સિત્તેરના દાયકા પહેલાંનું અમારું ગામ: ૧૨૪

નહેરના પાણી આવ્યા. ચોમાસા સિવાય બાકીના મહીનાઓ સુધી સૂકી રહેતી જમીન હવે ભીની રહેતી થઈ. હવે કોઈ કિંયાડામાં ધારવાળા અને પગમાં વાગે તેવા સખત ઢેફાં જોવા મળતાં તે બંધ થઈ ગયાં છે. શેઢા પર ઢેફાંના ઢીમાની પાળ સીંચીને ઉગાડાતી તુવેર, ચોળી બંધ થઈ ગઈ. જેઠ મહીનો આવે એટલે ઘરના ઓટલા પર કે કોઢારામાં ખાડા પૂરવા સારુ ઢેફાં ભરવામાં આવતા હતા તે ઢેફાં હવે નવી નવાઈની ચીજ બની ગઈ. આ બધું એવા ક્રમમાં બની ગયું કે જુની વ્યવસ્થાને સ્થાને નવી વ્યવસ્થા કેવી રીતે ગોઠવાતી ગઈ તેનું ધ્યાન જ ન રહ્યું. જુની પેઢી જવા માંડી અને નવી પેઢી તેનું સ્થાન લેતી ગઈ. શેરડી પહેલાંની ડાંગરની ખેતી સમયની એક વાત લખતાં લખતાં રહી ગઈ! ખેતરો રહ્યાં નહીં એટલે બળદોની ગરજ રહી નહીં. એની પાસે લેવા જેવું કોઈ કામ જ રહ્યું નહીં એટલે ધીમે ધીમે બળદો ઓછા થતા ગયા. બળદોને ઘાસ ખવડાવવા માટે જે ડવા કે ઘાસિયા વાડા હતા તેના તો બધા કિંયાડા બની ગયા હતા, તો એને ખવડાવવું શું તે પ્રશ્ન થઈ પડ્યો.

ડાંગરની નવી જાતો આવી તે બધી હાઈબ્રીડ હતી અને તે નવા નવા રોગનો ભોગ બનવા લાગી. હવે તેને માટે જે દવા આવી તે ભારે સ્ટ્રોંગ આવતી હતી તેથી પાકમાં છાંટેલી દવા ડાંગરની પતારી પર અને છોડ પર રહી જતી હતી. એવી દવાવાળા પુરેટિયા ખાવાની જાનવરોએ ના પાડી દીધી. તો હવે એને ખવડાવવું શું? આજુબાજુના ગામોમાં તપાસ કરે તો પણ કોઈ ખેડૂત એવા નહોતા કે જેમણે રાસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ કર્યો ન હોય.  પરિણામે બળદો તો ગયા તે સાથે ભેંસો પણ ગઈ! ગામમાં જેમ વૃક્ષો ઓછાં થતાંથતાં નામશેષ થઈ ગયાં તેમ જાનવરો પણ નામશેષ થઈ ગયાં. ગામનો હવાડો પણ સૂનો થઈ ગયો, જાનવર હોય તો તેને પીવાના પાણીની વ્યવસ્થા કરવી પડે ને! જેમ ચોખા દુકાનેથી ખરીદીને ખાઈ લેવાના તેમ ઘરમાં દૂધની જરૂર પડે તો ડેરીમાંથી કોથળી લઈ લેવાની! બાકી તે પહેલાં તો ખેડૂતોને ત્યાં અવાર નવાર દૂધનું દુઝાણું ચાલતું જ રહેતું.

કાળદેવતા એની એકધારી ગતિથી ચાલતો રહે છે. સમય પ્રમાણે બધું બદલાતું જાય છે. કોઈને ગમે કે ન ગમે એ તેમની અંગત વાત છે. પરિવર્તન એ કંઈ નવી નવાઈની વાત નથી. આ લખવા પાછળનો ઈરાદો એવું કહેવાનો નથી કે પહેલાં બધું સારું જ હતું અને હવે જે કંઈ થઈ રહ્યું છે તે ખરાબ છે. સારું અને ખરાબ એ બંને શબ્દો સાપેક્ષ છે. એનું મુલ્યાંકન સ્થાયી નથી. સ્થિતિ સંજોગ સાથે એ બદલાતું રહે છે. વિકાસ અને વિનાશ બંને એકી સાથે ચાલતા રહે છે. વિકાસ હંમેશાં પીડાદાયી હોય છે. જુનાનો મોહ છૂટતો નથી. પણ નવું પકડવું હોય તો મને કમને પણ જુનું છોડવું જ પડે છે. નવું પકડ્યા વિના ચાલવાનું પણ નથી. જે પીડા થાય છે તે જુની પેઢીને થતી હશે, બાકી નવી પેઢીને કંઈ ફેર પડતો નથી કારણ કે તેઓ નવી પરિસ્થિતિમાં જ જન્મ્યા અને ઉછર્યા છે. તેમને મન આ બધી સ્વાભાવિક અને સહજ ઘટના છે. વિદાય લઈ રહેલી દરેક પેઢીનો આ અનુભવ છે. વર્તમાનને સ્વીકારી લીધા વિના કોઈ જ છૂટકો નથી. જેઓ આ વાત સમજતા નથી તેઓ દુ:ખી થાય છે.

અમારા ઘરકાછાના વાડાને અડીને સીમમાં જતી પગદંડી અમે જોઈ નહોતી. અમારા મા – બાપ કહેતા કે માત્ર પગે ચાલીને જવાનો રસ્તો હતો. બંને બાજુ મરીકંથાર અને કમદીના ઝૂંડ હતા. દેશી આંબા અને ખાટી તથા વિલાતી આમલીઓ હતી. બીજા જંગલી ઝાડવાં હતા.ધીમે ધીમે પગદંડી પહોળી થતી ગઈ. અડસેંટ જોડેલા બળદો પસાર થાય તેટલી પહોળી થઈ. કાદવ પડ્યો એટલે ભાઠુ નાંખ્યું. ગાલ્લાં જતાં થયાં. ગાલ્લાં પર ઘાસ- પુરેટિયાની હેલ પસાર થતી થઈ. ઝાડની ડાળી નડતી ગઈ એટલે પહેલાં ડાળી કપાઈ અને પછી ઝાડવાં જ કપાઈ ગયાં! હવે ડામર રોડ થઈ ગયો. મોટરકાર અને ટેમ્પો, ખટારા પણ જતા થઈ ગયા. કીચડ થતો હવે મટી ગયો. વાડામાં કે શેઢા પરથી પસાર થતી વખતે કીચડથી બચવા માટે લોકો ચાર પૂંદીને જતા હતા. એ હવે બંધ થઈ ગયું. અમારા વાડામાંથી બહાર નીકળતાં જ વગડો શરૂ થઈ જતો હોવાથી એકલા જતાં અમને બાળકોને બીક લાગતી! ખેતર કિંયાડે જવા માટે સંગાથ શોધતા. વાઢમાં, નાયકીવાડ કે પહાડમાં જતી વખતે વચમાં ભેંકાર, નિર્જન વગડો આવતો. જર જનાવરની બીક લાગે તે સાથે ભુત બલાગતની પણ બીક લાગે, કોઈ અજાણ્યું મનખ જોવામાં આવે તો તે ચોર લુંટારો હોવાનો ડર લાગે, કોઈ ઓળખીતું મળી જાય તો જીવમાં જીવ આવે, જીવ હેઠો બેસે. ખેતરાળીમાંથી ઘરે આવવાનું હોય કે નજીકના ગામે ગયા હોય ત્યાંથી ઘરે આવવાનું હોય તો ડૂબતા સૂરજ તરફ નિગાહ રાખીને જોરમાં પગ ઉપાડવા પડે અને ઘોર અંધારું થઈ જાય તે પહેલાં ઘરે પહોંચી જવું પડે અથવા તો સગે વહાલે ગયા હોય ત્યાં જ રાતવાસો કરવો પડે!

આજે એ ડર રહ્યો નથી. જંગલ હવે રહ્યું નથી. વગડા વિશે પ્રચલિત બિહામણી લોકવાયકાઓ ભુલાઈ ગઈ છે. હવે ભુત પ્રેત અને બલાગતની સદગતિ થઈ ગઈ છે. ગામમાં ઘરે ઘરે ઈલેક્ટ્રિસિટી આવી ગઈ છે. નાયકીવાડમાં પણ લાઈટ આવી ગઈ છે. લાઈટના થાંભલા ખેતર ક્યારીમાંથી પસાર થાય છે. સ્મશાન ભૂમિ નદી કિનારે દૂર હતી તે હવે વસતિ પાસે આવી ગઈ છે. પહેલાં મસાણને લગતી ડરામણી દંતકથાઓ સાંભળવાથી લોકોમાં ડર રહેતો, હવે એવો ડર રહ્યો નથી. ખેતર ક્યારીએ જતાં હવે પગ ખરડાતા નથી. ગામની સડક નીચી હતી એટલે ટેકરીઓ ઊંચી દેખાતી હતી. વરસો વરસ પુરાણ થતું રહેવાથી સડક ઊંચી આવી  ગઈ છે. ટેકરીઓના નસીબમાં ઊંચા થવાનું લખાયું નથી! એ ઘસાઈ ગઈ છે. આ પરિસ્થિતિ દરેક ગામની છે. સમાજના નીચલા સ્તરના માણસો પ્રગતિ કરીને આર્થિક રીતે સક્ષમ થવા લાગ્યા છે અને જુના વખતના ખાનદાન ગણાતા પરિવારો વિદેશ ચાલ્યા ગયા છે. પાત્રો બદલાય છે એટલું જ, સ્થિતિમાં ખાસ કશો ફેર પડતો નથી.

મને જેટલું યાદ આવ્યું તેટલું મેં લખ્યું. ઘણું ભૂલી જવાયું છે એટલે છૂટી ગયું છે. છતાં જે લખાયું તે ઓછું નથી. બીજી બાબતો હજી લખવાની બાકી છે, પણ ખેતીની વાત પૂરી થાય છે. એક મિત્રે મારા લખાણનો પ્રતિભાવ આપતાં લખ્યું કે એક વસવાયાનો દીકરો ખેતી વિશે આટલું વિગતવાર લખે અને તે પણ ગામથી પચાસ વરસ દૂર રહ્યા પછી! કોઈ ખેડૂતનો દીકરો લખે તે સમજી શકાય પણ મારી વાત નવાઈ પમાડનારી તો છે જ. જે હોય તે, પણ વસવાયા શબ્દ વિશે સ્પષ્ટતા કરી દઉં! આ શબ્દ તિરસ્કાર સૂચક છે. માણસને અપમાનિત કરનારો છે. અમારા ગામમાં અમને ભાગ્યે જ કોઈએ વસવાયાં કહ્યા હશે, પણ અન્યત્ર આ શબ્દ અમને નીચા પાડવા માટે વપરાતો આવ્યો છે. અમારી કોમ એટલે કારીગરોની કોમ અને અમારા દેવતા તે વિશ્વકર્મા ભગવાન. અમારી કારીગર કોમને વિશ્વકર્મા ભગવાનનું એવું વરદાન હોવાનું કહેવાય છે કે તમે કદાચ બહુ પૈસાદાર નહીં બનો તોયે તમને ખાવાના સાંસાં નહીં પડે. તમે કદી ભૂખે નહીં મરો. પૃથ્વી પર ગમે ત્યાં જઈને વસવાટ કરશો તો પણ તમારી આજીવિકાની જવાબદારી વિશ્વકર્મા ભગવાન પર. એનું કારણ છે કે અમારી કોમ એ માણસની જીવન જરૂ?રિયાતની સેવા આપનારી કોમ છે. રવિશંકર મહારાજે સમજાવ્યું છે કે કૃષિ સંસ્કૃતિના વિકાસ સાથે ગામના ખેડવાયા લોકોને તમારી સૌની સેવાની જરૂર પડી એટલે તેમની ગરજે તમારા ભરણપોષણની જવાબદારી માથે લઈને પોતાના ગામમાં લાવીને વસાવ્યા હોવાથી તમે વસવાયાં કહેવાયા. તમે કોઈનાથી નીચા નથી, બલ્કે તમારા વગર કોઈને ચાલતું નથી. ખેતીના સાધનો માટે સુથાર અને લુહાર તો જોઈએ જ! રસોઈના સાધનો ચૂલા, તાવડી, હાંડલા, વારિયાં, ગોરી, દોણી, ઘર પરના નળિયાં વગેરે માટે કુંભાર પણ જોઈએ. શરીર ઢાંકવા માટે અને ફેશનેબલ દેખાવા માટે દરજી પણ જોઈએ. મકાન બાંધવા માટે કડિયા પણ જોઈએ જ. કોરોનાના લૉકડાઉન વખતે બધા જંગલી ઘેટાં જેવા થઈ ગયા હતાં તે સાફ સુથરા દેખાવા માટે હજામના સલુન  કે બ્યુટિપાર્લર પણ જોઈએ. દેહની શોભા વધારવા માટે કિમતી આભૂષણ તૈયાર કરનાર સોની પણ જોઈએ. આવાં અનેકવિધ કામોમાં કુશળ કારીગર વગર કોઈને ચાલવાનું નથી. અમારા લોકો પાસે સામાન્ય રીતે ખેતીવાડી ન હોય. અમારાં ઓજારો અને આવડત એ જ અમારી મિલકત. તેમ છતાં અંગ્રેજ સરકારે અમારી સેવાના બદલામાં કેટલાક લોકોને ઈનામી જમીન ખેડી ખાવા માટે આપેલી. આઝાદી પછી ખેડે તેની જમીનનો કાયદો આવ્યો તેથી એ ચાપુ ચપટી જમીનના અમે માલિક બન્યા. કેટલાક લોકોએ આફ્રિકા જેવા દેશોમાં જવાનું સાહસ કર્યું અને પોતાની કમાણીમાંથી જમીન વસાવી. બાકી બાપદાદાના વારસારૂપે કોઈ મિલકત મળી નહોતી.

28/08/2024

             સિત્તેરના દાયકા પહેલાંનું અમારું ગામ: ૧૨૩

પહેલાં પણ અમુક ખેડૂતો કે જેમની પાસે સિંચાઈની સગવડ હતી તેઓ શેરડી ઉગાડતા હતા, પણ તેમના જેટલા હોય તેટલા બધા જ ખેતરોમાં શેરડી નહોતા ઉગાડતા. શેરડી સિવાય જુવાર, કપાસ, મગફળી પણ ઉગાડતા અને ક્યાંરીઓમાં ભાત અને વાલ પણ ઉગાડતા જ હતા. પણ શેરડીનો પવન એવો વાયો કે ખેતર, ક્યાંરી, ઘાસિયા વાડા બધે જ બધે શેરડી લહેરાવા લાગી.  આમ તો ગામડાના ખેડૂતોનો ખોરાક રહ્યો છે રોજ સવાર સાંજ જુવારના રોટલા- શાક અને બપોરે ડખુ- ચોખા. જુવાર તો ઉગાડવાની બંધ જ થઈ ગઈ હતી. પણ ચોખાનું શું? કમાણી માટે જુવાર અને ડાંગર ન કરે તે તો સમજી શકાય પણ પોતાની અંગત જરૂરિયાત પૂરતી તો જુવાર અને ડાંગર ઉગાડવી જોઈએ કે નહીં?

એક ફેરફાર ધીરે ધીરે ગામડાના લોકોના ખાનપાનમાં પ્રવેશી ચૂક્યો હતો અને તે હતો રોટલીનો. રોટલા તો જાણે ગરીબોનો ખોરાક! તે હવે સમૃદ્ધ લોકોથી કેમ ખવાય? સુખી લોકોએ તો ઘઉં જ ખાવા જોઈએ. મોટાભાગના લોકોના ઘરમાં રોટલાને બદલે ધીરે ધીરે રોટલી કે ભાખરી બનતી થઈ ગઈ. આમેય વાર તહેવારે કે મહેમાન આવ્યા હોય ત્યારે ઘઉંની વાનગી બનતી હોવાથી તેને શ્રેષ્ઠ ખોરાકનું સ્ટેટસ મળ્યું હતું! પહેલાં નાના બાળકોથી ઘઉંની શરૂઆત થઈ. આ બહુ સારું અને હાથવગું બહાનું છે. જે કંઈ નવું કરવું હોય તે બાળકોના નામથી ચાલુ કરી દેવાનું! બાળહઠ આગળ થોડું જ કોઈનું ચાલ્યું છે? પછી તો એનો જ અમલ ચાલુ થઈ ગયો. જેને જુવાર વગર ન જ ચાલતું હોય તેમણે દુકાનેથી ‘વેચાણિયા‘ જુવાર ભરી લેવાની! વધારે શ્રીમંત હોય તો મહારાષ્ટ્ર સરહદે આવેલા ઉચ્છલ- નિઝરથી ગોટીની મોંઘી જુવાર મંગાવી લેવાની! અમે કંઈ સામાન્ય દેશી જુવાર નથી ખાતા, પણ ઊંચામાંની જુવાર ખાઈએ છીએ એમ વટ મારવાનો! અમારા લોકો એ વાત ભૂલી ગયા કે અમારા બાપદાદાના અને અમારા પોતાના શરીરના પીંડ એ દેશી જુવાર અને કડાના ચોખાથી જ બંધાયેલા છે! એ જ અમારો સહજ અને કુદરતી ખોરાક છે. ઘઉં એ દક્ષિણ ગુજરાતના લોકોનો ખોરાક નથી જ નથી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો માટે ભલે બાજરી ઉત્તમ ગણાતી હોય અને પંજાબના લોકો માટે ભલે ઘઉં ઉત્તમ ગણાતા હોય, પણ આપણા માટે તો જુવાર જ ધી બેસ્ટ, તે જ રીતે જંગલ તરફ વસતા આદિવાસીઓ માટે નાગલી બેસ્ટ; પણ આપણને મોટાઈ મારવાનું મન થયું એટલે ખાનપાન બદલ્યું; તેનું પરિણામ એ આવ્યું કે આપણા રોગ વધ્યા. લોકો જાડા થવા લાગ્યા. ડાયાબિટિસ અને હૃદયરોગ પહેલાં ભાગ્યે જ કોઈને થતા હતા. અમારા પૂર્વજો શરીરે મજબૂત હતા પણ તેમના દેહ પર ચરબી નહોતી. અમારી પેઢીના લોકો ચરબીવાળા બન્યા! એ ચરબી બંને પ્રકારની હતી, શરીરની અને મનની એમ બંને પ્રકારની! વધારાની ચરબી એ બે નંબરની સંપત્તિ છે. શારીરિક ચરબીથી રોગો વધ્યા. શરીર ફોફા થઈ ગયા, અશક્ત થઈ ગયા અને મનની ચરબીથી બેપરવાઈ, ઉદ્ધતાઈ અને મનમાની કરવાનું સ્વછંદી વલણ વધતું ચાલ્યું. પહેલાંના વખતમાં નિશાળમાં માસ્તરોનો અને ઘરમાં વડીલોનો કડપ હતો તે હવે સાવ ઘટી ગયો. માસ્તરોના પગાર કરતાં અમારી આવક વધારે છે. અમારા વડીલો જે કમાયા એના કરતાં તો અમે વધારે કમાઈએ છીએ! એમનો ધાક કે માન રાખવાનું કોઈ કારણ નથી. આ એક સામાજિક અને સાંસ્કૃતિક રોગ છે એ ભાગ્યે જ કોઈને સમજાયું. પૈસા એ કોઈનાથી પોતે શ્રેષ્ઠ હોવાનું સાધન નથી.

જે લોકો અન્ય પ્રાંત કે પ્રદેશમાં જઈને રહેતા હોય તેમણે ‘દેશ તેવો વેશ‘ અને ત્યાંની ભૂમિ તથા આબોહવાને અનુરૂપ ખાનપાન અને પહેરવેશમાં ફેરફાર કરવો પડે તે જુદી વાત છે, આપણે ઘર આંગણે ક્યારેક પ્રસંગોપાત શોખ ખાતર એને અજમાવી જોઈએ તેય ઠીક, બાકી એને પરાણે જીવનનો ભાગ બનાવીએ તો એ આપણા શરીર પર થતો જુલમ છે. શરીર એનો વિરોધ કરે જ અને વિકૃતિ ઊભી કરે, પરિણામે તે એલર્જી કે અન્ય રોગો રૂપે પ્રગટ થાય. સુતરાઉ કાપડને બદલે સિન્થેટિકના કપડાં પહેરીએ તો ચામડીને લગતી તકલીફો થાય, પણ આપણને એવું સમજાતું નથી પરિણામે આપણા ભોગે વૈદ અને ડોકટરો કમાય છે!

ખેડૂતોએ મન મનાવી લીધું કે રોજના ખોરાક માટે ચોખા જોઈએ તે બહારથી ખરીદી લેવાના, પણ આપણી જમીનમાં તો હવે શેરડી જ ઉગાડવામાં ફાયદો છે. એમ કરવાના ઘણાં કારણો પૈકી મુખ્ય કારણ મજૂરોની શોર્ટેજ તો ખરી જ તદુપરાંત આપણા ખેતર ક્યારીની આજુબાજુવાળા લોકો જે પાક લેતા હોય તેમની સાથે આપણે પણ ચાલવું જ પડે, તો જ બધું અનુકૂળ રહે. શેરડીમાં બધી જ જાતની હુતરાઈ હતી. સારી આવક, બારે માસ મજૂરોની ઝંઝટ નહીં અને બધા જ કરતા હોય તેનાથી જુદા પડવામાં મૂર્ખાઈ પણ હતી એટલે શેરડીનો કોઈ વિકલ્પ જ ન રહ્યો.

ભાતમાં તો વાણિયો બનાવી પણ જાય, જાતજાતના વાંધા વચકા કાઢીને ઓછા ભાવે ખરીદે, જ્યારે શેરડીમાં તો સુગર ફેકટરી જે ભાવ જાહેર કરે તે જ ભાવ સૌને એકસરખો લાગુ પડે એટલે છેતરાવાનો ભય ન રહે. જે સૌનું થાય તે વહુનું થાય! વજન પ્રમાણે પૈસા લેવાના થાય. પણ સુગર ફેકટરી તો ઘણી બધી હોય અને દરેકનો ભાવ અલગ અલગ જાહેર થતો હોય તો ઊંચો ભાવ આપનારી ફેકટરીમાં ગમે તે ખેડૂત શેરડી ભરી શકે ખરો? ના. જે ફેકટરીના શેર ખરીદ્યા હોય તે ફેક્ટરી જ પોતે જાહેર કરેલા ભાવે શેરડી ખરીદે.

આ શેરવાળી કડાકૂટ ખેડૂતો માટે નવી હતી. શહેરના લોકો વિવિધ કંપનીઓના શેર- સ્ટોક અને ડિવિડન્ડથી પરિચિત હોય. બચતનું રોકાણ શેરબજારમાં કરીને મૂલ્યવૃદ્ધિ કરતા હોય. જેને સારું ફાવી જાય તે ઘણું બધું કમાતા હોય અને ન ફાવે તે બરબાદ પણ થતા હોય. ખેડૂતોને એમાં શા માટે ભેરવવા જોઈએ? પણ શેરડી ઉગાડનારા નાના મોટા તમામ ખેડૂતોએ રોપાણ અને પિલાણ માટે શેર ખરીદવા ફરજિયાત હતા. અમુક ફેકટરીના શેરની બજાર કિંમત ઘણી ઊંચી હતી. અમુકની ઓછી હતી. પણ ઓછી બજાર કિંમત ધરાવનાર ફેકટરીનો ટન દીઠ ભાવ પણ ઓછો હતો. ખમતીધર ખેડૂતો પાસે તમામ ફેકટરીઓના શેર રહેતા. પોતે શેર ન ખરીદ્યા હોય તો તેને જાહેર કરેલા ભાવ મુજબ વળતર નહીં મળે. મારા ખ્યાલથી જે ખાતેદાર પાસે શેર હોય તેમની સાથે પિલાણ માટે શેરડી મોકલવાથી જે કપાત જમા થતી તે શેરહોલ્ડરને ખાતે બચતરૂપે જમા થતી હતી.

એકવાર મારા ભાઈએ મને એક વાત સમજાવી કે એની પાસે શેર ન હોવાથી એને તકલીફ પડે છે. મને કહે કે ‘તું તારા નામે શેર ખરીદે તો એ દસ ટકા કપાત બીજાને બદલે તને મળે અને શેરહોલ્ડરને સસ્તા ભાવે મળતી ખાંડ પણ તને મળે!‘ એટલે મેં મારા નામે શેર ખરીદવા એને પૈસા આપ્યા. અમારી જમીનમાં મારા બાપુજી સાથે અમારું બંનેનું નામ ચાલતું હોવાથી મને શેર મળી શકે એમ તેનું કહેવું હતું. બે ત્રણ વરસ પછી એકવાર મેં પૂછ્યું તો એણે જણાવ્યું કે તારા નામ પર મળી શકે તેમ ન હોવાથી મેં મારા નામ પર શેર ખરીદ્યા છે. મારું તો ઈન્વેસ્ટમેન્ટ પણ ગયું, ડિવિડન્ટ પણ ગયું અને સસ્તા ભાવની ખાંડ પણ ગઈ! જો કે મારો મિત્ર રમણને એના શેર પર મળતી ખાંડમાંથી સુરત મારા ઘરે આવીને મને ખાંડ આપી જતો હતો. ઘણા ખેડૂતો પોતાના હકની મળતી સસ્તા ભાવની ખાંડ પોતાના સંબંધીઓને આ રીતે પહોંચાડતા હતા.

શેરડીના પાકને ઊભો સળગાવી દઈને અકસ્માતથી બળી ગઈ હોવાનું જણાવી મિનિમમ રકમ વળતર તરીકે પ્રાપ્ત કરી લેવાની જોગવાઈનો લાભ મળતો હોવાથી એમાં પાક નિષ્ફળ ન જવાની ગેરંટી હતી. વચમાં થોડાંક વરસ સુધી જાતે જ પોતાની શેરડી સળગાવી દેવાનું વલણ વધારે પ્રચલિત હતું. 

16/07/2024

સિત્તેરના દાયકા પહેલાંનું અમારું ગામ: ૧૨૨

નવો ખોરાક પછી નવી દવા ચાલુ થઈ!

    તે વખતે અમારા ભણવામાં આવેલું કે ફતેહપુર સિકરી અને સિંદરીમાં રાસાયણિક ખાતર બનાવવાના કારખાના આવેલા છે. તે વખતની પરીક્ષામાં એ ખાસ પૂછાતું પણ હતું. પછી તો ગુજરાત (નર્મદા ફર્ટિલાઈઝર) સહિત અન્ય રાજ્યોમાં પણ ઠેર ઠેર ફર્ટિલાઈઝર ડેપો ઊભા થયા અને છાણિયું ખાતર, દિવેલીનો ખોળ, લીંબોડીનો ખોળ, શણનો લીલો પડવાશ, ઘેટા બકરાંની લીંડી એ બધું હાંસિયામાં ધકેલાઈ ગયું. એનો ઉપયોગ કરીને ખેતી કરવા જાય તો તે ખેડૂત પછાત ગણાય, ગમાર ગણાય! આ રાસાયણિક ખાતર વિશે એવું બોલાતું હતું કે એકવાર એનો ઉપયોગ કરો એટલે બીજીવાર પણ એનો જ ઉપયોગ કરવો પડે. આ તો ‘હાથ આપવા જતાં પહોંચું પકડ્યા‘ જેવો ઘાટ થયો! ભલે, તેમ તો તેમ, પણ ઉત્પાદન વધારે મળતું હોય અને કમાણી વધારે થતી હોય તો એ પરવડે તેમ હતું.

   એ સાથે નવું પરિબળ ઉમેરાયું તે પાકને આપવાની દવાનું! આ હાઈબ્રીડ જાતની રૂપ સુંદરી અને ગુણસુંદરીઓને બધાંની નજર બહુ લાગી જાય! એ નજર ઉતારવા માટે ભુવાની પીંછી નહીં કામ લાગે! એને તો જલદ ઝેરી દવા જ જોઈએ! એ દવા છાંટતા મજૂરોને એની ઝેણ લાગી જાય તો તે પણ માંદો પડીને મરી જાય. આ તો બહુ તકલીફ ભરેલું કામ. આમેય કોઈ મજૂર મળે નહીં અને તેમાં માણસનો ભોગ લેતી આ જીવલેણ દવા! જીવ તો દરેકને વહાલો હોય.

     ખેતી એ પૈસો પેદા કરવા માટેની ફેકટરી બનતી ગઈ, તે માટે આ ધરતીએ કૃત્રિમ જાતોને પોતાનું ધાવણ પાવું પડ્યું. રાસાયણિક ખાતરોને જબરદસ્તીથી ગળે ઉતારવું પડ્યું. અને ઝેરી દવાના ઘૂંટ પણ પીવા પડ્યા. ધરતીમાતાની તબિયત લથડી. માનું દૂધ પીને પુષ્ટ થવાય, પણ માના દૂધનો વેપલો ન કરી શકાય. માતા દુ:ખી થઈ ગઈ, પણ મા એ તો મા જ છે. છોરું કછોરું થાય પણ માથી કુમાતા ન થવાય. એણે જાત નીચોવીને, એનું સત્વ ગુમાવીને પણ દીકરાઓની જિદ્દ પૂરી કરી છે. લોકો કહે છે કે ખેતીમાં હવે પહેલાં જેટલો દમ નથી! ધરતી પણ કહેતી હશે કે મારા દીકરાઓનો પહેલાં જેટલો મારા પર હવે ભાવ રહ્યો નથી. ધરતીનું મૌન રુદન કોઈને સંભળાતું નથી. અમારી આગલી પેઢીના ખેડૂતના ઘરનું એક પાલતુ જાનવર માંદું પડે તો રાતભર ઉજાગરા થતા. ઘરડી ગાય-ભેંસ દૂધ આપતી બંધ થાય કે ઘરડો બળદ (ડોબો) ખેતીમાં કામ ન કરી શકે તો પણ તેને વેચી દેવાનો જીવ નહીં ચાલતો. અરે, તે મરી ગયા પછી તેને દાટીને તેની યાદમાં તે જગ્યા પર આંબો કે નાળિયેરી જેવાં વૃક્ષો ઉગાડતાં, પણ એના મૃતદેહના ચામડા ઉતારવા ખાલપીવાડ સુદ્ધાં નહોતા મોકલતા. પોતે પાળેલા જાનવરના મૃતદેહને કાગડા, કૂતરાં અને ગીધ પીખતાં હોય એ જોઈ શકાતું નહોતું. હવે એ ભાવનામાં ઓટ આવવા માંડી. જેના ખોળે આળોટીને આપણા પૂર્વજો રમ્યા અને જીવ્યા તથા પુષ્ટ થયા. તે ધરતીની વ્યથા સમજવાની સંવેદનશીલતા આપણે ગુમાવતા ગયા. આપણે ફાયદાવાદી બનતા ગયા. સોનાનું ઈંડું મૂકતી મરઘીને જ કાપવાની ધૃષ્ટતા કરી બેઠા! ‘રસ હીન ધરા થઈ છે‘ પણ એ સ્થિતિ સમજવામાં કોઈને રસ હોય એમ લાગતું નથી. છેલ્લા બુંદ સુધી ધરતીને ચૂસી લેવાનો માનવજાતે પાક્કો નિર્ધાર કરી લીધો છે.

  ભાત ઉપણવાનું ગયું. સૂપડું મૂકીને ફટાક હાંકવાનું ગયું. હાથથી ચલાવાતા પંખા આવી ગયા. ઘરમાં ભાત ખાંડવાના ખાંડણિયા રહેતા તે ગયાં. ખેડૂતના ઘરે બારણે ઘોલે પરાણો, કોદાળી, ખાંડણિયું રહેતું તે અલોપ થઈ ગયું.

    ઘઉંની ખેતીમાં ગામના ખેડૂતો ખાસ કંઈ કમાયા નહીં. બે પાંચ વરસ એની ખેતી થઈ હશે, પણ સૌથી વધારે આર્થિક લાભ થયો હોય તો શેરડીના વાવેતરથી થયો. શેરડીનો પાક લેવામાં પહેલ્લી હુતરાઈ (સહેલી સગવડ) એ હતી કે મજૂર શોધવાની ઝંઝટ નહોતી. સ્થાનિક મજૂરોની આડાઈથી ખેડૂતો ત્રાસી ગયા હતા. મજૂરો સુગર ફેકટરીવાળા તરફથી આવવાના હતા. શેરડી કાપવાના અનુભવી હતા. વર્ષો પહેલાં બારડોલીમાં ખાંડ બનાવવાની મિલ હતી. ૧૯૫૫માં એની સ્થાપના થયેલી. ગોપાળભાઈ પટેલ અને કૃષિ અગ્રણી ડૉ. દયારામ પટેલનું નામ જાણીતું હતું. નાનપણમાં મને ખાંડ ખાવાની કુટેવ હતી તે છોડાવવા મારી મા મને કહેતી કે ખાંડને સફેદ અને પાસાદાર બનાવવા માટે હાડકાંની વરાળ લગાવવામાં આવે છે! મેં બચપણથી જ માંસાહાર અપનાવ્યો નહોતો અને સત્સંગમાં જતો હતો એટલે મને ખોટી ધમકી ખાતર એવું કહેવામાં આવ્યું હશે એવી મારી ધારણા હતી. પણ ખરેખર એણે બારડોલીનું ખાંડનું કારખાનું જોયું હોવાની વાત મને કરી હતી. પાછળથી અમારા ભણવામાં પણ આવેલું કે હાડકાંની બાષ્પ રંગહારક હોવાથી એનો ઉપયોગ ખાંડના કારખાનામાં થાય છે. બારડોલી ઉપરાંત મરોલી ચાર રસ્તા પાસે પણ ખાંડનું કારખાનું હતું. ગામમાં નહેરના પાણી આવ્યા અને બધા જ ખેડૂતો શેરડી ઉગાડવા ભણી વળ્યા.

શેરડીનો પાક લેવામાં બીજી એક હુતરાઈ એ જાણવા મળી કે એકવાર કરેલું રોપાણ બીજે વરસે પણ ચાલે! એકવાર ઉગેલી શેરડીનો પાક તૈયાર થઈ જાય, શેરડી કપાઈ જાય અને ખેતર ખુલ્લું થઈ જાય પછી એને ફરીથી ખેડવાની, પાળિયાં બનાવવાની અને પેરિયાં જમીનમાં દાટવાની જફા જ નહીં! આ તો કેટલું બધું સારું કહેવાય! ખેડવાની મજૂરી અને નવા રોપાણનો ખર્ચો જ બચી ગયો. શેરડી કપાય તે તો તેના થડમાંથી કપાય, તેના મૂળિયાં તો જમીનમાં રહે જ, એ મૂળિયાંમાંથી જે પીલા નીકળે તેને ‘લામ‘ નામથી ઓળખવામાં આવે છે. એ લામ બીજા કેટલા વરસ ચાલે તે મને ખબર નથી કારણ કે શેરડીની ખેતી મેં કરી નથી! વળી એ એંસીના દાયકાની વાત છે. મારા બાપુજીએ એમની હયાતિમાં અમને બંને ભાઈઓને કિયાંડા અને વાડા ચાલચલાઉ વહેંચી આપ્યા હતા. અને એક વધારાનું કિંયાડું બાપુજી જેની સાથે રહે તેણે ખેડવાનું નક્કી થયેલું. બાપુજીએ ગામમાં ભાઈ સાથે રહેવાનું પસંદ કર્યું એટલે ભાઈ એ કિંયાડું ખેડતો રહ્યો. પણ થોડા વખત પછી બાપુજી ત્રાસી ગયા એટલે મારી સાથે સુરત રહેવા આવી ગયા. પછીના વર્ષે મેં ભાઈને કહ્યું કે “હવે બાપુજી મારી સાથે રહે છે એટલે શરત મુજબ એમનું કિંયાડું હું ખેડીશ.” ભાત રોપવા માટે પાણીનું નાકુ બાંધવા હું ગયો. ભાઈ કોદાળી લઈને આવ્યો, એ કબજો છોડવા રાજી નહોતો. ઝગડો થયો. કોદાળીનો ઘા છૂટી ગયો. મારા માથા પરથી ઘાત ગઈ.

અમે શેઢા પર બેઠા અને મેં શાંતિથી પૂછ્યું કે ‘આમ મગજ પરનો કાબુ ગુમાવવાનું કારણ શું? માથે કોઈ ઘોર આપત્તિ આવી પડી છે?’ એણે કહ્યું કે ‘મારે માથે દેવું થઈ ગયું છે.’ તો હું તને શું મદદ કરી શકું? એણે કહ્યું કે ‘તારા ભાગના કિંયાડા તું મને ભાગે ખેડવા આપી દે તો આપણને બંનેને રાહત થાય! તને સુરતથી આવીને ખેતી કરવાનું મોઘું પડે જ્યારે મને એ સહેલું પડે. વર્ષે જે થાય તેમાંથી અડધું તારું ને અડધું મારું!‘ મને એ વાત વાજબી લાગી અને એની ઓફર મેં સ્વીકારી લીધી. (હું ચાલબાજીનો ભોગ બની ગયો. આવું થતું હોય એ કોઈ નવાઈની વાત નથી.) પછી ભાઈએ બધે જ શેરડી ખોસી દીધી. ગામમાં પહેલું મારૂં ઘર છિનવાઈ ગયું અને પછી મને ખેતીની જમીન પણ છિનવાઈ ગઈ. મારા કિંયાડામાં ઉગેલી શેરડીનું એક પેરિયું સુદ્ધાં અમને ખાવા મળ્યું નહી. ભાઈએ મારા બધા જ દરવાજા બંધ કરી દીધા એટલે ગામ સાથેનો મારો સંબંધ કપાઈ ગયો; કુટુંબમાં કે નાતમાં કોઈને ત્યાં શુભ કે અશુભ પ્રસંગોની જાણ થાય ત્યારે સામાજિક ફરજ બજાવવા ઊભા ઊભા જવાનું થતું રહ્યું.

છતાં, મારા ગામની ઘણી બધી વાતો લખવાની હજી બાકી છે. જે હકિકતો મેં જોઈ અને જે ક્ષણો મેં માણી તે વિશે હું લખતો રહીશ.

10/07/2024

સિત્તેરના દાયકા પહેલાંનું અમારું ગામ: ૧૨૨

નવો ખોરાક પછી નવી દવા ચાલુ થઈ!

    તે વખતે અમારા ભણવામાં આવેલું કે ફતેહપુર સિકરી અને સિંદરીમાં રાસાયણિક ખાતર બનાવવાના કારખાના આવેલા છે. તે વખતની પરીક્ષામાં એ ખાસ પૂછાતું પણ હતું. પછી તો ગુજરાત (નર્મદા ફર્ટિલાઈઝર) સહિત અન્ય રાજ્યોમાં પણ ઠેર ઠેર ફર્ટિલાઈઝર ડેપો ઊભા થયા અને છાણિયું ખાતર, દિવેલીનો ખોળ, લીંબોડીનો ખોળ, શણનો લીલો પડવાશ, ઘેટા બકરાંની લીંડી એ બધું હાંસિયામાં ધકેલાઈ ગયું. એનો ઉપયોગ કરીને ખેતી કરવા જાય તો તે ખેડૂત પછાત ગણાય, ગમાર ગણાય! આ રાસાયણિક ખાતર વિશે એવું બોલાતું હતું કે એકવાર એનો ઉપયોગ કરો એટલે બીજીવાર પણ એનો જ ઉપયોગ કરવો પડે. આ તો ‘હાથ આપવા જતાં પહોંચું પકડ્યા‘ જેવો ઘાટ થયો! ભલે, તેમ તો તેમ, પણ ઉત્પાદન વધારે મળતું હોય અને કમાણી વધારે થતી હોય તો એ પરવડે તેમ હતું.

   એ સાથે નવું પરિબળ ઉમેરાયું તે પાકને આપવાની દવાનું! આ હાઈબ્રીડ જાતની રૂપ સુંદરી અને ગુણસુંદરીઓને બધાંની નજર બહુ લાગી જાય! એ નજર ઉતારવા માટે ભુવાની પીંછી નહીં કામ લાગે! એને તો જલદ ઝેરી દવા જ જોઈએ! એ દવા છાંટતા મજૂરોને એની ઝેણ લાગી જાય તો તે પણ માંદો પડીને મરી જાય. આ તો બહુ તકલીફ ભરેલું કામ. આમેય કોઈ મજૂર મળે નહીં અને તેમાં માણસનો ભોગ લેતી આ જીવલેણ દવા! જીવ તો દરેકને વહાલો હોય.

     ખેતી એ પૈસો પેદા કરવા માટેની ફેકટરી બનતી ગઈ, તે માટે આ ધરતીએ કૃત્રિમ જાતોને પોતાનું ધાવણ પાવું પડ્યું. રાસાયણિક ખાતરોને જબરદસ્તીથી ગળે ઉતારવું પડ્યું. અને ઝેરી દવાના ઘૂંટ પણ પીવા પડ્યા. ધરતીમાતાની તબિયત લથડી. માનું દૂધ પીને પુષ્ટ થવાય, પણ માના દૂધનો વેપલો ન કરી શકાય. માતા દુ:ખી થઈ ગઈ, પણ મા એ તો મા જ છે. છોરું કછોરું થાય પણ માથી કુમાતા ન થવાય. એણે જાત નીચોવીને, એનું સત્વ ગુમાવીને પણ દીકરાઓની જિદ્દ પૂરી કરી છે. લોકો કહે છે કે ખેતીમાં હવે પહેલાં જેટલો દમ નથી! ધરતી પણ કહેતી હશે કે મારા દીકરાઓનો પહેલાં જેટલો મારા પર હવે ભાવ રહ્યો નથી. ધરતીનું મૌન રુદન કોઈને સંભળાતું નથી. અમારી આગલી પેઢીના ખેડૂતના ઘરનું એક પાલતુ જાનવર માંદું પડે તો રાતભર ઉજાગરા થતા. ઘરડી ગાય-ભેંસ દૂધ આપતી બંધ થાય કે ઘરડો બળદ (ડોબો) ખેતીમાં કામ ન કરી શકે તો પણ તેને વેચી દેવાનો જીવ નહીં ચાલતો. અરે, તે મરી ગયા પછી તેને દાટીને તેની યાદમાં તે જગ્યા પર આંબો કે નાળિયેરી જેવાં વૃક્ષો ઉગાડતાં, પણ એના મૃતદેહના ચામડા ઉતારવા ખાલપીવાડ સુદ્ધાં નહોતા મોકલતા. પોતે પાળેલા જાનવરના મૃતદેહને કાગડા, કૂતરાં અને ગીધ પીખતાં હોય એ જોઈ શકાતું નહોતું. હવે એ ભાવનામાં ઓટ આવવા માંડી. જેના ખોળે આળોટીને આપણા પૂર્વજો રમ્યા અને જીવ્યા તથા પુષ્ટ થયા. તે ધરતીની વ્યથા સમજવાની સંવેદનશીલતા આપણે ગુમાવતા ગયા. આપણે ફાયદાવાદી બનતા ગયા. સોનાનું ઈંડું મૂકતી મરઘીને જ કાપવાની ધૃષ્ટતા કરી બેઠા! ‘રસ હીન ધરા થઈ છે‘ પણ એ સ્થિતિ સમજવામાં કોઈને રસ હોય એમ લાગતું નથી. છેલ્લા બુંદ સુધી ધરતીને ચૂસી લેવાનો માનવજાતે પાક્કો નિર્ધાર કરી લીધો છે.

  ભાત ઉપણવાનું ગયું. સૂપડું મૂકીને ફટાક હાંકવાનું ગયું. હાથથી ચલાવાતા પંખા આવી ગયા. ઘરમાં ભાત ખાંડવાના ખાંડણિયા રહેતા તે ગયાં. ખેડૂતના ઘરે બારણે ઘોલે પરાણો, કોદાળી, ખાંડણિયું રહેતું તે અલોપ થઈ ગયું.

    ઘઉંની ખેતીમાં ગામના ખેડૂતો ખાસ કંઈ કમાયા નહીં. બે પાંચ વરસ એની ખેતી થઈ હશે, પણ સૌથી વધારે આર્થિક લાભ થયો હોય તો શેરડીના વાવેતરથી થયો. શેરડીનો પાક લેવામાં પહેલ્લી હુતરાઈ (સહેલી સગવડ) એ હતી કે મજૂર શોધવાની ઝંઝટ નહોતી. સ્થાનિક મજૂરોની આડાઈથી ખેડૂતો ત્રાસી ગયા હતા. મજૂરો સુગર ફેકટરીવાળા તરફથી આવવાના હતા. શેરડી કાપવાના અનુભવી હતા. વર્ષો પહેલાં બારડોલીમાં ખાંડ બનાવવાની મિલ હતી. ૧૯૫૫માં એની સ્થાપના થયેલી. ગોપાળભાઈ પટેલ અને કૃષિ અગ્રણી ડૉ. દયારામ પટેલનું નામ જાણીતું હતું. નાનપણમાં મને ખાંડ ખાવાની કુટેવ હતી તે છોડાવવા મારી મા મને કહેતી કે ખાંડને સફેદ અને પાસાદાર બનાવવા માટે હાડકાંની વરાળ લગાવવામાં આવે છે! મેં બચપણથી જ માંસાહાર અપનાવ્યો નહોતો અને સત્સંગમાં જતો હતો એટલે મને ખોટી ધમકી ખાતર એવું કહેવામાં આવ્યું હશે એવી મારી ધારણા હતી. પણ ખરેખર એણે બારડોલીનું ખાંડનું કારખાનું જોયું હોવાની વાત મને કરી હતી. પાછળથી અમારા ભણવામાં પણ આવેલું કે હાડકાંની બાષ્પ રંગહારક હોવાથી એનો ઉપયોગ ખાંડના કારખાનામાં થાય છે. બારડોલી ઉપરાંત મરોલી ચાર રસ્તા પાસે પણ ખાંડનું કારખાનું હતું. ગામમાં નહેરના પાણી આવ્યા અને બધા જ ખેડૂતો શેરડી ઉગાડવા ભણી વળ્યા.

શેરડીનો પાક લેવામાં બીજી એક હુતરાઈ એ જાણવા મળી કે એકવાર કરેલું રોપાણ બીજે વરસે પણ ચાલે! એકવાર ઉગેલી શેરડીનો પાક તૈયાર થઈ જાય, શેરડી કપાઈ જાય અને ખેતર ખુલ્લું થઈ જાય પછી એને ફરીથી ખેડવાની, પાળિયાં બનાવવાની અને પેરિયાં જમીનમાં દાટવાની જફા જ નહીં! આ તો કેટલું બધું સારું કહેવાય! ખેડવાની મજૂરી અને નવા રોપાણનો ખર્ચો જ બચી ગયો. શેરડી કપાય તે તો તેના થડમાંથી કપાય, તેના મૂળિયાં તો જમીનમાં રહે જ, એ મૂળિયાંમાંથી જે પીલા નીકળે તેને ‘લામ‘ નામથી ઓળખવામાં આવે છે. એ લામ બીજા કેટલા વરસ ચાલે તે મને ખબર નથી કારણ કે શેરડીની ખેતી મેં કરી નથી! વળી એ એંસીના દાયકાની વાત છે. મારા બાપુજીએ એમની હયાતિમાં અમને બંને ભાઈઓને કિયાંડા અને વાડા ચાલચલાઉ વહેંચી આપ્યા હતા. અને એક વધારાનું કિંયાડું બાપુજી જેની સાથે રહે તેણે ખેડવાનું નક્કી થયેલું. બાપુજીએ ગામમાં ભાઈ સાથે રહેવાનું પસંદ કર્યું એટલે ભાઈ એ કિંયાડું ખેડતો રહ્યો. પણ થોડા વખત પછી બાપુજી ત્રાસી ગયા એટલે મારી સાથે સુરત રહેવા આવી ગયા. પછીના વર્ષે મેં ભાઈને કહ્યું કે “હવે બાપુજી મારી સાથે રહે છે એટલે શરત મુજબ એમનું કિંયાડું હું ખેડીશ.” ભાત રોપવા માટે પાણીનું નાકુ બાંધવા હું ગયો. ભાઈ કોદાળી લઈને આવ્યો, એ કબજો છોડવા રાજી નહોતો. ઝગડો થયો. કોદાળીનો ઘા છૂટી ગયો. મારા માથા પરથી ઘાત ગઈ.

અમે શેઢા પર બેઠા અને મેં શાંતિથી પૂછ્યું કે ‘આમ મગજ પરનો કાબુ ગુમાવવાનું કારણ શું? માથે કોઈ ઘોર આપત્તિ આવી પડી છે?’ એણે કહ્યું કે ‘મારે માથે દેવું થઈ ગયું છે.’ તો હું તને શું મદદ કરી શકું? એણે કહ્યું કે ‘તારા ભાગના કિંયાડા તું મને ભાગે ખેડવા આપી દે તો આપણને બંનેને રાહત થાય! તને સુરતથી આવીને ખેતી કરવાનું મોઘું પડે જ્યારે મને એ સહેલું પડે. વર્ષે જે થાય તેમાંથી અડધું તારું ને અડધું મારું!‘ મને એ વાત વાજબી લાગી અને એની ઓફર મેં સ્વીકારી લીધી. (હું ચાલબાજીનો ભોગ બની ગયો. આવું થતું હોય એ કોઈ નવાઈની વાત નથી.) પછી ભાઈએ બધે જ શેરડી ખોસી દીધી. ગામમાં પહેલું મારૂં ઘર છિનવાઈ ગયું અને પછી મને ખેતીની જમીન પણ છિનવાઈ ગઈ. મારા કિંયાડામાં ઉગેલી શેરડીનું એક પેરિયું સુદ્ધાં અમને ખાવા મળ્યું નહી. ભાઈએ મારા બધા જ દરવાજા બંધ કરી દીધા એટલે ગામ સાથેનો મારો સંબંધ કપાઈ ગયો; કુટુંબમાં કે નાતમાં કોઈને ત્યાં શુભ કે અશુભ પ્રસંગોની જાણ થાય ત્યારે સામાજિક ફરજ બજાવવા ઊભા ઊભા જવાનું થતું રહ્યું.

છતાં, મારા ગામની ઘણી બધી વાતો લખવાની હજી બાકી છે. જે હકિકતો મેં જોઈ અને જે ક્ષણો મેં માણી તે વિશે હું લખતો રહીશ.

10/07/2024

 સિત્તેરના દાયકા પહેલાંનું અમારું ગામ: ૧૨૧

મસુરીના ચોખા રાંધવામાં, ખાવામાં અને પચવામાં શરીરને અનુકૂળ હતા. ખેડૂતોને તો પેટમાં આધાર રહે તેવો ખોરાક જોઈએ. જલદી પચી જાય અને જલદી ભૂખ લાગી જાય તે નહીં પરવડે. સવારના રોટલો ખાઈને ખેતરાળીમાં કામ કરવા નીકળી ગયા હોય તે બપોરના બાર –એક થાય ત્યાં સુધી –સૂરજ માથે આવે ત્યાં સુધી કામ કરવાનો સમય મળવો જોઈએ. વચમાં ભૂખ લાગે તે નહીં પોસાય! પાણી પીવું પડે એ વાત સાચી. આમેય કામ કરતાં કરતાં શરીર પરસેવાથી નીતરતું થઈ ગયું હોય. શરીરમાંથી પાણી ઓછું થઈ ગયું હોય એટલે શરીરની ગાડી રિઝર્વમાં આવી ગઈ છે એમ સમજીને શેઢા પર કોઈ નાના ઝાડવાની છાયા નીચે, શીળે (હીરે) બેસીને ઘડીક પવન ખાઈ લઈએ અને પાણીના ઘૂંટડા ભરી લઈએ એટલે ફરીથી કામ ચાલુ. બપોરના ભોજનમાં ડખુ- ચોખા ખાધા પછી ઘડીભર લાંબા થઈને એકાદ ઝોકું ખેંચી કાઢ્યા પછી ફરીથી કામ ચાલુ થાય તે ભંજાતુ થાય ત્યાં સુધી પેટમાં આધાર રહે.

વિવિધ જાતની કૉલમના ચોખા પાતળા અને મોચલા ખરા, પણ એ શ્રમજીવીઓને નહીં ચાલે. એ ચોખા જલદી પચી જતા હોવાથી બેઠાડુ લોકો માટે સારા. નોકરિયાતોને એ ચાલે, મજૂરોને નહીં ચાલે. એમને તો કડા કે મસૂરી જ ઉત્તમ. કડા વિશે લખતી વેળા એક વાતનો ઉલ્લેખ અચૂક થવો ઘટે કે એ જાડા હતા, એનાથી પેટમાં મોટો આધાર રહેતો. એ ચોખા રંગે લાલ રહેતા. જાણે લાપસી રાંધી હોય તેવા દેખાય! એ ચોખામાં મીઠાસ હતી. બાળકો તો ભૂખ લાગી હોય ત્યારે કાચા ચોખા પણ ચાવી કાઢતા! સુદામાના તાંદૂલ તે કડાના ચોખા જ હોવા જોઈએ! પહેલાંના વખતમાં અનાજ ભરવા માટે લાકડાના કોઠાર કે એલ્યુમિનિયમના પીપ નહોતા, પણ કાદવની કોઠી અને વાંસના પાલા રહેતા. ‘કોઠી ધોઈને કાદવ કાઢ્યો!‘ એવી કહેવત વાપરતી વખતે કોઠી શી ચીજ હતી તે ધ્યાનમાં આવવું જોઈએ.

ચકલાંને ચણ માટે, દરગાહ કે મંદિર માટે, આંગણે ભીખ માંગવા આવનાર ભિક્ષુકો માટે, આવતી સિઝનના બિયારણ તરીકે અને ચોખા ખંડાવવા માટે જરૂર પૂરતું ભાત રાખીને બાકીનું વેપારી વાણિયાને વેચી દેવાતું. ચોખા ખંડાવવા માટે નજીકના સાતેમ ગામમાં બે મિલ હતી. એક નવી અને બીજી જુની. બળદગાડામાં ભાત નાંખીને ત્યાં જતા ત્યારે ચોખા ખંડાવવાવાળાની લાઈન લાગી હોય. વારો આવતાં ઘણીવાર આખો દિવસ નીકળી જાય, ક્યારેક બીજા દિવસની સવાર પણ પડી જાય! ત્યાં સુધી હાંકેડો અને બળદો ભૂખ્યા ન રહે તેની વ્યવસ્થા પણ કરવાની રહેતી. ચોખા ખંડાવવા ગયેલું બળદગાડું ઘરે આવે એટલે પરસાળમાં પિછોડી પાથરીને ચોખા ઠાલવવામાં આવે અને તેને ઠંડા કરવા માટે પગ વડે ચાસ પાડતા હોય તેમ પાથરવામાં આવે. કણકી એટલે કે ખંડિત ચોખા અથવા તૂટેલા ચોખા જુદા કરવામાં આવ્યા હોય અને મીઠી મીઠી કુસકી અલગ કોથળામાં ભરી લાવ્યા હોય. બાળકો એ કુસકીની ફાકી મારે, પણ હકિકતમાં ભેંસના ટોપલામાં એ કુસકી પીરસવામાં આવતી. કુસકો પણ કોથળામાં ભરી લાવતા અને તેનો ઉપયોગ છાણાં થાપતી વખતે પરાળી ભેગો થતો. મશીનમાં ચોખા ખાંડવાની પ્રોસેસ બહુ રસપ્રદ હતી તે જોવાની મજા આવતી. અમે જુવાર દળાવવા જતા ત્યારે અમારો વારો આવે ત્યાં સુધીમાં આ બધી પ્રોસેસ રસપૂર્વક નીહાળતા. એકવાર મશીનમાં ઠાલવેલું ભાત સૂપડા કે ચારણીની જેમ આગળ પાછળ ગતિ કરતું આગળ વધતું જાય, છોડા નીકળતા જાય અને તે કૂસકો બહાર ભૂંગળા મારફતે ફેંકાતો જાય, આખા ચોખા, પોણિયા ચોખા, અડધા ચોખા એટલે કે વાટલા અને ઝીણી કણકી એ બધાંને દળાવીને તેના લોટમાંથી પૂડા, ખિચિયા પાપડી, વડી, અટામણ, સાથિયો પૂરવામાં તેનો ઉપયોગ કરી શકાતો. સફેદ બાસમતી જેવો રાંધેલો ભાત જોઈતો હોય તો ચોખાને પાલીશ કરાવવામાં આવતું, પરંતુ તેમ કરવાથી ચોખા તૂટી જતા! એટલે ઘરધણીની પસંદ મુજબ ચોખાને પૉલિશ કરાવવામાં આવતું.

હવે કડા ભાત ગયું એટલે આ બધી કડાકૂટ પણ ગઈ! મિલમાં ભાત ખંડાવવાનું ચાલુ થયું તે પહેલાં એટલે કે ચાલીસ પચાસના દાયકામાં તો હાથછડના ચોખા ખવાતા હતા. ઘરે ઘરે પરસાળમાં લાકડાના મોટા ઢીમચા જમીનમાં બેસાડવામાં આવતા. તેમાં ઊંડો ખાડો હોય, તેમાં ખાંડવાનું અનાજ નાખીને ઘરની સ્ત્રીઓ ખાંડણિયાથી ખાંડતી. નીચે બેઠેલી વૃદ્ધ મહિલા એક હાથે ખાંડણિયું પકડીને બરાબર ખાડામાં નાંખતી અને બીજા હાથે ખંડાયેલા અનાજને ફેરવ ચારવ કરતી રહેતી. ખાંડણિયું ઉંચકવાનુ જોર ઊભી રહીને ખાંડણિયું ચલાવતી યુવાન મહિલાએ કાઢવું પડતું. બાવડાં દુખી આવતા. ખંડાયેલા અનાજને સૂપડાથી ઝાટકવામાં આવતું જેથી જુદી જુદી વકલના ચોખા અને કૂસકો- કૂસકી જુદાં પડી જતાં. આ ક્રિયા કેટલાંક ઘરોમાં મેં પ્રત્યક્ષ પણ  જોઈ છે. તે સમયે યોગ અને કસરત કરવાના ક્લાસ ભરવાની કોઈને જરૂર જ નહોતી પડતી. દરેકના ઘરના બારણે ઘોલે ખાંડણિયું તો હોય હોય ને હોય જ! આજે લગ્નપ્રસંગે માણેકથંભની જગ્યાએ એક નાનકડો દંડૂકો અને લૌકિક રિવાજમાં ખાંડણિયું –સાંબેલુંની અવેજીમાં પ્રતીકાત્મક રમકડું વપરાય છે.

પરંતુ, નહેરનું પાણી મળતું થયું, ડાંગરની નવી નવી જાતો આવતી ગઈ, પછી એક નવી મુસીબત પેધી પડી ગઈ. નવી વહુના નખરાં ભારે! એ કહેવત સાર્થક થતી હોય તેમ એવી વાત બહાર આવી કે એને દેશી છાણિયું ખાતર ભાવતું નથી! એનાથી એનું પેટ નહીં ભરાય! ‘તો પછી એ મહારાણીને ખાવા માટે હું હપ્તાન્ન લાવવાનું? ‘ એને માટે બાલાજીના પેકેટ શોધવા ક્યાં જવું? સંકર ગાય જેવી જ ચાતરમ આ વર્ણસંકર વનસ્પતિઓએ પણ કરવા માંડી. એને ખાવા માટે પોટાશ જોઈએ, ફોસ્ફરસ જોઈએ, સલ્ફેટ જોઈએ, યુરિયા જોઈએ! ગામડાના ખેડૂતોને બિચારાને એ નામો બોલતાં પણ નીં આવડે. તેઓ સોલપીટ બોલે, ઉરિયા બોલે! આ ખોરાકનો ડોઝ નહીં મળે તો રાજકુમારી ભૂખથી કરમાઈ જાય એટલી બધી નાજુક! જાતજાતના રાસાયણિક ખાતરોથી સહકારી મંડળીઓના ગોદામ ઊભરાવા લાગ્યા. ખમતીધર ખેડૂતોએ પોતાના ઢોર બાંધવાના ડેલામાં ખાતરની ગુણોની થપ્પીઓ સીંચવા માંડી. સો સોની નોટની થપ્પીઓ ભેગી કરવી હોય તો આ બધું કરવું જ પડે. તે વખતે પાંચસોની અને હજાર રૂપિયાની ચલણી નોટો હજી બહાર પડી નહોતી. કોઈ ‘લીલી નોટ‘ બોલે તો સો રૂપિયા સમજી લેવાનું. ‘ખોખા’ અને ‘કબાટ’ શબ્દો તો માણસાઈનું અને ચલણી નોટોનું જેમ જેમ અવમૂલ્યન થતું ગયું તેમ તેમ આવતા ગયા. એ તો હજી દૂરના ભવિષ્યની વાત છે.

0૨/૦૬/૨૦૨૪

સિત્તેરના દાયકા પહેલાંનું અમારું ગામ: ૧૨૦

ગામડાના ખેડૂતો ખાસ ગણતરીબાજ નહોતા. સારો પાક થયો હોય અને સારો ભાવ મળ્યો હોય તો લગ્ન જેવા શુભ પ્રસંગે છૂટથી પૈસો વાપરી નાખતા. બે પાંચ હારા ભાત ઓછું પાકેલું કે એક ગાલ્લી શીંગ ઓછી પાકેલી એમ માનીને ખર્ચ કરતા! સીઝનમાં પૈસા હાથમાં આવે ત્યારે ઘરના સ્ત્રી વર્ગ માટે સોનાની જણસ પણ બનાવતા. કોઈ જરૂરતમંદ ઉછીના પૈસા માંગવા આવે તો ઉદારતાથી આપતા અને લોકોને મદદરૂપ થતા. પૈસા આજે છે ને કાલે નથી! મરતી વખતે સાથે શું લઈ જવાના! ખાલી હાથે આવેલા ને ખાલી હાથે જ જવાના છીએ તો એના પર બહુ માયા શું કામ રાખવી? લોકોનું સંકટ ટાળ્યું હોય તે પુણ્ય જ સાથે આવશે. આમેય પૈસા ઘરમાં પડી રહેવાથી કંઈ વિયાવાના તો નથી જ!

આંબો આવ્યો હોય તો ગામના લોકોને બોલાવીને બાળકો માટે ટોપલો ભરીને કેરી આપતા. શાકભાજી પણ આપતા. લગભગ એ જ સમયે શહેરમાં કોઈને તરસ લાગે તો પીવા માટે દસ પૈસાનો એક ગ્લાસ બરફવાળું પાણી મળતું હતું! તે સમયે મનોજકુમારની એક ફિલ્મ આવેલી ‘पहचाऩ‘. તેમાં ગામડિયો મનોજુમાર- ગંગારામ શહેરમાં જાય છે અને તરસ લાગતાં એક ગ્લાસ પાણી પીધા પછી આશીર્વાદ આપે છે, પણ પાણીવાળો એની પાસે પૈસા માંગે છે. ભોળો ગામડિયો મુંઝાઈ જાય છે! તરસ્યાને પાણી પીવા માટે ઠેર ઠેર પરબો બાંધીને માટલાનું ઠંડુ પાણી પાનાર ખેડૂત કોઈ કામ અંગે શહેરમાં જાય અને તરસ લાગે તો એણે વેચાતુ પાણી પીવું પડતું! નવસારીમાં પણ બરફવાળું પાણી ઠેર ઠેર વેચાતું હતું. રેલવે સ્ટેશનો પર પણ પાણીનો વેપલો ચાલતો હતો. ગામડામાં કોઈ પણ અજાણ્યો માણસ આંગણે આવીને ઊભો રહે અને પીવા માટે પાણી માંગે તો લોકો હરખભેર પાણી આપતા. પાણી પીધા પછી માણસના ચહેરા પર તૃપ્તિના ભાવો જોઈને જ પાણી પાનાર ખુશ! અચાનક પેલું ભજન મને યાદ આવી ગયું, ‘કભી પ્યાસે કો પાની પિલાયા નહીં..” અમે બાજુના સાતેમ ગામમાં જુવાર દળાવવા જતા ત્યારે માથેથી ભાર ઉતારીને બોડા દેવાના ઓટલા પર થેલી મૂકીને પાણીની આખી ગાગર ખાલી દેતા!

અમારા ગામમાં પહેલાં સામાન્ય રીતે કડા નામની દેશી ડાંગરની જ  ખેતી થતી હતી. છોડ લાંબા થતા હતા. લણણીના સમયે કિયાંડામાં આડા પણ પડી જતા હતા. પુરેટિયા લાંબા થતા હતા. ઢોરને ખાવા માટેની જરૂરિયાત એમાંથી પૂરી થતી હતી. વધારાના પુરેટિયા પ્રેસમાં મોકલાતા હતા અને ત્યાં એની ગાંસડી બંધાતી હતી. એવી રીતે ઘાસની પણ ગાંસડી બંધાતી હતી. ગાંસડીના વજન પ્રમાણે ખેડૂતોને તેના પૈસા મળતા હતા. હવે નહેર આવ્યા પછી ડાંગરની વિવિધ જાતો આવવા માંડી. એ ડાંગર બટકી હતી અને તેનું ઉત્પાદન ધારવા કરતા ઘણું હતું. પ્રગતિશીલ ખેડૂતો એના વિશે માહિતી મેળવી લાવતા, માહોંમાંહે ચર્ચા કરતા અને તેની અજમાયસ કરતા. સારો પાક થાય અને તેનો સારો બજારભાવ મળે તો બેડો પાર થઈ જાય! મનમાં એક રીતનો છૂપો આનંદ માણતા. ‘જોઈએ, લોટરીની ટિકિટ જેવું છે. જો નંબર લાગે તો લખપતિ યે થઈ જવાય અને નહીં લાગે તો  રૂપિયા જાય પણ ખરા! સાવચેતી રાખીને થોડથ થોડા થોડા આગળ વધવું સારું. મોટી લૂમ લેવાના લોભમાં આજ સુધી જે મળતું હતું તે પણ જાય એવું ન થવું જોઈએ. પહેલાં, બીજાને શરૂઆત કરી જોવા દો. તેમનો કેટલો ફાયદો કે નુકસાન થયું તેના પર  નજર રાખો. તેણે શું શું કરેલું, કઈ કઈ કાળજી રાખેલી તેની માહિતી મેળવીએ, પહેલાં અમુક લિમિટેડ જમીનમાં એનો અખતરો કરી જોઈએ પછી આગળ વધીએ‘ – એવી ગણતરીથી લોકોએ નવી જાતો અપનાવવા માંડી.

પણ આ તો હાઈબ્રીડ જાતો હતી. દેશી ધરૂવાડિયામાં જાતે તરૂ નાખીને તેનું રોપાણ કરતા હતા તે હવે નહીં ચાલે. ખાસ પ્રમાણિત બીજનું તૈયાર ધરૂ મળતું હોય તે લાવવું પડે. ડાંગરની ઘણી બધી જાતો આવી અને ચાલી ગઈ. બધાંના નામો યાદ નથી. દરેકની ક્વૉલિટીમાં થોડા થોડા ગુણદોષો હતા. ‘જયા‘ નામનું ભાત વધારે ચાલ્યું. આઈ.આર.બાવીસ નામનું ભાત પણ ચાલ્યું. ગામડાના અભણ લોકો એને ‘ઈયાર બાવી‘ બોલતા! પણ સૌથી વધારે લોકપ્રિય થયું હોય તો તે હતું મસુરી. અન્ય જાતોના ચોખા રાંધીને ખાવા લાયક નહોતા પણ મસુરીના ચોખા સૌને માફક આવી ગયા. બીજી ડાંગર સીધી વેપારીને આપી દેવાની હતી. તેના રોકડા પૈસા કમાઈ લેવાના હતા. જ્યારે મસુરીના ચોખા તો લગ્નના જમણવારમાં પણ ચાલતા હતા.

સિત્તેરના દાયકા પહેલાંનું અમારું ગામ: ૧૧૯

અમારા ગામમાં વાણિયા, બ્રાહ્મણ, અનાવિલ જેવા સવર્ણ લોકોની વસતિ નહોતી. મુખ્ય વસતિ જ કોળી અને કુંભાર લોકોની હતી, તે પછી બાકીની મિશ્ર વસતિ આદિવાસીઓની હતી જેમાં હળપતિ (તે વખતના દૂબળા), નાયકા અને ઢોડિયા લોકો હતા. ઢોડિયા લોકો પૈકી મોટાભાગના ખાતેદાર હતા. જમીનના માલિક અને સ્થિતિ સંપન્ન હતા. વળી તેમનામાં શિક્ષણનું પ્રમાણ સારું હોવાથી અને તેમને નોકરી જલદી મળી જતી હોવાથી તેઓ વધારે ભણતા હતા. ખેતી સાથે મોટાભાગે શિક્ષક- શિક્ષિકાનો વ્યવસાય પણ કરતા હતા. દુકાનના હિસાબ કિતાબ અને ભજન સત્સંગમાં પણ તેઓ સક્રિય હતા. ગામ પંચાયત અને સહકારી સોસાયટીઓના તેઓ સક્રિય સભ્યો હતા. કોળી લોકો પણ જાગૃત અને શિક્ષિત હતા. લગભગ દરેક ઘરમાંથી શિક્ષકો હતા. તેઓ ખેતી અને નોકરી બંને સંભાળતા હતા. હળપતિઓમાં શિક્ષણનું પ્રમાણ નહિવત્ ગણી શકાય તેમ છતાં અમારી જોડે મેટ્રિક સુધી ભણતા છોકરા છોકરીઓ હતા. જેઓ અભ્યાસ સાથે લોકોને ત્યાં ખેતમજૂરી પણ કરતા હતા. ચમાર લોકોના ઘરો હતા જેનો એક જુદો મહોલ્લો હતો અને તેને અમે તે ખાલપીવાડ કહેતા. પણ ગાંધીજીના પ્રભાવ હેઠળ ‘હરિજન‘ શબ્દ વ્યાપક બન્યો. એ શબ્દ ગૌરવપ્રદ હતો. આદિવાસીઓની જેમ તેઓ પણ પછાત ગણાતા હતા અને તેમને પણ અનામત પ્રથાનો લાભ મળતો હોવાથી તેઓ સારું શિક્ષણ પ્રાપ્ત કરીને શિક્ષક શિક્ષિકા બનતા હતા. સ્વચ્છતા અને સદાચારનું પાલન કરનારા હતા કેટલાક પાસે સારી એવી જમીન પણ હતી. અને કેટલાક લોકો ગામ છોડીને મુંબઈ ગયા; ત્યાં જે કોઈ કામ મળે તે સ્વીકારી લઈને ઈજ્જતભેર કમાણી કરતા થયા હતા. તેમની જીવનશૈલીમાં ઘણો બધો સુધારો આવ્યો હતો. આત્મસંમાન અને આત્મગૌરવની ભાવના વિકસી હતી. તેમણે તેમના બાળકોને સારું શિક્ષણ આપીને જુદા જુદા ક્ષેત્રમાં ગોઠવી દીધા હતા. બહુ ઓછા લોકો ગરીબ હતા જેઓ મરેલા ઢોરનું ચામડું ઉતારીને તેને પકવતા અને એ દેશી ચામડાની ચંપલ, ખાસડા, જોતર, નાડી, વાધરી વગેરે બનાવતા. દેશી ચંપલને મસુરી ચામડાના પટ્ટા પણ લગાવી આપતા. નાયકીવાડના સ્ત્રી પુરુષો ખેત મજૂરી કરતા પણ કેટલાક જુવાનિયા એસ.ટી બસમાં હેલ્પર, ક્લિનર જેવી પોસ્ટ પર કે કોઈ સરકારી ઓફિસમાં પટાવાળા તરીકે નોકરીએ ગોઠવાયેલા હતા. અમારો સહાધ્યાયી કાળિદાસ પટેલ તો એસ.આર.પી.માં હતો. એક સહાધ્યાયી સુરતની બહુમાળી બિલ્ડિંગમાં પટાવાળો હતો.

સૌથી ઓછું શિક્ષણ અમારી કારીગર કોમમાં હતું. શિક્ષણ પ્રત્યે એટલી જાગૃતિ પણ નહોતી તથા નોકરી મળવાની શક્યતા ઓછી હોવાથી ભણવામાં ઉદાસીનતા વધી ગઈ હતી. હીરા ઘસવા લાગી જવાનું મુખ્ય કારણ પણ એ જ હતું. ભણવાનો ઉદ્દેશ જ નોકરી મેળવવાનો હતો અને નોકરી મળવાની શક્યતા જો સાવ ઓછી જ હોય તો ભણવા કરતા હદીકા (બનતી ત્વરાથી) ધંધે લાગી જઈએ તે જ ઉત્તમ રસ્તો છે એમ તે વખતના લોકોને લાગેલું. તે જમાનો લાગવગનો હતો, ઓળખાણ પરિચય હોય તેમને નોકરીની તકો વધારે. કારીગર કોમનો કોઈ માણસ સરકારી નોકરીમાં હોય જ નહીં તો લાગવગ કોની લગાડે? અમારી સ્કૂલમાં મોટાભાગના શિક્ષકો કોળી અને ઢોડિયા પટેલ તથા હરિજન વર્ગના હતા. કારીગર કોમનો શિક્ષક ભાગ્યે જ કોઈ રડ્યો ખડ્યો મળી આવે. નોકરીવાળા લોકોને સારા ભણેલા લોકોનો સંગ મળ્યો. નિયમિત પગાર મળતો થયો. બચત થઈ તેમાંથી મિલકત પણ વસાવી, તેમના બાળકોને પણ સારું શિક્ષણ અપાવ્યું અને સારા સરકારી અધિકારીઓ બનાવ્યા. તેઓ સમૃદ્ધ થતા ગયા અને કારીગર કોમ પછાત રહી જવા પામી. પરંપરાગત ધંધા બંધ થતા ગયા અને નોકરી મળી નહીં તેથી નિરાશા ઘેરી વળી. કાશ! સરકારે અમારી કોમનો પણ પછાતમાં સમાવેશ કર્યો હોત તો કેટલું સારું થાત! અમારી સ્થિતિ એવી થઈ કે અમે નહીં પછાતમાં ગણાઈએ કે નહીં સવર્ણમાં! અમારે હળપતિ દૂબળાની જેમ ખેતમજૂરી કે કડિયાકામની મજુરી કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં મળે. જે લોકો ભણીને નોકરી અર્થે ગામ છોડીને બહાર ગયા તે લોકો પૈકી ઘણાનો ગામ સાથેનો સંબંધ અમુક કારણોસર કપાઈ ગયો.

આઝાદી પહેલાં આફ્રિકન દેશોમાં જંગલો સાફ કરીને નગરો વિકસાવવાનું કામ ત્યાંની અંગ્રેજ સરકારે ચાલુ કર્યું ત્યારે ગિરમિટિયા – કુશળ અને અર્ધકુશળ કારીગર તરીકે અમારા લોકો ભરતી થઈ ગયેલા, આકરો જીવનસંઘર્ષ કરીને બચત કરી અને થોડી ઘણી મિલકતો વસાવી, પણ તેવા પરિવારો બહુ જૂજ હતા. આફ્રિકા આઝાદ થયા પછી બ્રિટિશ નાગરિત્વ મળતાં તેઓ ઈંગ્લેંડ ગયા. અમને થોડાક લોકોને સરકારની સેવા કરવા બદલ ખેડી ખાવા જેટલી ઈનામી જમીન મળેલી એટલું જ. તેમાં પણ વારસા પ્રમાણે ભાગલા પડતાં ચાપુ ચપટી જમીન આવી. અમારા લોકોમાં જેમને ભણવાની પ્રબળ ઈચ્છા હતી અને ભણવામાં તેજસ્વી હતા તેમને માટે સરકારે એક જુદી વ્યવસ્થા ઊભી કરી આપી હતી. જેમની આવક તે વખતે વાર્ષિક નવસો- બારસો રૂપિયાથી ઓછી થતી હોય તેમને હાઈસ્કૂલ – કૉલેજમાં ફી માફી મળતી થઈ. પરિણામે કેટલાક વિદ્યાર્થીઓ ભણી શક્યા. મેટ્રિક કે ગ્રેજ્યુએટ તો થયા પણ નોકરીમાં પ્રાથમિકતા નહોતી એટલે ઘણી રાહ જોયા પછી જે મળે તે નોકરી લઈને સંતોષ માનવો પડ્યો. અમને પરસ્પર કોઈની ઈર્ષ્યા કદી નહોતી થઈ, પણ અમારે માટે પણ એવી તકો ઊભી થવી જોઈએ એવી લાગણી જરૂર થતી.

પુનરાવર્તનનો દોષ વહોરીને પણ મારે આ પરિસ્થિતિનો ઉલ્લેખ એટલા માટે કરવો પડ્યો કે ગરીબોના બેલી હોવાનો દાવો કરતા રાજકારણીઓએ વર્ગવિગ્રહ જ નહીં, પણ વર્ણવિગ્રહ સુદ્ધાં ઊભો કર્યો. માયાવતીના બહુજન સમાજવાદી પક્ષને ઊભો થવાને હજી બે દાયકાની વાર હતી ત્યારે કોંગ્રેસી આગેવાન ઝીણાભાઈ દરજી અને એમના સાથીદારોએ જાહેરસભામાં છડેચોક આગ ઝરતાં ભાષણો કર્યા કે ‘વાણિયા બ્રાહ્મણ અને દેહાઈ ભાઠલાની વહુ દીકરીઓ દલિત અને દૂબળાના ઘરે વાસણ માંજવા અને ઘરકામ કરવા આવે તે પરિસ્થિતિ આપણે લાવવાની છે!‘ આ ચોખ્ખેચોખ્ખો વર્ણદ્વેષ હતો. જાતિવાદ નાબૂદ કરવાને બદલે જાતિવાદને કાયમી રીતે મજબૂત કરવાનો જલદ કાર્યક્રમ હતો. એ બંધારણનો દ્રોહ તો હતો જ સાથે સાથે સમાજદ્રોહ પણ હતો. તેને કારણે લોકોમાં રોષ હતો. બળતામાં ઘી ત્યારે ઉમેરાયું કે જ્યારે આ આગેવાનોએ હળપતિ મજૂરોને એમ કહ્યું કે ‘તમે ખેતરનો પાક લૂંટી લાવો, ઝાડ બીડ કાપી લાવો, એના પર પહેલો અધિકાર તમારો છે.‘ આપણા લોકોને સત્તાધારી પક્ષના આગેવાનો આવી ઉશ્કેરણી કરે એટલે વાંદરાને નિસરણી આપવા જેવી બેજવાબદાર ચેષ્ટા કહેવાય. ખેડૂતો ધૂંધવાતા હતા. એ જ અરસામાં દારૂ તાડી ને નિષેધ મુક્ત કરવાની ઝૂંબેશ પણ ઝીણાભાઈ દરજી તરફથી ઉપાડવામાં આવી. શ્રીમંતો હેલ્થના કારણે પરમીટવાળો વિદેશી દારૂ પીએ તો શ્રમજીવીઓને માટે દેશી દારૂ પીવાની છૂટ મળવી જોઈએ. લઠ્ઠા નામથી ઓળખાતો ઝેરી દારૂ પીવાથી કોઈ મરી જાય તો તેમને વળતર મળવું હોઈએ- જેવી વિવાદાસ્પદ માંગણીઓ થતી હતી.

મારા ગામની ખેતી વિશે કે અમારા પ્રદેશની ખેતી વિશે લખતી વેળાએ મારે આ બધી ઘટનાઓનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે. યુ.પી. માં ‘તિલક તરાજુ ઔર તલવાર ઉસકો મારો જુતે ચાર‘ ના સૂત્રો તો બે દસકા પછી આવ્યા. પરંતુ, સમાજને વિભાજિત કરવાની શરૂઆત ગુજરાતમાં કોંગ્રેસકાળમાં થઈ ચૂકી હતી. ખરેખર તો વર્ણદ્વેષની વાત કરનાર કોઈપણ હોય તેને સખતમાં સખત સજા કરવી જોઈએ તેને બદલે બેશરમીથી તેનો પ્રચાર થાય એ કેટલું બધું ઘૃણાસ્પદ કૃત્ય કહેવાય. માણસને માણસ સાથે ટકરાવવાથી કોનું ભલું થાય? આવા વાતાવરણમાં ખેતી કરવાનો ઉત્સાહ પણ કેટલો ટકે?

૨૬/૦૫/૨૦૨૪

સિત્તેરના દાયકા પહેલાંનું અમારું ગામ: ૧૧૮

હીરા ઉદ્યોગની અસર ખેતમજુરી પર થઈ. પહેલાં અમારી કારીગર કોમની મહિલાઓ ખેતમજૂરી કરવા જતી હતી તેમને તેમના કમાઉ દીકરા, ભાઈ કે ધણીએ શ્રમકાર્ય કરવાની મનાઈ ફરમાવી દીધી! તમે આજ સુધી ટાઢ, તડકો અને વરસાદમાં બહુ મજુરી કરી, હવે આરામ કરો! અમે કમાવાવાળા બેઠા છીએ. આનાથી વધારે સુખ માણસને શું જોઈએ! સારાં વસ્ત્રો, ઘરેણાં પણ ખરીદાવા લાગ્યા. ઘડિયાળમાં જોતાં ભલે નહીં આવડતું હોય પણ ગળામાં કે હાથના કાંડા પર પહેરવા ઘડિયાળ પણ લઈ આપ્યા. કાછડી મારીને લુગડાં પહેરતી કાકી- માસીઓ પણ શહેરની મહિલાની જેમ છૂટા લુગડા પહેરતી થઈ. ખાનપાન અને વસ્ત્રપરિધાનમાં ફેરફારો આવ્યા. બીજી તરફ હળપતિ યુનિયનો થયા. શ્રમજીવી વર્ગને ઉશ્કેરવા માટે રાજકારણીઓએ આગ ઝરતા ભાષણો કર્યા. વર્ગ વિગ્રહના તણખા ઝરવા લાગ્યા. લઘુમતી વેતનધારો આવ્યો. સ્થાનિક મજૂરોની ખોટ પડી એટલે ધુલિયા- ખાનદેશ તરફથી અણઘડ મજૂરોને લાવીને વસાવ્યા. તેમને રહેઠાણ, બળતણ જેવી સગવડો આપી. તેમને લાવવા લઈ જવા માટે ટ્રેકટરોનો ઉપયોગ થવા લાગ્યો. શરૂઆતમાં તેમને ખેતમજુરી શીખવવી પડી. સ્થાનિક મજૂરોને ચરબી ચડી! રાજકારણીઓના હાથા બનીને દાદાગીરી કરવા લાગ્યા તો તેનું સ્થાન પરપ્રાંતીય મજુરોએ લીધું. તેનો પણ વિરોધ થયો. પોતે મજુરીએ આવવું નહીં અને બીજા આવે તેને અટકાવવાના! પરિણામે ભૂખે મરવા જેવી હાલત થઈ. રાજકારણીઓએ ચોરી લૂંટફાટ કરવા તેમની ઉશ્કેરણી કરી. કોણ હતા એ રાજકારણીઓ? લોકોમાં નામ બોલાતા હતા ગરીબોના બેલી ગણાતા ઝીણાભાઈ દરજી, સામ્યવાદી એડવોકેટ જશવંતસિંહ દાનસિંહ ચૌહાણ, આઈ કોંગ્રેસના મદનલાલ બુનકી, કુમુદબેન જોશીના! પડોશના સાતેમ ગામમાં તો રખા ચોકીદાર રાખવામાં આવ્યા. ધીંગાણું થયું. માથા ફૂટ્યા, લાશ પડી, સુપ્રિમ કોર્ટ સુધી કેસ પહોંચ્યો. ખેડૂતોને જેલમાં જવું પડ્યું. ‘જબસે ઇંદિરા આયી હૈ, નઈ રોશની લાઈ હૈ.‘ ના સૂત્રો ગાજવા લાગ્યાં. એ રોશની નહીં, પણ અરાજકતા હતી, વર્ગવિગ્રહ હતો. મધુરા સંબંધો પર ચાંપતી આગ મૂકાઈ રહી હતી.

ઈંદિરાનું નામ લખતી વખતે ઈન્ડિકેટ સિન્ડિકેટની બનેલી ઘટના યાદ આવી. રાજકીય પરિવર્તન ઘર ઘરમાં પ્રવેશ્યું. જુની પેઢીના વડીલોને સિન્ડીકેટ અને નવી પેઢીના જુવાનિયા તે જાણે કે ઈન્ડીકેટ! જેમ કોંગ્રેસના સિદ્ધાંતવાદી નેતાઓ હાંસિયામાં ધકેલાતા ગયા તેમ સમાજમાં અને પરિવારોમાં પણ સાસુ સસરા કે વડીલોની ઉપેક્ષા શરૂ થઈ. ઈંદિરા ગાંધીએ પક્ષની આમન્યા તોડીને પોતાનો પ્રભાવ વધાર્યો તેમ વહુઓએ સાસુ સસરાની કે પરિવારના મોભીઓને કિનારે કરવા માંડ્યા. જાણે કે ઘર ઘરમાં ઈંદિરાનું રાજ થવા લાગ્યું. માથું ઓઢવાની પ્રથા દૂર થવા લાગી. લગ્નપ્રસંગે સાડી પરના કલાત્મક ભરતકામના પ્રદર્શન માટે માથું જરૂર ઓઢવામાં આવતું!

પુરુષ વર્ગના વેશ પરિધાનમાં પણ બદલાવ આવવા લાગ્યો. નાઈલોનના વસ્ત્રો આવવા લાગ્યા. જે વજનમાં હલકાં અને ધોવા સૂકવવામાં સરળ હોવાથી લોકોને સારાં લાગ્યાં, પણ વડીલ પેઢીઓને વાંધો પડ્યો. નાયલોન પારદર્શક હોવાથી અડધું શરીર ઉઘાડું હોવાનું લાગતું. શરીરનો જે ભાગ ઢાંકવાનું મહત્ત્વ હતું તે જ ભાગ ઉત્તેજના વધારે એવી રીતે દેખાતો હતો. નાયલોન એટલે નાગું વસ્ત્ર એવું લોકો માનતા હતા. ત્યારબાદ ટેરીકોટન આવ્યું જેમાં સુતરાઉ કાપડનું પણ પ્રમાણ હતું. જુવાનિયાઓ ટેરિકોટનનો પેન્ટ સીવડાવતા થયા. કાપડ મોઘું પડતું હતું પણ સુતરાઉ કરતાં વધારે ટકાઉ હતું અને એને વારંવાર ઈસ્ત્રી નહીં કરાવવી પડે એવી દલીલો થતી. એકવાર કરેલી ઈસ્ત્રી લાંબો સમય ચાલતી. એવું કહેવાતું કે એ કપડાં પહેરવાથી શરીરમાં ગરમી પેદા થતી હતી. તેથી લોકો કશે જવાના હોય તો પહેલાં પાયજામો પહેરીને તેના ઉપર પેન્ટ પહેરતા, પરિણામે શરીર પર ડફ્ફો જેવો લાગતો! પરોણા તરીકે ગયા હોય ત્યાં ગયા પછી પેન્ટને ખીંટીએ ટિંગાડી દેવાનો અને પાયામો પહેરી રાખવાનો! હીરાના કારખાનામાં ઘંટીએ બેસતી વખતે તો ચડ્ડી બનિયન પણ ચાલે! નેરો પેન્ટનો જમાનો પણ આવી ગયો. તંગ પેન્ટ પતલી ટાંગે લગતી હૈ સિઘરુટ જૈસી! પછી વળી લૂંગીનો જમાનો ચાલુ થયો. મોરની જેમ ઉંઘાડાના ઉંઘાડા અને ઢાંકેલા ને ઢાંકેલા! રંગબેરંગી અને ચેક્સ- ચોકડાવાળી રેશમી, કોટન વગેરે લૂંગી લોકપ્રિય બની.

એ જ અરસામાં દેશના વસતિ નિયંત્રણ માટે ફેમિલી પ્લાનિંગ એટલે કે કુટુંબ નિયોજનની યોજના વ્યાપક બની. ‘બે બાળકો બસ છે. પહેલું બાળક હમણાં નહીં, બીજા પછી તો કદી નહીં. બીજું બાળક ક્યારે, પહેલું નિશાળે જતું થાય ત્યારે. ઓછા બાળ જય ગોપાળ, નાનું કુટુંબ સુખી કુટુંબ‘ – આવાં સૂત્રો પ્રચલિત થયાં. ઊંધા લાલ ત્રિકોણવાળી પાંચ પૈસાની પોસ્ટલ ટિકિટ પણ બહાર પડી. કુટુંબ નિયોજન યોજનાનો ધૂમ પ્રચાર થયો. લોકો વ્યંગમાં એને ‘પંચવર્ષીય યોજના‘ પણ કહેતા હતા. સારા ઉદ્દેશથી અમલમાં આવેલી આ યોજનાને કારણે સમાજમાં સ્વચ્છંદતા પણ વધી. બાળકોનો જન્મદર જરૂર ઘટ્યો પણ અનૈતિક શરીર સંબંધને કારણે રહી જતો ગર્ભ અટકાવવા માટે નિરોધનો દુરૂપયોગ પણ વધ્યો. પહેલાં ગર્ભ રહી જવાના ડરના કારણે વ્યભિચાર પર અંકુશ રહેતો હતો તે ડર નીકળી જવાથી હવે એવા સંબંધો રાખનારાને છૂટ મળી ગઈ. મહિલાઓ માટે ગર્ભનિરોધ ગોળીઓ- ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ આવી. નવી પેઢી માટે તો જાણે સ્વર્ગના દ્વાર ખૂલી ગયાં. મહિલાઓ માટે આંકડી- લુપ અને કોપર ટી આવી. સરકારે પુરુષો માટે નસબંધીને ઉત્તેજન આપ્યું. જન્મદર ઘટ્યો પણ નૈતિકતા યે ઘટી. જાણે યુગોથી દબાઈ રહેલી વાસનાની આગને સળગવા માટે પૂરતી હવા મળી ગઈ. ઝૂંસરું અને જોતર તો બળદને પણ બંધન લાગે તો માણસ તો વિચારશીલ પ્રાણી કહેવાય. એણે પણ શરમ અને વિવેકના જોતર ઉતારી નાંખ્યા. આ માત્ર મારા જ ગામની વાત નથી, એ સમયની સાર્વત્રિક ઘટના છે. એક તરફ વધતી જતી સમૃદ્ધિ, ઉઘાડા થતા જતા શરીર, સિનેમા જોવાનું વધેલું ચલણ અને ‘અંગ સે અંગ લગા લે, સાંસો મેં હૈ તુફાન! જલને લગી હૈ કાયા જલને લગી હૈ જાન- જેવાં ઉત્તેજક ગીતો અને યુવાન યુવતિઓનો વધતો જતો સહવાસ! ‘કિતના જતિ હો કોઈ કિતની સતી હો ભાઈ! કાજલ કી કોટડીમેં કિતના જતન કિયો કાજલ કા દાગ તો લાગે હી લાગે!‘ વડીલ પેઢી માથે હાથ દેવા લાગી. જે સિનેમા ઘરમાં હતું તે હવે ઘરમાં આવી ગયું. ભોગવાદ વધ્યો. શ્રમકાર્ય ઘટ્યું પણ શરમજનક કાર્યો વધ્યાં.

બળદગાડાં ગયાં. સાઈકલ આવી. સાઈકલને તો પેડલ પણ મારવા પડે પણ હવે જાવા, સુવેગા, વીકી જેવી કંપનીના પેટ્રોલથી ચાલતા ફટફટિયાં આવતા થયા. જો કે ગામડાના ધૂળિયા રસ્તા પર એ બહુ ચાલ્યા નહીં. ગામની સડક પર થઈને કોઈ ફટફટિયું મોપેડ પસાર થતું હોય તો તે નજરે દેખાય ત્યાં સુધી લોકો તાકીને જોયા કરતા. બળી ગ્યું ધૂળ બહુ ઉડતું હતું! મોપેડ પણ સ્ટેટસ સિમ્બોલ બનવા લાગ્યું હતું, પણ બે હજારની કિંમતે મળતા રાજદૂત કંપનીની મોટર સાઈકલે લોકોના દિલ જીતી લીધાં. ગમ્મે તેવા ઉબડ ખાબડ રસ્તાઓ પર પણ દોડી શકે એવું ખડતલ વાહન! એની તોલે કોઈ નહીં આવે. એણે બહુ વરસ રાજ કર્યું. પછી તો લાલ રંગનું મીની રાજદૂત પણ નીકળ્યું!

22/05/2024

સિત્તેરના દાયકા પહેલાંનું અમારું ગામ: ૧૧૭

‘સંકર‘ ગાય અમારા ગામમાં ખાસ ચાલી નહીં. એને નભાવાય એટલો બધો વૈભવ અમારા નાનકડા ગામના ખેડૂતોને ક્યાંથી પોષાય! જેમ સંકર ગાય આવી તેમ ‘સંકર‘ કપાસ પણ આવ્યો. બીજે બધે ચાલ્યો હશે, પણ અમારા ગામમાં એ બહુ ચાલ્યો હોય એવું મને યાદ નથી. બસમાં મુસાફરી કરતી વખતે ક્યાંક ક્યાંક કપાસના ખેતરો જોયા હતા. એને ફૂલ આવે ત્યારે ફલીકરણ માટે પ્લાસ્ટિકની સફેદ કોથળીઓ બાંધેલી જોઈને દૂરથી એવો ભ્રમ થતો કે જાણે કપાસના ડિંડવા ફાટીને સફેદ રૂ બહાર નીકળી રહ્યું છે! કોઈક ખેડૂતે સંકર કપાસ કર્યો પણ હોય અને તે મારી જાણમાં ન હોય એમ પણ બની શકે. તે વખતે આ ‘સંકર‘ શબ્દની બહુ ચર્ચા ચાલતી હતી. અમારે કોલેજમાં ‘સંકર સંખ્યા‘ પણ ભણવાની આવેલી! વાસ્તવિક સંખ્યા અને કાલ્પનિક સંખ્યાનું મિશ્રણ તે ‘સંકર‘ સંખ્યા. (-1) ના વર્ગમૂળને (i)  થી ઓળખવામાં આવે તે કાલ્પનિક સંખ્યા છે. શ અને સ વચ્ચે અમારા લોકો ઉચ્ચારભેદ ન જાળવતા હોવાને કારણે તેઓ ‘શંકર ગાય‘ ‘શંકર કપાસ‘ એમ લખીને શંકર ભગવાન સાથે એને જોડી દેતા! હકીકતમાં એ ‘વર્ણસંકર‘ શબ્દનું ટૂંકું રૂપ છે. એને દેવોના દેવ શંકર ભગવાન સાથે કંઈ લાગતું વળગતું નથી. સંકર એટલે જેની મા મૂળી અને બાપ ગાજર – એ બેનું સંતાન તે વર્ણસંકર! માણસજાતે એટલે કે વિજ્ઞાનીઓએ કુદરત સાથે ચેડાં કરીને વનસ્પતિ અને જાનવરોના ઈન્ટરકાસ્ટ મિલન કરાવીને હાઈબ્રીડ – સંકર જાતો ઉત્પન્ન કરી. એના કેટલાંક સારાં નરસાં પરિણામો આવ્યાં. ગધેડા અને ઘોડાનું મિશ્રણ કરીને ટટ્ટુ બનાવ્યું અને તે કલ્પનાનો ઉપયોગ કરી બધાં જ ક્ષેત્રોમાં પ્રયોગો કર્યા. સારી ગુણવત્તાવાળી પેદાશને ચકાસીને પ્રમાણિત કરી અને બજારમાં મૂકી. મુખ્ય હેતુ તો પ્રજાની જરૂરિયાતને પહોંચી વળવાનો હતો. ઉત્પાદન કેમ વધે તેવી જાતો નિર્માણ કરવાની હતી. વહેવારિક સત્ય છે કે જ્યારે ક્વૉન્ટિટી વધે ત્યારે ક્વૉલિટી જોખમાય જ! બેમાંથી કોને મહત્ત્વ આપવાનું તે નક્કી કરવા માટે વિવેકબુદ્ધિ વાપરવી પડે. હવે એવા સમયગાળામાં આપણે પ્રવેશી રહ્યા છીએ કે જ્યારે દેશી, કુદરતી જેવા શબ્દો આપણે ભૂલી જવા પડશે!

વચ્ચે એવો ગાળો પણ આવી ગયો કે તે દરમિયાન અમારા ગામમાં અને આજુબાજુના ગામોમાં ઘઉંનું વાવેતર પણ થયું. તે સમયે પંજાબના ઘઉં વખણાતા હતા અને દેશની ઘઉંની મોટાભાગની જરૂરિયાત પંજાબ પૂરી પાડતું હતું. પંજાબ હરિયાણા પહેલાં એક જ રાજ્ય હતું, પછી તેના બે ભાગ પડ્યા. સૌથી પહેલાં ભાખરા નાંગલ બંધ પંજાબમાં બંધાયેલો. હરિયાળી ક્રાંતિની શરૂઆત ત્યાં થઈ ચૂકી હતી. ખેડૂતોના પ્રતિનિધિ મંડળો પંજાબનો પ્રવાસ ગોઠવીને માર્ગદર્શન લેવા જવા માંડ્યા. પરંતુ શું થયું તે ખબર નહીં પણ અમારા ગામ તરફના વિસ્તારમાં ઘઉંનો પ્રયોગ બહુ ચાલ્યો નહીં. એક તો એના દાણા કાઢવા માટે થ્રેસર મશીન વસાવવા પડે અને ઘઉંની પરાળી કંઈ કામમાં નહીં આવે. અમારે ત્યાં વગર પિયતના ઘઉં પણ અમુક લોકો કરતા હતા અને ડંકી કે રેંટની સગવડવાળા ખેડૂતો પિયતના ઘઉં પણ કરતા હતા પણ તે તેમની જરૂરિયાત પૂરતા જ કરતા. લોકોનો રોજીંદો ખોરાક તો જુવારનો રોટલો અને શાક તથા દાળભાત જ હતો. ઘઉંનો ઉપયોગ તો વાર -પરબે જ થતો. અથવા કોઈ વિશેષ મહેમાન પધારે ત્યારે જ થતો. તે સમયે  હુંખરાવાળા અને હુંખરા વગરના (બોડિયા) ઘઉં પ્રચલિત હતા. ગમે તેમ પણ ઘઉં અમારા વિસ્તારમાં ટક્યા નહીં. ખેડૂતોનો ઝોક તો ડાંગર તરફ જ વધારે રહ્યો.

ડાંગરની રોપણી માટે પ્રગતિશીલ ખેડૂતોએ જાપાની પદ્ધતિનો ઉપયોગ કર્યો એટલે એના વિશે ચર્ચા થવા લાગી. એનાથી શો ફાયદો થાય, એ પદ્ધતિનો ઉપયોગ કેવી રીતે કરાય એના વિશે લોકો વિચારવા લાગ્યા. એ પદ્ધતિ મુજબ ડાંગર રોપવાથી બે છોડ વચ્ચે અને છોડની આંત (હાર) વચ્ચે એકસરખું નિશ્ચિત અંતર રહે જેથી દરેક છોડને પૂરતી જગ્યા મળવાને કારણે પૂરતું પોષણ મળી રહે. ડાંગરમાં ઉગેલું નિંદામણ કાઢવા ખરપડી મારવી હોય તો સરળતા રહે. પાકને ખાતર આપવું હોય તેમાં પણ સરળતા રહે. જાપાની પદ્ધતિમાં ખાસ કંઈ વેદ ભણવાનો નહોતો. કાથાની દોરીમાં નિશ્ચિત અંતરે ખજુરીના છટિયાં ખોસી દેવાના હતા અને રોપતી વખતે તે છટિયાને ધ્યાનમાં રાખીને ઠુમડી રોપવાની હતી. તે માટે કિંયાડાના બંને છેડે દોરી પકડવા માટે બે માણસ રાખવા પડે અને તેઓ બે હાર વચ્ચેનું અંતર પણ પ્રમાણસર રાખે. આવી જ પદ્ધતિ મુજબ વાવેતર થવું જોઈએ.

ક્યારી વધી. રોપાણ વધ્યું પણ કેટલાક પરિબળો એવા ઊભા થયા કે મજૂરોની અછત લાગવા માંડી. શ્રમજીવી લોકોમાં ભણતરનું પ્રમાણ વધ્યું અને તેમને માટે નોકરીની તક ઊભી થવાથી તેમના સંતાનો મજુરી પર આવતા બંધ થયા! અમારા જેવી કારીગર કોમના યુવાનો માટે હીરા ઉદ્યોગના દ્વાર ખૂલવા લાગ્યા. પહેલાં તો મુંબઈ અને સુરત જેવા મોટા શહેરોમાં પાટીદાર અને જૈનો જ એ ઉદ્યોગમાં પડ્યા. જૈનો વેપારમાં પડ્યા અને પાટિદારો કારખાનાના માલિકો બન્યા. હીરાના કારીગરોને એટલું બધું મહેનતાણું મળતું હતું કે યુવાનો ભણવાનું છોડીને તથા નોકરી છોડીને પણ હીરા ઘસવા બેસવા લાગ્યા. ભણ્યા પછી પણ સરકાર નોકરી તો પછાત વર્ગને જ આપવાની હોય તો આપણે ભણવામાં વખત બગાડવો જોઈએ નહીં એવી માનસિકતા વ્યાપક બની. હીરાની જાહોજલાલી એવી જામી ગઈ કે બેંકના મેનેજરો કરતાં અભણ હીરાઘસુઓ વધારે કમાવા લાગ્યા. પ્રાથમિક અને માધ્યમિક શાળાના કર્મચારીઓ પણ નોકરી છોડીને હીરામાં બેઠા. શિક્ષિત- અશિક્ષિતના ભેદ ભુલાયા. વધારે કમાણી કરે તેની પ્રતિષ્ઠા વધારે! એના સારા નરસાં બંને પરિણામો આવ્યા. ઘણાં પરિવારોની આર્થિક સ્થિતિ સુધરી તો વળી કેટલાક કાચી વયના યુવાનો પાસે કલ્પના બહારનો પૈસો આવી જવાથી ઊંધે રવાડે પણ ચડ્યા. મુંબઈ પછી નવસારી હીરા ઉદ્યોગનું મોટું ધામ બની ગયું. ઘરના ભાડાં વધી ગયાં. જમીનના ભાવો વધી ગયા. બજારમાં મોંઘવારી વધી ગઈ. ગામડેથી શહેરમાં આવતી સવારની પહેલી બસોમાં યુવાનો શહેરમાં ઠલવાવા લાગ્યા. શહેરમાં રહેતા કારીગરો માટે ઘરથી ટિફિન બનાવીને એસ.ટી. બસ દ્વારા ડેપોમાં મોકલવાના શરૂ થયા. કારીગરો બપોરના સમયે ડેપો પર આવીને લઈ જાય અને જમી લે. શરૂઆતમાં કારીગર તરીકે કામ કરનારા લોકો પાછળથી શેઠિયા બની ગયા. શેઠિયા બન્યા એટલે બિઝનેસ કરતા થયા. એન્ટવર્પની સફર મારતા પણ થઈ ગયા. સામાન્ય કારીગરોએ પણ ગામડે ગામડે ઘંટી નાંખીને પોતે સ્વતંત્રપણે કામ કરવા માંડ્યું તથા ગામના યુવાનોને પણ હીરા ઉદ્યોગ સાથે જોતર્યા. અર્થતંત્રે કરવટ બદલી. હીરા ઉદ્યોગમાં “બાકી” શબ્દ ચલણી બન્યો.  બાકી એટલે એડવાન્સમાં કરેલો ઉપાડ. કારીગરોની ક્ષમતા મુજબ તેમને બાકી અપાય. એક કારખાનામાંથી બીજા કારખાનામાં જમ્પ મારવો હોય તો બાકી ચૂકવી દેવી પડે. નવો શેઠિયો જે હોય તે કારીગરની બાકી ચૂકવી દે. બાકી પેટે લીધેલા નાણાં દર મહીનાની કમાણીમાંથી વસુલ કરી લેવાય. આ બાકી એટલે વ્યાજ વગરની લોન. એનાથી ઘણા બધા સામાજિક પ્રસંગો ઉકેલી શકાય. બાકી ઉપરાંત બીજો એક શબ્દ પ્રચલિત થયો તે બૉણી! નવા વરસના દિવસે સવારમાં દરેક કારખાનામાં શુભ મુરતમાં પૂજા થાય અને કારીગરોને બૉણી એટલે કે બક્ષિસ મળે. કોઈપણ કારીગર એ મુરત નહીં ચૂકે! હીરાવાળાને જલસા થઈ ગયા. મા બાપ પોતાની કન્યાને પરણાવવા માટે ભણેલા અને નોકરિયાત મુરતિયા કરતા હીરાવાળા પર પહેલી પસંદગી ઉતારે એવા દિવસો આવ્યા.

14/05/2024

 સિત્તેરના દાયકા પહેલાંનું અમારું ગામ : ૧૧૬

સમય જાય તેમ બધું થાળે પડતું જાય છે અથવા એમ પણ કહેવાય કે બધાં ટેવાઈ જાય છે. એ તો એવું જ ચાલવાનું! હવે લોકો સિંચાઈ યોજનાનો લાભ લેવા તત્પર બન્યા છે. સિંચાઈ શબ્દ ક્યાંથી આવ્યો હશે?! મોટા ખેડૂતો તેમના કૂવામાં રેંટ લગાવીને કે ડંકી મૂકાવીને નીક મારફતે કૂવાના પાણીને વાડીના ક્યારામાં વાળતા, પણ તેને માટે પાણી વાળવું કે પાણી મૂકવું એવા શબ્દો વપરાતા. જોકે ‘પાણી મૂકવું‘ એ તો સંબંધો પર પ્રતિજ્ઞાપૂર્વક પૂર્ણવિરામ મૂકવા માટે વપરાતો રૂઢિપ્રયોગ પણ છે! ઘાસ પરાળનું કૂંદવું સીંચવું કે લાકડા છાણાંને વ્યવસ્થિત ગોઠવીને ઢગલો ખડકવો તેને માટે પણ ‘સીંચવું‘ જેવો શબ્દ વપરાતો હતો. પાણીને કેવી રીતે સીંચી શકાય? તરસી ધરતી તરબતર થઈ જાય એટલું પાણી તેને આપવું એને માટે સિંચાઈ શબ્દ વપરાતો હશે? ગામમાં તે વખતે અને આજે પણ ‘પીયત‘ શબ્દ પ્રચલિત છે. ખેતીમાં વરસાદના પાણી ઉપરાંત બીજી કોઈપણ રીતે અપાતા પાણીથી થતી ખેતી એટલે પીયતવાળી ખેતી ગણાય છે.

હવે કિંયાડામાં થતા વાલ અને શણિયા ગયા! હવે ચોમાસુ પાક અને શિયાળુ પાક તરીકે ડાંગર જ રોપાતી થઈ. ડાંગરમાં નવી નવી જાતો ઉમેરાતી ગઈ. પહેલાં મોટાભાગે કડાનું ભાત થતું ઝેડ-૩૧, વાંકવેલ જેવી જાત અમુક ખેડૂતો વાવતા. કવચી અને કમોદ જેવી ડાંગર તો ખેતરમાં ઓછા પાણીએ પણ થઈ જતી. પરંતુ કૃષિ વિજ્ઞાનીઓએ પ્રયોગો કરીને જાત જાતની ડાંગરો વિકસાવી. એકતરફ દેશની વસતિ કૂદકે ને ભૂસકે વધતી જતી હતી જ્યારે જમીન તો તેટલી ને તેટલી જ રહેતી હતી. ઊલટાનું, વધતી વસતિના રહેઠાણ માટે અને નવા ઉદ્યોગોની સ્થાપના માટે જમીન વપરાવાના કારણે ખેતીલાયક જમીન ઘટતી જતી હતી. વધતી જતી વસતિના ખોરાક માટે ઉત્પાદન વધારવાની આવશ્યકતા હતી. લોકોએ ચાર માટેના વાડા કે ડવા હતાં તેના કિંયાડા બનાવી દીધાં અને ઘાસિયાં – બાવરી જે હતું તે બધામાં ઉગેલાં ઝાડવાં કાપીને તથા ઊંચી નીચી જમીનને સમથળ કરીને કિંયાડા બનાવવા માંડ્યાં. ‘વધુ અનાજ ઉગાડો‘  Grow More Grain ની ઝૂંબેશ ચાલુ થઈ.

નવી સુધારેલી જાતો વધુ ઉત્પાદન આપે છે. પછી તે વનસ્પતિ હોય કે પ્રાણી! એક તરફ કૃષિક્ષેત્રમાં પાકનો વધારે ઉતાર મળે તે માટેના પ્રયોગો થયા તેમ માણસોની દૂધની જરૂરિયાતને પહોંચી વળવા માટે ગાય ભેંસોની જાતો સુધારવાના પણ પ્રયોગો થયા. તે માટે ‘સંકર‘ ગાયો આવી. પહેલાં દેશી ભેંસ ઉપરાંત મહેસાણાની કૉલી ભેંસ પ્રચલિત હતી. એ ભેંસને મહેસાણી ભેંસ જ કહેતા. કોઈ મહિલા સામાન્ય કરતાં વધારે દેખાવડી હોય તો રમુજમાં તેને માટે પણ ‘મહેસાણી‘ શબ્દ વપરાતો. એ તો ઠીક તેના ભરાવદાર વક્ષ સ્થળને પણ ‘અવાળા‘ સાથે સરખાવવાની ધૃષ્ટતા થતી હતી. જાફરાબાદની ભરાવદાર ભેંસો વિશે પાઠ્યપુસ્તકોમાં ભણ્યા હતા. દેશી ગાયો હતી અને ‘કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય!‘  એવાં જોડકણાં પણ પ્રસિદ્ધ હતાં. નિશાળમાં ભણવાનું આવ્યું કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કાંકરેજી ગાય વધુ દૂધ આપે છે અને તેના બળદો ઊંચા, કદાવર અને મજબૂત હોય છે. પણ એ બધી વાતો પાઠ્યપુસ્તકોમાં જ રહી ગઈ! ‘સંકર‘ ગાય આવી તે વખતે અમે નાનુ ઝીણા સાથે સાતેમ ગામમાં આવેલી હાઈસ્કૂલમાં ભણતા હતા. નાગધરાના દલિતવાસની સામે પડતા વાડામાં થઈને અમે સાતેમના મોટાફળિયામાં ઉબાણ ફોડી કાઢતા. ત્યારે ‘સંકર‘ ગાય માટે બનાવેલા ભવ્ય કોઢારા જોઈને અમને અદેખાઈ આવેલી! એ મહારાણીઓને રહેવા માટે કોઢારામાં લાદી જડેલી હતી! કોઢારા સ્વચ્છ હતા. અમે સૌ છાણથી લીંપેલા ઘરમાં રહેતા હતા અને આ ગોરી મેડમો અમારા કરતાં વધારે સુખ લખાવી લાવી હતી!

સંકર ગાયને મળતી સગવડો જોઈને અમારા બાજુના મહોલ્લામાં રહેતી શાંતિભાભીએ કરેલી વાત યાદ આવી ગઈ. તે ઈંગ્લેંડ રહી આવી હતી. ત્યાંની જાહોજલાલીની વાત કરતાં એણે મારી માને કહેલું કે ‘માહી, ઉં તો ભગવાનને પ્રાર્થના કરું કે આવતો જનમ તું મને કૂતરાનો આપજે!‘ ચોપડી વાંચતાં વાંચતાં મારું ધ્યાન એમના તરફ ગયું. આશ્ચર્યચકિત થઈને મારી માએ પૂછેલું, ‘કેમ બેન! તું હાથે કરીને કૂતરાનો જનમ કેમ માંગે છે?‘ એણે ખુલાસો કર્યો કે ‘કૂતરાનો જનમ તો હું માગું માહી, ઈન્ડિયામાં નહીં પણ તે ઈંગ્લેંડમાં!!  માહી તાં ઈંગ્લેન્ડના લોકો તેમના કૂતરાને જે લાડ લડાવે છે અને જે ફેસિલીટી આપે છે તેવી તો અહીં રાજા મહારાજાઓને પણ ના મળે! દસ આંગરીએ પુન કીધાં હોય તેને જ એવી સગવડ અને સારવાર મળે!‘ પ્રાણીઓના જીવનમાં પણ રાજયોગ આવતો હશે?!…

આ સંકર ગાય બહુ આચકલી હોય છે. સાવ પોપલગારી! એનાથી તડકો સહન ન થાય. એની ચામડી બળી જાય. એ મહારાણીને તો પંખા અને એસી જોઈએ. એનાથી એના જ છાણ મૂત્રની ગંદકી સહન ન થાય, બેક્ટેરિયા લાગી જાય! ઘાસ પરાળને બદલે સ્પેશિયલ ખાણ ખવડાવવું પડે. એના વાછરડા પણ એના જ જેવા કમજોર. ખેતીમાં કામ ન લાગે. અરે! એ ગાય એટલી નાજુક કે એને ઠેકાણે પાડવા માટે દેશી સાંઢ નહીં ચાલે. એનું વજન એ ખમી ન શકે. ગર્ભાધાન માટે ઈંજેક્શનો આવ્યા. આ બધું નવું હતું. આપણું આયુર્વેદ ગાયના દૂધની પેદાશ વાપરવાની સલાહ આપે છે. તડકામાં ફરનારી, સીમ-વગડો તોડી નાંખનારી અને વિવિધ વનઔષધિઓ ચરતી ગાયના ઘી- દૂધમાં જે ગુણો છે તે આ જર્સી ગાયમાં નથી હોતા. જર્સી ગાય દૂધ વધારે આપે એ વાત ખરી પણ જે દૂધમાં પોષક તત્વો ન હોય તે દૂધ શા કામનું?

પાકનું ઉત્પાદન વધ્યું. ખેડૂતો પાસે પૈસો આવતો થયો. હવે ખેડૂતો બળદને બદલે ટ્રેક્ટર વસાવતા થયા. બળદો ઘટતા ગયા. ઘાસ ઉગતું બંધ થયું અને ઢોર પાળવાનું નીકળી ગયું એટલે માળ અને ઓટલા નવરા પડી ગયા. ઘરકાછાના વાડામાં અને માળ પર ઘાસ કચરું ભરવાનું રહ્યું નહી. ભાતના પુરેટિયા પ્રેસમા જતા થયા. ઓટલા પર અને આંગણામાં બળદો બાંધતા હતા ત્યાં ટ્રેક્ટર મુકાતા થયાં. ચારના ભારા મુકાતા હતા ત્યાં ડિઝલના પીપ ગોઠવાઈ ગયા. જનજીવન બદલાતું ગયું.

09/05/2024