયા. પહેલા આનંદવિહાર અને પછી વિસાવા પહોંચ્યા. બદામી રંગના તમામ બે ત્રણ ચાર માળના બિલ્ડીંગ અને આસપાસ વેરાયેલી હરિયાળીમાં પક્ષીઓના કલરવ સાથે ધીરે ધીરે ઉઘડતું અજવાળું. બસ હું તો આ સવાર સાથે એકરૂપ થઈને કુદરતને માણતી રહી. અત્ર તત્ર સર્વત્ર શાંતિ નું રાજ્ય. વેઇટિંગ રૂમમાં બેસવા સાથે વોશરૂમ્સની પણ સરસ વ્યવસ્થા હતી. પણ હું જ્યારે કુદરતના સંગીતમાં ખોવાયેલી હતી ત્યારે મારા સહયાત્રીઓ ક્યાં જતા રહ્યા એ ખ્યાલ જ ના રહ્યો. ના નામ જાણું ન કંઈ વિગત. ચાર પાંચ વ્યક્તિઓ રૂમ બુક કરાવવા લાઈનમાં ઊભા હતા. એ સહયાત્રીઓ ત્યાંથી પાછળ આવેલા પ્રસાદાલયમાં જઈને ચા નાસ્તો પણ કરી આવ્યા. એ બધા ગ્રુપમાં હતા. ખાલી હું અને મારા પતિ બહારના હતા. બહુ વાર પછી એક બેન દેખાયા. એમણે મને અંદર જઈને અંદર વેઇટિંગ રૂમમાં બેસવાનું કહ્યું. મેં ત્યાં જઈને બ્રશ કરીને મોઢું ધોઈ લીધું ત્યાં સુધીમાં મારા પતિદેવ પણ આવી ગયા. અમે સૌને પૂછ્યું ચા માટે તો સૌ જઈ આવેલા. એટલે હું અને પતિદેવ સામાન સાથે ચા નાસ્તાના કાઉન્ટર સામે લાંબી લાઇનમાં ઊભા રહ્યા. થોડીવારે નંબર આવ્યો. અહીં સવારે ચા કોફી કે દૂધ લઈ શકો છો. ચા કોફી 10 રૂપિયા દૂધ ₹7. એ સાથે ગરમ નાસ્તાના ચાર ઓપ્શન: સાબુદાણાની ખીચડી, ઉપમા અને બટાકા પૌવા 15 રૂપિયા અને ઇડલી સંભાર 30 રૂપિયા. અમે ચારેય એક એક ડીશ લીધી. બેઉ જણે મસ્ત પેટ ભરીને નાસ્તો કર્યો. નાસ્તો કરીને ત્રણ નંબરની પાંચ મજલી ઈમારતમાં અમારા રૂમમાં ગયા. ચાર બેડમાં અમે ત્રણ જણ હતા. ખૂબ સરસ બધી સુવિધાજનક રૂમ હતો. હવે સૌ નાહી ધોઈ પરવારીને તૈયાર થઈને ગજાનન મહારાજના મંદિરે જવા નીકળ્યા. સૌ બહેનોએ સાડી પહેરેલી. હું નહોતી લાવી એટલે મેં પંજાબી ડ્રેસ પહેરી લીધો.

ત્યાંથી બસમાં બેસી અમે ફરી પહેલા ઉતારા પર પહોંચ્યા. અને ત્યાંથી દસેક મિનિટ ચાલતા જ મંદિરે આવી ગયું. એક સ્વચ્છ સુંદર લાંબા પેસેજમાંથી પસાર થઈ અમે શ્રી ગજાનન મહારાજની છાતી સુધીની મૂર્તિની સ્થાપના હતી ત્યાં પહોંચ્યા. શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા. આ મહારાજનું માહાત્મ્ય ગુજરાતમાં વીરપુરના જલારામ બાપા જેવું અને જેટલું જ છે. ત્યાંથી અમે ઉપર ચઢીને પહેલે માળે આવેલા રામ મંદિરના દર્શન કર્યા. શ્રી ગજાનન મહારાજ શ્રી રામજીના પરમ ભક્ત હતા. ત્યાંથી અમે બહાર નીકળીને સમગ્ર મંદિરની પ્રદક્ષિણા કરી. આજુબાજુ પ્રસાદના કાઉન્ટર્સ અને એક સ્થળે ધ્યાન સાધના કરવાનો વિશાળ હોલ હતો. ત્યાંથી મહારાજના ચરણ કમળ જ્યાં સ્થાપિત હતા એ જગ્યાએ નમન કરીને બહાર આવ્યા. દર્શન કરીને બહાર નીકળ્યા બાદ વધુ એક આશ્ચર્યની પરંપરા સર્જાવાની હતી. અમે હાથ ધોઈને મહાપ્રસાદાલયમાં દાખલ થયા. રેલિંગની  વચ્ચે લાંબી લાઈન સવારે 9:00 થી રાત્રે 9 સુધી મહાપ્રસાદાલય ચાલુ જ રહે. અહીં બે માળ સુધી લાઈનો જતી હોય. ઊભી ન રહે, સતત ચાલે. માં અન્નપૂર્ણા દેવી અને શ્રી ગજાનંદ મહારાજની મૂર્તિઓ ત્યાં વિદ્યામાન હતી. અમે ઉપર ગયા તો એક સાથે લોકો જન્મી શકે એવા સ્ટીલના ટેબલ અને સ્ટુલ એક સળંગ 10 થી 15 જોડેલા હોય. ગ્લાસનું પાણી ઢોળાય નહીં એટલે ડેસ્ક પર ખાડા પર એમ જ ગ્લાસ મુકવાનો. દાળ, ભાત, પીઠળ, રોટલી અને એક મિષ્ટાન્ન લાઇનમાં ઊભા રહીને લેવાનું. ચોખ્ખી ધોયેલી થાળી ને સ્વયંસેવક લુછીને આપે. બેઠા પછી એક મોબાઇલ ટ્રોલીમાં બધું ફરી પીરસવા આવે. જેને જોઈએ એ લઈ લે જમીને બહાર નીકળ્યા ત્યારે મહાપ્રસાદનો મહિમા સમજાઈ ગયો. ત્યાંથી નાગઝરીના મંદિરે ગયા. એક અલગ પ્રકારનું.  પ્રવેશવા અહીં મોટા કાળા પથ્થરના બનેલા 60 થી 70 પગથિયા. નીચે ઉતરીને જવાનું હતું .ત્યાં બે પાણીના કુંડ હતા. પછી મંદિર પાતળી સાંકડી ગલીઓમાંથી પસાર થઈને પહોંચ્યા. એક રોમાંચક ભૂલભૂલૈયા જેવું લાગે. ત્યાં ચા કોફી, ઠંડો શેરડીનો રસ, નાસ્તો વગેરે મળે. નિરાંતે બેસવું ગમે એવી જગ્યા. ત્યાંની વાતાવરણની શાંતિ જ મને લોભાવે. હું  ઉપર દરવાજા નીચેના વિશાળ ઓટલા પર એકલી બેસી આ નવા માહોલને ક્યાંય સુધી શ્વાસમાં ભરતી રહી.ત્યાંથી અડધો એક કલાક બાદ અમે પાછા શેગાંવ આવ્યા.

કહે છે કે ગજાનન મહારાજના જન્મ, બાળપણ યુવાવસ્થા વિશે કોઈને પણ માહિતી નથી. એ પુખ્ત સ્વરૂપે સૌની નજરમાં આવ્યા. એક શેઠ સાથે વાતો કરતા એક વૃક્ષ નીચે બેસી રહેતા. એ શેઠનું ઘર અને વૃક્ષ પણ જોયા. એક મોટું મંદિર પણ જોયું. આ બધા સ્થળ સાવ જ નવા હતા. એના નામ પણ પહેલીવાર સાંભળ્યા એટલે યાદ નથી રહેતા. બધું ફરતા ફરતા આવવાથી વાર થઈ ગઈ. શેગાંવ ને યાત્રીભવન 1 થી બસમાં બેસી વિસાવા અમારા ઉતારા ની જગ્યાએ પરત આવ્યા. પોતાના રૂમમાં રિલેક્સ થયા અને પછી સાંજનું ભોજન લેવા હું અને હિતેશ ગયા. બીજી સવાર આશ્ચર્યની પરંપરા સાથે નવી જગ્યા ઉપર અમને ફરવા લઈ જવાની હતી